Bhutto’s death, Gujarat … and Narendra Modi’s No Ball
January 10, 2008
|
11-01-2008 નરેન્દ્રભાઈ મોદી હમણા હમણા દિલ્હી જાય ત્યારે ટીવી પત્રકારોને નેશનલ અથવા ઈન્ટરનેશનલ જે પણ ટોપીક હોટ ચાલતો હોય તેના પર પોતાની ટિપ્પણી આપી દે છે. હમણા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટર હરભજનસિંઘ પર રેસીઝમનો આરોપ આવ્યો અને નરેન્દ્રભાઈએ આ અંગે ટીવી કેમેરાઓને નિવેદન આપ્યું કે ભારતે આ કિસ્સામાં પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જેપીએ અહીં વાત કરવી છે નરેન્દ્રભાઈએ આ પહેલા આપેલા અન્ય એક વિષય પરના આંતરરાષ્ટ્રિય મામલા વિષયક નિવેદનની. દર અસલ જ્યારે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની હત્યાનો મામલો જોરમાં ચાલી રહ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈએ બેનઝીરની હત્યા પર દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે બેનઝીર ભુટ્ટોની હત્યા પર હું દુ:ખ અને વેદના પ્રગત કરુ છુ.અમારો ગુજરાતીઓનો બેનઝીર ભુટ્ટો સાથે ખાસ અને અનૂઠો સંબંધ હતો. તેણીના દાદા જુનાગઢના દિવાન હતાઅને તેણીના પિતા અને બીજા સપરિવારના સભ્યોએ કેટલાક વર્ષો ગુજરાતમાં ગુજાર્યા હતા… વગેરે વગેરે મારા મતે આ નરેન્દ્ર મોદી દ્વારા ફેંકાઈ ગયેલો ‘નો બોલ’ હતો. એવો જ ‘નો બોલ’ જેવો ‘નો બોલ’ અડવાણીએ તેમના પાકિસ્તાન પ્રવાસ વખતે મહંમદ અલી જિન્નાહની દરગાહ પર સજદો કરીને ફટકાર્યો હતો. નરેન્દ્રભાઈએ બેનઝીર ભુટ્ટોના ગુજરાત કનેક્શનને લઈને સહાનૂભૂતિની વાત કરી એનુ બેકગ્રાઉન્ડ એવુ છે કે બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો પાંચ મહિના અને અગિયાર દિવસ માટે ગુજરાતના જુનાગઢના આખરી નવાબના દિવાન હતા. પરંતુ જેઓ ઈતિહાસ જાણે છે તેઓને સારી રીતે ખબર છે કે શાહનવાઝ ભુટ્ટો કઈ બલા હતી. શાહનવાઝ ભુટ્ટો કટ્ટર મુસ્લિમ હતા. જુનાગઢ પાકિસ્તાનથી માઈલો દૂર હોવા છતા તેમણે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવુ હતુ. તેમણે જ નવાબને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા ઉશ્કેર્યા હતા અને સલાહ આપી હતી. એ તો સરદાર પટેલે આરઝી હકૂમત નામની જનતા સેના બનાવી અને મુંબઈમાં વંદેમાતરમ અખબાર ચલાવનાર ગુજરાતી શામળદાસ ગાંધીને તેનુ કામ સોંપ્યુ પછી તેના થકી નવાબ અને ભુટ્ટોએ નાછૂટકે પાકિસ્તાન ભાગી જવુ પડ્યુ હતુ અને જુનાગઢ ભારતમાં જોડાઈ શક્યુ હતુ. શાહનવાઝે જુનાગઢને હિંદુ બહુમતિ હોવા છતા, જુનાગઢ રાજ્યમાં સોમનાથનું મંદિર હોવા છતા અને જુનાગઢ-પાકિસ્તાન વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટો પ્રદેશ આવતો હોવા છતા પાકિસ્તાન સાથે જોડવુ હતુ. ૧૯ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે શાહનવાઝ ભુટ્ટોએ તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન લિયાકતખાનને પત્ર લખ્યો હતો કે જુનાગઢે પાકિસ્તાન સાથે જોડાવવુ છે.અમે તમારા ઉત્તરની રાહ જોઈએ છીએ…જલ્દીથી જવાબ મોકલાવો. જ્યારે સપ્ટેમ્બર ૧૯૪૭માં જુનાગઢનો કબજો લેવા સરદાર પટેલ પ્રેરિત આરઝી હકૂમતન ફોજ જુનાગઢ તરફ ધસી રહી હતી ત્યારે ૧૬ સપ્ટેમ્બરે શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાનને લખ્યુ હતુ કે ‘અમને જણાવો કે પાકિસ્તાન જુનાગઢને શું મદદ પહોંચાડવાનુ છે. અમને આગળનુ કદમ લેવામાં સમજ પડે… શાહનવાઝ ભુટ્ટોએ હિંદુ સ્ત્રી લખમીબાઈને વટલાવીને ધર્માંતર કરી મુસ્લિમ કરી તેની સાથે નિકાહ કર્યા હતા.અને જુનાગઢનું પાકિસ્તાન સાથેના જોડાણનુ સ્વપ્ન તૂટી જતા તથા જુનાગઢ ભારતનુજ અંગ રહેવાનુ છે એવી ખાતરી થતા પાકિસ્તાન ભાગી ગયા હતા. આ શાહનવાઝ ભુટ્ટોની જુનાગઢ લેગસી તેમની પૌત્રી બેનઝીર ભુટ્ટોના નિધન ટાણે મિડિયાએ તો ખાસ્સી ચગાવી પરંતુ નરેન્દ્ર મોદી પણ એમાં શામિલ થઈ ગયા એ જાણીને આશ્ચર્ય થયુ. ગુજરાત સાથેનો ભુટ્ટો પરિવારનો નાતો શું ગૌરવવંતો હતો તો ગુજરાતી લોકોને ભુટ્ટો પરિવાર માટે કોઈ વિશેષ હમદર્દી હોય ? બેનઝીર ભુટ્ટોની ખુદની જ વાત કરીએ તો તેમણે તેમના સમયમાં અફઘાનિસ્તાનની તાલિબાનને સપોર્ટ કર્યો હતો. કશ્મીર માટે પાકિસ્તાન સાતસો વર્ષ સુધી લડશે એવુ નિવેદન કર્યુ હતુ. ૧૯૮૮થી ૧૯૯૦ અને ૧૯૯૩થી ૧૯૯૬માં બેનઝીર પાકિસ્તાનની વડાપ્રધાન હતી ત્યારે બૂમો પાડી પાડીને કશ્મીરની સ્વતંત્રતા વિશે ભાષણ આપતી હતી. કશ્મીરના અને તાલીબાનના આતંકવાદીઓને બેનઝીર ઉશ્કેરણીજનક ભાષણો આપીને લડવા તૈયાર કરતી હતી એવા ઢગલાબંધ વિડિયો એ સમયે ટીવીમાં જોઈ શકાતા હતા.બેનઝીર ભુટ્ટોએ વડાપ્રધાન પદે હતા ત્યારે પાકિસ્તાનની ગરીબ પ્રજાને શોષીને કરપ્શન કરવામાં પણ કશું જ બાકી નહતુ રાખ્યું. પાકિસ્તાન જવાથી જિંદગીને ખતરો હોવા છતા સત્તા માટે પાકિસ્તાન પહોંચી ગયેલા બેનઝીર ભુટ્ટોને તેમણે જ એંશી-નેવુના દશકમાં જેમને તૈયાર કર્યા હતા એવા ઉગ્રવાદીઓએ મારી નાખ્યા તો એમાં નરેન્દ્ર મોદીએ સહાનૂભૂતિ વ્યક્ત કરવાની ક્યાં જરૂર હતી? નરેન્દ્ર મોદીએ બેનઝીરની હત્યાના મામલે આતંકવાદને વખોડવો હતો તો કહેવુ જોઈતુ હતુ કે જે આતંકવાદને પાકિસ્તાન પોષી રહ્યું છે એ ખુદ પાકિસ્તાનને જ નડશે અને નડી રહ્યો છે. બેનઝીરે કશ્મીરની લડાઈ માટે આતંકવાદ પોષ્યો પણ કશ્મીર ભારતમાં જ છે અને રહેશે, બેનઝીર ખુદ મરાઈ ગઈ. મુશર્રફ પણ આતંકવાદીઓના કેમ્પ બંધ નહી કરે તો કશ્મીર તો ભારતનુ છે અને રહેશે પણ મુશર્રફનુ ઢીમ તેણે જ તૈયાર કરેલા આતંકવાદીઓ ઢાળશે …મોદી કહી શક્યા હોત કે બેનઝીરની ઉશ્કેરણી અને મદદથી કશ્મીરમાં એંશી-નેવુના દશકમાં જે કશ્મીરી પંડિતો બેઘર, બેવતન થયા, મરાયા, કપાયા એનુ કર્મનું ફળ બેનઝીરને મળ્યુ …અને આ બધુ કહેવાની અનૂકૂળતા ન હોય તો મોદીએ બેનઝીર મામલે કોઈ નિવેદન કરવાનુ જ ટાળવુ જોઈતુ હતુ.પણ મોદી બેનઝીરના મોત પર દુ:ખ વ્યક્ત કરે, ગુજરાતીઓની સહાનૂભૂતિ અને ભુટ્ટો પરિવાર માટે પ્રેમ વ્યક્ત કરે એ આશ્ચર્યજનક છે. |
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- AMC Chief Reviews Makarba ROB Project, Sets July 31 Completion Target
- Ahmedabad Hottest in Gujarat at 42.2°C as State Awaits Monsoon Arrival
- Navsari Man Booked for Rape, Harassment, and Financial Exploitation of Hindu Female Employee
- Gujarat HC Pulls Up Yusuf Pathan for Occupying Public Plot Without Allotment, Warns of Costs
- 'Conman' Anil Vibhani Booked for ₹4.75 Crore Fraud in Kirtidan Gadhvi's Norat Nagari Garba Event
- ACB Gujarat Traps Municipality Clerk in Bribery Case
