Home » More » Gujarati » Ranjitram Award Honor to Poet Rajendra Shukla(Gujarati Video)

Ranjitram Award Honor to Poet Rajendra Shukla(Gujarati Video)

Ahmedabad, DeshGujarat

Leading Gujarati poet Shri Rajendra Shukla was awarded Gujarati literature’s highest honor ‘Ranjitram Suvarnachandrak’ this week in Ahmedabad. You can watch glimpses of this award function here on this page in video. This video includes his acceptance speech and singing of poetries.

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને
રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ

અમદાવાદ, દેશગુજરાત

૨ જૂન, ૨૦૦૭ના રોજ ગુજરાત સાહિત્યસભા તરફથી અમદાવાદના ભાઈકાકા હોલમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને ઈ.સ.૨૦૦૬નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. કવિશ્રીને આ એવોર્ડ એનાયત થયો તે ક્ષણો, ઉપરાંત તેઓશ્રીએ એવોર્ડના સ્વીકારમાં આપેલું ટૂંકૂ વક્તવ્ય તથા ગાયેલી કવિતાઓ પૈકીની બે કવિતાઓનો આસ્વાદ આપ અહીં આ વિડિયોમાં માણી શકશો.

ચંદ્રક સ્વીકારતી વેળાએ કવિ કહે છે

કર્યું તો કશું જ નથી
જે કઈ થયું તે થાય છે
કર્યું કશુંજ નથી

આ અહીં પહોંચ્યા પછી
એટલું સમજાય છે
કોઈ કંઈ કરતું નથી
આ બધું તો થાય છે

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ટૂંકમાં પરિચય:

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો જન્મ ઈ.સ. ૧૯૪૨ની બારમી ઓક્ટોબરે ગુજરાતના જુનાગઢ જિલ્લાના બાંટવા ખાતે થયો હતો. પિતાનું નામ અનંતરાય અને માતાનું નામ વિદ્યાબહેન. રાજેન્દ્રભાઈનું પૈતૃક વતન વઢવાણ અને બાંટવા એ એમનું મોસાળ.એમનો ઉછેર અને ભણવાનું મોટાભાગે બાંટવા અને જૂનાગઢમાં થયું.સોરઠમાં જન્મેલા અને ગરવ ગિરનારની ગોદમાં ઉછરેલા રાજેન્દ્રભાઈના ઘડતરમાં જૂનાગઢ, ગિરનાર અને નરસિંહ મહેતાની નોધપાત્ર અસર રહી છે.જૂનાગઢમાં રાજેન્દ્રભાઈને પ્રિન્સિપાલ તખ્તસિંહ પરમાર ગુરૂ જેવા મળ્યા. વળી તેઓ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’, પાજોદ દરબાર, કવિશ્રી રુસ્વા મઝલૂમી જેવા સર્જકોના સંપર્કમાં આવ્યા.મંગળવારિયું અને મિલન જેવી સંસ્થા દ્વારા થતી કાવ્યપ્રવૃત્તિનો એમને લાભ મળ્યો.

એમએ થયેલા અને સંસ્કૃત-પ્રાકૃતનું શિક્ષણ લેનારા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું પ્રથમ કાવ્ય વીસ વર્ષની ઉંમરના હતા ત્યારે કુમારમાં પ્રગટ થયું.પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ ૧૯૭૦માં પ્રકાશિત થયો.પ્રારંભમાં ગઝલો ઉપરાંત ગીતો અને છાંદસ તથા અછાંદસ કાવ્યો સર્જનાર રાજેન્દ્રભાઈ પાછલા ગાળામાં ગઝલની જ ઉપાસના કરી રહ્યા છે.

રાજેન્દ્ર શુક્લના પ્રથમ કાવ્ય સંગ્રહ કોમલ રિષભને રમેશ પારેખના ક્યાં સાથે સંયુક્ત રીતે ગુજરાત સરકારનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું પારિતોષિક મળ્યુ હતું. બીજો સંગ્રહ અંતરગંધાર પણ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત થયો હતો. આ સંગ્રહ ને સ્નેહરશ્મિ પારિતોષિક તથા ન્હાનાલાલ પારિતોષિક મળ્યા હતા. આ ઉપરાંત રાજેન્દ્ર શુક્લને કલાપી એવોર્ડ તથા મોરારીબાપુ પ્રેરિત આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા એવોર્ડ પણ મળ્યો હતો. ૨૦૦૭માં તેમનેગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ ગણવામાં આવતા રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા.

દેશગુજરાત.કોમે ચૂંટેલી
રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ:

મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું
મારું તારું અને ગમવું પણ
લાવને કરીએ સહિયારું
તું જીતે ને થાઉં ખુશી હું
લાવને ફરી ફરી હારું

-કવિ રાજેન્દ્ર શુક્લ

‘સુખડની જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.’

-કવિ રાજેન્દ્ર શુક્લ

‘સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે;
સૂતેલાના સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !’

-કવિ રાજેન્દ્ર શુક્લ

લોક કહે મન પાછું વાળ,
જઈ પોહોચ્યું છે ટગલી ડાળ!

કોઈના મન, ઈને ચ્યમ રે પમાય ?
સમજણ તો સીધી ને સોંસરવી જાય.

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં,
ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવં શું છે, આ કારી ઘાવ શું છે ?

-કવિ રાજેન્દ્ર શુક્લ

રણજિતરામ સુવર્ણચંદ્રક વિશે:

રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્યસભા તરફથી દરેક વર્ષે એક ગુજરાતી કવિ-સાહિત્યકારને અમદાવાદમાં જાહેર સમારંભમાં એનાયત કરવામાં આવે છે.ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા(૧૮૮૧-૧૯૧૭)ની પ્રેરણાથી થઈ હતી. એમની સ્મૃતિમાં આ સુવર્ણચંદ્રક આપવામા આવે છે.

Click Here To Go To The
Official Website of Rajendra Shukla

morarismall.jpg

smallmorarifilm.jpg

chandosmall.jpg

sanedosmall.jpg

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo