Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Andar Bahar Gujarat:November 2007 Archive(Gujarati text)


chundadi.jpg

Jp’s Andar Bahar Gujarat(popularly known as abg) November 2007 collection
abg is regularly available at http://deshgujarat.com/abg

દિનશા પ્રામાણિક હોય તો હું ઈચ્છીશ ભારતનો બચ્ચે બચ્ચો
આવો કરોડપતિ પ્રામાણિક બને

30-11-2007

રાજકારણમાં કોઈને પ્રામાણિક કહેવા એ કદાચ સરળ હોઈ શકે છે પણ ખરેખર પ્રામાણિક હોવુ એ એટલુ સરળ નથી. દરેક રાજકારણીને કોંગ્રેસના દિનશા પટેલની ઈર્ષ્યા એટલા માટે થવી જોઈએ કારણકે કેન્દ્રના મંત્રી બન્યા બાદ દિનશા પાસે કરોડો રૂપિયા પણ છે અને તેમ છતા તેઓ પ્રામાણિક પણ કહેવાય છે.

૨૦૦૩માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હવે પછી ચૂંટણી લડતા પહેલા ઉમેદવારે પોતાની અને પોતાના અશ્રિત હોય-ડીપેન્ડન્ટ હોય(જેમ કે મોટાભાગના કેસમાં પત્ની) એમની તમામ મિલકત જાહેર કરવી. ૨૦૦૪ની ભારતની લોકસભાની ચૂંટણી આ ચુકાદા પછીની પહેલી મોટી ચૂંટણી હતી. દિનશા પટેલ આ ચૂંટણીમાં મધ્ય ગુજરાતના ખેડા સંસદિય મતવિસ્તારમાંથી ઉમેદવાર હતા. ૨૯ માર્ચ ૨૦૦૪ના રોજ દિનશાએ વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પોતાની તથા પોતાની પત્નીની મિલકતો દર્શાવતી એફીડેવીટ કરી. આ એફીડેવીટમાં દિનશા એ જે મિલકતો બતાવી હતી એમાં તેમની તમામ મિલકતોનો કુલ સરવાળો ૫૭,૨૭,૫૭૫ એટલેકે લગભગ સવા સત્તાવન લાખ જેટલો થતો હતો. આ ઉપરાંત દિનશાએ આ એફિડેવીટમાં પોતાના માથે ૩૦,૮૩,૮૩૦ એટલેકે લગભગ ૩૧ લાખનું દેવુ પણ હોવાનું દર્શાવ્યુ હતુ. દિનશાએ ૨૦૦૪ની એ એફિડેવીટમાં પોતાના આશ્રિત પોતાના પત્ની કુંદનબહેનને નામે કશીજ સંપતિ ન હોવાનુ પણ દર્શાવ્યુ હતુ.

પરંતુ હવે જ્યારે દિનશાએ ૨૦૦૭ના નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિનગરના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે ત્યારે તેમણે કરેલી એફિડેવીટમાં તેમની મિલકતનો કુલ આંકડો બે કરોડથી પણ ઉપર પહોંચે છે. તેમના પત્નીના નામે ૨૦૦૪માં કશું જ ન હતુ પરંતુ આજે પોણા ચાર વર્ષ કરતા પણ ઓછા ગાળામાં તેમના પત્નીની મિલકતો પોણા કરોડે પહોંચે છે. ઉપરાંત દિનશાના માથે જ્યાં ૨૦૦૪માં પોણા એકત્રીસ લાખથી વધુનુ દેવુ હતુ એ દેવુ પણ હવે શૂન્ય થઈ ગયું છે.

ટૂંકમાં સ્પષ્ટ તારણ કાઢી શકાય છે કે દિનશા પટેલ ૨૦૦૪ પહેલા માત્ર સાંસદ હતા ત્યારે માત્ર લાખોપતિ હતા જ્યારે મે ૨૦૦૪ પછી ભારત સરકારમાં મલાઈદાર પેટ્રોલીયમ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા પછી કરોડપતિ બન્યા છે. અને છતા તેઓ મિડિયાની અને કોંગ્રેસની ભાષામાં નરેન્દ્ર મોદી સામે લડવા માટે કોંગ્રેસે મૂકેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા,પ્રામાણિક ઉમેદવાર છે!!

ઉપરની વિગત જરા ઉંડાણમાં જોઈએ તો ૨૦૦૪ની ચૂંટણી સમયે દિનશાની બેંકોમાં થાપણ ૬૫૩૯૭ રૂપિયાની હતી જ્યારે આજે સેવીંગ્ઝ એકાઉન્ટમાં ૧૫૭૬૭૨૬ અને ફીક્સ થાપણ ૫૩ લાખની છે, ઉપરાંત તેમના પત્નીની થાપણો ૨૦૦૪માં શૂન્ય હતી એ હવે સેવીંગ્ઝ એકાઉન્ટમાં કુલ ૫૭૨૨૫૨ રૂપિયા છે અને ફીક્સમાં ૧૨૪૮૮૨૪ રૂપિયા છે. દિનશાના નોનબેંકીંગ ક્ષેત્રે થાપણ તરીકે ૨૦૦૪મા છ લાખ રૂપિયા હતા અને પત્નીના નામે ત્યારે કશુંજ ન હતુ જ્યારે આજે તેમના અને તેમના પત્નીના બંનેના નામે દસ દસ લાખ રૂપિયા છે.

કંપનીઓમાં શેર, ડિબેન્ચર અને બોન્ડની વાત કરીએ તો પેટ્રોલીયમ મંત્રી બન્યા પહેલા દિનશા પાસે માત્રે ૨૪૫૦૦ રૂપિયાના એટલેકે પચ્ચીસ હજારથી પણ ઓછી રકમના શેર હતા જ્યારે પત્ની પાસે કોઈ જ શેર ન હતા. પરંતુ આજે દિનશા પાસે ૭૪૩૩૫૦ રૂપિયાના અને તેમના પત્ની પાસે ૨૪૩૮૫૩૨ રૂપિયાના શેર છે.

એનએસએસ, પોસ્ટલ બચત, એલઆઈસી પોલીસી વગેરે અન્ય ખાતે ૨૦૦૪માં પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા પાસે ૩૨૫૦૦૦૦ રૂપિયા એટલેકે સાડા બત્રીસ લાખ રૂપિયા હતા અને પત્ની પાસે કશું જ ન હતુ. જ્યારે આજે દિનશા પાસે આ ક્ષેત્રોમાં કુલ ૩૪૪૦૦૩૮ રૂપિયા છે અને તેમના પત્ની પાસે પીપીએફમાં ૨૩૨૫૭૬૨ રૂપિયા છે. પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા કે તેમના પત્ની પાસે સોનુ ન હતુ જે અત્યારે પચ્ચીસ તોલા જેટલુ છે અને તેની કિંમત થાય છે પણા ત્રણ લાખ રૂપિયા. એ જ રીતે પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા પાસે ૨૦૦૨ના મોડેલની ઝેન કાર હતી જ્યારે પત્ની પાસે કાર ન હતી પણ હવે દિનશાના પત્ની પાસે એસ્ટીમ કાર છે જે ૩૭૦૦૦૦ એટલેકે લગભગ પોણા ચાર લાખ રૂપિયાની છે. પેટ્રોલીયમ મંત્રી બન્યા પહેલા દિનશાના માથે જુદા જુદા સગાઓનું ૩૦૮૩૮૩૦ રૂપિયાનું દેવુ ચડેલુ હતુ જે અત્યારે શૂન્ય થઈ ગયુ છે એટલેકે લગભગ ૩૧ લાખ જેટલુ માતબર રકમનું દેવુ પણ ચૂકતે થઈ ગયુ છે.

એફીડિવીટ અનુસાર દિનશાની પેટલાદ રોડ પરની જમીનની કિંમત સાડા ચાર લાખ થઈ છે જે અગાઉની એફીડેવીટમાં ૪૨૭૦૦૦ હતી એ જ રીતે દિનશાના રહેઠાણની કિંમત ૧૩૨૦૦૦૦ હતી જે અત્યારે વીસ લાખ થઈ છે એ બે મુદ્દા તો નેચરલી પ્રોપર્ટીની વધતી જતી કિંમતોના પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય એમ છે.

તો સરવાળે ત્રણ તારણ નીકળે છે: ૧. દિનશા દંપત્તિ દિનશા પટેલ કેન્દ્રના રાજ્ય કક્ષાના પેટ્રોલિયમ પ્રધાન બન્યા પછી કરોડ પતિ થયુ છે. ૨. પોણા ચાર વર્ષથી પણ ઓછા ગાળામાં દિનશા દંપતિએ પોતાની મિલકતોમાં સત્તાવન લાખથી બે કરોડનો જમ્પ માર્યો છે. ૩. દિનશાના પત્ની પાસે ૨૦૦૪માં કશું જ ન હતુ પણ અત્યારે પોણો કરોડની આસપાસની મિલકત,ધરેણા,ગાડી,થાપણો વગેરે છે.

અને દિનશા પટેલ પ્રામાણિક, સ્વચ્છ, નિષ્ઠાવાન, સંનિષ્ઠ રાજકારણી કહેવાય છે. યે અચ્છી જોક હે. જેપી કો હસી બહોત આઈ.

દિનશા જે સરદાર પટેલના ભક્ત છે એ અવસાન પામ્યા ત્યારે એમના ટ્રંકમાંથી માત્ર ૨૬૨ રૂપિયા નીકળ્યા હતા. દિનશા સરદારના સ્મારક માટે કરોડો રૂપિયાનું દાન ઉઘરાવતા ફરે છે. દિનશા અને દરેક રાજકારણી સરદાર જેવુ જીવી બતાવે તો સિમેન્ટ કોંક્રીટના ઝુમ્મરો વાળા આલીશાન સ્મારક કરતા બહેતર કામ થાય.આખુ રાજકારણ, આખો સમાજ, આખો દેશ સરદારનુ સ્મારક થાય.પણ આવી આશા રાખવી ધૂળ છે.

મેટ્રીક ભણેલા નડિયાદના દિનશાભાઈ સડસઠથી સિત્તેર વર્ષની ઉંમરે કરોડપતિ બની જાય એનું નામ રાજકારણ, અને છતા એમને પ્રામાણિક કહે, સરદાર પટેલના ભક્ત કહે એ એ આપણી કોંગ્રેસ પાર્ટી. આવુ છે ભાઈ.

આ લો …સેનાના મેજર નોકરી છોડીને અપક્ષ ચૂંટણીમાં ઉભા છે!!

29-11-2007
ચૂંટણી ટાણે એકે એક અપક્ષ ઉમેદવાર મળવા જેવા હોય છે. અમુક તો બિલકુલ મરજીવા હોય છે કે જે ઈતિહાસમાં પોતાનુ નામ છોડી જવા માટે ચૂંટણી લડતા હોય છે. અમુક એટલા માટે ઉભા રહે છે કે ઉમેદવાર હોવાના નાતે મતગણતરી વખતે મતગણતરી મથકની અંદર જવા મળે એના પાસ મોટા પક્ષોના ઉમેદવારને આપીને રોકડી કરી શકાય. અમુક અપક્ષ દિવાના હોય છે, અમુક બહુ જ સિદ્ધાંતવાદી ધૂની હોય છે અને દેશને બદલવાની ખેવનાઅ રાખનારા હોય છે. પણ અહીં જેપીએ વાત કરવી છે એક એવા સિરિયસ અપક્ષ ઉમેદવારની કે જે સેનામાં મેજરની નોકરી છોડીને ચૂંટણીમાં ઉભા રહ્યા છે.વાત પોરબંદરની છે. અહીં ભારતીય સેનાના મેજર કેતન મહેતા ચૂંટણીમાં ઉભા છે અને ગંભીરતાથી ઘરે ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા છે. કેતનભાઈ સિયાચીન ગ્લેશીયર પર પણ ફરજ બજાવી ચૂક્યા છે.

કેતનભાઈનું કહેવુ છે કે તેઓ ભારતની સેનામાં દેશ સેવા કરવા માટે જોડાયા હતા પણ આજે આંતરરાષ્ટ્રિય માહોલ એવો છે કે ભારત પર બહારથી કોઈ દેશ ચડી આવે એની શક્યતા નહીવત છે. એવામાં દેશસેવા કરવી હોય તો બહારના શત્રુઓ કરતા દેશને અંદર રહીને ખોખલો કરનારા ઘર મહીંના શત્રુઓને નાથવા જરૂરી છે. માટે હું સેના છોડીને ચૂંટણીમાં ઉભો છું. યુવાન કેતનભાઈએ એમનું ચૂંટણીનું સ્લોગન આપ્યુ છે: મારુ તમારુ આપણુ રાજ.

લો કર લો બાત:કોડીનારમાં મુસ્લિમોએ ભાજપને મત આપવાનો ઠરાવ કર્યો !!

29-11-2007
ઓહો! આ તો કમાલ થઈ ગયો. સૌરાષ્ટ્રના કોડીનારમાં મંગળવાર ને ૨૭ નવેમ્બરની રાત્રે મુસ્લિમોએ ભેગા થઈને ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો. એ ય પાછા દસ બાર નહીં પણ લગભગ ત્રણસોથી પાંચસો મુસ્લિમોએ. સંમેલનમાં અહીંના સૈયદ ભીખુભાપુએ કોંગ્રેસને તકવાદી પાર્ટી કહી અને કહ્યું કે નરેન્દ્ર મોદીના ભાજપના રાજમાં અમન અને સૂકૂન રહ્યા છે. નકવી બાપુએ કહ્યું કે અમે ૪૫ વર્ષથી કોંગ્રેસ રાજમાં હતા પણ ભાજપનું રાજ સારુ લાગતા આવો નિર્ણય લીધો છે. તો ઈકબાલભાઈએ કહ્યું કે ભાજપના રાજમાં વિકાસની દ્રષ્ટિએ ફાયદો છે. અબ્દુલ કલામ મુસ્લિમ હતા તો એમને ભાજપે રાષ્ટ્રપતિ બનાવ્યા અને કોંગ્રેસે નહીં. જેપીને તો કોડીનારના આ રિપોર્ટનો ન્યુઝ વિડિયો જોઈને આશ્ચર્ય થયું અને તુરંત જ અમદાવાદના જુહાપુરામાં રહેતા મુસ્લિમ એજ્યુકેટેડ મિત્રને ફોન લગાવ્યો. તો સામે આ મિત્રએ કહ્યું કે દર અસલ મોદી રાજમાં અમારી કોમના ખરાબ માણસો કાબૂમાં રહ્યા છે જેનો પહેલો ફાયદો તો અમને મુસ્લિમોને મળ્યો છે એટલે અમે પણ મોદીની તરફેણમાં છીએ. આ મુસ્લિમ મિત્રે એમ પણ કહ્યું કે અમારી કોમના બૂરા શખ્સો હિંદુઓને તો વર્ષોમાં ક્યારેક કોઈ રમખાણ થાય ત્યારે નડતા હશે પણ અમને મુસ્લિમોને તો રોજ બરોજ નડે છે. પણ મોદીના રાજમાં એ બધા ડરે છે એટલે શાંતિ છે. હુહ!! ગુજરાતમાં આ બધુ શું બની રહ્યું છે ? ઘડીકમાં સંભળાય છે કે પટેલો તેમ ભાગે છે ને ઘડીકમાં આ મુસ્લિમો આમ !!

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં …. નરેન્દ્ર મોદીની કમાલની વાતો

28-11-2007
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પાછલા કેટલાક દિવસોથી પત્રકારોને નરેન્દ્ર મોદી વિશે ઓફબીટ સ્ટોરી લઈ આવવા માટે જબ્બર મોટિવેટ કર્યા છે. મોદી વિશે કઈ પણ એવી વાત લઈ આવો કે જે રસપ્રદ હોય, અગાઉ ખાસ બહાર ન પડી હોય તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તેને પ્રથમ પેજ પર છાપે છે. સૌથી પહેલા ટાઈમ્સે સ્ટોરી છાપી કે કેટલાક મહિનાઓ પહેલા મોદી માથે ટોપી પહેરીને ફરતા હતા એનું કારણ એ હતું કે તેઓ આગળના ભાગની ટાલ પર વાળ ઉગે એ માટ વૈદની સલાહથી તેલ લગાવતા હતા અને આ પ્રક્રિયા દરમિયાન નિયમ છે કે માથુ તડકામાં ખુલ્લુ રહેવુ ન જોઈએ એ માટે મોદી ટોપી પહેરતા હતા. થોડા સમયમાં મોદીને વાળ ઉગી ગયા એટલે તેમણે ટોપી પહેરવાની બંધ કરી. ટાઈમ્સે પોતાની સ્ટોરીના સમર્થનમાં મોદીના અગાઉના વધેલી ટાલ વાળો અને હવે ત્યાં વાળ ઉગેલા છે એવુ બતાવતા બે ફોટા પણ પ્રકાશિત કર્યા. જેપીને તો આ સ્ટોરીમાં સત્યતા લાગતી નથી કારણકે ટાલ પર વાળ ઉગાડી દે એવુ તેલ વાર્તાઓમાં જ સારૂ લાગે છે અને બીજુ એ કે મોદી ટોપી પહેરતા હતા ત્યારે ગ્રાન્ડ ભગવતી હોટેલમાં રાત્રિના સમયે પણ ટોપી પહેરેલા જેપીએ જોયેલા છે કે જ્યારે કોઈ તડકો હોતો નથી.

ખેર ટાઈમ્સે બીજી સ્ટોરી નરેન્દ્ર મોદી એક સમયે અમદાવાદના એસટી સ્ટેન્ડની કેન્ટીનમાં કામ કરતા હતા તે અંગે છાપી. ત્રીજી સ્ટોરીમાં રિપોર્ટરને વડનગર દોડાવી જ્યાંથી રિપોર્ટ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે વડનગરના તળાવમાં ડૂબકી મારી નાવા જતા તા. એ વખતે તળાવમાં મગર રહેતા હતા. એક દિવસ બાળક નરેન્દ્રભાઈ એક મગરનું બચ્ચુ પકડીને ઘરમાં લઈ આવ્યા. નરેન્દ્રભાઈના માતાએ જીદ કરી કે આ મગરને પાછો તળાવમાં છોડી આવ પણ નરેન્દ્રભાઈ માન્યા નહીં છેવટે નરેન્દ્રભાઈને તેમના માતાએ સમજાવ્યા કે જો તુ મારાથી અલગ થઈ જાય, તને કોઈ મારાથી દૂર લઈ જાય તો મને કેવુ દુ:ખ થાય? તો એવું જ આ મગરના બચ્ચાની માતાને નહીં થતુ હોય ? જા બચ્ચુ પાછુ તળાવમાં મૂકી આવ. અને નરેન્દ્રભાઈ મગરને તળાવમાં છોડી આવ્યા.

વડનગરથી જ ટાઈમ્સના બીજા એક પ્રતિનિધિએ કરેલા અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પિતા વડનગર રેલવે સ્ટેશને ચાની કિટલી ધરાવતા હતા એની વાત છે. નરેન્દ્રભાઈના પિરા દામોદરદાસ કાળો કોટ પહેરતા હતા અને તારંગા જતી ટ્રેન વડનગર સ્ટેશને આવે એટલે તેમાંથી પેસેન્જરોના ચાના ઓર્ડર લેતા હતા. પિતા ઓર્ડર લે ત્યારે દસ વર્ષના સંતાન નરેન્દ્રભાઈ ચા બનાવી કાઢે. વડનગરમાં નરેન્દ્રભાઈના પિતાની કરિયાણાની દુકાન પણ હતી.

અને આજે ટાઈમ્સે અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પુસ્તક આંખ આ ધન્ય છે માટે તેમના ફોટોગ્રાફ પાડનારા ફોટોગ્રાફર વિવેક દેસાઈની મુલાકાત પ્રકાશિત કરી છે કે જેમાં વિવેક દેસાઈ કહે છે કે નરેન્દ્રભાઈ પોતે એક અચ્છા ફોટોગ્રફર છે. જ્યારે નરેન્દ્રભાઈ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી જેનું પછી અમદાવાદમાં નિહારીકા ફોટો ક્લબમાં પ્રદર્શન પણ યોજાયુ હતુ. વિવેક દેસાઈએ ટાઈમ્સ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે નરેન્દ્રભાઈ ફૂલો સાથે ફોટો પડાવવાનુ ક્યારેય પસંદ નથી કરતા કારણકે તેઓ માને છે કે ફૂલો તેમની સ્ટ્રોંગ ઈમેજ સાથે સુસંગત નથી થતા.

હુંહ!! તો જેમ ટીવીમાં નરેન્દ્રભાઈ આવતા જ ટીઆરપી વધી જાય છે એમ છાપામાં પણ નરેન્દ્રભાઈ હોટ સેલ આઈટમ લાગે છે. નહી તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવુ પ્રોફેશનલ છાપુ નરેન્દ્રભાઈની લાઈફ સીરીઝ ફ્રન્ટ પેજ પર ના ચલાવે.

દિનશા પટેલના જીતવાના કોઈ ચાન્સ નથી

28-11-2007
સામાન્ય રીતે જેપી ચૂંટણીમાં આગાહી કરતો નથી પણ બાકીનુ મિડિયા જે રીતે ગુલ્લા ઉછાળે છે એ જોતા આ આગાહીનો પીસ લખવાનુ મન થઈ આવ્યુ. દિનશા પટેલ મણિનગરમાંથી ચૂંટણી લડવાના છે એ જાહેર થતા જ હરખપદૂડા મિડિયાએ દિનશા આવ્યા એટલે મોદીને ભારે પડશે, મોદીએ વધુ સમય મણિનગરમાં ગુજારવો પડશે જેવા ગુલ્લા ઉછાળવા માંડ્યા છે પણ હકીકત એ છે કે મણિનગર, એલિસબ્રિજ, ઈવન ખાડિયા, સરખેજ અને સાબરમતી જેવી બેઠકો પર જ્ઞાતિના ગણિત ચાલતા જ નથી. જ્ઞાતિની સસ્તી અને પછાત માન્યતા લઈને કોંગ્રેસ ચાલતી હશે પણ લોકો ચાલતા નથી. કમસેકમ આ વિસ્તારના લોકો તો નહીંજ. દિનશા આવે કે ખુદ મનમોહનસિંઘ આવે, મણિનગરમાં લોકો કમળ પર સિક્કો મારે છે, અટક જોતા નથી, ઉમેદવાર પણ જોતા નથી. નરેન્દ્ર મોદી બીજે સભાઓમાં કાપ મૂકીને મણિનગરમાં વધુ સમય ગુજારશે કારણકે ત્યાં દિનશા પટેલ લડે છે એવુ રખે માનતા, ભલે મિડિયામાં આના ગુલ્લા વારંવાર ઉછાળવામાં આવે.

શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી થવુ છે અને વિધાનસભાની ચૂટણી લડવા માંગતા હતા તથા કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડે એમ પણ ઈચ્છતા હતા. કોંગ્રેસે તેમને કહ્યું કે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો મણિનગરથી મોદી સામે લડો, પણ બાપુ હારની બાજી જોઈને ફસકી ગયા, બિચારા દિનશા ભોળવાઈ ગયા. દિનશા પણ પોતે પટેલ હોવાના નાતે ગુજરાતના દરેક પટેલ રાજકારણીની માફક જ મુખ્યમંત્રી બનવાની ખ્વાઈશ ધરાવે છે.પણ મણિનગરથી મુખ્યમંત્રી તો ઠીક ધારાસભ્યની ખુરશી સુધી પણ નહીં પહોંચી શકાય એ હકીકત છે.

હા દિનશાને મિડિયામાં ખૂબ ચગવા મળશે જેમ એક સમયે ગાંધીનગર લોકસભાની બેઠક પર ભાજપના વિજય પટેલ સામે ઉમેદવારી કરનાર રાજેશ ખન્નાને અને અડવાણી સામે ઉમેદવારી કરનાર ટી એન શેષનને મિડિયાએ ચગાવ્યા હતા તેમ. પણ હકીકત એ છે કે લોકો ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનની ચાંપ દાબવાની ક્ષણે હદયના ધબકારને અનુસરે છે, એ વખતે મિડિયાના કોઈ રિપોર્ટ કોઈ ગુલ્લા કોઈ એજન્ડા બેઝડ એનાલીસીસ મગજમાં આવતા જ નથી.

નરેન્દ્ર મોદીની ઓફિશીયલી પહેલી ચૂંટણી સભા … સેન્ડવીચ થીયરી

27-11-2007
નરેન્દ્ર મોદીએ ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં તસલીમા નસરીનને ગુજરાતમાં રહેવા આમંત્રણ આપ્યું પછી આજે બોટાદમાં તેમની ચૂંટણી પ્રચારની પ્રથમ ઓફિશીયલ જાહેર સભામાં પણ તેમને તસલીમા નસરીનનું નામ લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.નરેન્દ્રભાઈએ બોટાદની જાહેરસભામા કહ્યું કે ભારતના ગલી મહોલ્લાઓમાં બાંગ્લાદેશીઓ આવી ને પડ્યા છે અને તેમાંથી કોઈને કાઢવાની તસ્દી લેવામાં આવતી નથી પણ અ સોનિયાજીના સાથીઓએ બંગાળમાં કટ્ટરવાદીઓ એક લેખિકા બહેન તસલીમા નસરીનની પાછળ પડી ગયા તોઈ સ્ત્રીને રાતોરાત બંગાળની બહાર કાઢી મૂકી.ઉલ્લેખનીય છે કે ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં નરેન્દ્રભાઈએ તસલીમાને ગુજરાતમાં રહેવાનું નિમંત્રણ આપતા સાથે એ પણ કહ્યું છે કે તેણી ભલે ગુજરાતમાં રહીને મારી વિરૂદ્ધ પણ લખે, મને વાંધો નથી.

બોટાદની જાહેર સભામાં નરેન્દ્રભાઈએ બે રૂપિયાના સિક્કા પર ખ્રિસ્તિ ક્રોસનું ચિહ્ન અંકિત કરવાના કોંગ્રેસના નિર્ણયની પણ ઝાટકણી કાઢી, રામસેતુનો મુદ્દો પણ આવરી લીધો. ઉપરાંત સૌરાષ્ટ્રને કેમ કેન્દ્રની કોંગ્રેસ સરકારે રોજગાર ગેરંટી યોજનામાંથી બાકાત આપ્યું એનો કેન્દ્ર જવાબ આપે એમ કહીને તે મુદ્દો પણ ઉછાળ્યો.

એકંદરે બોટાદની સભાથી ઓફિશીયલી ચૂંટણી પ્રચાર શરૂ કરવાના પ્રસંગે નરેન્દ્રભાઈએ તેમની પાછલા કેટલાક સમયથી જે પીરસતા આવ્યા છે એ જ પ્રકારની સેંડવીચ પીરસી છે અને હવે પછીની ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૦૭ની તમામ પ્રચાર સભાઓમાં પણ આજ સેન્ડવીચ પીરસાશે એમ કળી શકાય છે. તો શું છે આ સેન્ડવીચમાં?

સેંડવીચમાં ઉપરની બ્રેડ છે(પહેલો મુદ્દો) ગુજરાતનો તેમણે કરેલા વિકાસની વાતો, સેન્ડવીચમાં નીચેની બ્રેડ છે હિંદુત્વના અને લાગણીગત મુદ્દા, અને સેન્ડવીચમાં વચ્ચેનો મસાલો છે કેન્દ્ર સરકારે ગુજરાતને કરેલા અન્યાયના મુદ્દાઓનો. ઉપરાંત આ સેન્ડવીચમાં પ્રદેશ પ્રદેશ મતવિસ્તાર મતવિસ્તાર પ્રમાણે ત્યાં ચાલતા સ્થાનિક પ્રવાહ, ઉમેદવારને લગતી બાબત, અને રોજબરોજની ઘટનાઓનું ટોપીંગ પણ હોઈ શકે છે જે ટોમેટો સોસ જેવુ ગળ્યુ પણ હોઈ શકે અને ચીલી સોસ જેવુ તીખું પણ…અને મોદીની સેન્ડવીચ ટેસ્ટી છે.

બચ્ચન પરિવારની દ્વારકા મુલાકાત … રૂપાળી રૂપાળા અને રૂપાલા

27-11-2007
ભાજપનો ચૂંટણી પ્રચાર ૨૭ નવેમ્બરે દ્વારકાથી ભાજપના રાજ્ય પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા કરશે એવી જાહેરાત પછી પણ સૌ પત્રકારો તો નરેન્દ્ર મોદીની બોટાદની સભામાં જ દોડી ગયા. અરે પણ પત્રકારોની છોડો, દ્વારકાના લોકો પણ પુરૂષોત્તમ રૂપાલાના બદલે દ્વારકા આવેલા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા, અભિષેકને જોવા દોડી ગયા હતા.

દર અસલ પુરૂષોત્તમભાઈ દ્વારકામાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરે એ સમયની આસપાસ જ એટલેકે સવારના દસ વાગ્યે દ્વારકામાં અમિતાભ બચ્ચન અને પરિવારની એન્ટ્રી થઈ હતી. દ્વારકામાં ઉતરી પડેલુ મિડિયા પણ બચ્ચનનુ કવરેજ લેવા માટે જ આવ્યુ હતુ અને પબ્લીક પણ આના માટે દોડી ગઈ હતી. દ્વારકા મંદિરમાં બચ્ચન પરિવાર આવવાનુ છે એની જાણકારી આગલી સાંજે જ મળી હતી અને થોડો ઘણો પોલીસ બંદોબસ્ત પણ થઈ ગયો હતો પરંતુ તેમ છતા બચ્ચન પરિવારની આસપાસ એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે ધક્કા મુક્કી કરતા તેઓ માંડ મંદિરમાં પહોંચી શક્યા અને પૂજા કરી.

સવારે સાડા નવ વાગે હવાઈ માર્ગે મીઠાપુરના ટાટા કેમીકલ્સ ઉતરીને બચ્ચન પરિવાર કે જેમાં અમિતાભ, જયા, ઐશ્વર્યા, અભિષેક, અજિતાભ બચ્ચન, સમાજવાદી નેતા અમરસિંહ અને તેમના પત્ની હાજર હતા તે સૌએ રૂક્ષમણિ મંદિરમાં પૂજા કરી. આ પછી પરિવાર સાડા દસ વાગ્યે દ્વારકાના મુખ્ય મંદિરમાં પહોંચ્યો કે જ્યાં તેમણે શૃંગાર આરતીમાં ભાગ લીધો અને ભગવાનની સુવર્ણ ચરણ પાદુકાનું તથા ધ્વજનું પૂજન કર્યું. દ્વારકા મંદિરના મહારાજ પરેશ ઉપાધ્યાય કહે છે કે પાદુકાનું પૂજન માન્યતા પૂરી કરવા માટે કરવાનુ હોય છે જ્યારે ધ્વજાનું પૂજન નવ ગ્રહની શાંતિ માટે હોય છે. અમિતાભ, અજિતાભ અને અમરસિંહ પરિવાર પૂજા વિધિ કરી રહ્યા હતા ત્યારે સૌથી પાછળ ઐશ્વર્યા અને અભિષેક બેઠા હતા. બધાએ દ્વારકા મંદિરની ખેસ ગળામાં પહેરી હતી. આ બધાની પાછળ ખુરશીમાં મુકેશ અંબાણીની રિલાયન્સના ગુજરાતના કર્તા હર્તા પરિમલ નાથવાણી બેઠા હતા જેઓ દ્વારક દેવસ્થાન ટ્રસ્ટમાં પણ જોડાયેલા છે. બચ્ચન પરિવારે દ્વારકાથી પછી પ્રયાણ કર્યું નાગેશ્વર તરફ. નાગેશ્વર એ ઓછુ જાણીતુ જ્યોતિર્લીંગ છે કે જે દ્વારકાથી નજીકમાં જ આવેલુ છે. નાગેશ્વર તેની ખૂબજ ઉંચી શિવજીની પ્રતિમા માટે જાણીતુ છે. નાગેશ્વર પૂજા બાદ બચ્ચન પરિવાર મીઠાપુરથી હવાઈ માર્ગે મુંબઈ પરત ફર્યું. આ આખી મુલાકાત દરમિયાન પત્રકારો સાથે માત્ર અજિતાભ બચ્ચને વાત કરી. અજિતાભે કહ્યું કે તેઓ બાબુજી માટે આવ્યા છે. આ બાબુજી એટલે અમિતાભના પિતા શ્રી હરિવંશરાય બચ્ચન કે જેમની આજે સોમી જન્મજયંતિ છે.

ખેર આ બધામાં પેલા પુરૂષોત્તમ રૂપાલાની પ્રચાર શરૂઆત તો બાજુમાં જ રહી ગઈ. દ્વારકાવાસીઓમાં બચ્ચનની જ ચર્ચા હતી, રૂપાલાની નહી.દ્વારકાવાળા એમ કહેતા હશે કે ભઈ ભાજપની ચર્ચા કરવા માટે તો હજુ ઘણા દિવસો બાકી છે.રૂપાલા પછી પણ મણાશે અત્યારે તો રૂપાળા(બચ્ચન પરિવાર) અને રૂપાળી(ઐશ્વર્યા રાય)ને માણી લઈએ.

સુરતનું પહેલુ પ્રાઈવેટ વિમાન કોણ લાવ્યું ?

27-11-2007
આજકાલ ભાજપના અસંતુષ્ટ નેતાઓના સાથી તરીકે જાણીતા એવા સુરતના ડાયમંડ કીંગ જીવરાજ ધારુકાવાલા(સુરાણી) સુરતનુ પહેલુ પ્રાઈવેટ વિમાન લાવ્યા છે. અમેરીકાની જી૪ કંપનીનુ આ પંચોતેર કરોડની કિંમતનું અને ૨૮ સીટનું વિમાન જીવરાજભાઈએ વધુ લક્ઝુરીયસ બનાવવા માટે બાર સીટનું કરાવ્યુ છે કે જેથી વિમાનમાં કોન્ફરન્સ રૂમ, આરામ અને રસોડાની વ્યવસ્થા ઉભી કરી શકાય. વિમાનને અમદાવાદ, વડોદરા, ભાવનગર અને સુરતમાં લેન્ડીંગની પરવાનગી મળી ગઈ છે. સુરતમાં વિમાન હેંગરનો ઉપયોગ પણ કરી શકશે. મુંબઈ અને દક્ષિણના શહેરોમાં લેન્ડીંગની પરવાનગી માંગવામા આવી છે. જીવરાજભાઈ કહે છે કે આ વિમાનનો ઉપયોગ તેઓ અને તેમનુ પરિવાર કરશે. જીવરાજભાઈના ત્રણ સંતાનો અને ભાઈઓ ચીન, મોંગોલીયા, થાઈલેન્ડ, અમેરિકા અને હોંગકોંગમાં જીવરાજભાઈના જેબી ગ્રુપનું કામ સંભાળે છે.

જીવરાજભાઈ મૂળ ભાવનગરના ખેડૂત પરંતુ ૧૯૬૩માં ગુજરાતની સ્વપ્નનગરી માયાનગરી સુરતમાં આવ્યા અને બે જ વર્ષમાં તેમણે ભગવાન કુકડિયા સાથે મળીને ૧૯૬૫માં જેબી ગ્રુપ બનાવ્યુ જેનું શરૂમાં તો હીરા ઉદ્યોગમાં જ કામ રહ્યુ પણ પછીથી હીરાની ખાણ,ઉર્જા,પ્રોપર્ટીમાં ધંધો ડાયવર્સીફાય કર્યો. ૨૦૦૫માં જીવરાજભાઈએ મોંગોલીયામાં મિથેનોલ પ્લાન્ટ નાખ્યો જ્યારે પાછલા વર્ષે જેબી ગ્રુપે કંસ્ટ્રક્શન, રીયલ એસ્ટેટ અને કન્સલ્ટીંગમાં હાથ નાખ્યો છે. જીવરાજભાઈ હવે મુંબઈ અને ગોવામાં મોટી હોટેલ અને કેરળમાં આઈટી પાર્ક બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

જો કે જીવરાજ ધારુકાવાલા આજકાલ ઉદ્યોગપતિ અને લેઊઆ પટેલ અગ્રણી કરતા વધારે ભાજપના અસંતુષ્ટ જૂથ પાછળના આર્થિક ગોડફાધર તરીકે ઓળખાય છે. ચૂંટણી પહેલા ભાજપના અસંતુષ્ટોના જે સંમેલનો થયા હતા એ બધા પાછળની આર્થિક શક્તિ જીવરાજ ધારુકાવાલાની હતી, એ જ રીતે જે હજારો રત્નકલાકારો સંમેલનમાં ભેગા થતા હતા એમાં પણ ગજેરા બંધુઓ સિવાય જીવરાજ ધારુકાવાલાનો શક્તિસંચાર હતો.

ઈન્ડિયા ટૂડેના ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી

27-11-2007
જેમ ફિલ્મ રીલીઝ થવાની હોય એટલે એ ફિલ્મના એક્ટરો મિડિયા ફ્રેન્ડલી થવા માંડે છે અને મિડિયામાં ચોમેર ઈન્ટરવ્યૂ આપતા દેખાય છે એ જ રીતે ચૂંટણી આવતા જ નરેન્દ્ર મોદી મિડિયા ફ્રેન્ડલી થઈ ગયા છે અને દરેક ચેનલ, મેગેઝીન, અખબારને ઈન્ટરવ્યૂ આપવા માંડ્યા છે. પણ બધા ઈન્ટરવ્યૂમાં ઈન્ડિયા ટુડેનો ઈન્ટરવ્યૂ વિશેષ જમાવટ કરે છે. ઈન્ડિયા ટૂડેના લેટેસ્ટ ઈશ્યૂમાં ગુજરાતમાં તેનું રિપોર્ટીંગ સંભાળતા જમણેરી પત્રકાર ઉદય મહૂરકરે નરેન્દ્રભાઈની મુલાકાત લીધી છે એના કેટલાક અંશો જોઈએ તો.

- હું કોઈ આઈકોન નથી

તમે ખુદને કેવા પ્રકારના આઈકોન કહેશો એવા પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કયું એ મારા માટે આઈકોન સાચો શબ્દ નથી. આઈકોન વીર સાવરકર, ભગતસિંઘ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી હતા. આપણે તો માત્ર આ મહાન પ્રતિભાઓના જીવનમાંથી પ્રેરણા લેવાની હોય છે અને રાષ્ટ્રનું વધુ ને વધુ હિત સાધવાનું હોય છે.

-રાહુ કેતુ બધાને આવવા દો

રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવવાના છે એ અંગેના પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈ કહે છે કે આ ચૂંટણીની રણભૂમિ છે, રાહુ કેતુ બધાને આવવા દો અને એમની તાકાત બતાવા દો. છેલ્લા દિવસે ચુકાદો આવશે કે લોકો પર એમની કેટલી અસર પડી.

-બે રૂપિયાના સિક્કા પર ગણેશ,રામ મૂક્યા હોત તો કેવી બૂમરાણ મચી હોત?

બે રૂપિયાના સિક્કા પર ક્રોસનું ખ્રિસ્તિ નિશાન લાવવા બદલ કરેલા નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે મં ફક્ત એટલુ કીધુ છે કે સોનિયાબહેનનું શાસન આવ્યુ એ પહેલા બે રૂપિયાના સિક્કા પર ભારતનો નકશો અને ત્રિરંગો હતો પણ પછી ક્રોસ આવી ગયો. મારો પ્રશ્ન શ્યુડો સેક્યુલારીસ્ટોને છે કે માનો કે સિક્કા પર ગણેશજી કે રામ અંકિત કર્યા હોત તો કેવા રોદણા રોવામાં આવ્યા હોત. તો ક્રોસ અંકિત થયો ત્યારે એ બધા શાંત કેમ છે ?

-ભાજપ ૨૦૦૨ની ચૂંટણી કરતા આ વખતે બહેતર પોઝીશનમાં છે

ગુજરાતની પાછલી વિધાનસભા ચૂંટણીઓ અને આ ચૂંટણીની સરખામણી અંગે નરેન્દ્રભાઈએ કહ્યું કે ૨૦૦૨માં લોકોએ મને ટેસ્ટ નહતો કર્યો. ભાજપ નબળુ હતુ. બધી સ્થાનિક સ્વરાજ્યની(મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા વગેરે)ચૂંટણીઓમાં ભાજપ હારેલુ હતુ. ભાજપની લોકપ્રિયતા તળિયે હતી. આમ છતા લોકોએ ઈમોશનલ ઈશ્યુ પર વોટીંગ કર્યું અને ભાજપ જીત્યું. પણ હવે હું ટેસ્ટેડ છું. લોકોએ મારુ પરફોર્મન્સ અને વીઝન જોયું છે. હું આ વખતની ચૂંટણીમાં પાછલી ચૂંટણી કરતા વધુ બહેતર પોઝીશનમાં છુ.

-તહેલકા તો ફ્લોપ શો: દોષિત હોઉ તો કરો મારે ધરપકડ

તહેલકાના ‘પર્દાફાશ’ વિશેના પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે તહેલકાની ટેપ પ્રસારિત થઈ એના પંદર કલાક પછી પણ કોઈ એના વિશે વાત કરતુ ન હતુ. આખા એપિસોડનું શીઘ્ર મરણ થઈ ગયુ. જો તહેલકાએ કોઈ બહુ મોટો પર્દાફાશ કર્યો હોય તો કોંગ્રેસ ચૂપ કેમ રહી? જો તહેલકા એ હું દોષિત હોવાનો બહુ પાવરફુલ પુરાવો હોય તો કેન્દ્રની યુપીએ સરકાર મારી ધરપકડ કેમ નથી કરી દેતી?

પહેલા તબક્કાની ચૂંટણીના ઓફિશયલી સૌથી પૈસાદાર ઉમેદવાર છે સૌરભ દલાલ

26-11-2007
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના એટલેકે અગિયારમી ડિસેમ્બરના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે સાથે પોતાની(કુટુંબ, ઘરેણા, રોકાણો સહિતની) ઓફિશીયલ મિલકત પણ જાહેર કરી રહ્યા છે. આના આધારે પહેલા તબક્કાની ચૂંટણીના સૌથી પૈસાદાર ઉમેદવાર સૌરાષ્ટ્રની બોટાદ બેઠકના ભાજપના ઉમેદવાર અને મોદી સરકારમા ઊર્જામંત્રી સૌરભ દલાલ ઠરે છે. સૌરભભાઈ રિલાયન્સના અંબાણી કુટુંબ સાથે કૌટુંબિક નાતો ધરાવે છે.

પૈસાદાર ઉમેદવારોમાં બીજા ક્રમે સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક શાહ છે કે જેમણે ૯.૬૩ કરોડની મિકલત બતાવી છે.માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા ત્રીજા ક્રમના સૌથી પૈસાદાર ઉમેદવાર ઠરે છે. જવાહર ચાવડા કોંગ્રેસના આ વિસ્તારના એક સમયના હેવીવેટ પેથલજી ચાવડાના દીકરા છે(આવુ કઈક ન હોય તો કોંગ્રેસની ટીકીટ મળે?)અને તેમણે પોતાની મિલકત ૮ કરોડની બતાવી છે. જવાહર ચાવડા પાસે આ કરોડો રૂપિયા માઈનીંગના એટલેકે ખાણના ધંધામાંથી આવ્યા છે. સૌરાષ્ટ્રના યારો જેપીને માહિતી આપતા કહે છે કે એક સમયે પેથલજી ચાવડાએ ગીરના જંગલનો ગેરકાયદે માઈનીંગ દ્વારા સોથ વાળી નાખ્યો હતો. પેથલજી ખાણોમાંથી એટલુ કમાયા કે હેલિકોપ્ટર વસાવ્યુ.

હશે !! પૈસાદારો ગુજરાતની ચૂંટણીમાં નહી હોય તો શું આંદામાન નિકોબારની ચૂંટણીમાં હોય?

સુરતના કરોડપતિ ઉમેદવારો

26-11-2007
તમારે સુરતમાંથી વિધાનસભાની ચૂંટણી લડવી હોય અને ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકીટ મેળવવાની આશા રાખતા હોવ તો તમારે કરોડપતિ હોવુ પડે. જરા બંને પાર્ટીના આ વખતના ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ જાહેર કરેલી પોતાની ઓફિશીયલ મિલકત પર નજર તો નાખો. સુરત વેસ્ટની સીટના કોંગ્રેસના ઉમેદવાર અશોક શાહે તેમની કુલ મિલકત ૯.૬૩ કરોડ જાહેર કરી છે.તો તેમની સામે ઉભેલા ભાજપના કિશોર વાંકાવાલાની મિલકત છે ૫૨.૪૦ લાખ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા સુરત પૂર્વ સીટના ભાજપના ઉમેદવાર રણજીત ગીલીટવાલાએ ૧.૪૯ કરોડની મિલકત જાહેર કરી છે તો કોંગ્રેસના સામા ઉમેદવાર પ્રવીણ ચાંગાવાલાએ ૧.૭૩ કરોડની મિલકત બતાવી છે. સુરતની ચોર્યાશી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જનક લાલાવદરવાલાએ ૩.૦૯ કરોડની મિલકત જાહેર કરી છે તો તેમની સામેના ભાજપના નરોત્તમ પટેલે ‘માત્ર’ ૭૫ લાખની મિલકત જાહેર કરી છે. નરોત્તમભાઈ વર્ષો સુધી અબજોના પાઈપોના કામ થયેલા હોય તેવા જળસંપત્તિ ખાતામાં પ્રધાન રહી ચૂકેલા હોય અને માત્ર આટલી મિલકત હોય એ વાત સુરતમાં તો કોઈ માનવા તૈયાર નથી. અહીં જેપી પણ માનવા તૈયાર નથી. ખેર સુરત ઉત્તરના ભાજપના ઉમેદવાર નાનુ વાનાણીએ તમની મિલકત ૭૨ લાખની બતાવી છે તો કોંગ્રેસના સામા ઉમેદવાર ધીરૂભાઈ ગજેરાએ ૨.૨૫ કરોડની મિલકત બતાવી છે.સુરતના ઓલપાડના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ૨.૨૮ કરોડની તો સામે કોંગ્રેસના કમલા પટેલે ‘માત્ર’ ૨૪.૪૧ લાખની મિલકત બતાવી છે.

૨૭ નવેમ્બરે ભાજપનો કાર્પેટ બોમ્બીંગ પ્રચાર શરૂ

26-11-2007
ભાજપે સત્યાવીસ નવેમ્બરે સૌરાષ્ટ્રમાં કાર્પેટ બોમ્બીંગ પ્રચાર શરૂ કરવાનું એલાન કર્યું છે. આ અનુસાર રાજનાથસિંગ કાલાવડ, ટંકારા, રાજકોટ. નરેન્દ્ર મોદી બોટાદ, રાપર, વલસાડ. પુરૂષોત્તમ રૂપાલા દ્વારકા, જોડિયા, બારડોલી, સુરત. સુષ્મા સ્વરાજ નવસારી, ગણદેવી, જલાલપોર, ચીખલી. વેંકૈયા નાયડુ ગાંધીધામ, મુંદ્રા, ભુજ. અરૂણ જેટલી જામજોધપુર, જામનગર. ઓમ માથુર લીમડી, દસાડા. રવિશંકર પ્રસાદ બાબરા, ગઢડા, ઘોધા. વિનય કટિયાર જંબુસર, વાગરા, અંકલેશ્વર, માંડવી. એસ એસ આહલુવાલીયા માંડવી, નલિયા. સુશીલ મોદી કેશોદ, ધોરાજી, ઉપલેટા. ગોપીનાથ મુંડે રાજપીપળા, વઘાઈ, ભરૂચ. થાવરચંદ ગહેલોત પાલીતાણા, શિહોર, ભાવનગર. નવજોત સિદ્ધુ ઉના, ધારી, લાઠી, અમરેલી. સ્મૃતિ ઈરાની જસદણ, ચોટીલા, વઢવાણ,વાંકાનેર. કરૂણા શુક્લા(અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને સાંસદ) અને ધર્મેન્દ્ર પ્રધાન હળવદ, મોરબી, ધ્રાંગધ્રા. કાલરાજ મિશ્રા સાવરકુંડલા, મહુવા, તળાજા, રાજુલા. રાજીવ પ્રતાપ રૂડી વિસાવદર, મેંદરડા, જુનાગઢ. હુકુમદેવ નારાયણ યાદવ માણાવદર, કુતિયાણા, પોરબંદર. અર્જુન મુંડા ધરમપુર, મોટા પોંઢા. કૈલાશ વિજય વેર્ગિયા ભાણવડ, ખંભાળિયા. શ્રીમતિ કિરણ મહેશ્વરી માંગરોળ, સોમનાથ, કોડીનાર, તલાલા. શ્રીમતી સુમિત્રા મહાજન(સાંસદ) અને જુઆલ ઓરમ(સાંસદ) માંગરોળ, વ્યારા, મહુવા, સોનગઢ. માનવેન્દ્ર સિંઘ અને માયા સિંઘ ઉચ્છલ, કામરેજ, ઓલપાડ. પ્રકાશ મહેતા અને ફિરોઝ ઈરાની જેતપુર, ગોંડલમાં ભાજપનો પ્રચાર કરશે.

ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ ફાગવેલથી પ્રચાર શરૂ કર્યો હતો આ વખતે પુરૂષોત્તમ રૂપાલા દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કરશે.

કેન્ડલ લાઈટમાં કસ્તૂરીરંગન …. અને વિક્રમ સારાભાઈની વાત …

24-11-2007
ગુરૂવારે ભારતની રાજ્યસભાના સાંસદ, ઈસરોના પૂર્વ વડા અને ટોચના અવકાશ વૈજ્ઞાનિક કસ્તૂરીરંગન જ્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પોતાનુ વક્તવ્ય આપવા આવ્યા ત્યારે જ ત્યાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. કસ્તૂરીરંગનને પછી એએમએના બોર્ડ રૂમમાં બેસાડ્યા કે જ્યાં સોલાર ફાનસ મૂકેલુ હતુ. કસ્તૂરીરંગને અહીં ગણતરીના બોર્ડ મેમ્બરોની વચ્ચે કહ્યું કે એક સમયે તેમણે અમદાવાદમાં લાંબો સમય ગુજાર્યો હતો. તેમની બદલી મુંબઈથી અમદાવાદ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં અમદાવાદમાં રહેવુ ગમ્યુ ન હતુ. શરૂઆતના બે ત્રણ મહિના એવુ લાગ્યુ કે મુંબઈ કરતા અમદાવાદ બિલકુલ બિલકુલ અલગ શહેર છે. પણ પછી અમદાવાદ એવુ ગમવા માંડ્યુ કે બાદમાં જ્યારે અમદાવાદ છોડીને બીજે જવાનુ આવ્યુ ત્યારે તે માટે મન માનતુ ન હતુ. કસ્તૂરીરંગને એક બહુ મહત્વના વિચારમાં કહ્યું કે લીબરાઈઝેશન અને ગ્લોબલાઈઝેશન ભારત માટે નવા હશે પણ અમદાવાદ તો પહેલેથી જ લીબરલ અને ગ્લોબલ હતુ આ સાંભળીને એએમએના પૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્માએ કહ્યું કે વાત સાચી છે.અમદાવાદનો ટેક્સ્ટાઈલ ઉદ્યોગ વ્યવહાર સદીઓથી વિશ્વ સાથે ચાલતો આવ્યો છે.કસ્તૂરીરંગને કહ્યું કે મુંબઈથી અમદાવાદ આવતી વખતે તેમને એક વાતનો આનંદ હતો કે અમદાવાદમાં વિક્રમ સારાભાઈ જેવી ઉંચેરી પ્રતિભા છે. વિક્રમભાઈ એ વખતે બહુ મોટા માણસ હતા અને મારી સાથે તો ક્યારેક પગથિયે ઉભાજ વાત કરી લેતા પણ એમની બે મિનિટની ઉભા ઉભા કરેલી વાત અમને જુનિયરોને કલ્લાકો સુધી બીઝી રાખતી હતી.

અફસોસ છે કે એક વિક્રમ સારાભાઈ ગયા પછી અમદાવાદને એવી બીજી કોઈ ટાવરીંગ પર્સનાલિટી મળી નથી. આજે તો બીજા વિક્રમ સારાભાઈ બનવાની શક્યતા વાળો યુવાનોનો આખો ફાલ જ વતનને છોડીને વિદેશ જતો રહે છે. વિક્રમભાઈએ પણ ઘણા સંઘર્ષ કરીને અમદાવાદમાં પીઆરએલ, ઈસરો, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, આઈઆઈએમ જેવી સંસ્થાઓ બનાવી હતી. આજે યુવાનો ભણીને વતનમાં આ નથી ને તે નથીની ફરિયાદો કરીને સંઘર્ષને બાજુમાં મૂકીને વિદેશ જતા રહે છે ને પછી ત્યાંથી ફરિયાદો કે વતનમાં આ હોવુ જોઈએ ને તે હોવુ જોઈએ, આવુ ન હોવુ જોઈએ ને તેવુ ન હોવુ જોઈએ. આવામાં બીજા વિક્રમ સારાભાઈ ક્યાંથી મળે?

મિડિયાના વધુ ગુલ્લા પડ્યા ખુલ્લા

24-11-2007
ગુજરાતના પોલીટીકલ રિપોર્ટરોની આગાહીઓ ફરીથી હાસ્યાસ્પદ સાબિત થઈ છે. મિડિયા મોદી વિરૂદ્ધ સતત ઝેર ઓક ઓક કરે તો ય મોદી જીતે છે કેમ ? કારણકે મિડિયાની વિશ્વસનીયતા નથી રહી અને આ વિશ્વસનીયતા ન રહેવા પાછળ જવાબદાર અનેક કારણો પૈકીનું એક મુખ્ય કારણ એ છે કે ગુલ્લાબાજ પત્રકારોના અનુમાનો દર અઠવાડિયે ખોટા પડતા રહે છે એટલે લોકો જે વાંચે છે તેમાં વિશ્વાસ નથી મૂકી શકતા. વિધાનસભા ઉમેદવારોનું પહેલુ લીસ્ટ બહાર પડ્યુ ત્યારે મેં ગુલ્લાઓની પોલ ખોલનો એક પીસ લખ્યો હતો હવે ભાજપની ઉમેદવારોની બીજી યાદી બહાર પડી છે ત્યારે ગુજરાતી પોલીટીકલ પત્રકારોએ ઉછાળેલા ગપગુલ્લા અને ખોટા અનુમાનો તથા આગાહીઓ વિશે ફરીથી આ પીસ લખી રહ્યો છુ.

મિડિયાએ ગુલ્લો ઉછાળ્યો હતો કે ખાડિયામાંથી આ વખતે અશોક ભટ્ટને ટિકીટ નહી મળે, અશોક ભટ્ટ સામે એન્ટી એન્કમ્બન્સી હોવાથી ભાજપ તેમને ટિકીટ આપવાનુ નથી. મિડિયાએ ત્યાં સુદ્ધા લખ્યુ કે અશોક ભટ્ટે ચૂંટણી લડવા પોતાની અસંમતિ બતાવી છે. અને હવે જુઓ ભાજપના ઉમેદવારોના લીસ્ટમાં અશોક ભટ્ટ જ ખાડિયાના ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. મિડિયાએ લખ્યું કે નરોડામાંથી માયબહેન કોડનાનીને ટિકીટ નહી મળે અને વિશ્વ હિંદુ પદિષદના જયદીપ પટેલ અહીંથી ચૂંટણી લડશે, પરંતુ ભાજપે માયાબહેનને જ ટિકીટ આપી છે. મિડિયાએ નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં રાજ બબ્બર ચૂંટણી લડશે એવુ લખ્યુ પણ એનો કોંગ્રેસ તરફથી ઈનકાર કરવામાં આવ્યો છે.


આઈઆઈએમ અમદાવાદમાં પ્રફુલ પટેલ પત્રકારોથી ભાગ્યા..

23-11-2007
૨૦૦૨માં આઈઆઈએમ અમદાવાદમાં થયેલી એલ એન્ડ ટીના ચેરમેન નાઈકજીની પ્રેસ કોન્ફરન્સ મને બરાબર યાદ છે. નાઈકજી સાથે એ વખતે ચીન વિશે વાતો ચાલતી હતી. ત્યારે તેમણ કહ્યું કે આખુ ચીન એક સેના જેવુ છે. એકે એક ચાઈનીઝ સૈનિક જેવો છે. ચાઈનામાં હું એલ એન્ડ ટીના ચેરમેન તરીકે ગયો તો ત્યારે ત્યાંના પત્રકારો પણ ચીનના સૈનિક જેવા હતા. તેઓ બસ એ જ જાણવા આતુર હતા કે આપ ચીનમાં કેટલુ ઈન્વેસ્ટમેન્ટ લાવી રહ્યા છો, ચીનમાં કેટલો રોજગાર આપશે, ચીનમાં આપનુ કામ ક્યારે શરૂ કરવાના છો, પત્રકારોનો એક જ એજન્ડા હતો, ચીનનો વિકાસ.

નાઈક સાહેબે કરેલી આ વાત મને ખૂબ જ ગમી હતી. અને પત્રકારત્વમાં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે શક્ય એટલા અસાઈન્ટમેન્ટમાં છેવટનું લક્ષ્ય ગુજરાતનુ ભલુ થાય, ગુજરાતનું હિત સધાય એ દિશાનું હોવુ જોઈએ.

આ જ ક્રમમાં ગુરૂવારે આઈઆઈએમ અમદાવાદના કોન્ફ્લ્યુઅન્સ ૨૦૦૭ના ઉદઘાટન સમારંભમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલને પૂછવા માટે જેપીએ પ્રશ્નો તૈયાર કરી રાખ્યા હતા.

-અમદાવાદ એરપોર્ટ પર કાર પાર્કિંગનો સીત્તેર રૂપિયા પ્રતિ કલાકનો ચાર્જ લેવાય છે અને દરેક કલાકે આટલા રૂપિયા ચડે છે.ટર્મિનલમાં જવાનો ભાવ પચાસ રૂપિયા છે. જે વ્યક્તિને પાર્કિંગનો અમદાવાદ અને બીજા શહેરોનો કોંટ્રેક્ટ આપ્યો છે એ પેસેન્જરોના ભોગે કરોડો રૂપિયા કમાય છે. આપ શું કહેવા ઈચ્છો છો ?

-વિમાન કંપનીઓ જાહેરાતમાં ખૂબજ નીચુ ભાડુ બતાવે છે પણ જ્યારે ટિકીટ લેવા જાઓ ત્યારે તેનાથી ત્રણ ગણા રૂપિયા ચૂકવવાના થાય છે. આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અગાઊ મોબાઈલ ફોન કંપનીઓ આપતી હતી ત્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેના પર પ્રતિબંધ અને નિયંત્રણો લાદ્યા હતા. વિમાન કંપનીઓની બાબતમાં આપનું મંત્રાલય શું કરવા માંગે છે?

-અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જનારાઓએ એરપોર્ટ બીલ્ડિંગની બહાર લાંબી લાઈન લગાવીને ટ્રોલીઓ લઈને રાત્રે ઉભા રહેવું પડે છે. આવું શરમજનક દેશી દ્રશ્ય બીજા કોઈ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર નથી હોતું. અમદાવાદનું આંતરરાષ્ટ્રિય એરપોર્ટ વીસનગરના એસટી બસસ્ટેન્ડની કક્ષાએથી ઉપર લઈ જવા, વર્લ્ડ સ્ટાન્ડર્ડનું બનાવવાનું કામ ક્યારે શરૂ થશે? પૂરુ થશે? આપ શું કરવા માંગો છો?

-અમદાવાદથી રાત્રે અમેરિકા જવા ઉપડતી ફ્લાઈટ અમદાવાદથી મોડી રાત્રે મધરાત પછી ઉપડે છે અને પછી મુંબઈ જઈને આખી રાત ત્યાં ઉભી રહે છે. અમદાવાદથી ફ્લાઈટમાં બેઠેલા પેસેન્જરે મોડી રાત્રે અમદાવાદથી નીકળવુ પડે છે અને આખી રાત મુંબઈમાં સમય બગાડવો પડે છે. આવી વિચિત્ર ગોઠવણ કેમ છે ? અમદાવાદને ખરેખરી સીધી ફ્લાઈટ ક્યારે મળશે ? આપ એ અંગે શું કરી રહ્યા છો અને શું કરવા માંગો છો?

-વિદેશની ફ્લાઈટમાં આવતા વીસ ટકા પેસેન્જરોના બેગેજ ગુમ થઈ જાય છે. કોઈકના બેગેજમાં નવજાત બાળકનું ફૂડ હોય, કોઈના બેગેજમાં દવાઓ હોય, આવામાં યાત્રીઓ અસહ્ય પરેશાની અનુભવે છે. બેગ ખોવાઈ હોય અને પાછી મળે તો તેને લેવા માટે માણસે પાછુ અમદાવાદ એરપોર્ટ આવવુ પડે છે. બીજે બધે બેગ ઘરે પાછી મળી જાય એની વ્યવસ્થા છે, અહીં અમદાવાદ એરપોર્ટ પર કેમ આ વ્યવસ્થા નથી?

-નાની વિમાન કંપનીઓ આજકાલ વિમાન પૂરુ ભરાયુ ન હોય તો ઉપાડતા નથી અને પેસેન્જરો એરપોર્ટ પર અટવાઈ જાય છે. કનેક્ટીંગ ફ્લાઈટ પણ પકડી શકતા નથી. આ બાબતે આપનું મંત્રાલય કોઈ નિયંત્રણો લાવવા ઈચ્છે છે? શું કાર્યવાહી કરી રહ્યા છો?

ખૈર આ અને આવા બીજા થોડા પ્રશ્નો પૂછવાના હતા પ્રફુલ પટેલને અને એટલેજ પ્રફુલ પટેલ આઈઆઈએમ કોન્ફ્લુઅન્સમાં પોતાનું વક્તવ્ય પૂરુ કરીને સ્ટેજ પરથી ઉતર્યા એ સાથે જ અમે થોડા પત્રકારો તેમને ઘેરી વળ્યા. સીએનબીસી આવાઝના મનીષ મહેમદાવાદીએ ઉપરના લીસ્ટમાં છેલ્લો પ્રશ્ન આપેલો છે એ પૂછ્યો પણ પ્રફુલ પટેલ કશું જ ન બોલ્યા અને ચાલતા રહ્યા, જેપી એ ઉપરના લીસ્ટમાંથી પહેલો પ્રશ્ન પૂછ્યો અને પ્રફુલ પટેલે સાંભળ્યો પણ કશું જ બોલ્યા વગર ચાલતા રહ્યા. સ્ટેજ પરથી દેશ માટે આ ને દેશ માટે તે કરવાની વાતો કરવાવાળા પ્રફુલભાઈ પછીતો વધુ ઝડપથી ચાલવા લાગ્યા અને રીતસર પત્રકારોથી ભાગ્યા. એવુ ન હતુ કે તેમણે કોઈ ફ્લાઈટ પકડવાની હતી ને મોડુ થતુ હતુ, પ્રફુલભાઈ તો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા. પણ તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા ન હતા.

જેપીએ ટીસીએસના ચેરમેન એસ રામાદોરાઈને પણ પૂછ્યું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ગાંધીનગરમાં પોતાનું યુનિટ ચલાવે છે એ મોટાભાગે તો માત્ર ગુજરાત સરકારના મળેલા કોંટ્રેક્ટની પૂર્તિ માટે છે, પણ ગુજરાતમાં જે રીતે આઈટી ક્ષેત્રે યુવાનો તૈયાર થઈ રહ્યા છે એ જોતા શું આ કેમ્પસનું હવે વિસ્તરણ બેંગલોર, પૂના, હૈદરાબાદના સ્તરે વિસ્તરણ થાય એ જરૂરી નથી? રામાદોરાઈએ આ પ્રશ્ન સાંભળ્યો અને તેઓ જવાબ આપે એ પહેલા તેમને ઘણા બધા સૂટબૂટધારીઓ ઘેરી વળ્યા. જવાબ શબ્દોમાં ન મળ્યો એનો વાંધો નહીં, જમીન પર મળે એનો ઈંતઝાર રહેશે.અને પ્રફુલ પટેલ માટે બીજા મોકાની જેપી રાહ જોશે.


૧૭ દિવસ, ૮૭ બેઠકો..

22-11-2007
ગુજરાત વિધાનસભાની પહેલા ચરણની ચૂંટણીમાં પ્રચારના હવે માત્ર ૧૭ દિવસ રહ્યા છે. ૧૭ એટલા માટે કારણકે ૧૧મી ડિસેમ્બરની ચૂંટણીનો પ્રચાર કાયદા મુજબ અડતાલીસ કલાક પહેલા આટોપી લેવો પડે છે એ જોતા માત્ર ૧૭ દિવસ મળે છે અને બેઠકોની સંખ્યા ૮૭ છે. તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ છે કે આ વખતે પ્રચાર હેલિકોપ્ટરો અને વિમાનોની ઘર્રરાટી વચ્ચે થશે. મોદી ઈચ્છે છે કે સત્તર દિવસના પ્રચારમાં ગુજરાત બહારથી ઘણા બધા વક્તાઓને બોલાવીને ખૂબ બધી પ્રચાર સભાઓ કરીને છવાઈ જવુ. પણ મોદી જાણે છે કે સ્ટાર પ્રચારક તો તેઓ પોતે જ છે. તેનો કોઈ વિકલ્પ નથી. મોદી પોતે શક્ય એટલી વધારે જગ્યાઓએ પહોંચવા માટે શીડ્યુલ યોજના અને વ્યૂહ બનાવી રહ્યા છે. સામાન્ય રીતે પ્રોટોકોલ હોય છે કે ગુજરાતમાં અડવાણી કે રાજનાથસિંઘની રેલી હોય તો મોદીએ તેમાં હાજર રહેવું પડે પણ આ પ્રોટોકોલ પણ નેવે મૂકાશે. મોદી એક ઠેકાણે પ્રચાર કરશે ને બીજા ઠેકાણે રાજનાથ ને ત્રીજા ઠેકાણે અડવાણી, આ શક્ય છે. જો કે રાજનાથ અને અડવાણી કરતા નવજોત સિદ્ધુ વધારે પોપ્યુલર રહેશે એ નક્કી છે.

મોદી તેમનો ચૂંટણી પ્રચાર રથયાત્રા દ્વારા કરવા જાણીતા છે. પણ આ વખતે રથયાત્રામાં સમય વધુ વેડફાશે એવુ લાગે તો મામલો હવાઈ યાત્રા અને રોડ શોમાં નીપટાવવામાં આવે એ શક્ય છે. ૨૦૦૨ની પાછલી વિધાનસભા ચૂંટણી વખતે ફાગવેલથી પ્રચાર શરૂ કરીને મધ્ય ગુજરાતમાં વેવ ઉભો કરનાર મોદી આ વખતે આવુ કશુંક પણ કરશે કે કેમ એ પણ જોવુ રહ્યું.


આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પૈસો સારો દેખાય છે..

22-11-2007
કોંગ્રેસે આ વખતે પ્રચારમાં ઉતારેલા વિડિયોરથની નોંધ લેવી પડે તેમ છે. મહિન્દ્રા મેક્સી જીપો પર પડદા અને પોસ્ટરો લગાવેલા ૨૬ રથ ગુજરાતના ગામડાઓમાં ફરીને ભાજપ સરકાર વિરૂદ્ધની ૩૬ મિનીટની ફિલ્મો બતાવી રહ્યા છે. રથોમાંથી દિવસે ઓડિયો વાગે અને રાત્રે વિડિયો શો દેખાડવામાં આવે એવી ગોઠવણ છે.શરૂ શરૂમાં રથોને મધ્ય ગુજરાતના ગામડાઓમાં ફરતા કરીને બાદમાં ગુજરાતભરના(હાલ પહેલા ચરણના મતદાનના વિસ્તારોના)ગામડાઓમાં છોડવામાં આવ્યા છે.

કોંગ્રેસ માને છે કે ઈન્ટરનેટ પર વિડિયોનો પ્રચાર મતમાં રૂપાંતરિત થતો નથી(નરહરી અમીન એમની દેશી ભાષામાં કહે છે કે ઈન્ટરનેટમાં તો જે નાખો એ આવે છે એનો કોઈ અર્થ નથી)પણ વિડિયો ગામડા સુધી લઈ જાઓ તો મતમાં રૂપાંતરિત થઈ શકે.

આ વખતે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા પૈસો બહુ આવ્યો હોય એ દેખાય છે. ૨૦૦૨ની ચૂંટણીમાં બહુ પૈસો દેખાતો ન હતો. આ વખતે ચૂંટણી જાહેર થતા જ જિલ્લા દીઠ ચક દે કોંગ્રેસ લખેલી લાંબી ગાડીઓ પહોંચી ગઈ અને પછી આ વિડિયો રથ. આ ઉપરાંત ગુજરાતી ટીવી ચેનલ પર અડધા અડધા કલાકનો રોજ સાંજનો સ્લોટ લઈને કોંગ્રેસે મોદી સરકાર વિરૂદ્ધનો પ્રચાર ક્યારનોય શરૂ કરી દીધો હતો. દિલ્હી,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સત્તા હોવાથી આ વખતે કોંગ્રેસ પાસે અઢળક પૈસો છે જે પ્રચારમાં દેખાઈ રહ્યો છે.


ઉમેદવાર નક્કી કરવામાં ઝઘડા ને કોંગ્રેસે ગુજરાત ચલાવવુ છે …

21-11-2007
મંગળવારે રાત્રે ગુજરાતભરમાં કોંગ્રેસના નામની ભારે મજાકો ચાલી રહી હતી. દર અસલ ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ એવી ડંફાશ હાંકી હતી કે ‘અમે ઉમેદવારો વહેલા જાહેર કરી દઈશું કે જેથી તેમને પ્રચાર અને તૈયારીઓ કરવાનો વધારે સમય મળે’ તો પેલા ભાવનગરના યુવા બૌદ્ધિક કોંગ્રેસીની બ્રાન્ડ ઈમેજ ધરાવતા શક્તિસિંહ ગોહિલ કહેતા હતા કે ‘આ વખતે અમે કોંગ્રેસમાં ટિકીટ વહેંચણી માત્ર જીતવાની શક્યતાવાળા ઉમેદવારોને લડાવવાના છીએ. અમે બધા એક છીએ અને ટિકીટ વહેંચણીમાં અમારૂ સૂત્ર છે:’ન મારા, ન તારા, જે સારા એ અમારા’ તો કોંગ્રેસના અન્ય એક હળવદથી ટિકીટ માંગી છે એ યુવાન કોંગ્રેસી ભાઈ જેપીને હજુ સોમવારે રાત્રે કહેતા હતા કે ‘આ વખતે કોંગ્રેસ બહુ જ સાયન્ટીફીક રીતે ચૂંટણી લડવાની છે. ચૂંટણીના એક વર્ષ પહેલાથી મતવિસ્તારોમાં પ્રોફેશનલ સર્વે થઈ ગયા છે કે જેમાં પ્રત્યેક મત વિસ્તારમાં કેવો અને કયો ઉમેદવાર ઉભો રાખો તો જીત મળે એના સોગઠા નિષ્ણાતોએ ગોઠવ્યા છે.’

મજાની વાત એ છે કે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસની બધી ડંફાશોની હવા નીકળી ગઈ. ચૂંટણીનું આખુ આયોજન ઉભુ હતુ ત્યારે ગુજરાત કોંગ્રેસની આખી ઉપલી નેતાગીરી ટિકીટ વહેંચણીમાં બાખડવામાં પડી. અધિકૃત યાદીની જાહેરાત તો કોંગ્રેસે ચાર ચાર વાર પાછી ઠેલવી પડી.

મંગળવારે રાત્રે જેપીના દેખતા જ જેપીના સિનિયર પત્રકાર મિત્રે અર્જુન મોઢવાડિયાને ફોન લગાવ્યો કે અર્જુનભાઈ આ યાદી બહાર નથી પડી તો બધે કોંગ્રેસ હાસ્યાસ્પદ ઠરી રહી છે અને તમારે ત્યાં ઉમેદવારોના નામને લઈને કેટલા ઝઘડા છે એની બધે ચર્ચા છે. અર્જુનભાઈએ ફોન પર જવાબ આપતા કહ્યું કે ના ના એવુ નથી. આ તો ભાજપે વધુ મહિલાઓને ટિકીટ આપી, એટલે હવે અમે પણ અગાઉ તૈયાર કરેલા લીસ્ટમાં ફેરફાર કરીને વધુ મહિલાઓને ટિકીટ આપવાની કસરત કરી રહ્યા છે.આમાં થોડો ફેરફાર કરવામાં પછી બાકીની બેઠકો પર પણ ફેરફારો કરવા પડે એમાં વિલંબ થયો છે.’ અર્જુનભાઈનો ફોન મૂકાયો પછી તેમણે પત્રકારોને બાળક સમજાવીને પકડાવેલી આ લોલીપોપ પર અમે ખૂબ હસ્યા.ભાજપે તો ક્યારનુંય જાહેર કરી દીધું હતુ જ કે તે મહિલાઓને ઉમેદવારીમાં વધુ પ્રાધાન્ય આપવાનું છે. મજાની વાત તો એ છે કે અર્જુનભાઈના ગાંધીનગર સ્થિત ઓફિશીયલ નિવાસસ્થાનેથી પાછલા અઠવાડિયામાં દરરોજ એર્પોર્ટ પર તેમને લેવા કાર જતી હતી પણ ખાલી જ પાછી આવતી હતી કારણકે અર્જુનભાઈ દિલ્હી જ રોકાઈ જતા હતા એટલા ડખા હતા ત્યાં. છેવટે તો બાકીના બધા ઉમેદવારોને લટકતા રાખીને અર્જુનભાઈ પોતે મંગળવારે મારતા વિમાને અમદાવાદ આવી પહોંચ્યા અને હેલિકોપ્ટર લઈને પોરબંદર પહોંચી ગયા. કોંગ્રેસમાં નેતાઓને ક્યાં કોઈ પરેશાની હોય છે જ ?

પણ બીજા ઉમેદવારોની હાલત શું છે એ જોવા જેપીએ મંગળવારે મોડી રાત્રે પાલડી સ્થિત કોંગ્રેસ ઓફિસની લટાર મારી તો ત્યાં સંપૂર્ણ બખડજંતર હતુ. ગુજરાતભરમાંથી આવેલા ટિકીટવાંચ્છુઓ, સીટીંગ ધારાસભ્યો વગેરે ઉભા ઉભા કોંગ્રેસની ઉમેદવાર યાદીની પ્રતીક્ષા કરતા હતા. લીમડીના ભવાન ભરવાડ મેન્ડેટની રાહ જોઈને મોડી રાત્રે છેવટે નીકળી ગયા. ભૂજના ધારાસભ્ય શિવજી આહીર ટેન્શનમાં હતા, તેમને દિલ્હીથી ફોન આવ્યો કે તમારે ભૂજના બદલે અંજારથી લડવાનું છે અને શિવજીભાઈ ચિંતમાં મૂકાયા કે તેમણે તો ભૂજથી ટિકીટ માંગી છે અને ત્યાંની જ તૈયારી કરી છે તો આ વળી અંજાર ક્યાંથી આવ્યું? શિવજીભાઈએ અર્જુન મોઢવડિયાને ફોન કરીને પોતાની પરેશાની બયાન કરી..

એક પત્રકારે મજાકમાં કહ્યું કે કોંગ્રેસ અંદર અંદર લડી ઝઘડીને મક્કમતાથી ભાજપનો સામનો કરશે. બીજાએ કહ્યું કે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકીટ મેળવવા એવા ઝઘડા થયા હતા કે છેલ્લા ટાઈમના બે કલાક પહેલા ઉમેદવારો જાહેર થયા. અને આ ઉમેદવારોના પ્રતિસ્પર્ધી ટિકીટ વાંચ્છુકોએ ૩૩ ઉમેદવારોને પૂરી દેતા ભાજપ આ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયુ હતું.ત્રીજા પત્રકારે કહ્યુ કે ઉમેદવારો પસંદ કરવામાં જ કોંગ્રેસના આ હાલ છે તો આગળ આ કોંગ્રેસનો સંઘ ક્યાં પહોંચશે? ચોથા પત્રકારે જવાબ આપ્યો: ફીર એક બાર વિધાનસભાના હોલમાં વિરોધપક્ષની પાટલી પર.


ન્યુસન્સ વેલ્યુ ભી કોઈ વેલ્યુ હોતી હૈ: પૂછો કોંગ્રેસને

20-11-2007
ભૈયા ન્યુસન્સ વેલ્યુ ભી કોઈ વેલ્યુ હોતી હૈ. જુઓ કર્ણાટકના રાજકારણમાં શું થયું, ત્યાં ભાજપ અને કોંગ્રેસ પહેલા અને બીજા ક્રમના બે મોટા પક્ષો હતા જ્યારે દેવગોડાના દિકરાનો પક્ષ ત્રીજા ક્રમે હતો પણ ન્યુસન્સ વેલ્યુના કારણે આ ત્રીજો મિનીપક્ષ પોતાની સરકાર બનાવી ગયો અને ભાજપની સરકાર બગાડી પણ ગયો.

ગુજરાતમાં અત્યાર સુધી બે જ પક્ષનું રાજકારણ રહ્યું છે પણ ત્રીજો મોરચો પોતાની ન્યુસન્સ વેલ્યુ પૂરતી હાજરી બતાવી રહ્યો છે. કોંગ્રેસની ઉમેદવારોની યાદી મોડી થઈ ગઈ તેનું કારણ ન્યુસન્સ વેલ્યુ વાળાઓ છે. ન્યુસન્સ વેલ્યુનું ગણિત સમજીએ તો નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલેકે એનસીપી એ ૨૦૦૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૮૧ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર ૩૪૯૦૨૧ વોટ એટલેકે ૧.૭૧ ટકા વોટ મેળવ્યા હતા પણ આટલા વોટના જોરે તેણે કોંગ્રેસની ૧૫ સીટો બગાડી હતી. સારસા, લાઠી, ઓલપાડ, પાલીતાણા, ધારી, કોડીનાર, ગોંડલ, જામજોધપુર, ખંભાળિયા, કાલાવડ, વાંકાનેર, દસાડા, ગઢડા, માતર અને જોડિયા સીટો પર કોંગ્રેસ અને એનસીપીના વોટનો સરવાળો કરો તો ભાજપ કરતા વધારે થતો હતો. એટલેકે કોંગ્રેસના મતો એનસીપીએ વિભાજીત ન કર્યા હોત, તોડ્યા ન હોત તો શક્ય હતુ કે ભાજપના ઉમેદવારો આ સીટો પર હાર્યા હોત.

ભાજપ વિરોધી મતો એકજૂથ રહે એ માટે કોંગ્રેસે આ વખતે ભાજપના અસંતુષ્ટો અને એનસીપી તથા લાલુના રાષ્ટ્રિય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટી જેવા ફાસફૂસિયાઓથી ડરીને ચાલવુ પડે છે અને તેમની સાથે સમજૂતિઓ કરવી પડે છે. કોંગ્રેસે જીતવાની સંભાવના વાળી બેઠકો બીજાને આપવી નથી, આપવી છે તો આ જ આપીએ ને આટલીજ આપીએ એના ડખા છે, બીજાને આપવાની બેઠક પર પણ પાછા બીજા જે ઉમેદવાર નક્કી કરે તેના નામ સામે વાંધો છે, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે બીજાને બેઠક આપી દેતા કોંગ્રેસના સ્થાનિક મહત્વાકાંક્ષી કાર્યકરો વિરોધનું વાજુ વગાડે અને અપક્ષ ઉભા રહીને કે નારાજ-નિષ્ક્રિય થઈને આમેય વોટ તોડે એવું થાય એમ છે.

ભાજપના એક મંત્રીએ જેપીને બેસતા વર્ષે સાલ મુબારકનો ફોન કર્યો ત્યારે રાજનીતીક વાતોની ચર્ચામાં કહ્યુ કે ‘જુઓ ભાઈ, કોંગ્રેસે જનમિત્ર શિબિરો કરી પછી સતત સમય બગાડ્યો છે. ચૂંટણી જાહેર થયા પહેલા નરેન્દ્ર મોદીએ જિલ્લે જિલ્લે લાખોની સંખ્યા વાળા મહિલા સંમેલનો કર્યા અને સૌને એ રીતે ફેસ ટુ ફેસ મળ્યા પણ કોંગ્રેસે કશું જ ન કર્યું અને અસંતુષ્ટોના સંમેલનોને ટેકો આપ્યા કર્યો ને ખેલ જોયા કર્યો. ચૂંટણી જાહેર થયા પછી શંકરસિંહ વર્સીસ બાકીની કોંગ્રેસ અને કોંગ્રેસ વર્સીસ એનસીપી+અસંતુષ્ટોના ટિકીટ વહેંચણી યુદ્ધ થઈ રહ્યા છે અને ટિકીટ વહેંચણી પછી કોંગ્રેસ વર્સીસ બળવાખોરોના જંગ થશે.’

કોગ્રેસની આ ફિલ્મ ડિરેક્ટ કોણ કરી રહ્યું છે ? આપ સમજી શકતા હોવ તો સમજો. નહીં તો એ આપનેં ત્રણથી છ મહિના પછી સમજાશે. જેપી હમણા કંઈ નહી કહે.


મિડિયા ગુલ્લા ઉછાળે છે ને વિશ્વસનીયતા ગુમાવે છે

19-11-2007 Opinion
હાશ ચાલો ભાજપની પહેલી યાદી બહાર પડી. કોંગ્રેસના નેતાઓ ડંફાશ મારતા હતા કે પહેલી યાદી તેમની બહાર પડશે કે જેથી ઉમેદવારોને તૈયારીનો વધુ સમય મળે પરંતુ આવુ બન્યુ નથી.ઉલટુ કોંગ્રેસવાળા તો ભાજપની પહેલા યાદી જાહેર કરવાથી ડરતા હતા.દરમિયાન જેપી આજે મિડિયાના ગુલ્લાને ખુલ્લા કરવા માંગે છે. જુઓ આપણું મિડિયા કેવા ગુલ્લા ઉછાળે છે.

ટિકીટ વહેંચણી ચાલતી હતી ત્યારે એક દિવસ સમાચાર આવે કે કેશુભાઈ પટેલનો દીકરો ભરત પટેલ અપક્ષ ચૂંટણી લડશે. બીજા દિવસે સમાચાર આવે કે ભરત પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે, ત્રીજા દિવસે સમાચાર આવે કે ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડશે અને અંતે ભરત પટેલે જાહેર કર્યું કે પોતે ચૂંટણી જ નથી લડવાના. આ જ રીતે મુખ્યમંત્રીના ઈલેક્ટ્રોનીક મિડિયા સલાહકાર શ્રી ધીરેન અવાશિયા જુનાગઢથી ચૂંટણી લડશે એવો ગુલ્લો ઉછાળીને મહેન્દ્ર મશરૂ પાસેથી ‘હું ચૂંટણીની ટિકીટ નથી માંગવાનો’ એવુ ઓકાવનાર પત્રકારો પણ યાદી જાહેર થયા પછી ખોટા સાબિત થયા છે.

મુખ્યમંત્રી દ્વારકાથી ચૂંટણી લડશે ને રાવપુરાથી લડશેના ગુલ્લા ઉછાળનારા પણ છેવટે મણિનગરની જ જાહેરાત થતા વિમાસણમાં મૂકાયા છે. સમાચારો લખવામાં આવ્યા કે ભાજપના મંત્રી પુરૂષોત્તમ સોલંકી તેમની વિધાસભા સીટ બદલીને ચૂંટણી લડશે ને એ વાત પણ ખોટી નીકળી, ગુલ્લુ જ સાબિત થયુ. આની સામે જે ખરેખર જાણવા જેવુ હતુ એ તો મિડિયા ક્યારેય જાણી શક્યું નહીં જેમ કે જામનગરના કમિશનર પદેથી બી એચ ઘોડાસરાએ રાજીનામુ આપ્યુ એની એક મિનિટ પહેલા પણ મિડિયામાં કોઈને રતિભર પણ ખબર ન હતી કે આ ભાઈ ભાજપમાંથી ચૂંટણી લડવાના છે.

લોકલ સ્તરે દરેક પ્રકારનુ મિડિયા પોતાના ગુલ્લા ઉછાળતુ હતુ અને હંમેશા ઉછાળે છે. હકીકત એ સાબિત થઈ છે કે રાજકીય હવામાનની આગાહીની બાબતમાં ગુજરાતના રાજકીય પત્રકારો નકરા ગુલ્લા જ ઉછાળતા હોય છે. નેતાઓની ઓફિસમાં કોઈ પત્રકારના કાન નથી. અને ગુલ્લા જ ઉછાળતા હોવાના કારણે તેમનું માન પણ નથી. પત્રકારોએ તેમની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે જ્યોતિષીઓ બનીને ખોટા તારણો પર આવવાનું અને ફેંકમફેંક સાબિત થતી આગાહીઓ લખવાનું બંધ કરવું જોઈએ અને વધુ મેચ્યોરીટી દેખાડવી જોઈએ.સારૂ છે કે લોકો એક દિવસ વાંચેલુ બીજા દિવસે ભૂલી જાય છે અન્યથા જો લોકોને બધા ગુલ્લા યાદ રહેતા હોય તો લોકો ગુલ્લાબાજોને કારણે લોકો છાપા વાંચવાનું જ બંધ કરી દે.

હવે મિડિયામાં એવા સમાચાર આવશે કે ફલાણા ને ઢીકણા પક્ષે આ જ્ઞાતિના આ અને આટલા ઉમેદવારને ટિકીટ આપી. મિડિયા જ્ઞાતિઓના મતવિસ્તાર દીઠ મતદારોના આંકડા બહાર પડશે, ને એના આધારે આકલન કરશે.

જ્યારેકે સચ્ચાઈ એ છે કે મિડિયાના સીત્તેર એંશીના દશકના જ્ઞાતિના ગણિતોથી આગળ વધીને ગુજરાતીઓ ક્યારનાય એક્વીસમી સદીના સાતમા વર્ષમાં પહોંચી ગયા છે. અપવાદરૂપ કેટલાક કિસ્સાઓ અને બેલ્ટને બાદ કરતા લોકોને જ્ઞાતિ કરતા હવે વિકાસના અને થયેલા કામોના મુદ્દામાં વધારે વિશ્વાસ પડતો હોય છે. મને યાદ છે કે ગુજરાતની પાછલી વિધાનસભા ચૂંટણી ટાણે પેલા મહાન પત્રકાર કહેવાતા રાજદીપ સરદેસાઈએ તેમની એક અખબારી કોલમમાં ગુલ્લો ઉછાળતા એવુ હેડીંગ માર્યુ હતુ કે શું ગુજરાતના પટેલ મતદારો નરેન્દ્ર મોદી જેવા ઓબીસી માટે વોટીંગ કરશે ? લ્યો કરો વાત! તમામ પટેલ વિસ્તારોમાં ભાજપ જબરજસ્ત રીતે જીત્યું ને સરદેસાઈ ગુલ્લાબાજ સાબિત થયા. રાજદીપ સરદેસાઈને ઓક્સ્ફોર્ડમાં ભણ્યા પછી પણ પત્રકારત્વમાં એ જ દેખાયું કે ફ્લાણો ઓબીસી છે અને ઢીકણો પટેલ છે? તમામ સુધારાવાદી કહેવાતા મિડિયામેનો હંમેશા જ્ઞાતિના રાજકારણી ચર્ચા કરતા હોય છે અને ગુલ્લા ઉછાળતા હોય છે. હવે ચૂંટણી ટાણે આવુ બધુ ઘણુ થવાનું.

મિડિયામેનોના જમીન પર કાન પર હોવા જોઈએ, ફીક્સ ટોળકીમાં, નક્કી થયેલા એજન્ડામાં અને ફોનો પર નહીં.પોલીટીકલ પત્રકારત્વમાં રીપોર્ટીંગ ચાલીસ ટકા જરૂરી છે પણ જજમેન્ટનું મહત્વ સાહીઠ ટકાનું છે. દુ:ખદ વાત છે કે અત્યારે એંશી ટકા ગુલ્લા અને વીસ ટકા મીસ રિપોર્ટીંગ જોવા મળે છે.

રાખી સાવંત સાડા ચાર લાખ લઈ ગઈ..ને કોંગ્રેસીની બાજી બગાડતી ગઈ

18-11-2007

રાખી સાવંત કેટલાને ડૂબાડશે? છેલ્લો નંબર લાગ્યો છે અમદાવાદના કોંગ્રેસી રોહિત ઠાકોરનો. તમે પૂછશો કે આ રોહિત ઠાકોર કોણ ? તો ભાઈ આ રોહિત ઠાકર એ શખ્સ છે કે જેમણે અમદાવાદ નજીકના દસક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકીટ માંગી છે. પણ તેમની આ આશા પર પાણી ફેરવી દીધુ છે મુંબઈની આઈટમ કમ સ્ટન્ટ ગર્લ હીરોઈન ડાન્સર રાખી સાવંતે.

દરઅસલ રોહિત ઠાકોરે હમણા અમદાવાદના બોપલમાં પોતાના નવા મકાનનું વાસ્તુ રાખ્યુ હતુ એમાં રાખી સાવંતને મુંબઈથી ખાસ બોલાવી હતી. કહેવા પૂરતુ તો આ મકાનના વાસ્તાનો એટલેકે નવા ગૃહપ્રવેશનો સમારંભ હતો પણ હકીકતમાં અહીં પાંચ હજાર માણસોને અને કોંગ્રેસી નેતાઓને હાજર રાખીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ કે જેથી દસક્રોઈ વિસ્તારમાંથી કોંગ્રેસની વિધાનસભાની ટિકીટ મેળવી શકાય. આકર્ષણ માટે બોલાવેલી રાખી સાવંતે અહીં હાજર રહેવાના સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા.

રાખી આવી તો ખરી પણ તેને માલૂમ ન હતુ કે આ યજમાન કોંગ્રેસી નેતા છે અને તખતો કોંગ્રેસની ટિકીટ મેળવવા ગોઠવાયો છે. એટલે તેણે તો હાજર પત્રકારો સહિતના સૌ સામે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને સૌએ નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ. રાખીએ કહ્યું કે પોતે એક જ ગુજરાતીની ફેન છે અને તે છે નરેન્દ્ર મોદી. કારણકે નરેન્દ્ર મોદી સિંહ છે, મરદ માણસ છે. પોતે તો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. રાખીએ એમ પણ કહ્યું કે તેણીની મમ્મી ભાવનગરની હોવાથી તે અર્ધી ગુજરાતણ છે અને ગુજરાતણ હોવાના નાતે તેણી નરેન્દ્ર મોદી વિશે પેશનેટ છે.

રાખીએ નરેન્દ્ર મોદીના બેફામ વખાણ કર્યા અને હાજર સૌ કોંગ્રેસીઓ તથા યજમાન કોંગ્રેસના ટીકીટ વાંચ્છુ રોહિત ઠાકોર ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. વધુ વિમાસણભરી સ્થિતિ તો ત્યારે થઈ કે જ્યારે બીજ દિવસે રાખીના નરેન્દ્ર મોદીના વખાણ કરતા કથનો છાપામાં છપાઈ ગયા. ટૂકમાં રાખી સાડા ચાર લાખ લઈ ગઈ, કોંગ્રેસ કલ્ચરના સમારંભમાં હાજર રહી અને નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતી ગઈ તથા રાખી સાવંત જેવી મુંબઈની ગર્લ પણ નરેન્દ્ર મોદીની ફેન છે એ વાતને અખબારમાં પબ્લીસીટી પણ અપાવતી ગઈ. જેપીના સોર્સ કહે છે કે રોહિત ઠાકોરને આ બનાવ પછી ટિકીટ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના આગેવાનોમાં હીરોઈનોને બોલાવીને સામાજિક આકર્ષણનું કેન્દ્ર બનવાનો હમણા ટ્રેન્ડ ચાલ્યો છે. કેટલાક સમય પહેલા ઠાકોર સમાજના એક સમારંભમાં અમીશા પટેલને બોલાવવામાં આવી હતી જેને ફિલ્મો મળતી ન હોવાથી કોઈ પણ સમારંભમાં પૈસા આપતા જ ફોંચી જવા તૈયાર હોય છે. ખેર અમીશા આવી એના બીજા દિવસે આગેવાનોએ તેણીની સાથે પોતાનો ફોટો અખબારોમાં પહેલા પાને છપાવ્યો હતો.

ગુજરાત ચૂંટણી ૨૦૦૭: ફિલ્મી નામોના સ્લોગનના આઈડિયા

17-11-2007 Humor
કોંગ્રેસે તેનો ચૂંટણીનો નારો રાખ્યો છે ચક દે ગુજરાત. દર અસલ તો ચક દે ઈન્ડિયા ફિલ્મ પણ હવે જૂની થઈ ગઈ છે અને ચૂંટણી જેવી સીરિયસ બાબતમાં તૈયાર ફિલ્મી નામનો નારો લઈ લેનારી કોંગ્રેસ બૌદ્ધિકોમાં હાસ્યાસ્પદ પણ ઠરી છે. ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરી આવી નબળી ક્યારેય ન હતી કે જ્યારે ફિલ્મના નામ પરથી મોટીવેશન લઈને ચૂંટણીનો નારો આપવામાં આવતો હોય. ખેર જો ચૂંટણીના નારાનો આવો જ ટ્રેન્ડ ચલાવવાનો હોય તો અહીં વાત કરીએ થોડી રમૂજની કે બીજા કયા નવા પીક્ચરોના નારાનો ચૂંટણીમાં ઉપયોગ કરી શકાય.

- આ વખતે ઉમેદવારો ચૂંટણી પંચ માટે નારો રાખી શકે ‘ભૂલ ભૂલૈયા’ દર અસલ ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં એવા એવા નિયમો રાખ્યા છે કે આ કરો તો નિયમનો ભંગ ને તે કરો તો નિયમનો ભંગ, ચૂંટણીનું ફોર્મ ભરવા ટોળુ લઈને જાવો તો ભંગ, વાહનો લઈને જાવો તો ભંગ, એસએમએસ કરો તો ભંગ, દિવાલ પર લખો તો ભંગ, આવુ બોલો તો ભંગ, એવુ બોલો તો ભંગ વગેરે એટલે ઉમેદવારોનો ચૂંટણી પંચ માટે નારો હશે ભૂલ ભૂલૈયા.

-જેમને પાર્ટીની ટિકીટ નથી મળી એમનો નારો હશે ‘ઓમ શાંતિ ઓમ’.

-પાર્ટીની ટિકીટ વહેંચતી વખતે ટિકીટ આપનારા નેતાઓનો નારો જ નહી નજર પણ હશે ને મંત્ર પણ હશે ‘અપને’

-રાહુલ ગાંધીએ આ વખતે તેમનો પર્સનલ નારો રાખવો જોઈએ ‘ગાંધી માય ફાધર’ કારણકે રાહુલ જે કંઈ છે એ ફાધર ગાંધીને કારણે જ છે.ભાજપ વાળાઓએ જેમ કોંગ્રેસના ચક દેના નારાની પેરોડી ચગદે કરી એમ રાહુલ ગાંધીના આ નારાની પેરોડી કરવાની ગાંધી માય મધર(સોનિયા ગાંધી). કોંગ્રેસે આશા રાખવાની કે ગાંધી માય ફાધર ફિલ્મની માફક અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના કેમ્પેનની માફક ગુજરાતમાં રાહુલ ગાંધી ફ્લોપ ન જાય.

-કાશીરામ રાણાના સૌ સમર્થકોએ તેમનો નારો રાખવો જોઈએ ‘સાવરિયા’ દર અસલ કાશીરામ રાણા ગુજરાતના સાવરા સાવરિયા નેતા છે. પાછલી લોકસભાની ચૂંટણીઓ વખતે કાશીરામ રાણા અમદાવાદના સ્ટુડિયોમાં ટીવી ઈન્ટર્વ્યુ આપવા આવ્યા હતા અને તેમનો મેક અપ ચાલતો હતો ત્યારે જેપી ત્યાં હાજર હતો. મેક અપ મેને જેપીને ખાનગીમાં કહ્યું કે આ માણસ એટલો કાળો છે કે તેનો મેક અપ કયા શેડમાં કરવો એ જ સમજાતુ નથી. ખુદ કાશીરામ રાણા કહે છે કે એક વખત પોતે ટેક્સ્ટાઈલ મિનિસ્ટર હતા ત્યારે એક કાર્યક્રમના સિલસિલામાં દક્ષિણ ભારત ગયા હતા અને ત્યાં સૌ તમિલિયનો તેમને ભેટી પડ્યા અને સાઉથ ઈન્ડિયન સમજીને તમિલમાં વાતો કરવા લાગ્યા. કાશીરામભાઈ કહે છે કે પોતે માંડ માંડ સમજાવી શક્યા કે પોતે દક્ષિણ ભારતીય નથી. તો કાશીરામ રાણાના સમર્થકોનો નારો સાંવરિયા. અને જેમ ઓમ શાંતિ ઓમના ગાળામાં સાવરિયા ફ્લોપ રહી છે એમ જ નરેન્દ્ર મોદીના ગાળામાં કાશીરામભાઈ પણ સાઈડલાઈન થઈ ગયા છે.

-અને છેલ્લે આ વખતે જે ધારાસભ્યોને પાર્ટીની ટીકીટ ફરીથી મળી જાય તેમનો નારો હોવો જોઈએ ‘જબ વી મેટ’ કારણકે પાછલી વખતે ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી મતદાર રૈયતને મળ્યા ન હોય એવું બને તો જનતાને યાદ દેવડાવવું પડેને કે ‘જબ વી મેટ’

(આ આખો વ્યંગ જેપીએ દેશગુજરાતમાં ઓડિયોમાં અંગ્રેજી ભાષામાં પોડકાસ્ટ તરીકે મૂક્યો છે.)

ચૂંટણી ટાણે …કવિ કૃષ્ણ દવેનું વ્યંગ કાવ્ય

17-11-2007 Humor
કવિ કૃષ્ણ દવે એવા બહુજ ઓછા ગુજરાતી કવિઓ પૈકીના એક છે કે જેમની કવિતામાં આપણને એક સામન્ય માણસ હોઈયે તોય સમજ પડે. કૃષ્ણ દવેની ચૂંટણી લક્ષી કવિતા અહીં પ્રસ્તુત છે.

લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી.
બૂઢી માની ખબર કાઢવા જાણે દિકરી આવી.

મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ!
જેના પર એ મૂકે આંગળી બત્તી ધરતુ લાલ.

કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠીક નહીંતર ટેકા વેચી ખાશું.

તું કહે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?

અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

અર્જુન મોઢવાડિયા કેમ ખુશ છે ?

16-11-2007

ર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે એ નક્કી છે. અર્જુનભાઈ મહેર સમાજમાંથી આવે છે અને પોરબંદરમાં ચૂંટણી જીતવા માટે મેર હોવુ એ પહેલી જરૂરિયાત ગણાય છે. મેર સામે મેર ઉમેદવારને નાતે અર્જુનભાઈ સામે ભાજપમાંથી બાબુભાઈ બોખિરીયા ઉભા રહે એ નક્કી હતુ.બાબુભાઈ પોરબંદરમાં પાછલી ચૂંટણી અર્જુન મોઢવાડિયા સામે હારી ગયા હતા પણ તે અગાઉ જીત્યા હતા તથા મંત્રી બન્યા હતા. બાબુભાઈ આ વખતે અર્જુનભાઈને ટક્કર આપે અને હરાવે એ માટે ભાજપના સક્ષમ ઉમેદવાર મનાતા હતા પણ બાબુભાઈની કમનસીબી એ કે ચૂંટણી ટાણે જ સુપ્રીમ કોર્ટે ૫૪કરોડની ખનીજ ચોરીના કૌભાંડ મામલે તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા અને છેવટે બાબુભાઈ લંડનથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા તે સાથે જ તેમની પોરબંદર પોલીસે ધરપકડ કરી લીધી.

બાબુભાઈ હવે ચૂંટણી લડી શકવાની સ્થિતિમાં નથી ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ મારૂતિ કુરિયર વાળા રામભાઈ મોકરિયા પર પસંદગી ઉતારે એમ છે. અથવા આના વિકલ્પે મેર સમાજની બે મહિલાઓમાંથી કોઈ એકને ટિકીટ આપવાની પણ વાત ચાલે છે.રામભાઈ મેર ન હોવાથી અને બીજી બે મેર મહિલાઓમાંથી કોઈ એકની પસંદગી થાય તો તે અર્જુન મોઢવાડિયા સામે તે નબળી ઉમેદવાર પુરવાર થાય તેવી શક્યતાને કારણે અર્જુન મોઢવાડિયા આજકાલ ખુશખુશાલ છે.

પોરબંદરની વર્તમાન વસ્તુસ્થિતિમાં એક વાત નક્કી છે કે ભાજપ તરફથી અહીં જે પણ ઉમેદવાર ઉભો રહે તેણે જબરજસ્ત પ્રચાર(પૈસા ખર્ચી) અને નરેન્દ્ર મોદીના કરિશ્મા પર આધાર રાખવો પડશે. જો રામભાઈ ઉભા રહે તો જ્ઞાતિનું ફેક્ટર મોદીના ફેક્ટરથી ધોઈ નાખવુ પડે.

મોદી વિધાનસભામાં પોતાને નડતા હોય એવા કોંગ્રેસી વિધાનસભ્યોને ચૂંટણીમાં ચુની ચુનીને હરાવે છે. એ ન્યાયે આ વખતે મોદી પોરબંદરના અર્જુન મોઢવાડિયા ઉપરાંત અમરેલીના પરેશ ધાનાણી,સિદ્ધપુરના બળવંતસિંહ રાઠોડ, દહેગામના જગદીશ ઠાકોર, ઉદેસિંહ બારિયા આ ઉપરાંત બીજા કેટલાક તોફાનીઓને હરાવવા પર ખાસ ધ્યાન આપશે.તો જોઈએ કે પોરબંદરમાં શું થાય છે.અહીં ભાજપમાંથી જો રામભાઈ ઉભા રહેશે તો મેર ફેક્ટર વર્સીસ મોદી ફેક્ટરનો અને જો ભાજપમાંથી નબળા મેર ઉમેદવાર ઉભા રહેશે તો મોઢવાડિયા ફેક્ટર વર્સીસ મોદી ફેક્ટરનો જંગ થશે.

અમદાવાદમાં દિવ્ય ભાસ્કરમાંથી એકીસાથે સાત પત્રકારો ટાઈમ્સ ભણી

16-11-2007

મદાવાદના દિવ્ય ભાસ્કર દૈનિકમાંથી ચાલુ મહિને સાત રાજીનામા પડ્યા છે. આમાં પોલીટીકલ રિપોર્ટર દિલીપ પટેલ, શિક્ષણના રિપોર્ટર ભરત યાગ્નિક, હોસ્પિલ અને હેલ્થના રિપોર્ટર મેહુલ જાની, રેલવે એરપોર્ટ કસ્ટમ એક્સાઈઝ વેટ ઈંકમ ટેક્સના રિપોર્ટર યોગેશ અવસ્થી, અમેરિકા એડિશનનું કામ સંભાળતા રાજેશ કછોટ, અમદાવાદની સીટી ભાસ્કર એડિશન સંભાળતા આશીષ વશી અને અમદાવાદના અનુભવી ક્રાઈમ રિપોર્ટર પણ છેલ્લે સુરતમાં દિવ્ય ભાસ્કરના બપોરના દૈનિક ભાસ્કર ગોલ્ડનુ કામકાજ સંભાળતા પ્રશાંત દયાળ આ બધા ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જોડાયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જાન્યુઆરી ૨૦૦૮માં અમદાવાદથી મુંબઈની માફક અમદાવાદ મીરર નામની રોજિંદી ટેબ્લોઈડ પૂર્તિ આપવાનું છે તેના માટે આ બધાની ત્રણ વર્ષના કોંટ્રેક્ટ પર ઉંચા પગારે ભરતી થઈ છે.

ટાઈમ્સે દિવ્યભાસ્કરમાંથી કરેલી આ ભરતીની પાછળની સ્ટોરી જોઈએ તો દૈનિક ભાસ્કર ગ્રુપ અને ઝી ટીવી ગ્રુપ બંનેએ ભેગા થઈને મુંબઈમાં ડેઈલી ન્યુઝ એન્ડ એનાલિસીસ નામનુ અંગ્રેજી દૈનિક અખબાર કાઢ્યુ અને એમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ખમતીધર પત્રકારોને તોડીને ભરતી કર્યા.મુંબઈ પછી દૈનિક ભાસ્કર ગ્રુપે પાછલી પહેલી નવેમ્બરથી અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે દૈનિક અંગ્રેજી અખબાર ડીએનએ માત્ર એક રૂપિયાની કિંમતમાં લોંચ કર્યું અને એમાં પણ અગાઉથી જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો સ્ટાફ તોડીને ભરતી કર્યો. જેમ કે લેટેસ્ટમાં અમદાવાદ ઈકોનોમીક ટાઈમ્સના મેઘાવી પત્રકાર નારાયણ ભટ્ટને ડીએનએ લઈ ગયું. તો આના વળતા ઘા રૂપે ટાઈમ્સે ભાસ્કર ગ્રુપના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના સ્ટાફ ઉપર પંજો માર્યો છે. આ પંજો મારવાનું ટેક્ટીકલ કારણ એ છે કે ગુજરાતી દિવ્ય ભાસ્કરના અનુભવી પત્રકારોની સ્ટોરી અંગ્રેજીમાં ટ્રાન્સ્લેટ થઈને સીધી આ જ ગ્રુપના ડીએનએ માં છપાય તો હરીફ ટાઈમ્સને નુકસાન થાય તેમ હતુ.

ટાઈમ્સે મુંબઈમાં મીરર ચાલુ કર્યુ ત્યારે મુંબઈના વર્નાક્યુલર એટલેકે અંગ્રેજી સિવાયની ભાષાઓના અનુભવી પત્રકારોને ભરતી કર્યા હતા. આ પત્રકારો તેમની સ્ટોરી ભલે મરાઠીમાં લખે, પણ બીજો સ્ટાફ તેને ટ્રાન્સ્લેટ કરી નાખે.ટાઈમ્સે અમદાવાદમાં ગુજરાતી પત્રકારો મુંબઈના અનુભવ પરથી જ ભરતી કર્યા છે. પત્રકારોને અમદાવાદની પતંગ હોટેલમાં લંચ ઉપરાંત આબુ અને મુંબઈમાં ટ્રેનીંગ મળશે અને જાન્યુઆરીથી નીકળશે અમદાવાદ મીરર.ત્યાં સુધીમાં દિવ્ય ભાસ્કર ગાબડુ પૂરવા ભરતી કરી લેશે અને બધા છાપા પોતપોતાની રીતે નીકળતા રહેશે.

ચૂંટણી જ્યારે વિકાસના મુદ્દે લડાય છે ત્યારે ..

15-11-2007

૦૦૪ની ભારતની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે ઈન્ડિયા શાઈનીંગનું સૂત્ર આપ્યુ હતુ. ભાજપ ચૂંટણીમાં પોતાના પ્રરફોર્મન્સના આધારે અને પોતે કરેલા ભારતના વિકાસના મુદ્દે ચૂંટણીમાં ઉતર્યુ હતુ અને વાજપેયી સરકારની હાર થઈ હતી. ગુજરાત કોગ્રેસનું માનવુ છે કે ગુજરાતમાં આ વખતે ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે તેમાં પણ ભાજપની આ જ હાલત થશે અને મોદીની દશા વાજપેયી જેવી થશે. દર અસલ ગુજરાત કોંગેસ જ નહીં પરંતુ દિલ્હીમાં બેઠેલું મિડિયા પણ આમ માને છે. આ વિશે જ્યારે ભાજપના ગુજરાતના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બહુ સરસ રીતે ગુજરાતની સ્થિતિ અને ૨૦૦૪ની લોકસભા ચૂંટણી વખતે દેશની સ્થિતિ એ બંનેને અલગ તારવી આપી.

અરૂણ જેટલી કહે છે કે ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી પછી ભાજપ એક વાત શીખ્યું છે કે ભારતની ચૂંટણી એ ભારતની ચૂંટણી નથી હોતી પણ ભારતના ૨૬ રાજ્યોની ચૂંટણીનું સંયોજન હોય છે(આખા ભારત દેશમાં લાગુ પડી શકે તેવા એક મુદ્દા સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરી શકાતુ નથી.) ભારતના દરેક પ્રદેશના ફેબ્રીક અનુસાર ત્યાંના સોશ્યલ અને પોલીટીકલ સંજોગો અનુસાર ચૂંટણી લડવી પડતી હોય છે. જ્યારે ગુજરાતની સ્થિતિ એવી છે કે અહીં આખુ રાજ્ય એક છે,રાજ્યમાં એક વાત છે, એક વિચારધારા છે, એક નારો છે, એક લીડર છે. જેટલી કહે છે કે ગુજરાતની ચૂંટણી એવી ચૂંટણી છે કે જેમાં એન્ટી ઈન્કમ્બન્સી છે નહીં, ભાજપ પાસે સ્ટ્રોંગ લીડર છે અને સામે લીડર વગરનુ ગઠબંધન છે. માત્ર અર્ધો ડઝન ધારાસભ્યો અસંતુષ્ટ થાય એનાથી કોઈ ઝાઝો ફર્ક પડતો નથી.

જેટલીની વાત જોડે જેપી સંમત થાય છે. ગુજરાતમાં મોટાભાગે પોલીટીકલ ફેબ્રીક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોતા નથી. ૨૦૦૨માં ભાજપ જીત્યું તો ગુજરાતના તમામ ખૂણે જીત્યું, ૨૦૦૪માં લોક્સભા બેઠકો ગુમાવી તો દરેક ખૂણેથી ગુમાવી, પછી ભાજપ નગર પાલિકા, પંચાયતો વગેરે જીત્યું તો રાજ્યના પ્રત્યેક ખૂણે જીત્યું. સૌરાષ્ટ્રમાં આમ થશે ને ઉત્તર ગુજરાતમાં આમ થશે ને દક્ષિણમાં આમ ને આદિવાસી પટ્ટીમાં આમ થશે એવુ ગુજરાતમાં થતુ જોવામાં આવ્યુ નથી. આખુ ગુજરાત વત્તા ઓછા અંશે એક જ નિર્ણય કરતુ હોય છે.

મને યાદ છે કે ઓક્ટોબર ૨૦૦૫માં ભાજપ ગુજરાતની ખૂણેખૂણાની મોટાભાગની પાલિકા,પંચાયતો માત્ર મોદીના શાસન અને વિકાસના મુદ્દે જબરી બહુમતિથી જીત્યુ હતુ ત્યારે વિજય રેલીમાં ખાનપુર ભાજપ કાર્યાલયની બહાર નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યની શરૂઆત જ એમ કહીને કરી હતી કે ‘જનતા હવે એ જાણે છે કે તેમનો વિકાસ કોણ કરશે. લોકો હવે બીજા કોઈ મુદ્દે નહીં પણ વિકાસના મુદ્દે મત આપે છે. લોકોમાં અને રાજકારણમાં આવેલા આ બદલાવનો ચિંતકો અભ્યાસ કરે, એનાલીસીસ કરે.લોકો વિકાસ ઈચ્છે છે અને તેમા માટે વોટ આપે છે.’

જેટલીની લીડરશીપની વાત સાથે પણ હું સંમત છુ. જનતા મર્દ નેતાને ઝંખતી હોય છે. ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના મર્દ તરીકે આગળ કરી દીધા છે પણ કોંગ્રેસમાં મર્દ કોણ એ સોનિયા ગાંધી નક્કી કરવાના છે, એ પણ ઈલેક્શન પછી.

શંકરસિંહ વર્સીસ અહેમદ પટેલ

14-11-2007

શંકરસિંહ વાઘેલાએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવી હતી.ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ભાવિ મુખ્યમંત્રી તરીકે પોતાને કોંગ્રેસ પ્રોજેક્ટ કરે એવી પણ ઈચ્છા હતી. જો કે કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદાર ભરતસિંહ સોલંકી અને સોનિયા ગાંધીના પોલીટીકલ સલાહકાર તથા ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા અહેમદ પટેલ શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બિલકુલ બનવા દેવા માંગતા ન હોવાથી શંકરસિંહને ચૂંટણી લડવાની બહુ પહેલાથીજ ના પાડી દેવામાં આવી અને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ પણ ન કરાયા. શંકરસિંહને મનોમન આનો જબરજસ્ત ગુસ્સો છે જે પાંચ નવેમ્બરના દિલ્હીના પંજાબ કેસરી અખબારમાં પહેલા પાને પ્લાન્ટેડ સ્ટોરીમાં વ્યક્ત થઈ ગયો છે.

દિલ્હીમાં હિંદી અખબાર વાંચતા રાજકારણીઓ માટે હાથવગા એવા પંજાબ કેસરી અખબારમાં પાંચ નવેમ્બરે લખાયુ હતુ કે ‘ગુજરાતમાં ચૂંટણી પહેલા એક સર્વે થયો છે જેમાં લોકો એમ કહેતા માલૂમ પડ્યા છે કે શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો કોંગ્રેસ ગુજરાત જીતી શકે છે પણ અહેમદ પટેલે શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની ના પાડી દીધી કારણકે અહેમદ પટેલ ગુજરાતના રાજકારણમાં પોતાનો જ સિક્કો ચાલે એમ ઈચ્છે છે.’

હવે પંજાબ કેસરીમાં છપાયેલો આ સર્વે બીજા કોઈ અખબારમાં છપાયો નથી, આ સર્વે કોણે કર્યો વગેરે કોઈ વિગત લેખમાં હતી નહી તેથી માનવામાં આવે છે કે સર્વેના નામે આ સ્ટોરી પ્લાન્ટ કરાવવામાં આવી છે. આ સ્ટોરી દ્વારા ગુજરાતમાં શંકરસિંહ કેવા ગ્રેટ છે અને અહમદ પટેલ કેવા વિલન છે એ દિલ્હીના હિંદી અખબાર વાંચતા કોંગ્રેસી નેતાઓને જતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં શંકરસિંહે મોદી સરકારની દારૂબંધીની નીતિ સામે આશ્રમ રોડ પર કૂચ કાઢી ત્યારે તેમાં ભરતસિંહ, અર્જુનભાઈ હાજર ન હતા. અહેમદ પટેલ અને ભરતસિંહ બંનેના સર્કલમાં ચર્ચા હતી કે આ તો શંકરસિંહ મુખ્યમંત્રી બનવા માટે તૈયારી કરી રહ્યા છે. બાદમાં ઉત્તર ગુજરાતમાં શંકરસિંહે કિસાન યાત્રા કાઢી એ પણ અધવચ્ચેથી અટકાવવી પડી. શંકરસિહ યાત્રાનો નિર્ધારિત રૂટ પૂરો કરી ન શક્યા અને પોતાના જ મતવિસ્તાર એવા કપડવંજમાં યાત્રા જઈ શકી નહીં. હમણા આણંદ પાસે સોનિયા ગાંધીની રેલીમાં સ્ટેજ પર સોનિયા સાથે ફ્રન્ટ રોમાં ભરતસિંહ અને અર્જુન મોઢવડિયા બેઠા હતા જ્યારે શંકરસિંહને પાછળની રોમાં નરહરી અમીન અને સિદ્ધાર્થ પટેલ સાથે બેસાડવામાં આવ્યા હતા. દિલ્હીથી આવેલા કપિલ સિબ્બલની પ્રેસ કોન્ફરન્સ હોય કે બીજો કોઈ પણ મહત્વનો પ્રેસ અફેર હોય તેમાં શંકરસિંહને હાજર રાખવામાં આવતા નથી. શંકરસિંહે હમણા નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસે યોજ્યો તેમાં કોંગ્રેસના કોઈ અગ્રણીઓ દેખાયા નહીં.ટિકીટવાંચ્છુઓ પણ એમ સમજીને દૂર રહ્યા કે જો શંકરસિંહને ત્યાં જઈશું તો તેમના કેમ્પના ગણાઈ જઈશું અને ટિકીટ મળતી હશે તો ય કપાશે.

રાજકારણમાં તમે નેતા હોવ તો તમારી પાસે કેટલા ઈલેક્ટેડ પ્યાદાઓ છે એ વાત બહુ મહત્વની નીવડતી હોય છે. શંકરસિંહ પાસે આવનારી વિધાનસભામાં જેટલા વધારે ધારાસભ્યો હોય એટલો તેમનો ગુજરાતના રાજકારણમાં તેમનો પાવર વધારે રહેશે. શંકરસિંહ આ વાત જાણે છે માટે પોતાના માણસોને ટિકીટ અપાવવા માટે જીતી શકે એવા ઉમેદવાર તરીકે પક્ષ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે અને ટિકીટ મળે એનો પ્રયાસ કરી રહ્યા છે. સામે ભરતસિંહ અને અહેમદ પટેલ આણિ મંડળી શંકરસિંહને કાબૂમાં કરવા શક્ય બને ત્યાં શંકરસિંહના માણસોની ટિકીટ કાપી રહ્યા છે.

શંકરસિંહ હાઈ પ્રોફાઈલ છે, સ્વતંત્ર વૃત્તિ ધરાવે છે, પોતાની ટોળકી અને ટોળુ ધરાવે છે, તેમના ભૂતકાળના ખજૂરાહો કાંડને કોંગ્રેસે નજીકથી જોયો છે. ભવિષ્યમાં ખજૂરાહો જતી ફ્લાઈટમાં કોંગ્રેસના ધારાસભ્યો હોય તો શું એવા સપના અસલ કોંગ્રેસીઓને આવે છે.એટલેજ પાયલટ શંકરસિંહના પેસેન્જરોન ટિકીટ જ ન મળે એની કસરત ચાલી રહી છે.

લોકોના સવાલ અને અર્જુન મોઢવાડિયા ઉવાચ ….

13-11-2007

્રસંગ હતો ગુજરાત કોગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના લોકો સાથે સંવાદનો. લોકો ફોન પર તેમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે અને અર્જુનભાઈ જવાબ આપે લાઈવ, ટીવીના પરદે. અર્જુનભાઈને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે મોદી સરકારમાં જે ખરાબ છે એની જ વાતો કેમ કર્યા કરો છો? આ સરકારે કંઈ સારુ તો કર્યું હશેને એની વાત તો કરો? તો અર્જુનભાઈએ કહ્યું કે મારુ કામ તો વિરોધ પક્ષ તરીકે સરકારની ત્રુટિઓ કહેવાનું છે, કંઈ સારુ કર્યુ હોય તો એ તમે ચૂંટણીમાં નક્કી કરજો , અર્જુનભાઈને પૂછાયું કે તમને મોદી સામે વાંધો છે એ તો ઠીક પણ બીજો કોઈ મુદ્દો છે તમારી પાસે ? તમે તો મોદીના વિરોધ સિવાય બીજી કોઈ વાત જ નથી કરતા. તમારો વિરોધ ભાજપ સામે છે કે મોદી સામે છે? અર્જુનભાઈએ કહ્યું કે અમારો વિરોધ કોઈ પક્ષ કે વ્યક્તિ સામે ક્યારેય રહ્યો નથી, અમારો વિરોધ તો મોદી જેનું પ્રતિનિધિત્વ કરે છે એ વિચારધારા સામે છે. બીજું એ કે ખુદ ભાજપના જ કેશુભાઈ,કાશીરામ,સુરેશભાઈ અને સંખ્યાબંધ ધારાસભ્યો કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપ છે જ નહીં હવે ભાજપના નામે જે છે તે એક વ્યક્તિ જ છે અને તે છે નરેન્દ્ર મોદી અર્જુનભાઈને પૂછાયું કે અફઝલને ફાંસી કેમ નથી આપવામાં આવતી એની વાત કરોને? અર્જુનભાઈએ કહ્યું કે આ મામલો ન્યાયતંત્રનો છે, કોંગ્રેસ ઈચ્છે તો ફાંસી મળી જાય એવું નથી.

તમે સામે ચાલીને ભાજપને રામસેતુ જેવો મુદ્દો કેમ આપી દીધો એવા પ્રશ્નના જવાબમાં અર્જુનભાઈ કહે છે કે વર્ષો પહેલા રામસેતુ યોજના અંગ્રેજોએ બનાવી હતી જેના પર પછીથી ક્યારેય વિચારવામાં આવ્યુ ન હતુ. એ તો ભાજપના અત્યારના પ્રભારી અરૂણ જેટલી જ્યારે ભાજપની પાછલી વાજપેયી સરકારમાં શીપીંગ મંત્રી હતા ત્યારે તેમણે આ યોજના ફરીથી ઉખાળી અને તેના પર કામ આગળ ચલાવ્યું. જ્યારે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો ત્યારે કેન્દ્ર સરકાર હેઠળના અધિકારીઓએ વાજપેયી સરકારે તૈયાર કરેલો જવાબ રજૂ કર્યો હતો કે ભગવાન રામ હતા જ નહીં. અને જેવી સોનિયાજીને આની ખબર પડી તેવોજ અધિકારીઓના સસ્પેન્શનનો અને એફીડીવીટ પાછી ખેંચવાનો નિર્ણય થયો.

અર્જુનભાઈને પૂછવામાં આવ્યું કે ગોરધન ઝડફિયાને કોંગ્રેસમાં કેમ નથી સમાવતા? તો અર્જુનભાઈએ જવાબ આપ્યો કે ગોરધનભાઈએ પોતેજ ઈચ્છા પ્રગટ કરી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાવા નથી માંગતા, ચૂંટણી પણ નથી લડવાના પણ ભાજપ અને મોદી વિરૂદ્ધ પ્રચાર કરવાના છે. શું ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ નિષ્ફળ અને નબળી પાર્ટી સાબિત નથી થઈ એવા પ્રશ્નના જવાબમાં મોઢવાડિયાએ કહ્યું કે નરેન્દ્ર મોદીને મારવા આવેલા આતંકવાદીઓ ઉડાવી દેવાના નામે ગુજરાત સરકારે ૫૩ એન્કાઉન્ટર કરાવી મોદીને હીરો બનાવવાનો પ્રયત્ન કર્યો એ સત્ય અમે બહાર લાવ્યા, સુજલામ સુફલામનો ભ્રષ્ટાચાર અમે ખુલ્લો કર્યો, સૌરાષ્ટ્રમાં કોળીની દીકરી ચાંદની પર બળાત્કાર થયો અને તેની હત્યા થઈ તેની સામે કોંગ્રેસે સૌરાષ્ટ્ર બંધનું એલાન આપ્યું જે સફળ થયું.

અર્જુનભાઈ કહે છે કે એક જમાનો હતો કે જ્યારે નહેરૂ પટેલ અને ગાંધી જેવા માણસો સોનાની ચમચી સાથે મોટા થયા હતા અને પછીથી દેશ ખાતર બધુ છોડીને ફકીરીમાં જીવતા હતા જ્યારે બીજી તરફ આ નરેન્દ્ર મોદી છે કે જે ઝૂંપડામાં જનમીને આજે વૈભાવ વગર ચલાવી શકતા નથી, હાથમાં બે લાખની ઘડિયાળ પહેરે છે અને દિવસમાં ત્રણ વાર ડિઝાઈનર કપડા બદલે છે. ગાંધીનગરનું સચિવાલય જે સત્તાનું કેન્દ્ર તો છે પણ લોકોની સમસ્યાઓ સુલઝાવવાનું પણ કેન્દ્ર છે પણ મોદીએ સચિવાલયમાં સામાન્ય માણસ પ્રવેશી જ ન શકે એવુ કરી નાખ્યુ છે, અરે અમને સુદ્ધા અંદર જતા તકલીફ પડે છે પણ પાંચ કરોડપતિઓને તકલીફ પડતી નથી. આ સરકારે પાંચ કરોડપતિઓને જમીનની અને ટેક્સ રાહતોની પંદર હજાર કરોડની લ્હાણી કરી છે.સુજલામ સુફલામ યોજનામાં પાંચસો કરોડનો ભ્રષ્ટાચાર છે એનો વિધાનસભાની સમિતિ કે જેમાં પંદરમાંથી દસ સભ્યો ભાજપના હતા તેણે તૈયાર કરેલો અહેવાલ વિધાનસભામાં મૂકવામાં ન આવ્યો, કેગનો રિપોર્ટ છુપાવી રાખવામાં આવે, આખા ભારતમાં સૌથી ઓછા વિધાનસભાના સત્રના દિવસો ગુજરાતમાં છે, ભારતની સંસદના સ્પીકરે દેશભરની વિધાનસભાઓના સ્પીકરો સાથે મિટીંગ કરી હતી તેમા નક્કી થયેલી ગાઈડલાઈન અનુસાર ગુજરાત વિધાનસભાના જેટલા દિવસનું સત્ર હોવું જોઈએ એટલા દિવસનું સત્ર મોદી બોલાવતા જ નથી. આ લોકશાહી પરંપરાનું અપમાન છે કારણકે આના લીધે વિરોધ પક્ષ અસરકારક રજૂઆતો કરી શકતો નથી.

કેન્દ્ર સરકારે ગુજરાતને પૂર રાહત માટે જે સહાય આપી છે એ પૂરી વપરાઈ જ નથી અને આ સહાય કેટલી વાપરી અને ક્યાં વાપરી એનો ખુલાસો રાજ્ય સરકાર કરતી નથી. અમારી વારંવારની માંગણી છતા પણ. એ જ રીતે શહેરી વિકાસ માટે પણ કોંગ્રેસની કેન્દ્ર સરકારે ગુજરાતને જે સહાય આપી છે એનો વિવેક કરવાના બદલે મોદી કેન્દ્રમાંથી કશું મળ્યું જ નથી એમ ગાઈ વગાડીને કહે છે.

હુહ!! અર્જુનભાઈ આ બધુ આપના મોઢે અગાઉ પણ સાંભળ્યું છે અને આપના નિવેદનો અખબારોમાં વાંચ્યા છે. કાશ આપ અને આપની પાર્ટી એ પણ કહી શકો કે નરેન્દ્રભાઈ અને ભાજપની સરકાર અધમમાં અધમ ભલે હોય પણ કોંગ્રેસ સત્તા પર આવે તો શું કરવા માંગે છે? અને ભૂતકાળમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે શું કર્યું હતુ?

મિઠાઈ, મોદી અને પત્રકારો

12-11-2007 Gossip
દરેક વર્ષે દિવાળીમાં અખબારી કાર્યાલયો પર પત્રકારદીઢ મિઠાઈનું એક બોક્સ ભાજપ ઓફિસ તરફથી નિયમિત રીતે પહોંચી જતુ હોય છે. પત્રકારો ભાજપ વિરૂદ્ધ મણમણનું લખતા હોવા છતા ભાજપ અચૂક મિઠાઈ મોકલાવે છે અને પેલા વિરૂદ્ધમાં લખનારાઓ તેને હોંશે હોંશે ખાય છે પણ ખરા.

પણ પત્રકારો જેને લાભ કરાવતા હોય છે તે કોંગ્રેસ તરફથી મિઠાઈ ક્યારેય પણ આવતી નથી. જેપીના એક મિત્રકાર પત્રકારે આ વખતે તો કોંગ્રેસમાં ફોન કરી નાખ્યો અને મજાકના મૂડમાં કહી પણ દીધું કે ભઈ આ કોંગ્રેસવાળાઓ માટે પત્રકારો આટલુ બધુ કરે છે પણ દિવાળીમાં મિઠાઈ તો ભાજપ મોકલાવે છે અને કોંગ્રેસ નથી જ મોકલાવતુ. આવુ કેમ ? તો કોંગ્રેસના ગુજરાતના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અરે ભઈ મિઠાઈની કિંમત શું ? કોંગ્રેસને સત્તા પર આવવા દો, મિઠાઈ કરતા ઘણું વધારે જ મળશે. અમરસિંહ ચૌધરી અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે (તેમની રીતસરની ડ્યુટી બજાવનારા) પત્રકારો કેવા ન્યાલ થયા હતા એ તમને ખબર નથી ?

કોંગ્રેસના આ નેતાની વાત સાચી છે. અમરસિંહ ચૌધરી અને ચીમનભાઈ પટેલ આ બે કોંગ્રેસી નેતાઓ એવા હતા કે જેઓ તેમની પસંદગીના પોલીટીકલ પત્રકારોને જમીનથી માંડીને બદલીઓ અને રોકડ વ્યવહાર સુદ્ધાની લહાણી કરતા હતા. આવા મલાઈ કમાયેલા પત્રકારો આજે પણ કરોડોપતિ છે. આ બે મુખ્યમંત્રીઓએ ચોથી જાગીરને પૈસાની આદત પાડી હતી.

પેલા મારા મિત્રકાર પત્રકારનું કહેવું છે કે હમણાની નરેન્દ્ર મોદી સરકારે આવી જ ઉદારતા ઉદ્યોગપતિઓ માટે બતાવી છે. નરેન્દ્રભાઈની સરકારમાં ઉદ્યોગપતિઓ અને મંત્રીમંડળના મંત્રીઓ માલામાલ થયા છે. પત્રકારોની ફરિયાદ છે કે બીજુ બધુ તો છોડો પણ મોદીના શાસનમાં પત્રકારોનો બેઝીક ખોરાક એવા ન્યુઝ પણ નથી મળતા.નરેન્દ્રભાઈને બીજા પક્ષોની સરકાર હતી ત્યારે સરકાર વિરૂદ્ધ છપાય એ સારુ લાગતુ હતુ, ચીમનભાઈ પટેલ માટે ચીમનખાન લખનારા પત્રકારોને ફોન કરીને શાબાશી આપતા હતા અને પોતાની સરકાર આવી એટલે પત્રકારોને પોઝીટીવ લખવાની, માખી નહી પણ મધમાખી બનવાની સલાહો આપવા માંડ્યા.

કેશુભાઈ દર બુધવારે પત્રકાર પરિષદ ભરતા હતા, નરેન્દ્રભાઈએ એ બંધ કરાવી દીધુ, કેશુભાઈના સમયમાં અને તે પહેલા પત્રકારોને અમદાવાદથી દરરોજ રીપોર્ટીંગ માટે ગાંધીનગર સચિવાલય લઈ જવા માટે માહિતી ખાતાની બસ ચાલતી હતી, નરેન્દ્રભાઈએ એ બંધ કરાવી દીધું.મંત્રીઓને અને અધિકારીઓને પત્રકારો સાથે વાત ન કરવાની સૂચના આપી દીધી. સરકારની કોઈ પણ પોલ ખૂલે એટલે પત્રકારને આ માહિતી કોણે આપી એની નરેન્દ્રભાઈ તપાસ કરાવે, છાપાઓની એડવર્ટાઈઝ બંધ કરીને પણ કહેવામાં આવે કે તમે અમારી વિરૂદ્ધ કેમ લખો છો, નરેન્દ્રભાઈ જાહેર સભામાં પણ માતબર અખબારોને નામ લીધા વગર બેફામ ભાંડે આની સામે કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા કે ભરતસિહ સોલંકી પત્રકારોને સારામાં સારુ એટેન્શન આપે, સમય આપે, ક્યારેય પણ સસ્મિત રીતે સાંભળે, કામકાજ પૂછે, કરી આપે અને સજેશન પણ લે….મારા પત્રકાર મિત્ર એમની વાત પૂરી કરે છે. છાપાના કાળા અક્ષરોની સેના કેમ નરેન્દ્ર મોદી પર ચડાઈ કરતી રહે છે એ તથ્યનું આ ટ્રેલર છે.ટૂંકમાં..

પત્રકારોની ગત ન્યારી છે
મિઠાઈની બાબત સિવાય ભાજપ અધમ છે,
મિઠાઈની બાબત સિવાય કોંગ્રેસ પ્યારી છે.

એનસીપી ને કોંગ્રેસની ડબલ સવારી:પ્રીત છે નહીં, થતી નથી ને કરવી છે

11-11-2007 Gossip
જનાબ ન્યુસન્સ વેલ્યુ પણ કોઈ વેલ્યુ હોય છે. પૂછો કોંગ્રેસને. પાછલી ચૂંટણીઓમાં શરદ પવારની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ(એનસીપી)ન્યુસન્સ વેલ્યુ બતાવીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસના મતો તોડ્યા હતા જેનો લાભ ભાજપને મળ્યો હતો. ઉદાહરણ સાથે સમજીએ તો માનો કે એક વિસ્તાર છે કે જેમાં મુસ્લિમો અને હિંદુઓની મિક્સ વસ્તી છે. ભાજપ અહીં હિંદુ ઉમેદવારને ઉભો રાખે છે અને કોંગેસ મુસ્લિમ ઉમેદવારને. આ સાથે જ કોંગ્રેસ પોતાના મુસ્લિમ મતોને શ્યોર ગણે છે. પણ ત્યાં જ ચૂંટણીમાં એન્ટ્રી મારે છે એનસીપી. એનસીપી વગદાર અન્ય એક મુસ્લિમ ઉમેદવારને અહીં જ ચૂંટણીમાં ઉભો કરી દે છે. હવે જંગ ત્રિંપાંખિયો થઈ જાય છે અને મુસ્લિમોના વોટ કે જે અગાઉ માત્ર કોંગ્રેસને મળવાના હતા એનું વિભાજન થઈ જાય છે અને તેથી કોંગ્રેસ અને એનસીપી બેઊ હારે છે ને ભાજપ જીતી જાય છે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આવુ ન થાય તે માટે કોંગ્રેસે તમામ ત્રીજા મોરચાઓ સાથે જોડાણ કરવાનુ નક્કી કર્યુ છે. જેમ કે દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર વોટ તોડી જતા હતા તેમની સાથે સમાધાન કરી લીધુ છે. એ જ રીતે ભાજપના અસંતુષ્ટો સાથે પણ સમાધાન કરી લીધુ છે.પરંતુ જેપીના સોર્સ કહે છે કે એનસીપી સાથે સમાધાનમાં માર્ગમાં રોડા આવી રહ્યા છે. દર અસલ એનસીપી દક્ષિણ ગુજરાતની વલસાડ જિલ્લાની મોટા પોધા સીટ કોંગ્રેસ પાસેથી માંગી રહ્યું છે. મોટા પોઢા સીટ એ કોંગ્રેસની પરંપરાગત રીતે ગઢ ગણાતી સીટ છે. અહીંથી કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી નિયમિત રીતે જીતે છે. આવામાં આવી લગડી સીટ એનસીપીને આપવા માટે કોંગ્રેસ અને જીતુભાઈ ચૌધરી બંને તૈયાર નથી. બીજી તરફ એનસીપીનો આગ્રહ છે કે આ સીટ એનસીપીના ઉત્તમભાઈને જ લડવા દો અને કોંગ્રેસ આ સીટ પરથી ન લડે.

મોટા પોઢા સિવાય એનસીપી વડોદરાના સયાજીગંજ, ભરૂચના ઝઘડિયા, મધ્ય ગુજરાતના સારસા, સાબરકાંઠાના મોડાસા, પોરબંદર જિલ્લાના કુતિયાણા અને ભાવનગર જિલ્લાના મહુવામાંથી કોંગ્રેસના બદલે પોતે ચૂંટણી લડવા ઈચ્છે છે. આમાં સારસામાંથી એનસીપીના રાજ્ય પ્રમુખ જયંત બોસ્કી, કુતિયાણામાંથી ગોડમધર સંતોકબહેન જાડેજાના દિયર ભૂરા મૂંજા, અને મહુવામાંથી છબીલદાસ મહેતાના દીકરાજી ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ ઈચ્છે છે કે સાવ હારી જવાની સીટો હોય એ કોંગ્રેસ ભલે જતી કરે અને એનસીપી ભલે ત્યાં લડે. જેમ કે ઝઘડિયામાં જનતાદળના છોટુભાઈ વસાવા જ જીતે છે એટલે એ સીટ જતી કરવામાં વાંધો નહીં, એ જ રીતે મહુવામાં ભાજપના સેવાભાવી ડોક્ટર કનુભાઈ જ જીતે છે એટલે એ પણ જતી કરી શકાય, કુતિયાણામાં ભાજપ જ જીતે છે અને મોડાસામાં ૧૯૮૫ પછી ક્યારેય કોંગ્રેસ જીત્યું નથી તો સયાજીગંજ વડોદરાનો શહેરી વિસ્તાર છે અને ચુસ્ત ભાજપી છે એટલે આ બધી સીટો પર કોંગ્રેસ ન લડે અને સમજૂતી કરીને એનસીપીને લડવા દે તો ગુમાવવાનુ નથી. પણ વાત હાલ તો મોટા પોંઢા પર અટકેલી છે.

મોદી,રૂપાલા,મોઢવડિયા..નેતાઓની શુભેચ્છાઓ ..ને બદલામાં નેતાઓને શુભેચ્છાઓ

11-11-2007 Gossip
નવા વર્ષે નેતાઓના શુભેચ્છા સંદેશ કેવા રહ્યા? નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૨૦૧૦માં જ્યારે ગુજરાત રાજ્ય પોતાના પચાસ વર્ષની ઉજવણી કરતુ હોય ત્યારે ગુજરાત સ્વર્ણિમ ગુજરાત હોય અને ગુજરાત માટે તે સમયકાળ પણ સ્વર્ણિમ હોય, ગુજરાતનો વિકાસ નિર્વિધ્ને થાય, ગુજરાતીઓ એક જ સૂત્ર અપનાવે કે ‘જીતેગા ગુજરાત’ એવી મારી શુભકામનાઓ છે(લો વળી પાછુ નવુ એક સૂત્ર, નરેન્દ્રભાઈ ગુજરાત તો જીતેલુ જ છે, આ વખતે તો ભાજપની જીતવાની તૈયારીઓ કરો).

તો ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા કહે છે કે પાછલુ વર્ષ ભલે ગમે એવુ(જેવુ તેવુ) ગયુ હોય પણ હવે નું વર્ષ ગમે એવુ(ગમતુ હોય એવુ)જાય એવી શુભેચ્છાઓ છે(રૂપાલાજી પાછલી વિધાનસભાની ચૂંટણીમાં તમે ૨૬ વર્ષના લબરમૂછિયા સામે ચૂંટણી હારી ગયા હતા એમ આ વખતે ન હારો એવી અમારી પણ શુભેચ્છા).

તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા કહે છે કે ગુજરાત જે દેશના અગ્રીમ રાજ્ય તરીકે પાછળ પડી ગયુ છે એ ફરીથી પોતાનુ સ્થાન મેળવે અને નિર્વ્યસની ગુજરાત બને એવી શુભેચ્છાઓ(અર્જુનભાઈ કોંગ્રેસીઓને નિર્વ્યસની બનાવો એવી અમારી શુભેચ્છા અને ગુજરાત માત્ર આઈટીની નોકરીઓમાં પાછળ છે બાકી તમારી જ કેન્દ્ર સરકારની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે ગુજરાત સૌથી આગળ છે)

અશોક ભટ્ટના ટિકિટ વિવાદનું પોસ્ટમોર્ટમ

10-11-2007 Gossip
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપ અશોક ભટ્ટને ચૂંટણીમાં ઉભા રહેવાની ટિકીટ જ ના આપે એવુ બને નહીં. પણ પાછલા કેટલાક દિવસથી આવુ થશે ને નહી થાય એવી વાતો અખબારોમાં ચગી રહી છે. હમણા માણેકચોકમાં ફટાકડા બજારમાં જબરજસ્ત આગ લાગી ત્યારે જેપી ત્યાં રિપોએટીંગ માટે પહોંચ્યો હતો અને ત્યાં જેપીને મળી ગયા અશોક ભટ્ટના સુપુત્ર ભૂષણ ભટ્ટ. ભૂષણભાઈને પૂછ્યું કે આ અશોકભાઈ જેવા અતિ સિનિયાર મીનીસ્ટરનું કેમ આમ ટિકીટ માટે ફાંફાં હોવાનું ચર્ચાય છે? તો ભૂષણ ભટ્ટે કહ્યું કે ‘ભઈ આમાં એવુ છે કે હું કોર્પોરેટર હોવાથી પપ્પા અશોક ભટ્ટના નામની ટિકીટ માટે ભાજપના નિરીક્ષકો સામે રજૂઆત કરવા ગયો ને નિરીક્ષકો એ વખતે હસવાના મૂડમાં હતા. તેમણે મને કહ્યું કે તમારા પપ્પાને આ વખતે ટિકીટ નથી આપવાની, બોલો તમારે ઉભા રહેવું છે? તો મેં કહ્યું કે આ તો સચિને ૯૯ રન માર્યા હોય અને કેપ્ટન એનો દાવ ડિક્લેર કરાવી દે એવી વાત થઈ. પપ્પા ખાડિયાના એક જ મતવિસ્તારમાંથી સળંગ સાત વાર જીત્યા છે અને હવે આ ચૂંટણીમાં ઉભા રહીને આઠમી વાર જીતે એટલે ભારતમાં એક જ મતવિસ્તારમાંથી સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ તૂટવાનો છે. અશોકભાઈએ ચિર સમયથી ખાડિયાના ધારાસભ્ય તરીકે કામ કર્યુ પછી હવે તેમના ઉંમરના આખરી પડાવમાં તેમને ચૂંટણી નહીં લડવા દેવાની? આવુ તો ના હોય’ પછી જેપીએ ભૂષણભાઈને પૂછ્યું કે તો પછી ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ અશોક ભટ્ટના મુકાબલામાં પોતે કેમ ભાજપની ખાડિયાની ટિકીટ માંગી છે? આનો જવાબ અશોકભાઈના દીકરા ભૂષણભાઈએ એવો આપ્યો કે મયૂરે તો પક્ષના નિરીક્ષકોને માત્ર એમ કહ્યું હતુ કે તેણે સાંભળ્યુ છે કે આ વખતે ભાજપ અશોકભાઈને ટિકીટ નથી આપવાનું એટલે જો પક્ષ અશોકભાઈને ટિકીટ ન જ આપવાનો હોય તો પોતે દાવેદાર છે. આ વાત પછી એ રીતે ચગી છે કે અશોક ભટ્ટને આ વખતે ભાજપમાંથી ખાડિયાની વિધાનસભા ચૂંટણીમાં ઉભાર રહેવાની ટિકીટ જ નથી મળવાની. નિરીક્ષકોએ મારી સાથે કરેલી મજાકના પગલે ખરેખર તો વાતનું વતેસર થઈ ગયું… હશે ભૂષણભાઈ, વાત ખાડિયાની હોય તો વાતનું વતેસર ન થાય તો બીજુ શું થાય ? અશોક ભટ્ટ પોતે પણ પહેલી વખત તો વાત વાતમાંજ ખાડિયા વિધાનસભાની ચૂંટણીમાં ઉભા હશે ને ? અને જુઓ એ વાત વાતનું કેવું વતેસર વતેસર થયું કે આજે આઠમી વખત ચૂંટણીમાં ઉભા રહેવાની તૈયારી કરી રહ્યા છે!!


જાન્યુઆરીથી દિલ્હીની માફક મુંબઈમાં પણ ગુજરાતીઓ માટે ગુજરાતી સમાજ ભવન

09-11-2007 Gossip
કોઈપણ ગુજરાતી દિલ્હી જાય તો એને કામચલાઉ રહેવાની કોઈ ચિંતા નહીં કારણકે દિલ્હીમાં સિવિલ લાઈન્સ એરિયામાં સરસ ગુજરાતી સમાજનું ભવન આવેલુ છે. આ ભવનમાં જઈને ગુજરાતીમાં સહી કરો અથવા બીજી રીતે ખાતરી કરાવો કે તમે ગુજરાતી છો એટલે તમે એકલા પુરૂષ હોવ તો ડોર્મેટરી અને પરિવાર સાથે હોવ તો રૂમ મળી જાય. હું ૧૯૯૮માં દિલ્હીના ગુજરાતી સમાજમાં રોકાયો હતો. અહીં ગુજરાતી સમાજમાં તમને ત્રીસ રૂપિયામાં ગુજરાતી ખાવાનુ પણ મળી જાય. પરંતુ એક તરફ છેક દિલ્હીમાં ગુજરાતી સમાજનું ભવન છે અને આટલી વ્યવસ્થાઓ છે ત્યારે આશ્ચર્યજનક રીતે બીજી તરફ મુંબઈ કે જ્યાંતો ગુજરાતીઓનો દબદબો છે ત્યાં ગુજરાતી સમાજનું ભવન જ નથી. જો કે અહીં આપને એ જ તો જણાવવુ છે કે હવે મુંબઈમાં ગુજરાતી સમાજનું ભવન ખૂલી રહ્યુ છે. ઓશીવારા જોગેશ્વરી રોડ પર બંધાઈ રહેલા આ ભવનનું ઉદઘાટન આગામી પંદર જાન્યુઆરીએ નક્કી થયુ છે. બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા તૈયાર થઈ રહેલા આ ભવનમાં ડોરમેટરી હશે, રહેવાના સાદા રૂમ હશે અને એક આખો એરકન્ડિશન રૂમો વાળો ફ્લોર એનઆરઆઈ ગુજરાતીઓ માટે હશે. પણ વાત અહીં જ નથી પતતી. આ ભવનમાં એક ગ્રંથાલય, ભાડે મળે એવો ભોજન સમારંભ રાખી શકાય તે માટેનો હોલ,છઠ્ઠા માળે જાકુઝી સોના બાથ, સાતમા માળે સ્વીમીંગ પુલ અને ગ્રંથાલય પણ હશે. ઉપરાંત ગુજરાતીઓને રાહત દરે તપાસી આપે એવું સાડા ચાર હજાર ફૂટનું સ્વાસ્થ્ય કેન્દ્ર બીજા માળે હશે.


દક્ષિણ ગુજરાતના વ્યારામાં ખરેખર રામ રાજ્ય અને રોમ રાજ્યનો જંગ

08-11-2007 Gossip
જેપીને સોર્સ દ્વારા જાણવા મળ્યુ છે(કારણકે આ જાણવુ જ હતુ)ે કે કોંગ્રેસ તરફથી આ વખતે પણ દક્ષિણ ગુજરાતના વ્યારા વિસ્તારની વિધાનસભા સીટ પરથી લડવા માટે ખ્રિસ્તિ આદિવાસીની પસંદગી થઈ છે. ગુજરાતમાં હિંદુઓને વટલાવીને ખ્રિસ્તિ બનાવવાનું કામ અંગ્રેજો આવ્યા ત્યારથી થઈ રહ્યું છે.પરંતુ સક્રિય રીતે રાજકારણમાં આવ્યા હોય એવું કોંગ્રેસ થકી વ્યારા વિધાનસભા બેઠક પર બન્યુ છે. કોંગ્રેસ તરફથી ૨૦૦૪ની સાલની વ્યારાની પાછલી વિધાનસભા પેટાચૂંટણીમાં અહીં પૂનાભાઈ ગામીત નામના ખ્રિસ્તિભાઈને ટિકીટ આપવામાં આવી એટલે એ ચૂંટાયા અને હાલ ચાલુ ધારાસભ્ય છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે પણ પહેલા જ લીસ્ટમાં તેમનું નામ ફાઈનલ થઈ ગયું છે અને કોંગ્રેસે તેમના સિવાય બીજા કોઈનું નામ વ્યારા વિધાનસભા બેઠક માટે દિલ્હી મોકલ્યુ નથી.

ચિંતા એ છે કે આ વિસ્તારમાં ભોળા આદિવાસીઓનું જબરજસ્ત પ્રમાણમાં ખ્રિસ્તિ ધર્મમાં વટલાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ગામીત બોલીમાં બાઈબલ તૈયાર કરવામાં આવ્યા છે. રેડિયો કાર્યક્રમ ચાલે છે. ઠેર ઠેર ચર્ચો ખોલવામાં આવ્યા છે અને પુષ્કળ મિશનરીઓ અહીં આ બધા કામે લાગેલા છે. તેવામાં કોંગ્રેસની ભૂમિકા શંકાસ્પદ છે. ભલુ પૂછવુ કે કોંગ્રેસ જીતે તો આ ભાઈને જે વગથી ટિકીટ મળે છે એ વગથી ગુજરાતમાં મંત્રી પણ બનાવવામાં આવે અને પછી તેઓ જે પણ વિભાગના મંત્રી થાય તેના દ્વારા આદિવાસીઓનું ‘કલ્યાણ’ થાય.

ગામીત એક સમયે ગુજરાતની એસટી બસના ડ્રાઈવર હતા. તેઓ ફુલ ગોસ્પેલ પેન્ટેકોસ્ટલ ચર્ચના ચુસ્ત અનુયાયી છે. વ્યારાના સીએનઆઈ પેરીશ સેક્રેટરી માર્ટીન ટેલરે ૨૦૦૪માં પુનાભાઈની જીત પર કહ્યું હતુ કે પૂનાભાઈ ગામીત ગોસ્પેલમાં(ખ્રિસ્તિ સામ્રાજ્યમાં) ઉંડો વિશ્વાસ ધરાવે છે અને તેઓ ગુજરાતના આદિવાસી લોકોનો ન્યાય કરશે. તો આ વખતે રેવેરેન્ડ રાજાવાડીએ કહ્યું હતુ કે ખ્રિસ્તિઓજ આદિવાસીઓનું ભલુ કરી શકે છે, ખ્રિસ્તિઓ ‘ગ્રેટર પ્રોમીનન્સ’માં આવશે તો તેમને થતી હેરાનગતી દૂર થશે.

પેલી પ્રવીણ તોગડિયા મંડળીએ ચૂંટણીથી દૂર રહેવાના નાહકના નખરા કર્યા વગર અહીં કામે લાગવું જોઈએ અને કાર્યકરોને કામે લગાડવા જોઈએ. પ્રશ્ન એ છે કે વિધાનસભાની બે ચૂટણીઓથી વ્યારામાં આદિવાસી બહુમતિ હોવા છતા અહીં કોંગ્રેસની ટિકીટ ખ્રિસ્તિને ટિકીટ કેમ મળે છે ? તો જવાબમાં ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર આપેલા પુનાભાઈના બાયોડેટામાં મોજૂદ તેમના વિદેશ પ્રવાસનું લીસ્ટ જોઈ લો: પૂનાભાઈના વિદેશ પ્રવાસના લીસ્ટમાં ખ્રિસ્તી દેવસ્થાનો વાળા દેશ ઈઝરાઈલ, પેલેસ્ટાઈન, ઈજિપ્ત ઉપરાંત ઈટાલી પણ છે. ઈટાલી.. સમજાયુ કંઈ? અહીં ખરેખર ચૂંટણી રામ રાજ્ય વિરૂદ્ધ રોમ(ઈટાલી) રાજ્યની છે.

નોંધ:જ્યારે પૂનાભાઈ ૨૦૦૪માં કોંગ્રેસ તરફથી ચૂંટાયા ત્યારે તેની નોંધ યુરોપના ખ્રિસ્તિ માધ્યમોએ લીધી હતી. ઈન્ટરનેટ પર ફ્રેન્ચમાં આ અંગે છપાયેલો લેખ મોજૂદ છે જેનું અંગ્રેજી ટ્રાન્સ્લેશન કરીને તેનું ગુજરાતી કરીને જેપી અહીં પ્રસ્તુત કરે છે.

“ગુજરાતના ખ્રિસ્તિઓએ સ્થાનિક વિધાનસભાની ચૂંટણીને સર્વોચ્ચ મહત્વનો બનાવ લેખ્યો છે. ૧૩ ઓક્ટોબરે સ્થાનિક પ્રોટેસ્ટન્ટના એથનીક ગ્રુપનો સભ્ય ૧૩૦૦ મતોના તફાવતથી જીત્યો છે. પુનાભાઈ ઢેડાભાઈ ગામીત કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ વ્યારાની વિધાનસભા સીટ પર જીત્યા છે. રાજ્યમાં વિધાનસભાની બીજી પણ પાંચ બેઠકો પર આ જ દિવસે મતદાન હતુ જેમાંથી ત્રણ કોંગ્રેસ અને બે ભાજપ જીત્યુ છે.વ્યારા માટે છ ઉમેદવારો મેદાનમાં હતા જેમંના પાંચ ગામીત હતા જેઓ આ મત વિસ્તારના ૧૬૮૨૬૯ ઉમેદવારો પૈકી આશરે પચાસ ટકા વસ્તી ધરાવે છે. વ્યાર સીટ અહીંના અગાઉના વિધાનસભ્યથી ખાલી પડતા અહીં ચૂંટણી થઈ.ચર્ચ(પ્રોટેસ્ટન્ટ)ઓફ નોર્ધર્ન ઈન્ડિયાના રેવ(ખ્રિસ્તિ વડા) એ જે રાજાવડી આ વિજયને(ખ્રિસ્તિ ઉમેદવારના વિજયને)આ વિસ્તાર(ગુજરાત)માં નવા ટ્રેન્ડ તરીકે જુએ છે કે જ્યાં એથનીક લઘુમતિઓની સંખ્યા વસ્તીમાં મોટો ભાગ ધરાવે છે. આ ખ્રિસ્તિઓનું વધુ જાહેર પોલીટીકલ કમીટમેન્ટ દર્શાવે છે કે જેમાના ઘણા ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયામાંથી છે.”


સરદાર,તિલક અને અંગ્રેજો:શાહબુદ્દીન રાઠોડના ચિંતનમાંથી

07-11-2007 Gossip
શાહબુદ્દીન રાઠોડ અને મોરારી બાપુ બંનેમાં સામ્ય છે. બંને જણા બોલે ત્યારે વ્યંગ કરે છે, સમકાલીન સમાજનો આયનો બતાવે છે, ખૂબ બધુ વાંચ્યુ હોય એ સરણ વાણીમાં અને બોધપ્રદ રીતે રજૂ કરે છે. મંગળવારે છ નવેમ્બરે ટાગોર હોલમાં આરપાર મેગેઝીન દ્વારા શાહબુદ્દીન રાઠોડની હાસ્યબારસ સંધ્યા હતી. આમાં બકુલ ધોળકીયા, કેડીલાના માલિક શ્રી મોદી, ડીસીપી અભય ચુડાસમા, આજતક ફેમ ધીમંત પુરોહિત આ બધા મોજૂદ હતા. શરૂઆત તો સરસ રહી પણ શાહબુદ્દીનભાઈ જ્યાં થાકે અને વિરામ લેવા બીજા કલાકારને માઈક આપે ત્યાં ઓડિયન્સ ખાલી થતુ જાય.કાર્યક્રમ રાતના સાડા બાર સુધી ચાલ્યો. શાહબુદ્દીનભાઈને અગાઉ બાર વાગ્યા સુધીનુ કહેવાયુ હતુ પણ પછી આયોજકો દ્વારા સવાબાર સુધી ખેંચવાનું કહેવામાં આવતા તેમણે અનિચ્છાએ આગળ ખેંચ્યું અને હોલમાં આયોજકો તરફથી ચાલતો વિડિયો કેમેરો બંધ કરાવી દીધો. ખૈર શાહબુદ્દીનભાઈની આ મહેફિલમાંથી જેપીએ ડાયરીમાં ટપકાવેલી ઢગલાબંધ વાતોમાંથી બે ચાર ચિંતનની વાતો અહીંયા પ્રસ્તુત છે.

- એક વખત સરદાર પટેલ, પુત્રી મણિબેન, સુશીલા નૈયર અને કોઈક ચોથા એમ ચાર જણા બેઠા હતા. આમાંના એકે કહ્યું કે મણિબેન એવા લૂગડા પહેરે છે કે રસ્તા કિનારે ઉભા હોય તો ભિખારી સમજીને કોઈ પૈસો નાખતો જાય. આ સાંભળી સુશીલાબહેને કહ્યુ કે મણિબહેન તો સરદારનું ધોતિયુ ફાટ્યુ હોય એને થીંગડુ મારે અને એ થીંગડાવાળુ ધોતિયુ જૂનુ થાય એટલે એના થીંગડા ઉકેલી પોતાની સાડી પર મારે છે. સરદારે જવાબમાં કહ્યું કે હશે … જેનો બાપ કમાતો ન હોય એની તો આ જ હાલત હોય ને ?

શાહબુદ્દીનભાઈએ કહ્યું કે આવો હતો ભારતનો ગૃહમંત્રી સરદાર. એ સમ્રાટ અશોકથીય વધુ મોટુ રાજ ભોગવનાર હતો. ૫૬૨ દેશી રજવાડા એક કરીને બેઠો હતો પણ એ સરદાર મર્યો તો પાછળ લોખંડની ટ્રંક અને ૨૬૨ રૂપિયા માત્રની મિલકત મૂકીને ગયો હતો. આ વાત જુવાનિયાઓ સુધી પહોંચાડવી જોઈએ કે આવો ય માણસ હતો.(તો લો શાહબુદ્દીનભાઈ અમે દેશગુજરાતના માધ્યમથી આ વાત હજારો જુવાનિયાઓ સુધી અહીં પહોંચાડી દીધી.)

-અંગ્રેજો ભારત પર રાજ કરવા આવેલા ત્યારે ભારતનો સર્વે કર્યો હતો અને તારણમાં કહ્યુ હતુ કે ભારત એવો દેશ છે કે જ્યાં લોકો દેશને નહી પણ પગાર આપનારાને વફાદાર છે.પછી ઈસ્ટ ઈંડિયા કંપની આવી અને ભારત ૧૯૦ વર્ષ ગુલામ રહ્યુ.

-અંગ્રેજોએ આપણા શૂરવીર લડવૈયાઓના શસ્ત્રો ઈંગ્લેન્ડમાં લઈ જઈને મૂકી રાખ્યા છે.શિવાજીની તલવાર અને ગુરૂ ગોવિદસિંહનો ભાલો વગેરે… શાહબુદ્દીને તેમના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પૂછ્યું કે આ ભારતના શૂરવીરોના જૂના શસ્ત્રો કેમ ઈંગ્લેન્ડ લાવીને રાખ્યા છે તો જવાબ મળ્યો કે કોઈ પ્રજાને બરબાદ કરવી હોય તો તેને તેનો ઈતિહાસ ભૂલાવડાવી દેવાનો હોય છે. આ જૂના શસ્ત્રો જોઈને પણ ભારતના લોકોને કાલે એમની વીરતાઅનો ઈતિહાસ યાદ ન આવે અને શૂરાતન ના ચડે એ માટે તેમને અહીં લાવીને મૂક્યા છે.

-લોકમાન્ય તિલકને અંગ્રેજ કોર્ટે પૂછ્યું કે તમારે માફી માંગવી છે તો તમને જવા દઈશું નહીંતો આંદામાન નિકોબારમાં કાળા પાણીની જેલમાં ધકેલીશું. તો તિલકે કહ્યું હતુ કે માફી માંગીને અહીં મહારાષ્ટ્રમાં રહું તો અહીં જ મારા માટે કાળા પાણી અને માફી માંગ્યા વગર આંદામાન નિકોબારની કાળા પાણીની જેલમાં જઊં તો એ જ મારા માટે મહારાષ્ટ્ર.


પાકિસ્તાન સરહદે કચ્છમાં ઉભા થઈ રહેલા નવા જિન્નાહોને કોંગ્રેસ ખોળો ન આપે

06-11-2007 Gossip
જેપીએ ૨૦૦૪માં ઈન્ડિયન એક્સ્પ્રેસમાં અરૂણ શૌરી લિખીત ચાર હફ્તાની સીરીઝ વાંચી હતી જેની સ્મૃતિ હજુ મગજમાંથી જતી નથી. ચાર લેખોની આ સિરીઝ માં અરૂણ શૌરીએ પૂર્વ ભારતની બાંગ્લાદેશ સરહદના વિસ્તારોમાં મુસ્લિમોની સતત વધતી જતી વસ્તી અંગેની અને તેની બિહાર, પશ્ચિમ બંગાળ જેવા સરહદી રાજયો પર રાજનીતીક અસરની વાત કરી હતી. ચોંકાવનારા આંકડા અને વિગતો વાંચીને એમ થાય કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે ત્યાં?

પણ ગુજરાતના સરહદી વિસ્તારની વાત પણ કંઈ જુદી નથી. વિધાનસભાની ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસે કચ્છમાં કમસેકમ એક મુસ્લિમને ટિકીટ આપવી જોઈએ એવી કચ્છના મુસ્લિમોએ કાગારોળ મચાવી છે. જો કોંગ્રેસ એક પણ મુસ્લિમને ટિકીટ નહી આપે તો મુસ્લિમો આ સરહદી જિલ્લામાં પોતાનો મુસ્લિમ ફ્રન્ટ બનાવશે અને મુસ્લિમ મતદારોની બહુમતિને આધારે મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણી લડશે એવુ કચ્છના મુસ્લિમ કોંગ્રેસી લીડરોએ બયાન આપ્યું છે.

સરહદી અબડાસા તાલુકાના કોંગ્રેસી પ્રમુખ હીંગોરા મહંમદ હુસૈન, નખત્રાણા તાલુકાના કોંગ્રેસ ઉપપ્રમુખ અનવર ચકી, કચ્છ જિલ્લા કોંગ્રેસના સેક્રેટરી લખપત(પાકિસ્તાન સીમાને લગભગ અડીને આવેલા)ના હાસમભાઈ આ બધા કહે છે કે તેઓ આ વિસ્તારોમાં બહુમતિમાં છે તેથી બિનમુસ્લિમ કોંગ્રેસી ઉમેદવારને નહીં જ સાંખી લે. કચ્છ કોંગ્રેસના સેક્રેટરી આદમ ચાકી અને સરહદી અબડાસા વિસ્તારના એક સમયે ધારાસભ્ય રહી ચૂકેલા ઈબ્રાહીમ મુંધ્રા કહે છે કે કચ્છની છ વિધાનસભા બેઠકો પૈકી ભુજમાં ૬૨૦૦૦, અબડાસામાં ૩૯૦૦૦, માંડવીમાં ૨૫૦૦૦, મુંદ્રામાં ૨૪૦૦૦, અંજારમાં ૨૩૦૦૦ અને રાપરમાં ૧૩૦૦૦ મુસ્લિમ મતો છે માટે મુસ્લિમ ઉમેદવાર જ જોઈએ. કચ્છ જિલ્લા કોંગ્રેસના લઘુમતિ સેલના પ્રમુખ ઉમર સામા કહે છે કે કચ્છમાં કોંગ્રેસ એક મુસ્લિમને ટિકીટ નહી આપે તો અમે કોંગ્રેસને મૂશ્કેલીમાં મૂકીશું. તાજેતરમાં સોનિયા ગાંધીના રાજનીતીક સલાહકાર ગુજરાતી અહેમદ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી ત્યારે કચ્છના આ મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ તેમને પણ રજૂઆત કરી હતી.

જેપીને કચ્છમાં મુસ્લિમ વસ્તી વધી ગઈ છે, વધી રહી છે અને તેના હવે રાજનીતીક પરિણામો પણ આવી રહ્યા છે એ જાણીને અતિશય ચિંતા થાય છે. મુસ્લિમોની વસ્તી જ્યાં જ્યાં વધે ત્યાં ત્યાં તેઓ અસહિષ્ણુ બની જ જાય છે અને પહેલા રાજકિય પ્રતિનિધિત્વ અને પછી અલગ શાસન પછી માંગે છે. કચ્છમાં ભયંકર વિકાસ કરીને હિંદુઓને ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી ત્યાં જતા કરવાનુ, વસતા કરવાનું સ્વપ્ન ગુજરાતના નેતાઓએ જોવુ પડશે અને તેને પૂરુ કરવુ પડશે.

યાદ રહે મહંમદ અલી ઝીણા(જિન્નાહ) ગુજરાતી હતો, ઔરંગઝેબ ગુજરાતમાં જનમ્યો હતો. હવે ગુજરાતમાં આવો કોઈ નવો પેદા થવા દેવાનો નથી. કમસેકમ કોંગ્રેસ તો આવા કોઈને પેદા થવા દેવા માટે ખોળો ન જ આપે. ઔરંગઝેબ સમયે કોંગ્રેસ હતી નહી. જિન્નાહ કોંગ્રેસના ખોળે ઉછર્યો અને અલગ રાષ્ટ્ર લઈ ગયો. તકલીફ જેટલી જિન્નાહોની નથી હોતી એટલી ખોળાની હોય છે.


વાત ગઝલની,અમદાવાદની,જગજીત સિઘની,મનહર ઉધાસની અને જેપીની

05-11-2007 Gossip
એક વખત ગઝલ ગાયક જગજિતસિંઘ અમદાવાદની રાજપથ ક્લબમાં ગઝલ ગાવા માટે આવ્યા હતા. રાજપથની હરિયાળી લોન પર આયોજકોએ ખાણીપીણીન સ્ટોલ પણ રાખ્યા હતા. જગજિતસિંઘ ગઝલ ગાતા હતા ત્યારે લોકો આમથી તેમ ચાલતા હોય અને ખાવાની ચીજો લઈ આવતા હોય, ખાતા હોય આવુ બધુ ચાલે. એક તબક્કે તો જગજિત અકળાયા અને કહ્યું કે મને ગાવાનો આનંદ નથી આવી રહ્યો મને લાગે છે કે જાણે હું બજારમાં ઉભો ઉભો ગાઈ રહ્યો છુ. જેપી ત્યારે ત્યાં હતો અને એને એ વાત બિલકુલ સાચી લાગી હતી. પછી જગજિત અમદાવાદના ટાઉનહોલમાં આવ્યા હતા અને તેમની સામે તકાયેલા વિડિયો કેમેરા તથા કેમેરાની લાઈટથી અકળાઈને તેમણે કહ્યું હતુ કે આ કેમેરો અને લાઈટ મારી ગાવાની એકાગ્રતા બગાડે છે અને હુ ઓડિયન્સને જોઈ શકતો નથી માટે તેને હટાવો.

ખેર, હમણા જેપીએ ગુજરાતી ગઝલોના બાદશાહ એવા મનહર ઉધાસની ગઝલ સંધ્યાનો કાર્યક્રમ અમદાવાદના એસજી હાઈવે પર વાયએમસીએ ક્લબના મેદાનમાં જોયો ત્યારે લાગ્યુ કે મનહર ઉધાસ ખાસ્સા સહનશીલ છે. મેદાનમાં લોકોની અવરજવર, નાસ્તા એ બધુ ચાલતુ હોય પણ ઉધાસ સાહેબ તો તેમની ગતમાં ગાયા જ કરે.

અમદાવાદની ગઝલ સંધ્યામાં મનહર ઉધાસે ચૂંટણીને લગતી એક કોમેન્ટમાં કહ્યું કે અહીં સૌ ગઝલ પ્રત્યેના, મારા પ્રત્યેના પ્રેમને કારણે આવ્યા છે પણ હવે ચૂંટણી આવવાની છે ત્યારે હમણા થોડા દિવસ પછી એવી સભાઓ ભરાશે કે જેમાં સૌ લાવવામાં આવ્યા હશે. પછી તેમણે પેલો શેર કહી સંભળાવ્યો જેનો મતલબ છે કે બે દિલવાળા મળી જાય તો મિજલસ છે ને દિલ વગર હજારો મળી જાય તો ય સભા નથી હોતી. જેપીએ આ જ શેર પરથી કહેવુ છે કે મનહર ઉધાસ આપણી સામે બેસીને વાજાપેટી વગાડતા વગાડતા ગાતા હોય તો ગઝલ સાંભળવી ગમે જ એવુ નથી હોતુ પણ તેમની ગઝલની સીડી ઘરમાં વાગતી હોય, અંધકાર હોય, શાંતિ હોય અને એકલા એકલા હિંચકા ખાતા હોઈએ ત્યારે ગઝલ સાંભળતા સાંભળતા આનંદ સાથે કલ્લાકો વીતાવી શકાય છે. ગઝલ સાંભળવી એ દિલનો વિષય છે, ધ્યાનનો વિષય છે, ગઝલ મહેફિલનો વિષય છે, સભાનો નહીં … ખેર મનહરભાઈની નવી સીડીનું નામ છે આભાર અને તે ગુજરાત સમાચાર સંગીત દ્વારા બહાર પાડવામાં આવી છે.

ચૂંટણી ચકરાવો: આજકાલ શું ચાલી રહ્યું છે?

04-11-2007 Gossip
મધ્ય ગુજરાતમાં સોનીયા ગાંધીની ચૂંટણી સભા પૂરી થતાની સાથે જ કોંગ્રેસી નેતાઓ આણંદ નજીકના ફાર્મ હાઉસમાં કોને ટિકીટ આપવી એની ચર્ચામાં જોતરાઈ ગયા છે. આજકાલ ગુજરાતમાં રાજકીય વાતાવરણ શાંત છે કારણકે ભાજપ અને કોંગ્રેસની આખી ટોપ હરોળ બંધ બારણે કોને ટિકિટ આપવી એની ચર્ચામાં વ્યસ્ત છે. એક વખત આ મિટિંગો પૂરી થશે પછી ગુજરાતથી નક્કી થયેલી ઉમેદવારોની યાદી દિલ્હી જશે અને પછી દિલ્હીના આંટાફેરા થશે. દિલ્હીની વિધિ પછી ભાજપના ઉમેદવારોની યાદી લગભગ લાભપાંચમ પછી બહાર પડે એ શક્ય છે. અલબત્ત કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત છેલ્લી ઘડીએ પણ થઈ શકે છે. આ છેલ્લી ઘડી એટલેકે આ મહિનાની બાવીસમી તારીખ. કારણકે બાવીસ નવેમ્બર પછી ચૂંટણીનું ફોર્મ ભરી શકાશે નહીં.કોંગ્રેસની યાદી ભાજપની યાદીથી પહેલા તૈયાર થઈ જાય શક્ય છે.કોંગ્રેસ માને છે એક યાદી વહેલી તૈયાર કરી દઈએ તો ઉમેદવારને તૈયારી કરવામાં પહેલ મળે અને લાંબો સમય પણ રહે. બેઉ પક્ષોમાં કોને ટિકિટ આપવી એની મિટિંગો ચાલતી હોય ત્યારે કઈ બેઠક પર સામો પક્ષ કોને ટિકિટ આપવાનો છે એ જાણવાનુ તંત્ર પણ પેરેલલ ચાલતુ હોય છે. આ કામ કઈ રીતે થાય છે અને કોણ કરે છે એ જેપી તમને અહીં નહી કહે.

વેલ તો ૨૩મી નવેમ્બરથી ભાજપનો પ્રચાર શરૂ થશે. અડવાણી, રાજનાથસિંઘની ૪૦ સભાઓ થશે. કોંગ્રેસનું પણ લગભગ આ જ શીડ્યુલ છે. રાહુલ ગાંધીને ગુજરાતના પ્રચારમાં જોતરવા અંગે શનિવારે સોનિયા ગાંધી સાથે ફેસ ટુ ફેસ ડિસ્કશન થઈ ગયુ છે.ભાજપ માટે નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ માટે રાહુલ ગાંધી સ્ટાર પ્રચારકો રહેવાના છે.

આઈટી હોય કે મોટેલ કે ફિલ્મ ‘સાંવરિયા’, ગુજરાતીઓનો મંત્ર:’ટીમ ગુજરાતી’

03-11-2007 Gossip
આઈટીમાં કામ કરતા જેપીના ગુજરાત બહાર વસેલા ગુજરાતી યારદોસ્તો કહે છે કે તેઓને તેમની કંપનીમાં કર્મચારીની જરૂર પડે અને ભરતીમાં થોડુ ઘણુ ચાલતુ હોય તો આઊટ એન્ડ આઊટ ગુજરાતીઓની જ ભરતી કરે છે. સાઉથ ઈન્ડિયનો આવી લોબી ચલાવતા હોવાથી ગુજરાતીઓ પણ આમ લોબી ન ચલાવે તો ગુજરાતી છોકરાઓને આઈ.ટીમાં નોકરી મળે નહી માટે અમે ગુજરાતી ભાઈઓની જ ભરતી કરીએ છીએ એમ આ યારો કહેં છે.અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં પણ ગુજરાતીઓએ આવુ જ કર્યું છે.

કેટલાક સમય પહેલા જેપી વત્સલ શેઠ નામના બોલીવૂડના ગુજરાતી હીરોને મળ્યો હતો ત્યારે તેણે કહ્યું હતુ કે તેને ફિલ્મ ટારઝન ધ વન્ડર કારમાં ગુજરાતી અબ્બાસભાઈ મસ્તાનભાઈએ બ્રેક આપ્યો. આજ રીતે થોડા દિવસ પહેલા રાજકોટના ગુજરાતી શકીરા ફેમ ઉત્પલ જીવરાજાણી સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે હિમેશ રેશમિયાની આખી મ્યુઝીક ટીમ ગુજરાતીઓથી ભરેલી છે.

પણ અહીં મારે મૂળ વાત કરવી છે આવનારી ફિલ્મ સાંવરિયાના ગુજરાતી ડીરેક્ટર સંજય લીલા ભણસાલીની. સંજયભાઈના ફિલ્મના લેખક મુંબઈગરા ગુજરાતી પ્રકાશ કાપડિયા છે. ૧૯૮૪થી હરિફાઈ માટેના આંતર કોલેજ નાટકો લખવાથી કામકાજ શરૂ કરનાર પ્રકાશભાઈ માત્ર સંજય માટે ફિલ્મ લખે છે. અગાઉ દેવદાસ અને બ્લેક જેવી ફિલ્મો પણ પ્રકાશ કાપડિયાએ લખી છે. સંજય લીલા ભણસાલીએ બે વખત પ્રકાશ લિખિત સ્ટોરીની ગુજરાતી ફિલ્મ દરિયાછોરૂ જોઈ પછી તેને સામેથી કામ આપ્યુ હતુ.પ્રકાશભાઈ માત્ર ફિલ્મોજ નહીં પણ ક્યારેક ગીતો પણ લખી જાણે છે. જેમ કે દેવદાસનું ‘હમ પે યે કીસને હરા રંગ ડાલા…માર ડાલા’ ગીતનુ મુખડુ તેમણે લખ્યું છે.

રશિયન લેખક દોસ્તોવસ્કીની નોવેલ પરથી સંજયે ફિલ્મ બનાવવાનુ કહ્યુ અને પ્રકાશભાઈએ તેના પરથી સ્ક્રીપ્ટ લખવાનું શરૂ કર્યું એ ફિલ્મ સાંવરિયા નવમી નવેમ્બરે રીલીઝ થવાની છે. ગુજરાતી સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં માત્ર લેખક જ નહીં પણ એક ગીત માટે ગાયક તરીકે પણ ગુજરાતી પાર્થિવ ગોહિલનો હાથ ઝાલીને તેને બ્રેક આપ્યો છે. સાંવરિયાનું ‘યું શબનમી’ગીત પાર્થિવે ગાયુ છે. એ જ રીતે ફિલ્મના કોશ્ચ્યુમ ડિઝાઈન માટે અમદાવાદના અનુરાધા વકીલને કામ સોંપાયુ હતુ. મીશીગન યુનિવર્સિટીના એમબીએ અનુરાધાએ સાવરિયામા ફિલ્મની હીરોઈન સોનમ કપૂર અને રાણી મુખર્જી માટે ડ્રેસ ડિઝાઈન કર્યા છે.તો આ બધા ગુજરાતી ચહેરા સાંવરિયાની સફળતાની રાહ જોઈ રહ્યા છે.પેલી ઊક્તિ ખબર છે ને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એ જ ન્યાયે જેપી કહે છે કે ‘જ્યાં જ્યાં કામ કરે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ બીજા ગુજરાતીઓને લઈ આવીને તે રચી દે ગુજરાત’

ત્રણ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ:કોંગ્રેસના મધ્યગુજરાત પ્રેમનુ ગણિત

02-11-2007 Gossip
અડવાણી કે વાજપેઈ ગુજરાત મુલાકાતે આવતા હોય તો ગુજરાત ભાજપમાં રૂટીન માહોલ જ રહેતો હોય છે પણ સોનિયા ગાંધી ગુજરાતમાં આવવાના હોય તો તેના અઠવાડિયા પહેલાથી ગુજરાતના કોંગ્રેસી આગેવાનો ઉજાગરા કરતા હોય છે. આજકાલ ઉજાગરા ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કેન્દ્રિય મંત્રી તથા ખેડાના સાંસદ શ્રી દિનશા પટેલ કરી રહ્યા છે કારણકે સોનિયા ગાંધી ત્રીજીએ તેમના વિસ્તારમાં સભા કરવાના છે અને જ્યારે સોનિયા ગાંધીની સભા હોય ત્યારે કોંગ્રેસ અચૂક ત્યાં વિરાટ જનમેદની ભેગી કરી દે છે, અલબત્ત રાતના ઉજાગરા વેઠીને.

દર અસલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરસિંહ સોલંકી(આણંદ) મધ્ય ગુજરાતમાંથી છે, કેન્દ્રમાં કોંગ્રેસના ગુજરાતમાંથી ચૂંટાઈને મંત્રી બન્યા હોય તેવા ત્રણેય જણા શંકરસિંહ વાઘેલા(કપડવંજ), નારણભાઈ રાઠવા(છોટાઉદેપુર) અને દિનશા પટેલ(ખેડા) પણ મધ્ય ગુજરાતમાંથી લોકસભામાં ચૂંટાયેલા છે. કોંગ્રેસની મધ્યગુજરાતની ગઢ જેવી વિધાનસભાની સીટો પર ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ગોધરાનો ડબ્બો સળગ્યો(ગોધરા મધ્ય ગુજરાતમાં જ છે)પછી ગાબડુ પાડ્યુ હતુ. પછી કોંગ્રેસે અહીં સમારકામ ચાલુ કર્યું અને આ વિસ્તારને ફોકસ કરીને ત્રણ કેન્દ્રિય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ અહીંથી બનાવ્યા. હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી મધ્ય ગુજરાતમાં સપાટો બોલાવવા માંગે છે. આ માટે મધ્ય ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંઘ જેવા સિનિયર વ્યક્તિને નીમવામાં આવ્યા છે.

અમદાવાદના બે રંગરસિયા અખબારો:તાજમહેલ બ્લેક એન્ડ વ્હાઈટ છે

01-11-2007 Gossip
ભઈ કોમ્પીટીશનની બલિહારી છે. અમદાવાદમાંથી હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબાર તમામ રંગીન પેજ સાથે નીકળશે. દરઅસલ ડીએનએ નામનું અંગ્રેજી અખબાર ચોવીસ પાના અને શરૂઆતની એક રૂપિયો કિંમત સાથે આજે પહેલી નવેમ્બરથી બહાર પડી રહ્યું છે એટલે એની સામે ટાઈમ્સે આમ કર્યું છે.

જેપીને યાદ છે કે આજથી એક છોડીને બીજી હોળી પર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૌ પ્રથમ વખત દિલ્હી એડીશનમાં તમામ પાના રંગીન કરવાની ઘોષણા કરી હતી. આ ઘોષણા કરવા ટાઈમ્સે એવો ગીમીક કર્યો હતો કે દિલ્હીની ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની આખી ઓફિસના બિલ્ડિંગનો બાહરી દેખાવ લોકો જોતા રહી જાય એવો રંગ બે રંગી કરી નાખ્યો હતો.આના સમાચાર અને ફોટોગ્રાફ અમદાવાદમાં બેઠા જોઈને જેપીને થતુ હતુ કે અમદાવાદમાં આ તમામ રંગીન પાનાવાળો વાયરો ક્યારે ફૂંકાશે? અને જુઓ આ ફૂંકાઈ ગયો.

પાછલા વર્ષે અમદાવાદની આઈઆઈએમમાં ઈન્ડિયન એક્સપ્રેસના મુખ્ય તંત્રી શેખર ગુપ્તાને મળવાનુ થયુ હતુ.શેખરે ઘણી વાતો કરી તેમાંની એક વાત એ હતી કે તે દેશભરમાં જે પણ શહેરમાં જાય ત્યાં સડક કિનારે લાગેલા હોર્ડિંગ્ઝ અવશ્ય જુએ છે. હોર્ડિંગ્ઝ જોઈને માલૂમ પડે છે કે શહેરમાં શેનો વાયરો ચાલી રહ્યો છે.તો આ વાતને જો જેપી ફોલો કરે તો આજકાલ અમદાવાદમાં ઠેર ઠેર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તમામ પેજ રંગીનના હોર્ડિગ્ઝ અને ડીએનએ મારી પસંદગીનું અંગ્રેજી છાપુના હોર્ડિંગ્ઝ દેખાઈ રહ્યા છે.

તો રંગ છે બાપુ.પણ રંગની સાથે ઢંગનું પત્રકારત્વ પણ હોય તો જ અર્થ સરશે ભાઈ. અન્યથા બહુ રંગીન છાપુ ભલે હોય, લોકોએ ક્યાં તેને પહેરીને ફરવાનુ છે, આખરે તો વાંચવાનું જ છે ને ? તો આ રંગરસિયાઓ તેમની હરિફાઈમાં છેવટે તો વાંચકોને વાંચન શું આપે છે એ જોવાનું છે. બાકી તો તાજમહેલ બ્લેક એન્ડ વ્હાઈટ છે પણ તાજમહેલ છે.

Note:Gujarati fonts can be read clearly only in Internet Explorer and not in Firefox browser

(required)
(required)
(required)

 

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World