Quiz:Check Your Knowledge about Gujarat’s Geography
1. ગુજરાતની બારમાસી નદી કઈ છે ?
અ. નર્મદા
બ. મહી
ક. તાપી
ડ. સાબરમતી
2. ગુજરાતનું બીજા ક્રમનું સૌથી ઉંચું શિખર કયું છે ?(Second highest peak)
અ. ગિરનાર
બ. પાવાગઢ
ક. સાપુતારા
ડ. જેસ્સોર
3. ગુજરાતની કઈ દિશા આદિવાસીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે ?
અ. ઉત્તર
બ. દક્ષિણ
ક. પૂર્વ
ડ. પશ્ચિમ
4.કચ્છ ગુજરાતનો કેટલો ભાગ રોકે છે ?
અ. લગભગ ૨૫ ટકા
બ. લગભગ ૪૦ ટકા
ક. લગભગ ૧૦ ટકા
ડ. લગભગ ૫ ટકા
5.ગુજરાતમાં કેટલા અખાત છે ?
અ. ૦૧
બ. ૦૨
ક. ૦૩
ડ. ૦૪
6.ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રીતે કઈ દિશામાંથી આવે છે ?
અ. ઉત્તર પૂર્વ (ઈશાન)
બ. દક્ષિણ પૂર્વ (અગ્નિ)
ક. દક્ષિણ પશ્ચિમ (નૈરૂત્ય)
ડ. ઉત્તર પશ્ચિમ(વાયવ્ય)
7.ગુજરાતનું હાલનું અલગ રાજ્ય તરીકેનું રાજકીય સ્વરૂપ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?
અ. ૧૯૪૭
બ. ૧૯૪૮
ક. ૧૯૫૧
ડ. ૧૯૬૦
8. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં ફેલાયેલી વનસ્પતિ કઈ છે ?
અ. આસોપાલવ
બ. પીપળો
ક. ગાંડો બાવળ
ડ. લીમડો
9. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ?
અ. ૧૬૦૦ કિલોમીટર
બ. ૧૬૦૦ માઈલ
ક. ૧૮૩૦ કિલોમીટર
ડ. ૧૫૦૦ માઈલ
10. ગુજરાતનો સૌથી ઉંચો ધોધ ક્યો છે ?
અ. જાંબુઘોડાનો હાથણી ધોધ
બ. રતનમહાલનો ધોધ
ક. ડાંગનો ગીરા ધોધ
ડ. ગીરના જંગલનો ધોધ
નોંધ:
-જો આપના દસમાંથી આઠ. નવ કે દસ જવાબ સાચા પડે તો સમજવું કે આપ ગુજરાતના ભૂગોળ વિશે બહુ જ સારી માહિતિ ધરાવો છો
જો સાત જવાબ સાચા પડે તો આપ ગુજરાતના ભૂગોળ વિશે સામાન્ય જાણકારી ધરાવો છો
જો છ જવાબ સાચા પડે તો આપ ગુજરાતના ભૂગોળ વિશે ઠીક ઠીક જાણકારી ધરાવો છો
જો પાંચ જવાબ સાચા પડે તો આપ ગુજરાતના ભૂગોળ વિશે થોડું ઘણું જાણો છો
જો પાંચ કરતા ઓછા જવાબ સાચા પડે તો આપ ગુજરાતના ભૂગોળ વિશે નબળી જાણકારી ધરાવો છો
જવાબ જોવા માટે આપના કમ્પ્યુટર કી બોર્ડ પર કંટ્રોલ ની કી સાથે અંગ્રેજી મૂળાક્ષર ‘એ’ દબાવો અથવા માઉસની ડાબી ક્લીક દબાવેલી રાખીને નીચે ફેરવો. સ્ક્રીન પરના સફેદ રંગના અક્ષર ભૂરા થઈ જશે જેમાં આપ જવાબ જોઈ શકશો.
૧-અ
નર્મદા બારમાસી છે માટે જ તો તેનું પાણી ગુજરાતના બાકીના ભાગોમાં પહોંચાડવાની મહાત્વાકાંક્ષી યોજના બની છે.
૨-ડ
જેસ્સોરનું નામ નહીં સાંભળ્યુ હોય હેંને? આ જેસ્સોર અમદાવાદ પાલનપુર થઈને આગળ રાજસ્થાનમાં પ્રવેશો એનાથી થોડેજ પહેલા આવે છે.દેશગુજરાત પાસે જેસ્સોરના ફોટા અને વિડિયો છે જે ક્યારેક ચોક્કસ વહેંચીશું. જેસ્સોરમાં રીંછ અભયારણ્ય છે. જોકે રીંછ ભાગ્યેજ જોવા મળે છે.
૩-ક
ઉત્તરમાં છેક અંબાજીથી લઈને દક્ષિણ લગી આખી પૂર્વ બોર્ડર કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે તેમાં આદિવાસીઓ વસે છે.
૪-અ
આમાંનો મોટો ભાગ તો કચ્છનું રણ રોકે છે.
૫-બ
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. એક સમયે આ બંને અખાત જોડાયેલા હતા અને સૌરાષ્ટ્ર એક ટાપુ હતો. આજે પણ બે અખાતની વચ્ચે નળ સરોવર વાળો પટ્ટો છે એ સાંધા જેવો છે.
૬-ક
ચોમાસામાં અરબી સમુદ્ર પરથી આ દિશામાંથી વાદળા આવી ચડે છે. ચોમાસુ શરૂ થવાનું હોય ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જંગી મોટા વાદળો ધરતી પર વરસવા આવતા હોય એ હેરફેર જોવા જેવી હોય છે.
૭-ડ
દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી છૂટૂ પડીને ગુજરાત અલગ રાજ્ય થયું આ સાલની પહેલી મેના દિવસે. ગુજરાતની સાથે આ જ દિવસે મહારાષ્ટ્ર પણ અલગ રાજ્ય બન્યું. ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂજ્ય રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં કર્યું હતુ.
૮-ક
મૂળ તો રણ અને દરિયાની ખારાશ રોકવા માટે વિદેશથી લાવવામાં આવેલી આ વનસ્પતિ હવે કાબૂ બહાર ફેલાતી જાય છે. આ વનસ્પતિના ફાયદા નુકસાન અને ઠેર ઠેર ફેલાઈ જવાના ગાંડપણ વિશે તો દેશગુજરાતમાં એક એપિસોડ આપીયે તો ય ઓછો પડે એવું છે.
૯-અ
દરઅસલ કચ્છનો પાકિસ્તાન સાથેનો જે દરિયા કિનારો છે એ દરેક મોસમમાં એવો બદલાતો હોય છે કે ગુજરાતના દરિયાકિનારાનું આ સ્વીકારી લીધેલુ માપ છે પણ અસલ માપ નથી. ક્યારેક ૧૬૪૦ કિલોમીટર પણ કહેવાય છે પણ એની ચર્ચા ફીજૂલ છે કારણકે કોરી ક્રીકનો વિસ્તાર એવો છે કે પરફેક્ટ માપ હોવું અશક્ય છે.
૧૦-ક
જો કે આ ધોધમાં નાહી શકાતુ નથી. જોખમી છે. બસ એને જોઈ શકાય છે. નહાવા માટે લલચાઈ જનારા ઘણા એમાં ડૂબી ગયા છે. બીજું કે આ ધોધ માત્ર ચોમાસામાં અને ચોમાસા પછે શરૂઆતના શિયાળામાં જ જોવા મળે છે. બારમાસી ધોધ નથી આ.



















