Andar Bahar Gujarat: January+February+March Archives
DeshGujarat.Com/ABG ( Collection of January - February - March )
માત્ર દેશગુજરાત.કોમ પર
_______________________________________________________________________________
![]() |
હિંદી ફિલ્મનું મ્યુઝિક લોંચ અમદાવાદમાં થયુ!!
30-03-2008
મીસ્ટર બ્લેક એન્ડ મીસ્ટર વ્હાઈટ આ હિંદી ફિલ્મનું મ્યુઝીક શનિવારે અમદાવાદમાં લોંચ થયું. સુનીલ શેટ્ટી અને અરશદ વારસી આ ફિલ્મના હીરો છે પરંતુ બંને શૂટિંગમાં વિદેશમાં વ્યસ્ત હોવાના કારણે મ્યુઝિક લોંચમાં આવી ન શક્યા. અમદાવાદમાં રાજપથ ક્લબમાં પાંચ હજાર માણસની ક્ષમતાવાળુ ગ્રાઉન્ડ છે તેમાં આ મ્યુઝિક લોંચ થયુ તે પહેલા તેની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં જેપી હાજર હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વ.અજીત સાહેબના દીકરા જુનિયર અજીત(અંદાઝ અપના અપના ફિલ્મ યાદ છે?) ગુજરાતી કલાકાર કિરણ કુમાર(કે જેમણે આ ફિલ્મમાં એનઆરઆઈ ગુજરાતીનો રોલ કર્યો છે), સંગીતકાર જતીન પંડિત(જતીન લલિત વાળા) વગેરે હાજર હતા. જેપીએ જતીનને પૂછ્યું કે લલિત સાથે અને એકલા કામ કરવાના અનુભવો કેવા રહ્યા? જતીને કીધુ કે લલિત વગર કામ કરતી વખતે તો જાણે છૂટાછેડા થયા હોય એવો અનુભવ હતો. જતીનજી આ જવાબ આપતી વખતે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.તેમણે મને કહ્યું પણ ખરૂં કે યાર તમે તો દિલને હલાવી દે એવો પ્રશ્ન પૂછ્યો. જેપીએ કિરણ કુમારને પૂછ્યું કે હમણા ગુજરાતી ફિલ્મોમાં કેમ નથી દેખાતા? કિરણ કુમારે કહ્યું કે હમણા ઢંગની ગુજરાતી ફિલ્મો બને છે જ ક્યાં?
મીસ્ટર બ્લેક એન્ડ મીસ્ટર વ્હાઈટ એ હિંદી ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ ગોવામાં થયુ છે. આ ફિલ્મના પ્રોડ્યુસર ગુજરાતી બીપીનભાઈ શાહ છે. બીપીનભાઈ શાહ અને તેમના મિત્ર વ્હાઈટ હાઉસ વાળા ચંદુભાઈ પટેલ પણ પત્રકારો સાથેની વાતચીતમાં હાજર હતા. બીપીનભાઈને જેપીએ પૂછ્યું કે તમે મ્યુઝીક લોંચ માટે અમદાવાદની પસંદગી કેમ કરી? સામાન્ય રીતે તો બમ્બઈયા બોલીવુડ ફિલ્મોના મ્યુઝિક મુંબઈમાં જ લોંચ થતા હોય છે. બીપીનભાઈએ કહ્યું કે મુંબઈમાં હવે એટલી બધી ફિલ્મોના મ્યુઝિક લોંચ રોજબરોજ યોજાતા હોય છે કે એની કોઈ નોંધ પણ નથી લેતુ અને આ સામાન્ય બની ગયુ છે. અમે અમદાવાદમાં પાંચ હજારની ભીડ સામે મ્યુઝિક લોંચ કરીશું અને આ વાતને મુંબઈની ઈન્ડસ્ટ્રીવાળા પણ ફાટી આંખે જોઈ રહ્યા છે કારણકે સામાન્ય રીતે મ્યુઝિક લોંચ બંધ કમરામાં સો માણસની હાજરીમાં જ થતુ હોય છે. આનંદની વાત એ છે કે બીપીનભાઈ હવે ગુજરાતી ફિલ્મ પણ બનાવવાના છે. જેપીને આ માણસ હોશિયાર લાગ્યો એટલે જેવી તેવી ગુજરાતી ફિલ્મ નહી બનાવે. છેને સારી વાત?
********
આઈઆઈએમ અમદાવાદનુ સુકાન બરાબર વ્યક્તિના હાથમાં નથી
30-03-2008
અમદાવાદની આઈઆઈએમની આવનારા દિવસોમાં પડતી થાય તો નવાઈ ન પામતા. ભારત સરકાર જેમના ટેકાથી ચાલે છે તે એબી બર્ધનના જમાઈ હોવાથી આઈઆઈએમના ડિરેક્ટર બનેલા શ્રીમાન એસકે બરૂઆ જે રીતે નિર્ણયો લે છે અને કામ કરે છે એ રીતે જોતા લાગે છે કે આઈઆઈએમનું સુકાન યોગ્ય વ્યક્તિના હાથમાં નથી. આઈઆઈએમ અમદાવાદની બોલબાલા તેમાંથી બહાર પડતા પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ સ્ટુડન્ટને બહાર પડતાની સાથે જ મળતી નોકરીની ઉંચા પગારની નોકરીઓને કારણે છે. પ્લેસમેન્ટમાં દરેક વર્ષે પત્રકારોને હાઈએસ્ટ પગાર મેળવનાર વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ કરવા દેવામાં આવતો હતો. જેપીએ પોતે બે વર્ષ પહેલા સમીર નિગમ નામના વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો કે જેને કેપીઓમાં હાઈએસ્ટ પગાર ઓફર થયો હતો. પરંતુ આ વખતે પ્લેસમેન્ટના દિવસોમાં આઈઆઈએમે કોઈ પત્રકારને આઈઆઈએમ કેમ્પસમાં ઘૂસવા જ ન દીધો કારણકે આઈઆઈએમ કલકત્તાનું પ્લેસમેન્ટ પણ ચાલી રહ્યું હતુ અને તેમાં હાઈએસ્ટ કેટલો પગાર ઓફર થાય છે એ આઈઆઈએમ અમદાવાદે જોવુ હતુ. એક વખત કલકત્તાનો હાઈએસ્ટ પગાર જાહેર થઈ જાય પછી અમદાવાદનો કલકતાથી વધુ એવો હાઈએસ્ટ પગાર જાહેર કરવો અને એ રીતે તમામ આઈઆઈએમમાં અમદાવાદને નંબર વન જ બનાવી રાખવુ એવી સ્ટ્રેટેજી સાથે બરૂઆએ હાઈએસ્ટ પગારની જાહેરાત મોકૂફ રાખી હતી. પ્લેસમેન્ટ પૂરુ થયુ પછી હાઈએસ્ટ પગારની એક આંકડામાં નહીં પણ રેન્જમાં જાહેરાત કરવામાં આવી. એવુ કહેવામાં આવ્યુ કે પગારમાં બોનસની રકમ પણ ઉમેરીએ છીએ. બોનસ કેટલુ મળશે એ એક વર્ષ પછી નક્કી થાય છે એટલે અત્યારે અંદાજીત જ ઉમેરીને કુલ પગાર જાહેર કરીએ છીએ…. હાઈએસ્ટ પગાર મેળવનાર વિદ્યાર્થીનું નામ કે કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યુ નહી અને પત્રકારોને મળવા દેવાયા નહી….
અધૂરામાં પૂરુ હમણા આઈઆઈએમ અમદાવાદે ફી વધારાની જાહેરાત કરી છે. ફી વધારો અધધધધ છે. ૪.૨૦ લાખના બે વર્ષના અભ્યાસક્રમના સીધા ૧૧.૫ લાખ કર્યા છે. જેપીને પ્રાપ્ત માહિતી અનુસાર કોસ્ટ એકાઉન્ટન્ટ નીમીને દરેક વિદ્યાર્થી દીઠ પડતી ખર્ચની વિગત તૈયાર કરાવવામાં આવી હતી. જે અનુસાર એક વિદ્યાર્થી દીઠ આઈઆઈએમ અમદાવાદને ત્રણ લાખ એંશી હજાર ખર્ચ થાય છે. આટલા રૂપિયા સંસ્થાને કેટની પરીક્ષા અને પ્લેસમેન્ટમાં આવવા કંપનીઓ જે ડોલર/રૂપિયા ચૂકવે છે તેમાંથી મળી જ જાય છે તો પછી ફી વધારાની શી જરૂર હતી ? આટલા બધા ફી વધારાની(અઢી ગણા ફી વધારાની શું જરૂર હતી?
આ પ્રશ્નનો જવાબ પૂછવા માટે જેપી અને બીજા બે રિપોર્ટરોએ આઈઆઈએમના કોન્વોકેશન અગાઉ ડીરેક્ટર એસકે બરૂઆનો સંપર્ક કર્યો પરંતુ તેમણે પ્રેસ સાથે વાત નથી કરવી એમ કહીને વાત ટાળી લીધી. પછી તો વિદ્યાર્થીઓ સાથે તેમનો ગ્રુપ ફોટો થયો અને બાદમાં જ્યારે મોન્ટેકસિંઘ આહલુવાલિયા, બરૂઆ અને આઈઆઈએમના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન વિજયપત સિંઘાનીયા ચાલતા ચાલતા કેએલએમડીસીમાં ગયા ત્યારે જેપી અને બે પત્રકારોએ રસ્તામાં સતત ફી વઘારાના વ્યાજબીપણ અંગે પ્રશ્નો કર્યા. પરંતુ આ લોકોએ જવાબ ન આપ્યા અને એક રૂમમાં ગયા. અમે ત્રણ રિપોર્ટરો બહાર રાહ જોતા રહ્યા અને ફરી પેલા લોકો બહાર નીકળ્યા એટલે તેમને ફી વધારાની અનિવાર્યતા, ગરીબ વિદ્યાર્થીઓને સમસ્યા થશે એની ભીતી વગેરે અંગે પ્રશ્નો પૂછ્યા. પરંતુ કોઈ સંતોષકારક જવાબ નહતો. જેપીએ એસકે બરૂઆનું ધ્યાન દોર્યું કે દરેક વર્ષે કોન્વોકેશન પહેલા બોર્ડ મીટીંગ હોય છે એના પછી પત્રકાર પરિષદ હોય છે પણ આજે કેમ નથી રાખી? શું ફી વધારાના પ્રશ્ને પત્રકારો તમને ઘેરશે એની તમને ભીતી હતી? તમે આન્સરેબલ છો તમે અમને જવાબ કેમ નથી આપતા ?
ખેર આ ત્રણેય મહાનુભાવો પછી તો કોન્વોકેશનમાં જોડાયા. કોન્વોકેશન પછી ફરીથી પત્રકારોએ તેમને ઘેર્યા. એટલે છેવટે તેમણે જવાબ આપ્યો કે સંસ્થાની આર્થિક સ્વાયત્તતા અને સમૃદ્ધિ માટે ફી વધારી છે. થોડા થોડા સમયે ફી વધારતા ગયા હોત તો એકસાથે અઢી ગણી વધારી છે એવુ ન લાગત… આર્થિક નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીશું. સ્કોલરશીપ માટેની યોગ્યતાની લીમીટ અગાઉ વાર્ષિક બે લાખની કૌટુંબિક આવક ધરાવતા હોય તે હતી પણ હવે તે છ લાખ કર્યા છે …..
દર અસલ જ્યારે એસકે બરૂઆ આઈઆઈએમના ડિરેક્ટર પદે આવ્યા ત્યારે આઈઆઈએમના કામ, સંશોધન અને કન્સલ્ટેશન સમાજ માટે અને વંચિત માણસ માટે ઉપયોગી થાય તે દિશામાં આ સંસ્થાને લઈ જવાની તેમણે જાહેરાત કરી હતી. પણ કેપીટાલીસમનો વિરોધ કરનારા સામ્યવાદીઓ જ મોટા કેપીટાલીસ્ટ બની જાય છે તેમ આ એસકે બરૂઆની કથની કરની એક જણાઈ નથી. બરઆ આઈઆઈએમ અમદાવાદની આગામી સમયમાં શાન ઓછી કરશેે એવુ મારૂ જર્નાલીસ્ટીક ઓબ્ઝર્વેશન છે. પ્લેસમેન્ટ અને ફી એ બેઉ મહત્વના પ્રસંગોએ બરૂઆ બોગસ સાબિત થયા છે.
************
![]() |
બોલીવૂડની કેટલીક હસ્તીઓ સાથે જેપીના રીસન્ટ એન્કાઉન્ટરની વાતો
27-03-2008
આજે અહીં વાત કરવી છે થોડા બમ્બઈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે મુલાકાતના જેપીના તાજેતરના અનુભવોની. થોડા દિવસો પહેલા ટેલિકોમ કંપની આઈડિયાની કોન્સર્ટ ટાણે ગાયક શાને પત્રકારો સાથે મુલાકાત કરી. શાનનો પ્રશ્ન એ હતો કે પત્રકાર પરિષદમાં એને કોઈ પ્રશ્ન જ પૂછતુ ન હતુ. શાને પ્રશ્નોની અનુપસ્થિતિમાં જાતે જ બકબક કર્યા કરી અને છેલ્લે તો એમ કહ્યું કે તમે કોઈ પ્રશ્ન નહી પૂછો તો મારે આમ જ બકબક કર્યા કરવી પડશે જે તમે ઉદાર ભાવે સહન કરી રહ્યા છો. જેપી સહિત એક બે પત્રકારોએ પત્રકાર પરિષદના ભલા માટે પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા પણ બાકીના તમામ પત્રકારો રવિવારના મૂડમાં હતા અને પ્રશ્ન પૂછવાની રજા પાળી રહ્યા હતા. છેવટે શાને કહ્યું કે એક-બે પત્રકારોને જવાબ આપવામાં હું બાકીના તમામને હોસ્ટેજ રાખવા નથી માંગતો. ચલો તમે વન ટુ વન પ્રશ્ન જ પૂછી લેજો. હું થોડી વાર અહીં જ છું. પત્રકાર પરિષદ પૂરી કરીએ. શાનની સાથે પત્રકાર પરિષદમાં તેની પત્ની રાધિકા પણ હાજર હતી. રાધિકા અમદાવાદની છે અને પાલડી દશાપોરવાડ સોસાયટીમાં શાનનું સાસરુ આવેલુ છે. શાન બંગાળી છે પણ પત્ની અમદાવાદની હોવાથી અમદાવાદને પોતાનુ ઘર માને છે. શાને જે ફ્રેન્કનેસથી અને નમ્રતાથી પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને પોતાની નબળાઈઓ પણ સ્વીકારી હતી એ જોતા જેપી શાનને એક સારા માણસ તરીકે ૧૦માંથી ૧૦ માર્ક આપે છે. અમદાવાદની છોકરી ગમેતેવાને તો પસંદ કરે ?
ખૈર હવે વાત કરીશ ડાન્સ ડિરેક્ટર સરોજ ખાનની. આ લેડી અતિશય ઘમંડી અને ભયંકર તુમાખીવાળા સ્વભાવની છે. અમદાવાદની અન્ય એક પત્રકાર પરિષદમાં જેપીની સરોજ ખાન સાથે રીતસર તૂતૂ મેંમેં થઈ ગઈ હતી. જેપીએ સરોજ ખાનને પૂછ્યું કે ગુજરાતના ગરબાની ડાન્સ સ્ટાઈલ વિશે એક ડાન્સર અને ડાન્સ ડિરેક્ટર તરીકે આપની શું કોમેન્ટ છે? નવરાત્રિની અને એવી પારંપરિક ડાન્સ સ્ટાઈલો જોવા નીકળો છો? આ પ્રશ્નનો જવાબ સરોજ ખાને ભારે ઉદ્ધતાઈથી એવી રીતે આપ્યો કે “હું મારી ડાન્સ સ્ટાઈલો મારી કલ્પનાશક્તિથી જાતે વિચારી કાઢુ છું, કોપી નથી કરતી કે મારે સ્ટાઈલો જોવા બહાર નીકળવુ પડે ને ગરબા જોવા પડે.” સાથી પત્રકારે સરોજ ખાનને પૂછ્યું કે “તમે માધુરી દિક્ષિત સાથે ઘણી ફિલ્મો કરી પણ માધુરીએ તેની કમબેક ફિલ્મ આજા નચલે માં તો તમને ડાન્સ ડિરેક્ટર તરીકે ન રાખ્યા? શું કોઈ મનદુ:ખ છે?” સરોજ ખાન ભયંકર ગુસ્સે થઈ ગઈ અને જવાબ આપ્યો કે “માધુરીએ મને ન રાખી તો એની મરજી અને એના ફિલ્મ ડિરેક્ટરની મરજી. માધુરીએ તો અગાઉ પણ દિલ તો પાગલ હૈ ફિલ્મમાં શ્યામક દાવર પાસે નૃત્ય નિર્દેશન કરાવ્યુ હતુ એ વખતે કેમ આ પ્રશ્ન ઉભો ન કર્યો? મારે કોઈ સ્ટારની જરૂર નથી. હું તો મારી સામે મોટી સ્ટાર હોય કે શીખાઉ બાળક, બંનેને એક સમાન જોઉ છું” જેપીએ પ્રશ્ન પૂછ્યો કે આપની સતી નામની ફિલ્મનો શું પ્રોગેસ છે? આ વાત પર સરોજ ખાન સખત અકળાઈ અને કીધુ કે “ડોન્ટ આસ્ક સીલી ક્વેશ્ચન. ઈટસ ઓઈલ એન્ડ વોઈડ”. મારા સાથી ગુજરાતી પત્રકારે મને પૂછ્યું કે “ઓઈલ એન્ડ વોઈડ” એટલે શું? સરોજ ખાને આ સાંભળ્યુ એટલે એકદમ અમારા તરફ વળી અને કહ્યું “બુદ્ધુઓ તમને આટલી પણ ખબર નથી? અંગ્રેજી આવડતુ નથી?” હવે મારી ખોપડી ગઈ. મેં કહ્યું કે “અમે ગુજરાતી પત્રકારો છીએ શક્ય છે કે અંગ્રેજીનો કોઈ શબ્દ ન પણ આવડે”
ખેર આ વાતચીત પછી ભોજનનો કાર્યક્રમ હતો. પત્રકારોએ નક્કી કર્યુ કે ઘમંડી સરોજ ખાનને એક પણ પ્રશ્ન પૂછવો નહી અને એવોઈડ કરવી. સરોજ ખાને એકલા બેઠા બેઠા ખાધુ. પછી જેપીએ વિદાય વેળાએ તેમને કહ્યું “સરોજજી તમને મળતા અગાઉ મને પ્રશ્ન થતો હતો કે સરોજ ખાન નામની નેવુના દસકની પ્રતિભાવંત ડાન્સ ડિરેક્ટર ક્યાં ખોવાઈ ગઈ? ઠીક છે કે એનડીટીવી ઈમેજીન ચેનલ પર હમણા હમણા તમારો નચ લે વીથ સરોજ ખાન કાર્યક્રમ આવે છે એટલે તમે ફરી જાણીતા થયા છો, બાકી તો કેટલાય નવા ડાન્સ ડિરેક્ટરો તમારાથી વધુ કામ મેળવી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ તમારી સાથે કામ કરવાની ના પાડી, તમારી સતી ફિલ્મ ફ્લોર પર જ ન જઈ શકી, માધુરી દિક્ષિતે તમારા નિર્દેશનમાં ફિલ્મમાં કામ કરવાની ઓફર ઠુકરાવી અને માધુરીએ એની છેલ્લી ફિલ્મમાં ડાન્સ ડિરેક્ટર તમને ન રાખ્યા એ બધુ કેમ થયુ એના જવાબ આજે તમારો સ્વભાવ જોઈને મળી ગયા. તમે ઘમંડી, શોર્ટ ટેમ્પર્ડ અને વાત કરવાને પણ લાયક નથી એ આજે તમારા ટોન, અવાજ, બોડી લેંગ્વેજ, ભાષા અને વર્તાવ પરથી મારુ જર્નાલીસ્ટીક જજમેન્ટ છે.” વાત પૂરી કરીને હું ઝડપભેર ચાલી નીકળ્યો. સરોજ ખાનનું મોઢુ જોવા ય ન રહ્યો.
અને છેલ્લે વધુ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી મેન સંગીતકાર ઈસ્માઈલ દરબારની વાત કરી લઉ. આ માણસ જેપીને માઈક પકડવાનો , શેખી મારવાનો, અને બોલવાનો શોખીન લાગ્યો. પરંતુ સ્વભાવનો તો આ માણસ પણ નખરા વાળો અને પિત્તળ છે. ૨૦૦૭માં ઈસ્માઈલ દરબારની એક પણ સંગીત નિર્દેશન વાળી ફિલ્મ આવી નથી. ઈસ્માઈલ દરબાર સુરતનો ગુજરાતી છે. તેનો હાથ ઝાલીને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંજય લીલા ભણસાલી નામનો અન્ય એક ગુજરાતી લાવ્યો હતો. પણ સંજયે પણ તેની આખરી ફિલ્મ સાવરિયામાં ઈસ્માઈલ દરબારને સંગીત નિર્દેશક તરીકે રાખ્યો નથી. ઈસ્માઈલ દરબાર હોટેલમાં લીફ્ટની રાહ જોતા હતા અને બોલ્યા કે બહુત ઈંતઝાર કરવાયા લીફ્ટને. જેપીએ તુરંત જ કહ્યું કે આમ તો અમનેય તમે બહુ રાહ જોવડાવી ૨૦૦૭ની સાલમાં તમારા સંગીત નિર્દેશનવાળી એક પણ ફિલ્મ માટે. ઈસ્માઈલે જવાબમાં કહ્યું કે તમે ફિલ્મ બનાવો તો મને ચાન્સ મળે. મેં કહ્યું સંજય લીલા ભણસાલીએ પણ સાવરિયામાં તમને ન રાખ્યા. ઈસ્માઈલ દરબારે કહ્યું કે સંજય દોસ્ત છે, મને તો આ ઈન્ડસ્ટ્રીમાં તે જ લાવ્યો પણ મારી સાથે તેણે કોઈ કરાર થોડો કર્યો છે કે તેની દરેક ફિલ્મમાં હું જ હોઉં?
*******
![]() |
જે શહેરમાં બિન લાદેનના ફોટા ઉંચકીને ફરનાર ગદ્દારોના ટોળા હોય
ત્યાં ઘોડે ચડીને બંદૂકના ધડાકા કરનાર ધારાસભ્ય ભલે હોય
25-03-2008
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવામાં તેમની લાયસન્સવાળી જર્મન રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયર કર્યા અને બીજે દિવસે દિલ્હીથી જેપીના સેક્યુલર ચેનલ રિપોર્ટરનો ફોન આવ્યો: ક્યા કહેતે હો જેપી ઈસ બારેમેં? મેં કહ્યું કે તમારે શિષ્ટ શિષ્ટ કોંગ્રેસી જવાબ જોઈતો હોય તો કહી દઉ કે ધારાસભ્ય થઈને કાયદાનો ભંગ કર્યો છે, શરમજનક કૃત્ય, આ ધારાસભ્ય પહેલેથી જ કલંકિત છે વગેરે વગેરે પણ તમારે મારો દિલથી જવાબ જોઈતો હોય તો એ જવાબ એ છે કે આ ધારાસભ્યે ખાનગીમાં છુપાઈ છુપાઈને નહીં પણ સરાજાહેરમાં બિન્દાસ્ત ગોળીઓ છોડી છે. તેણે ગોળીઓ કોઈ માણસ પર કે પ્રાણી પર છોડી નથી માત્ર હવામાં છોડી છે, ગોળી ચલાવવાનો ઉદ્દેશ્ય કોઈને મારવાનો કે ભયભીત કરવાનો હરગીઝ ન હતો પણ ધૂળેટીની મધુ શ્રીવાસ્તવ ભારતના જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશની સ્ટાઈલથી ઉજવણી કરવાનો હતો(મધુકુમાર મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસીના છે).
દિલ્હીના પત્રકારે આગળ પૂછ્યું કે મોદીજીનું આ ધારાસભ્ય પરત્વે શું રિએક્શન હશે ? મેં કહ્યું કે મોદી આ ન્યુઝ સાંભળીને શરૂઆતમાં ખડખડાત હસ્યા હશે. પછી બોલ્યા હશે કે “હવે આ મધુલાલનું તો શું કરવું?” પછી થોડી વાર વિચારીને પુરૂષોત્તમ રૂપાલાને ફોન લગાવ્યો હશે અને તેમને કામ સોંપ્યુ હશે કે મધુ શ્રીવાસ્તવને ફોન કરીને કડક ભાષામાં કહો કે મિડિયાના પોરસ ચડાવ્યે ચડી જઈને કેમેરા જોઈને ચગી જઈને આવુ બધુ નહી કરવાનું. મિડિયાથી બિલકુલ દૂરી પાળો. આપણે રાજકારણ મિડિયા માટે નથી ચલાવતા તો કેમેરા જોઈને હવામાં ગોળીબારો કરવાના પોઝ આપીને ચેનલોના ટીઆરપી વધારીએ …. પુરૂષોત્તમ રૂપાલાએ ઘણુ ખરૂ તો તરત જ મધુ શ્રીવાસ્તવને પોતાના સૌરાષ્ટ્રના લહેકામાં ખખડાવી નાખ્યા હશે ફોન પર.
મેં કહ્યું કે મોરબી કે ગોંડલના કિસ્સામાં નરેન્દ્રભાઈએ કલંકિત ધારાસભ્યોને તેઓ વીનીંગ હોય અને આઈડીયોલોજી પરત્વે કમીટેડ હોય તો નિભાવ્યા જ છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાનો પરંપરાગત વિનીંગ ઉમેદવાર છે, બરોડા ડેરીનો ચેરમેન છ(ચેરમેન બન્યા પછી ડેરીના કર્મચારીઓનો પોષાક ભગવો શર્ટ અને કાળુ પેન્ટ કરાવી નાખ્યો છે અને હાલમાં પાંચ હજાર લિટર છાશ શિવરાત્રિ નિમીત્તે શિવમંદિરમાં દાન કરી દીધી હતી) હિંદુ આઈડિયોલોજીને કમીટેડ છે એટલે તેમને કોઈ પ્રોબ્લેમ નથી. જે વડોદરામાં દેશદ્રોહીઓ બિન લાદેનના ફોટા લઈને રસ્તા પર ઉતરતા હોય(પાછલા જ વર્ષે બનેલો બનાવ) એ શહેરમાં બંદૂક લઈને ઘોડે ચડનાર એક ધારાસભ્ય હોય તો શું ખોટું છે? બેસ્ટ બેકરી આ મધુ શ્રીવાસ્તવના એરિયાનો કિસ્સો હતો. જહીરાને તિસ્તા સેતલવાડ સામે ઉભી કરી દેવાનુ મેનેજમેન્ટ તો આ જ મધુ શ્રીવાસ્તવે કર્યુ હતુ.
નરેન્દ્રભાઈ મધુ શ્રીવાસ્તવથી આ બંદૂકના ભડાકા મામલે માત્ર એટલા કારણથી નારાજ છે કે મધુએ મિડિયાના કેમેરાથી અને મિડિયાના પોરસ ચડાવવાથી ઉત્સાહમાં આવી જઈને ભડાકા કર્યા હતા એ ખોટુ અને બાલિશ કામ હતુ. બીજુ કે આ મધુ શ્રીવાસ્તવે હમણા ગુજરાતના મંત્રીમંડળની રચના થઈ ત્યારે પોતાને મંત્રી નથી બનાવાયા એ બાબતે જાહેરમાં મિડિયા સમક્ષ નારાજગી વ્યકત કરી હતી એ વાતને કારણે મધુલાલ નરેન્દ્રભાઈની બેડબુકમાં મૂકાયા હતા. નરેન્દ્રભાઈ આ મધુલાલને કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન આગામી સમયમાં કરશે. મધુ શ્રીવાસ્તવ અત્યારે એક માનવ સહજ હતાશામાં છે. એ હતાશા એ છે કે રાજકારણમાં વર્ષોથી છે, ધારાસભ્ય વર્ષોથી છે, ભાજપમાં પણ હવે વર્ષોથી છે, વડોદરા ડેરીના ચેરમેન છે, પોતાના સેંકડો ટેકેદારો છે અને ચૂંટણી આસાનીથી જીતી જાય છે,પોતાની ભાઈ જેવી છાપ છે છતા આ ભાઈની પ્રગતિ થતી નથી એટલેકે ધારાસભ્યથી આગળ પહોંચી શકાતુ નથી. પ્રગતિ થતી નથી, નોંધ લેવાતી નથી, મંત્રી બની શકાતુ નથી અને હાઈલાઈટમાં રહી શકાતુ નથી એ વાતે મધુ શ્રીવાસ્તવ એક અકળામણ અને સ્થગિતતા અનુભવે છે જેને કારણે તેમને મિડિયા પોતાને ચમકાવે એના ઉભરા આવે છે.
મધુ શ્રીવાસ્તવ પુરૂષોત્તમ સોલંકી પાસેથી જેન્ટલમેન બનવાનુ શીખી શકે છે. પુરૂષોત્તમ સોલંકી એક સમયે ભાઈ જ હતા પણ હવે મંત્રી બન્યા પછી ખોટા કામોથી દૂર રહે છે અને કહે છે કે જે થઈ ગયુ એ થઈ ગયુ હવે મારે કશું ક્રાઈમની વ્યાખ્યામાં આવે એવું ક્યારેય કરવુ નથી. સોલંકી તો અમારા જેવા સાથે પર્સનલ વાતચીતમાં એમ પણ કહે છે કે નરેન્દ્રભાઈએ મને વાલિયામાંથી વાલ્મિકી બનાવ્યો છે. મધુ શ્રીવાસ્તવે આગળ વધવુ હોય તો વધુ ગંભીર જેન્ટલમેન પ્રકારની બીહેવીયર કરવી પડે.
પણ જેપી ઈચ્છે છે કે તે એવુ ન કરે અને પોતે જે છે એ જ બનેલા રહે. જે શહેરમાં બિન લાદેનના ફોટા ઉંચકીને ગદ્દારોના ટોળા રસ્તે ઉતરતા હોય એ શહેરમાં બંદૂકના ભડાકા કરનાર ધારાસભ્ય પણ હોવો જોઈએ. મંત્રીપદ અને ચોખલિયા વાતો કરીને રાજકિય પ્રગતિ કરવાનું તેલ લેવા જાય, જહન્નમમાં જાય. બધાએ મંત્રી બનવુ જરૂરી છે ? વિદુરોથી જ કંઈ થોડા પ્રવર્તન થાય છે? હનુમાન પણ જોઈએ જ ને?
*******************
![]() |
ગુજરાતની આદિવાસી બોલીઓમાં બાઈબલ: પુસ્તક સ્વરૂપે અને ઓડિયોમાં પણ
24-03-2008
આહહા !! યે ભી પઢ લો … પેલા આદિવાસીઓને વટલાવવાની ફેક્ટરી ચલાવતા ખ્રિસ્તિ મિશનરીઓએ હવે ગુજરાતના આદિવાસીઓને વટલાવવાના અભિયાનના ભાગરૂપે આદિવાસીઓની બોલીની ભાષામાં બાઈબલ તૈયાર કરાવી છે. બાઈબલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ સુરતની ચૌધરી અને ભરૂચની વસાવા આદિવાસી બોલીમાં બાઈબલ તૈયાર કરી દીધી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના આદિવાસીઓને વટલાવવા ડુંગરા ભીલોની, દાદરા નગર હવેલીના આદિવાસીઓએ વટલાવવા વારલીઓની અને સાબરકાંઠાના આદિવાસીઓને વટલાવવા ગરાસીયાઓની બોલીઓમાં બાઈબલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. બાઈબલ પુસ્તક તરીકે છપાવવાની સાથે તેને ઓડિયો સ્વરૂપમાં પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે લોકો વાંચી શકતા નથી તેમના માટે આ ઓડિયો સીડીઓ કામ લાગશે. આવી કેસેટ અને સીડી હાલ વસાવી, ગામીતી, વારલી, ભીલી, ભીલોડી અને વાગડી બોલીઓમાં તો ઉપલબ્ધ છે જ. ગુજરાતના પંચોતેર લાખ આદિવાસીઓ કે જે ગુજરાતની કુલ વસ્તીના પંદર ટકા જેટલા થાય છે તેમને ખ્રિસ્તિ મિશનરીઓએ ઝડપથી વટલાવીને ખ્રિસ્તિ બનાવવા છે. આ બધી એ માટેની કસરત છે. દુર્ભાગ્યની વાત છે કે હિંદુઓ અબજો રૂપિયા મંદિરોમાં નાખી આવે છે જે ટ્રસ્ટીઓ જલસા કરવા માટે લઈ જાય છે જ્યારે સામે હિંદુત્વનું કામ આદિવાસીઓ મહીં થતુ નથી. હિંદુઓના જાણીતા ધર્મગુરૂઓ કરોડોપતિ થઈ ગયા છે અને અહીંથી તહીં વિમાનોમાં ફરે છે, એલીટ ક્લાસ સિવાય તેમના સુધી કોઈ પહોંચી સુદ્ધા શકતુ નથી. આ ધર્મગુરૂઓ લાખો આદિવાસીઓ ખ્રિસ્તિ બની રહ્યા છે ત્યાં જઈને કામ કરતા નથી. કરે છે તો માત્ર શોબાજી પૂરતુ ટોકન. અભણ આદિવાસી વાંચી ન શકે તો તેની જ બોલીમાં તેને સીડી કે કેસેટ દ્વારા બાઈબલ સંભળાવવાનું કામ થઈ ગયું છે અને નિરંતર ચાલી રહ્યું છે. હિંદુઓને કદી સૂઝ્યુ છે આવુ કરવાનું?
**************************
![]() |
ગુજરાતને બદનામ કરવામાં વાંધો નહી, ને ગોવા બદનામ થયુ તો ગોવાનીઝ રાજદીપ સરદેસાઈ કોલમો લખે છે!!
23-03-2008
પેલો પત્રકાર રાજદીપ સરદેસાઈ કે જેણે ગુજરાતના ૨૦૦૨ના પ્રસંગોને હજુ સુધી ઉછાળ્યા કરીને ગુજરાત વિશે અપપ્રચાર કરવામાં કશું બાકી નથી રાખ્યું એણે હમણા ગોવામાં સ્કાર્લેટની હત્યાને મિડિયા જે રીતે ચગાવી રહ્યું છે અને તેને કારણે ગોવા જે રીતે બદનામ થઈ રહ્યું છે એની સામે પોતાનો વિરોધ પ્રગટ કરતો લેખ એ હેસિયતથી લખ્યો છે કે પોતે ગોવાનીઝ છે.
ગોવામાં સ્કાર્લેટ નામની એક વિદેશી યુવતીની બીચ પર રાત્રિના અંધારામાં હત્યા થઈ ગઈ. આ મામલાને ભારતભરના હડકાયા ઈલેક્ટ્રોનીક મિડિયાએ બહુજ ઉછાળ્યો કારણકે સ્થળ ગોવાનુ હતુ, છોકરી વિદેશી હતી અને બ્યુટીફુલ હતી. ખૈર પણ રાજદીપ સરદેસાઈ કે જે સીએનએન આઈબીએન ચેનલ સંભાળે છે એણે આ મુદ્દાને પોતાની ચેનલો પર બહુજ લોપ્રોફાઈલ કરી દીધો કારણકે રાજદીપ સરદેસાઈ ગોવાનીઝ છે અને ગોવાનું ખરાબ દેખાય એમ ઈચ્છતો નથી. આ વાત અહીં જેપી નથી કહેતો, રાજદીપે હાલમાં પોતાની કોલમમાં ખુદ જ આમ લખ્યું છે. આ બદમાશ રાજદીપ સરદેસાઈ ગુજરાતનો નાનો અને જુનો મુદ્દો પણ ખોદ ખોદ કરવામાં કશું બાકી નથી રાખતો અને પોતાના રાજ્ય ગોવામાં કશું થાય તો લખે છે કે એક ઘટના કે મુદ્દાને લીધે ગોવાને બદનામ ન કરો.
ભઈ રાજદીપ અમે પણ જાણીએ છીએ કે એકમાત્ર સ્કાર્લેટના બનાવને બાદ કરતા ગોવામાં બીજુ ઘણુ સારુ છે પણ રાજદીપમિંયા ૨૦૦૨ના થોડા મહિનાઓને બાદ કરતા ગુજરાતમાં પણ બીજુ ઘણુ છે એ કેમ તમે સમજતા નથી. સાંભળો છો કે નમાઝ પઢવા ગયા છો?
![]() |
એક્સમકીનાની હીપહોપ હોળી અને અનાહિતા સારાભાઈનો ન્યુઝ સ્ટોરીમાં ચમકવાનો ડેબ્યુ
22-03-2008
હોળીની સાંજે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલા મલ્લિકા સારાભાઈના દર્પણાના સ્ટેજ પર અલીયન્સ ફ્રાન્સીસ દ્વારા આયોજિત એક્સમકીના બેન્ડનો હીપહોપ શો યોજાયો હતો. જેપીને તો મફતના બસો રૂપિયાનો એક એવા બે પાસ મળ્યા હતા એટલે જેપી અહીં પહોંચ્યો હતો. દેખીતુ જ છે કે એક તો અમદાવાદ, પાછો હોળીનો દિવસ, પાછી બસો રૂપિયાની એન્ટ્રી ફી અને પાછુ દર્પણા જેવુ ખૂણાનુ સ્થાન અને પાછુ હીપહોપ બેન્ડ એટલે દર્પણા પૂરેપૂરુ ભરાયુ ન હતુ. એક્સમકીના વાળાઓએ ધમાલ તો સારી મચાવી. એક્સ મકીના દરઅસલ ફ્રાન્સના નવજુવાનિયાઓનું હજુ તો ઉભરતુ ગ્રુપ છે. બેન્ડના કલાકારો વારંવાર પબ્લીકની વચ્ચે ગાતા ગાતા આવી જાય, મોઢા પર ગેસ માસ્ક પહેરે, હોળીના રંગો ફેંકે, પૂરેપૂરી મસ્તી હતી. આ કોન્સર્ટ તિબીટીયનોની ચીનથી છૂટવાની ચળવળને અર્પણ કરવામાં આવી હતી.(દરઅસલ અલીયાન્સ ફ્રાન્સીસના હાલના લેડી ડિરેક્ટર અનીક ચંદ્ર પેલે દલાઈલામાના ચુસ્ત સમર્થક છે. જાન્યુઆરીમાં તેમણે જ દલાઈલામાનો અમદાવાદ પ્રવાસ ગોઠવ્યો હતો.) ખેર, દર્પણામાં શો પતે એટલે બહાર નીકળવાનો મુખ્ય દરવાજો બંધ થઈ જાય છે અને તમારે ફરજીયાત દર્પણાના કાફે તરફ થઈને જ બહાર નીકળવુ પડે એમ કાફેની સામેનો દરવાજો જ ખુલ્લો રાખવામાં આવે છે. મલ્લિકા સારાભાઈ વળી કમાણીનો એક પણ રસ્તો જવા દે ખરી ?
બાય ધ વે અહીં લગે હાથ મલ્લિકા સારાભાઈની દીકરી અનાહિતા સારાભાઈ તાજેતરમાં કયા કારણથી અંગ્રેજી અખબારમાં ચમકી એની વાત પણ કરી દઉ. અનાહિતાએ એની ઓરકૂટ પ્રોફાઈલમાં પોતાનુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન બાયસેક્સ્યુઅલ લખ્યુ હતુ. ઉપરાંત તેણીની પસંદગીની ઓરકૂટ ક્મ્યુનિટિમાં સજાતીય ફિલ્મી દ્રશ્યો , સજાતીય કવિતા, સજાતીય સપોર્ટ ગ્રુપ અને સજાતીય સંબંધોના અધિકારની ક્મ્યુનિટીઓનો સમાવેશ થતો હતો. અખબારમાં અનાહિતા બાયસેક્સ્યુઅલ છે એટલેકે સજાતીય સંબંધો ધરાવે છે એ છપાઈ ગયુ પછી અનાહિતાની ઓરકૂટ પ્રોફાઈલમાંથી સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનનો સબ્જેક્ટ તેણે ઉડાડી દીધો છે. જો કે તેણીની પસંદગીની કમ્યુનિટીમાં હજુ સજાતીય સંબંધો વાળી કમ્યુનિટીઓ જોઈ શકાય છે. અંગ્રેજી અખબારે અનાહિતા બાયસેક્સ્યુઅલ હોવા અંગે તેણીની માતા મલ્લિકા સારાભાઈને પૂછ્યુ તો મલ્લિકાએ કહ્યું કે તો બંનેને આ બાબતે ડિસ્કશન થઈ ગયું છે. છોકરીઓને ઉંમરના આ પડાવ પર બાયસેક્સ્યુઅલ ફેઝ આવતો હોય છે. જ્યારે અનાહિતાએ કહ્યું કે તેણી જેવી પણ છે તેણીના ફ્રેન્ડઝને તેની સામે કોઈ વાંધો નથી અને તેઓ પોતે જેવી છે એવી જ પોતાને સ્વીકારે છે. જેપીએ અનાહિતાને અગાઉ તેણી જે સ્કૂલમાં ભણી હતી એ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના ગૂગલ વિડિયોમાં ટોપી પહેરેલી અને આત્મવિશ્વાસ સાથે વાતો કરતી જોઈ હતી ઉપરાંત દલાઈલામાવાળી પ્રેસ કોન્ફરન્સમાં જોઈ હતી. આ છોકરી બાકીના લોકોથી અલગ છે એ તો નક્કી.
ખૈર અંગ્રેજી અખબારની આ સ્ટોરી જોઈને જેપીના એક વડીલ પત્રકાર મિત્રે કહ્યું કે કોઈની પ્રાઈવેટ લાઈફમાં છાપાવાળાઓએ પડવુ ન જોઈએ પણ ઓરકૂટ પબ્લીક પ્રોફાઈલવાળી સાઈટ છે. આ છોકરીએ તેણીની પબ્લીક પ્રોફાઈલમાં એમ લખવાની શી જરૂર હતી કે તેણી બાયસેક્સ્યુઅલ છે? જો તેણીએ આમ લખ્યું અને તે ખોટુ નથી તો પછી તેના વિશે છપાયુ એ પણ ખોટુ ન કહી શકાય.
પાછો દર્પણામાં હોળીની સાંજે યોજાયેલી એક્સમકીનાની હીપહોપ નાઈટ પર આવી જઉ તો એક્સમકીનાની કોન્સર્ટ પત્યા પછી જાડી,ગોરી અને વાળની એક લટ લાલ રંગે રંગેલી અનાહિતા ટીશર્ટ અને જીન્સ પહેરીને કાફેમાં ટોળે વળેલા ગ્રુપમાં ઉભી ઉભી વાત કરી રહી હતી ત્યારે જેપીને પૂછવાનું મન થયું કે તારી પ્રાઈવેટ લાઈફ અંગ્રેજી અખબારે પબ્લીક કરી દીધી પછી અઢાર વર્ષની ઉંમરે તારા રિએક્શન શું છે? યુ ડોન્ટ માઈન્ડ? કે પછી ન ગમ્યુ? પરંતુ હજુ જેપી આ પૂછવા જાય એ પહેલા તો અનાહિતા એની બહેનપણી સાથે દર્પણાના પાછળના અંધકારભર્યા સાંકડા રસ્તા પર ચાલી નીકળી અને પછી દેખાતી બંધ થઈ. પાછળના અંધકારથી થોડે દૂર આગળ કાફે પર યુવાનોના ગ્રુપની વાતોનો કોલાહલ અને કોફીની ચૂસકીઓ ચાલુ હતી. મલ્લિકા સારાભાઈ પોતે કાઉન્ટર પર ઉભા રહીને કોફી સર્વ કરી રહી હતી.
*************
![]() |
અમદાવાદને જરૂર છે કેટલાક ઢંગના નવા થિયેટ્રીકલ હોલની
21-03-2008
ખરેખર તો અમદાવાદને આવા બેંક્વીટ હોલની નહી પણ ફીક્સ ખુરશીઓ વાળા થિયેટર પ્રકારના હોલની તાતી જરૂર છે.
એમાંય જ્યારે એસજી હાઈવેની બેઉ તરફનું અમદાવાદ વિકસી રહ્યું છે ત્યારે તો વિશેષ કરીને નવા થિયેટ્રીકલ હોલની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.ભવિષ્યને ઉપલક્ષમાં રાખીને પણ થિયેટ્રીકલ પ્રકારનો હોલ જરૂરી છે. અમદાવાદના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એક મોટા આયોજક તાજેતરમાં મળ્યા હતા તેમણે કહ્યું કે જેપી અમદાવાદમાં અત્યારે કોઈ વ્યવસ્થિત ટિકીટ શો રાખવો હોય તો ઠાકોરભાઈ દેસાઈ હોલ અને ટાગોર હોલ સિવાય એકે લાયક હોલ નથી. એચકે કોલેજનો હોલ ત્રીજો હોલ કહી શકાય પણ તેમાં પ્રોગ્રામ જામતો નથી. છતા તેનો ઉપયોગ ક્યારેક અન્ય હોલના અભાવે કરી શકાય છે. ટાઉન હોલમાં સાઉન્ડના ઈકો એટલેકે પડઘા પડે છે. એટલે તે ટિકીટ પ્રોગ્રામ માટે નકામો નીવડે છે. ટાઉનહોલનું નવીનીકરણ થયું ત્યારે આર્કિટેક્ટ કમલ મંગળદાસનું ધ્યાન દોર્યુ હતુ કે ટાઉનહોલનો ઉપરનો ડોમ બંધ નહી કરો તો અવાજમાં પડઘા પડશે પણ કમલ મંગળદાસે(કે જેમના પરિવારના વડીલ મંગળદાસના નામ પરથી ટાઉનહોલનું નામ મંગળદાસ ટાઉનહોલ છે) આ વાત એમ કહીને ધ્યાનમાં લીધી ન હતી કે ઉપરનો ડોમ બંધ કરીએ તો હોલની બ્યુટી મરી જશે(ખરેખર તો ટાઉનહોલ બન્યો ત્યારથી જ સાઉન્ડના વાંધા છે. આ વિશે જેપીએ ૧૯૫૦ના દશકના ગુજરાત સમાચારમાં ધ્વનિતરંગોના આલેખન સાથેનો એક પાનાનો આર્ટીકલ વાંચ્યો છે.)
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બંધ છે, પ્રેમાભાઈ હોલ ક્યારનોય બંધ છે. બાપુનગર જેવો વિસ્તાર એટલો બધો વિકસ્યો છે કે ત્યાં ગુજરાતી સોશ્યલ અને ધાર્મિક ડ્રામાના ફુલ પેક શો આયોજિત થઈ શકે છે પરંતુ તેટલા મોટા વિસ્તારમાં એકેય હોલ જ નથી. ટાગોર હોલ અને ઠાકોરભાઈ દેસાઈ હોલ બે જ હોલ થિએટ્રલ કક્ષાના લાયક હોલ હોવાથી તેના મોટાભાગના ટાઈમ સ્લોટ બુક થયેલા હોય છે.
જેપીએ હમણા ગુજરાત સાહિત્ય પરિષદના હોલમાં એક કાર્યક્રમમાં જવાનુ થયુ. છે તો આ થિયેટ્રીકલ હોલ જ પરંતુ તેમાં પેસતા જ તેની સરેઆમ દુર્દર્શા જોવા મળી. લગભગ અર્ધી ખુરશીઓ ઢળી પડેલી હતી. એક ખુરશીમાં તો એક કાકા બેઠા અને ટેકો દેવા પીઠ પર ભાર દીધો તો ખુરશીના બે પાંખિયા ૧૮૦ અંશે ઢળી પડ્યા એટલેકે ખુરશીનો પીઠ ટેકો અને આસન બેઉ સીદ્ધા થઈ ગયા. પાછલા વર્ષે જેપીએ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પણ જવાનું થયુ હતુ. સેનેટ હોલની ખુરશીઓની અને ઓવર ઓલ આખા હોલની દશા જુઓ તો તમને લાગે કે તમે ૧૯૫૮ કે ૧૯૬૮ની સાલમાં બેઠા છો. ગુજરાત યુનિવર્સિટીની નેતાગીરીથી પોતાનું કામ શરૂ કરનાર અને અત્યારે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ બનેલા મિત્ર અમિત ઠાકરે એક વખત તેમની સાથે સેનેટ હોલની વાત નીકળતા કહ્યુ હતુ કે આ સેનેટ હોલ બહુજ સારા એરિયામાં છે. યુનિવર્સિટીનું વિશાળ પાર્કિંગ છે. આ હોલ જો મને નિશ્ચિત સમય માટે બુકિંગના હક સાથે આપી દે તો હું તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આંતરરાષ્ટ્રિય કક્ષાનો બનાવી દેવા તૈયાર છુ. પણ યુનિવર્સિટી વાળા માનતા નથી. એક દિનેશ હોલ છે જે આશ્રમ રોડની પડતી ને કારણે લોકોએ કોઈ કાર્યક્રમ હોય તો શોધવો પડે છે એવી જગ્યાએ આવેલો છે. એનું પણ મેન્ટેનન્સ નથી અને બિલકુલ વપરાતો નથી.
ખેર પાછો આવુ કર્ણાવતી ક્લબના નવા હોલની વાત પર, તો આ તો બેંક્વીટ હોલ જ છે. થિયેટ્રીકલ નહીં એટલે એનો કોઈ ઝાઝો અર્થ સરતો નથી. અમદાવાદને ખરેખર તો જરૂર છે થોડા સાયન્ટીફીક રીતે બનાવાયેલા શ્રેષ્ઠ કક્ષાના અલગ અલગ વિસ્તારોમાં થિયેટ્રીકલ હોલની. હૈદરાબાદ અને દિલ્હીમાં હજારો માણસો બેસી શકે એવા થિયેટ્રીકલ હોલ છે. અમદાવાદ પાસે વધુમાં વધુ આઠસો-નવસો લોકો બેસી શકે એવા ટાઉનહોલ અને ટાગોર હોલ અને ઠાકોરભાઈ દેસાઈ હોલ છે. એક શહેર કેવુ હોવુ જોઈએ ? એક સાથે દસ દસ ને વીસ વીસ ઠેકાણે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો,જલસા અને મનોરંજનથી ધમધમતુ હોવુ જોઈએ. આ માટેના સ્થળો પણ હોવા જોઈએ ને ?
***************************************
![]() |
અડવાણીના પુસ્તકમાં ગુજરાતના કોમી તોફાનો વિશે શું છે ?
20-03-2008
લાલકૃષ્ણ અડવાણીએ તેમના નવા પુસ્તકમાં ગોધરાકાંડ પછીના ગુજરાત તોફાનોનો કેટલોક ઉલ્લેખ કર્યો છે એમાં એક વાત એવી છે કે તેમના પર સામ્યવાદી નેતા સોમનાથ ચેટર્જીનો ફોન આવ્યો. ચેટર્જીએ કહ્યું કે ભાવનગરનું સામ્યવાદી પાર્ટીનું યુનિટ તેમને ફોન કરી રહ્યું છે કે ભાવનગરમાં લોકોના ટોળા થયા છે અને એક મદ્રેસા ઘેરી લીધુ છે જેને સળગાવી દેવાશે. અડવાણીએ આ વાતને ગંભીરતાથી લઈને ભાવનગર ફોન કરી મદ્રેસાને ખાખ થતુ અટકાવડાવ્યુ હતુ. આ પછી ભાવનગરના સામ્યવાદીઓએ અનેક લોકોના જીવ બચાવી લેવા બદલ સોમનાથ ચેટર્જીને અભિનંદન આપ્યા તો સોમનાથદાએ કહ્યું કે અભિનંદન અડવાણીને આપો. ખરેખર તો મદ્રેસા અને તેમાંના લોકોને અડવાણીએ બચાવ્યા છે.
અડવાણીજી તેમના પુસ્તકમાં અમદાવાદની કોમી ધમાલની અન્ય એક વાત પણ ટાંકે છે. તેઓ લખે છે કે નજમા હેપતુલ્લાનો તેમના પર ફોન આવ્યો કે તેમના પતિ અકબર તુરંત વાત કરવા ઈચ્છે છે. અમદાવાદમાં વોરા મુસ્લિમોનું બજાર હિંદુઓના સંભવિત હુમલાથી ફફડી રહ્યું છે. અડવાણીજી લખે છે કે તેમણે તુરંત જ નરેન્દ્ર મોદીને આ બાબતે જણાવ્યુ અને બીજા દિવસે નરેન્દ્ર મોદીનો ફોન કોલ આવ્યો કે વોરા બજાર સુરક્ષિત છે.
જેપીએ અડવાણીજીની આ વોરા બજાર વાળી વાતમાં સુધારો કરવો છે કારણકે જેપી આ વાતનો સાક્ષી છે. દરઅસલ અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં એ સાંજે સ્વર્ગસ્થ નાટ્યલેખક વિનોદ જાનીની આત્મકથાના પુસ્તકનું વિમોચન હતુ. હરિન પાઠક કાર્યક્રમ શરૂ થતા પહેલા હોલની બહાર ઉભા હતા અને ફોન પર દાદા , જી દાદા, હા દાદા … એમ બોલી રહ્યા હતા. જેપી તેમની બાજુમાં જ ઉભો હતો. ફોન મૂકીને હરિન પાઠકે અમારી સમક્ષ સ્પષ્ટતા કરી કે દાદા(અડવાણીજીને હરિન પાઠક દાદા કહે છે)નો ફોન હતો. નજમા હેપતુલ્લાએ દાદાને ફોન કરીને અમદાવાદના મણિનગરમાં ખોજા સોસાયટી પર હુમલો થવાનો છે એ બાબતે મદદ માંગી અને દાદાએ મને ફોન કર્યો. હરિન પાઠક ત્યાર પછી ખોજા સોસાયટીને રક્ષણ મળી રહે એ માટે ફોન ઘુમાવવા માંડ્યા. અમને એ વખતે આશ્ચર્ય થયુ હતુ કે અડવાણી આવી બાબતમાં નરેન્દ્ર મોદીને નહી અને હરિન પાઠકને શું કરવા ફોન કરે ? એ તો સૌ જાણે છે કે હરિન પાઠક એ અડવાણીજીના ખૂબજ નજીકના વ્યક્તિ ગણાય છે પરંતુ આવી બાબતે તો ફોન નરેન્દ્રભાઈ પર જવો જોઈતો હતો ને ?
અડવાણીજીએ પુસ્તકમાં ખોજાનું વ્હોરા કરી નાખ્યુ છે અને ખોજાઓના રહેણાક વિસ્તારના બદલે વહોરા બજાર લખી નાખ્યું છે. ઘરડા માણસ આત્મકથા લખે ત્યારે આવી નાની મોટે ગરબડો થતી હોય છે.
****************
વડનગરના પુરાતત્વીય ઉત્ખનનમાં ભેદી બાંધકામ મળ્યુ છે!! બાંધકામનો હેતુ ઉકલાતો નથી!!
17 માર્ચ ૨૦૦૮
ઉત્તર ગુજરાતના વડનગરમાં ઘાસકોલ દરવાજા નજીકના ખુલ્લા પ્લોટમાં હાલ ગુજરાતના પુરાતત્વ વિભાગ તરફથી ઉત્ખનનનું કામ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યું છે. વડનગર ખૂબ જ પુરાણુ શહેર છે. વડનગરમાં ક્યાંય પણ ખોદો પુરાણા અવશેષો મળી આવે છે. હવે પદ્ધતિસરનું પુરાતત્વીય ઉત્ખનન હાથ ધરાયુ છે ત્યારે લોકોને ઘણી આશા છે કે દુનિયા જોતી રહી જાય એવું કશુંક નીકળી આવે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મૂળ વડનગરના વતની છે. નાનપણમાં તેઓ પોતે પણ વડનગરમાં કશેક મકાનના પાયા ખોદાય ત્યારે જુનુ બાંધકામ મળી આવે એ વાત વિસ્મયથી જોતા હતા. મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સરકારના પુરાતત્વ ખાતાને વડનગરમાં ઉત્ખનન કરવાનો હુકમ આપ્યો. વડનગર ખરેખર તો કિલ્લાની અંદર ઉંચાણવાળા ટેકરા પર વસેલુ નગર છે. કિલ્લેબંધ નગરની અંદર ક્યાંક ઉત્ખનન કરવામાં આવે તો અંદરથી ઘણો સમૃદ્ધ પુરાણો વારસો મળી આવે. પરંતુ કિલ્લેબંધ નગરની અંદર કોઈ ખાલે પ્લોટ ઉપલબ્ધ ન હોવાના કારણે પુરાતત્વ વિભાગે શરૂઆતમાં ૨૦૦૫-૦૬ની સાલમાં નગરની બહાર ઉત્ખનન કર્યું. આ ઉત્ખનન ત્રણેક ઠેકાણે કરવામાં આવ્યુ હતુ જેમાં એક ઠેકાણે બે હજાર વર્ષ જૂનુ ઘર જમીનની અંદરથી મળ્યું.
જો કે ખરેખર તો કિલ્લેબંધ નગરમાં જ ક્યાંક ઉત્ખનન કરવુ જરૂરી હતુ. છેવટે પુરાતત્વ ખાતાને ઘાસકોલ દરવાજા વિસ્તારમાં એક ખાલી પ્લોટ ફાળવવામાં આવ્યો જેના પર હાલ ઉત્ખનન ચાલી રહ્યું છે જે આપ ઉપર વિડિયોમાં જોઈ શકો છો. આ ઘાસકોલ દરવાજાની સાઈટ પર ત્રીસ ટકા વિસ્તારમાં ઉત્ખનન પૂરુ થઈ ચૂક્યુ છે. આ ઉત્ખનન ઉંડામાં ઉંડુ આઠ મીટરે પહોંચ્યું છે. ઉત્ખનન દરમિયાન ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીથી માંડીને સોલંકીકાળ સુધીના એટલેકે બે હજારથી એક હજાર વર્ષ જૂના સમયગાળાના ત્રણ અલગ અલગ ટાઈમમાં બંધાયેલા બાંધકામ મળી આવ્યા છે. આ બાંધકામ દિવાલોના સ્વરૂપે છે. જોકે દિવાલોની ગોઠવણી એવી અટપટી છે કે આ બાંધકામ શેના માટે વપરાતુ હશે, બાંધવામાં આવ્યું હશે, એ હજુ સુધી પુરાતત્વવિદ્વાનો કળી શકતા નથી.
ગુજરાતના પુરાતત્વ નિયામક શ્રી વાય એસ રાવતનું કહેવુ છે કે શક્ય છે કે આ બાંધકામ ગંદા પાણીના નિકાલ માટેનો પ્લાન્ટ હોય. રોમમાં અને ભારતમાં પણ પુરાણા સમયે કિલ્લેબંધ નગરનું ગંદુ પાણી કિલ્લાની બહાર કાઢવામાં આવે એ પહેલા તેને ટ્રીટ કરવુ પડતુ હતુ.ટ્રીટ કરવાની જરૂરિયાત એટલા માટે પણ રહેતી હતી કે કિલ્લાની બહાર પાણી મોકલતી વખતે તેનો પાઈપ નાનો રાખી શકાય કે જેથી દુશ્મન તે માર્ગે કિલ્લાની અંદર ન ઘૂસી આવે. એક અન્ય શક્યતા એ પણ છે કે આ બાંધકામ સંગ્રહ માટેની જગ્યા હોય કારણકે બારણા વગરના ભોંયરા જેવા કમરા પણ મળી આવ્યા છે. શ્રી રાવત કહે છે કે હજુ આ સાઈટ પર માત્ર ત્રીસ ટકા જ ઉત્ખનન થયું છે. પૂરેપૂરુ ઉત્ખનન થઈ જતા ચોક્કસ આ બાંધકામનો હેતુ માલૂમ પડી જશે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સૂચિત નગરરચના અનુસાર જૂના વડનગરના આ ઘાસકોલ દરવાજા વિસ્તારમાં કલાકારો રહેતા હોય એ શક્ય છે. વળી આ સાઈટ પરના ઉત્ખનનમાં શિલ્પ બનાવવાના દસ્તા જેવી ચીજ પણ મળી આવી છે. એ જોતા આ કલાકારોની વસાહત જેવુ કોઈ સ્થળ હોય એ પણ શક્ય છે.
ઘાસકોલ દરવાજાની ઉત્ખનન સાઈટ પરથી અત્યાર સુધી બે હજાર જેટલા નમૂના મળી આવ્યા છે. આમાં ઘરેણા, ચાંદીના સિક્કા, દેવશ્રી રૂષિ એમ બ્રાહ્મી લિપીમાં લખેલુ ઠીકરુ, ભગવાન બુદ્ધનું ખંડિત માથુ, રોમન પ્રકારના માથાવાળુ મોઢુ, પાઘડીવાળુ ટેરાકોટાનુ મોઢુ, બૌદ્ધ ભિક્ષાપાત્ર વગેરે નમૂનાઓનો સમાવેશ થાય છે. હ્યુએન ત્સંગ નામના બૌદ્ધ પ્રવાસીએ વડનગરમાં બૌદ્ધ મઠો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વડનગર ઉત્ખનનમાં જે રીતે બૌદ્ધ ધર્મ સાથે સંબંધ રાખતા નમૂના મળી આવી રહ્યા છે એ જોતા બૌદ્ધ ધર્મનું તે એક જમાનામાં બહુ જ મોટુ કેન્દ્ર હશે એ ફલિત થાય છે.
દરમિયાન જો વડનગરના હાલના દરબારગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઉત્ખનનનો મોકો મળે તો ત્યાંથી વધુ સમૃદ્ધ બાંધકામો અને નમૂના મળી આવે તેવી શક્યતા છે. કારણકે પરંપરાગત રીતે સૌથી જૂના વડનગરમાં આ સ્થળે સમૃદ્ધ માનવ વસાહત વસતી હશે તેમ માની શકાય છે. વળી જ્યાં ઘાસકોલ દરવાજાની સાઈટ વડનગરની ઉંચાઈના ઢોળાવ પર આવેલી હોવાથી પંદર ફૂટની ઉંડાઈ ધરાવે છે ત્યાં દરબારગઢની સાઈટ પચ્ચીસ ફૂટની ઉંડાઈ ધરાવે છે તેથી ત્યાં ખૂબ જ સારુ ઉત્ખનન થઈ શકે તેમ છે. અફસોસની વાત એ છે કે દરબારગઢ વિસ્તારમાં કોઈ ખાલી પ્લોટ આવેલો નથી. જો કે અહીં હયાત ઘર કે મિલકત ધરાવનારાઓ સાથે વાતચીત કરીને તેમને યોગ્ય વળતર આપીને પ્લોટ ઉભો કરવાની યોજના માટે પુરાતત્વ ખાતાને સાહીઠ લાખ રૂપિયાનું બજેટ તાજેતરમાં રાજ્ય સરકારે ફાળવ્યું છે.
*************************************************
ઝારખંડથી રાજ્યસભામાં ઉભેલા ગુજરાતમાં મુકેશ અંબાણીના હાથ સમા પરિમલ નથવાણી કોણ છે ?
![]() |
૧૪ માર્ચ ૨૦૦૮
પરિમલ નાથવાણી ગુજરાતમાં રિલાયન્સના-મુકેશ અંબાણીના મુખ્ય માણસ છે(વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો સર્વે સર્વા છે.). ગુજરાતની જામનગરની રિફાઈનરી હોય કે રિટેલ બિઝનસ, સરકાર સાથેનું લાયઝન હોય કે મિડિયા સાથેનો વ્યવહાર… મુકેશ અંબાણીના આ અંગેના ટેન્શન, વહીવટ અને પડકારોનું તમામ કામ સંભાળે છે કરોડો રૂપિયાના પગારદાર શ્રીમાન પરિમલ નાથવાણી. નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે રિલાયન્સનું એરોપ્લેન મેનેજ કરવાનુ હોય તો મુખ્યમંત્રીની ઓફિસ પણ પરિમલ નથવાણીનો નંબર લગાવે છે. પરિમલ નાથવાણી હમણા ન્યુઝમા તેમના ઝારખંડ રાજ્યમાંથી રાજ્યસભાના નોમીનેશનને લઈને છે. પરિમલ નાથવાણીની રિલાયન્સમાં જોડાવા સુધીની અને ત્યાર પછીના પ્રારંભિક ગાળાની સફર વિશેની સ્ટોરી બહુ ઓછી જાણીતી છે જે તેમના રાજ્યસભા નોમીનેશનના અવસરે નીચે પ્રસ્તુત છે.
***
મૂળ મુંબઈયા ગુજરાતી
પરિમલ નાથવાણીનો જન્મ મુંબઈ થયો હતો. કોલેજ પણ મુંબઈમાં જ કરી પરંતુ આ બધા સમય દરમિયાન તેઓ જામનગર સાથે સતત સંપર્કમાં હતા.
પરિમલભાઈનું મૂળ વતન જામનગર જિલ્લાનું જામખંભાળિયા ગામ. દાદા જામખંભાળિયામાં રહેતા હતા એટલે મુંબઈમાં ભણતા ભણતા પરિમલકુમારને જામખંભાળિયા દાદાના ઘરે વેકેશનમાં આવવાનું થતુ હતુ. પરિમલભાઈના મામાને જામનગરમાં એક્સ્પોર્ટ હાઉસ હતુ એટલે દાદાને ત્યાં કંટાળે કે મામાને ત્યાં પહોંચી જતા. મામાનો બિઝનસ જોઈને તેમને મનોમન થતું હતુ કે એક દિવસ મામાની માફક મોટા ઉદ્યોગપતિ થવું છે.
પરિમલભાઈના મામા મધુભાઈ કોટકની કોટક એન્ડ કંપની ત્યારે દેશભરમાં આ વ્યવસાયમાં જાણીતી હતી. ભારતના છ શહેર ઉપરાંત જાપાન, સિંગાપુર, પોલેન્ડ, શાંઘાઈ, કોલંબો અને લંડનમાં પણ મામા મધુભાઈની કંપનીની ઓફિસો હતી. મામાને કામ કરતા જોઈને પરિમલભાઈએ વિચાર્યુ તો ઉદ્યોગપતિ બનવાનું પણ કોલેજના દિવસોમાં તેમને તક મળી ગઈ ક્રિકેટર બનવાની!
આંખ પર બોલ વાગ્યો ને ક્રિકેટ છોડ્યુ …
કોલેજમાં તેઓ સારામાં સારા બેટસમેન ગણાતા હતા. તેમની કોલેજે કેટલીય ટુર્નામેન્ટ તેમની બેટીંગને કારણે જીતી લીધી હતી. પરિમલભાઈને ત્યારે એમ જ લાગતુ કે પોતે સુનીલ ગાવસ્કર છે. પણ એક મેચમાં બોલ બરાબર આંખની ઉપર વાગ્યો. અને ક્રિકેટ રમવાનું છોડવું પડ્યું. પરિમલભાઈએ બોલ વાગવાથી ઘાયલ થયેલી આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. ડોક્ટરે કડક સૂચના આપી હતી કે આ આંખમાં જો બીજી વખત બોલ વાગ્યો તો આંખ કાયમ માટે ગુમાવવી પડશે. ડોક્ટરની આ વાતને ગંભીરતાથી લઈને સુનીલ ગાવસ્કર બનવાનો વિચાર છોડી પરિમલભાઈએ ઉદ્યોગપતિ બનવાનું નક્કી કરી લીધુ. પરિમલભાઈના પિતા ધીરજલાલ અને પરિમલભાઈની બેઉ બહેનો પણ આમ જ ઈચ્છતી હતી.
સાબુનો ધંધો કર્યો: પહેલા કમાયા ને પછી ગુમાવ્યા …
અને પરિમલભાઈને બિઝનસ કરવાની તક મળી પણ ખરી. સિત્તેરના દશકમાં ભારત સરકારે કોકા કોલા પર પ્રતિબંધ મૂક્યો અને પાર્લે સોફ્ટ ડ્રિંક્સે થમ્ઝ અપ લોંચ કરી. થમ્ઝ અપ્ને યુવાન ડિસ્ટ્રિબ્યુટર જોઈતા હતા. પરિમલ નથવાણીને તેની મુંબઈની ડિસ્ટ્રિબ્યુટરશીપ મળી.પરિમલભાઈ મહેનત કરવા લાગી ગયા અને થમ્ઝ અપનું કામ ગોઠવાયા પચઃઈ તેમણે સૌરાષ્ટ્રમાં પહેલવહેલી વખત નહાવાના પીયુ સાબુની એજન્સી લીધી.
બન્યુ એવુ કે પીયુ સાબુ મેનેજમેન્ટના આંતરિક વિખવાદને કારણે બજારમાં આવતા બંધ થઈ ગયા. પીયુના બે ડિરેક્ટરોએ પરિમલભાઈને કહ્યું કે જો તમે આવતા હોવ તો આપણે સાથે મળીને સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરીએ. પરિમલભાઈએ આ ઓફર ખુશી સાથે સ્વીકારી કારણકે તેમને લાગ્યું કે ખરેખર ઉદ્યોગપતિ બનવાની તક હવે મળી રહી છે. તુરંત તેમણે મુંબઈમાંથી પોતાનો મુકામ સમેટીને રાજકોટ આવવાનુ નક્કી કર્યું. સાથે મળીને ટેનિક્સ સોપ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી. જયપુરની એક સાબુ બનાવવાની ફેક્ટરી ભાડે રાખી હતી તેમાં ઉત્પાદન શરૂ કર્યું.સાબુની સારા એવા પ્રમાણમાં માંગ પણ ઉભી થઈ. ૧૯૮૨ના અંત ભાગમાં પરિમલભાઈ અત્યંત ખુશ હતા. સાબુમાં ત્રણ બ્રાન્ડ હતી: ડોના, સનમ અને ફેડ. દોઢેક વર્ષ પછી બીજા ડાયરેક્ટરો પરિમલભાઈને વધુ નવુ મૂડીરોકાણ લાવવાનો આગ્રહ કરવા લાગ્યા. પરિમલભાઈ પાસે કોઈ મૂડી હતી નહીં તેથી તેમણે આ માટે અશક્તિ દર્શાવી. આ પછી બીજા ડીરેક્ટરોએ કાવાદાવા શરૂ કરવા માંડ્યા અને છેલ્લે તો પરિમલભાઈને એટલુ સુદ્ધા કહી દીધુ કે દસેક લાખ રૂપિયા લઈ આવો અથવા કંપની છોડી દો. પરિમલભાઈએ કંપની છોડી દીધી. કંપનીની સાથે સાથે પરિમલભાઈના વ્યાજે લાવેલા આઠેક લાખ રૂપિયા પણ ગયા.
આર્થિક નાદારીના દિવસો નહી વર્ષો …
સૌરાષ્ટ્રમાં બિઝનસ શરૂ કર્યે બે જ વર્ષ થયા હતા. હવે શું કરવું? જે થોડીઘણી મૂડી હતી એ તો સાબુની ફેક્ટરીમાં જતી રહી. વધુમાં જે કરજ કર્યું હતુ એ પૈસાનું પણ હવે નાહી નાખવાનું હતુ અને વ્યાજનું મીટર ફરતુ હતુ.
તો હવે પાછા બિસ્તરા પોટલા બાંધીને મુંબઈ ચાલ્યા જવું કે સૌરાષ્ટ્રમાં જ નવેસરથી નસીબ અજમાવવાનું સાહસ કરવું? પરિમલ નથવાણીએ સૌરાષ્ટ્રમાં જ રહેવાનું અને રાજકોટ છોડી દઈને ખંભાળિયા સ્થાયી થવાનું નક્કી કર્યું.
જામખંભાળિયામાં આવક માટે નાનામોટા કામો કર્યા. નાના કામોમાં જરાય આવક મળતી ન હતી અને મોટા કામ કરવા જતા કરજ વધતુ જતુ હતુ. દિવસે દિવસે આર્થિક મૂશ્કેલી વધતી ગઈ. છેવટે તો દિવસો કાઢવા પર વાત આવી ગઈ. દિવસ પૂરો થાય એટલે હાશ થાય. લગભગ ૧૯૯૨-૯૩ સુધી આમ ચાલ્યુ. એવામાં વડોદરામાં આશાનું કિરણ દેખાયું.
વડોદરામાં એસટીડી-પીસીઓનું બુથ ચલાવ્યું …
એસટીડી-પીસીઓ પબ્લીક ફોનનું બજાર એ વખતે નવુસવુ અને ઉભરતુ હતુ. પરિમલભાઈએ પીસીઓ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા અને તેમનો પીસીઓ મંજૂર પણ થયો. જો કે તેના માટે તેમણે વડોદરા જવુ પડે તેમ હતુ. વડોદરા સ્ટોક એક્ષચેંજના બિલ્ડીંગમાં જ પીસીઓ મળ્યો હોવાથી ખંભાળિયા છોડીને વડોદરા જવાનું નક્કી કર્યું. પીસીઓથી ઘરના નિયમિત ખર્ચા નીકળતા થયા અને ફરી સારો સમય આવ્યો હોવાની રાહત થઈ.
પીસીઓનું બજાર નવુ હોવાથી તેની પબ્લીસીટી કરવી જોઈએ એમ લાગ્યું પરંતુ પૈસા ન હતા તેથી જાતે બોર્ડ ચીતર્યા. પૂંઠાના હોર્ડિંગ્ઝ બનાવીને શહેર આખાના થાંભલાઓ પર માર્યા. સાવ સસ્તા ચોપાનિયા બનાવીને વડોદરાના ચોકમાં વહેંચ્યા. ધારા એસટીડી પીસીઓ આખા શહેરમાં જાણીતુ થવુ જોઈએ એવી ધૂન સાથે આ બધુ કરતા હતા.
મહેનત ફળી. એકાદ વર્ષના ગાળામાં ગાડી દોડવા માંડી. નિશ્ચિત આવક શરૂ થતા પરિમલભાઈએ શેરબજાર પર હાથ અજમાવ્યો. ભૂતકાળનો અનુભવ સારો ન હતો. છતા એ દિવસોમાં કંપનીઓના શેરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ બહુજ થતુ. પરિમલ નાથવાણીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ શરૂ કર્યું. આમાં સફળતા મળી. પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ વ્યવસ્થિત થયું એટલે શેરદલાલ તરીકે વડોદરા શેરબજારનું કાર્ડ લઈને જયપુર, અમદાવાદ અને લુધિયાણા શેરબજાર સાથે બિઝનેસલાઈન શરૂ કરી. સટ્ટાખોર સ્વભાવ હોવાથી શેરબજાર સદવા લાગ્યું.થોડી આવક થાય એટલે અમુક રકમ અગાઉના લેણદારોને ચૂકવી દે. બાકીની રકમ હાથ પર રાખે.
ધીરુભાઈ અંબાણીને મળવાની તક ઉભી થઈ અને …
૧૯૯૪-૯૫ની શરૂઆતના દિવસો હતા. રિલાયન્સ જૂથ જામનગરમાં રિફાઈનરી કરવા માંગતુ હતુ. રિફાઈનરીના આ પ્રોજેક્ટમાં પ્રારંભિક અડચણ વિશાળ જમીન મેળવવા અંગેની હતી. કંપની ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરવા માંગતી હતી પરંતુ છેલ્લી ઘડીએ હાઈકોર્ટે જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા રદબાતલ કરી નાખી હતી. શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી અને જામનગર પોતાનુ વતન હોવાથી પરિમલભાઈને રિલાયન્સના પ્રોજેક્ટની પ્રગતિ જાણવામાં રસ પડતો હતો. એક વખત તો તેમને સાંભળવા મળ્યુ કે રિલાયન્સ જમીન સંપાદનના મામલે કંટાળીને રિફાઈનરીનિ આખો પ્રોજેક્ટ રાયગઢ-મહારાષ્ટ્ર લઈ જશે. આ સાંભળીને પરિમલભાઈને ભારે દુ:ખ પહોંચ્યું હતુ કારણકે જામનગર તેમનુ વતન હતુ અને તેનો વિકાસ અટકતો હતો.
જો કે પછી પરિમલભાઈ પોતાના કામોમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને એક દિવસ તેમના ભત્રીજા મનોજનો મુંબઈથી ફોન આવ્યો કે આવતીકાલે બધા કામો પડતા મૂકીને મુંબઈ પહોંચી જાઓ. ધીરુભાઈ અંબાણી સાથે તમારી મિટીંગ ગોઠવી છે. મનોજ રિલાયન્સમાં નોકરી કરતો હતો. પરિમલભાઈએ મિટીંગનું કારણ પૂછ્યું તો મનોજે કહ્યું કે પહેલા અહીં આવી જાઓ પછી બીજી બધી વાત થશે.
પરિમલભાઈને મિટીંગનું કારણ જાણવા કરતા વધુ રસ ધીરુભાઈને નજીકથી જોવાનો હતો. પરિમલભાઈ શેરબજારમાં હતા એટલે ધીરુભાઈની વાતો અવારનવાર થતી હતી. ધીરુભાઈના ફોટા છાપામાં જોયા હતા. પરિમલભાઈની ઈચ્છા ધીરુભાઈને મળવા, જોવાની અને તક મળે તો અડવાની હતી.
બીજા દિવસે સવારે પરિમલભાઈ મુંબઈ જવા ઉપડ્યા. સવારે પોણા બાર વાગ્યે એમણે મેકર ચેમ્બર્સ પહોંચવાનુ હતુ.
ધીરુભાઈ અંબાણીને પરિમલ નથવાણીનો આત્મવિશ્વાસ ગમી ગયો …
મેકર ચેમ્બર્સમાં ધીરુભાઈ સાથેની મિટીંગમાં પરિમલભાઈ કહ્યું ” સોરી સર પણ મને લાગે છે કે આપણે જામનગર રિફાઈનરીના જમીન સંપાદન માટે સામાન્ય ખરીદદારની માફકજ ખેડૂતો પાસે જવુ જોઈતુ હતુ. જમીન સંપાદનના કામમાં રહેલી કેટલીક ખામીઓને કારણેજ હાઈકોર્ટે કંપની વિરૂદ્ધ જજમેન્ટ આપ્યુ છે. જે ખેડૂતોને ખબર છે કે તેમની જમીનના દસગણા ભાવ મળવાના છે એ ખેડૂતો તો ઘણા લાંબા સમયથી કોર્ટના પોઝીટીવ હુકમની રાહ જોતા જ હતા. કોર્ટમાં આપણે બે વર્ષ બગાડ્યા છે પણ જો આટલો જ સમય આપણે સીધો ખેડૂતોને કન્વીન્સ કરવામાં વાપર્યો હતો તો શક્ય છે કે અત્યારે એંશી ટકા જમીન આપણે મેળવી લીધી હોત.
ધીરુભાઈએ સામે પૂછ્યું ” તમને ખબર છે, રિલાયન્સને જામનગરમાં કેટલી જમીન જોઈએ છે?”
પરિમલભાઈએ કહ્યું ” હા, લગભગ સાત હજાર એકર અને આટલી જમીન લગભગ ૧૧૦૦ ખેડૂતો વચ્ચે આવેલી છે.”
પરિમલભાઈએ ધીરુભાઈ અંબાણી સમક્ષ આત્મવિશ્વાસથી વાત કરી હતી એનાથી માહોલ જામ્યો હતો. ધીરુભાઈએ સીધા ખરીદાર બનીને જમીન ખરીદવાની તૈયારી મૂકી પણ એ પહેલા પેપરવર્કની ચકાસણી કરવાનુ કહ્યુ. પરિમલભાઈએ એક અઠવાડિયાનો સમય માંગ્યો.
ધીરુભાઈ પાસેથી છૂટા પડીને પરિમલભાઈએ સીધો જામનગરનો રસ્તો પકડ્યો.જામનગર પહોંચીને વડોદરા ફોન કરી કહી દીધુ કે પોતે હવે દસ દિવસ સુધી વડોદરા આવી શકશે નહીં. કામ જબરજસ્ત ચેલેંજીંગ હતુ અને સારા એવા પૈસા પણ મળે એમ હતા જો કે જામનગર આવતી વખતે પૈસાની વાત જરા પણ મનમાં ન હતી. રિલાયન્સને કશુંક કરી દેખાડવાની તમન્ના હતી.
જામનગર આવીને પરિમલભાઈએ પહેલુ કામ અગિયારસો ખેડૂતોના સરનામા મેળવવાનું કર્યું. આ અગિયારસો ખેડૂતોની જમીન રિલાયન્સના પ્રોજેક્ટ માટે જરૂરી હતી. રિલાયન્સ આ ખેડૂતોને એક વીઘાના બે હજારના ભાવ સામે વીસ હજારનો ભાવ આપવાની હતી. પરિમલભાઈએ એ જાણવું હતુ કે દસગણા ભાવ મળતા હોવા છતા ખેડૂતોને આ સોદામાં વાંધો શું હતો? તપાસ કરતા માલૂમ પડ્યું કે ખેડૂતો તો વીધા દીઠ એક લાખ રૂપિયાનો ભાવ માંગતા હતા. એટલેકે બે હજારની જમીનના મળતા હતા વીસ હજાર પણ જોઈતા હતા એક લાખ. પરિમલભાઈએ એ જાણવાનુ હતુ કે ખેડૂતોને ભડકાવે છે કોણ? ભડકાવવાનું કારણ શું? આ બધી તપાસ પૂરી કરીને તેઓ પરત મુંબઈ ગયા.
જ્યારે એક એક ક્ષણ એક એક ભવ જેવી લાગી હતી …
આ વખતે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી અને પરિમલ નથવાણી વચ્ચે ફરીથી એક વખત મિટીંગ થઈ. તમામ ચર્ચાવિચારણા પછી ધીરુભાઈએ પરિમલ નથવાણીને પૂછ્યું કે “જમીન સંપાદનની જવાબદારી તમને સોંપી દઈએ તો તમે એ કામ કેટલા સમયમાં પૂરુ કરી શકો? પરિમલભાઈએ ફટ દઈને જવાબ આપ્યો - છ મહિનામાં.
અર્ધી મિનીટ માટે મેકર ચેમ્બર્સની એ ઓફિસમાં ચુપકિદી છવાઈ ગઈ. પરિમલભાઈને એક એક ક્ષણ એક ભવ જેવી લાગવા માંડી. ધીરુભાઈ અને મુકેશ અંબાણીને શાંત બેઠેલા જોઈને પરિમલભાઈને લાગ્યું કે આ બંને હમણા મારા પર ખડખડાટ હસી પડશે. પણે એવું કશું થયું નહીં અને અર્ધી મિનીટની શાંતિ પછી ધીરુભાઈએ કહ્યું કે “પરિમલ તમે કામે લાગી જાઓ.પણ તમને હું છ નહિ ત્રણ જ મહિના આપુ છું. મારે ત્રણ મહિનામાં રિફાઈનરીનું કામ પૂરુ જોઈએ.” પરિમલભાઈ રિલાયન્સનું કામ મળ્યુ એનાથી જેટલા ખુશ હતા એટલાજ ત્રણ મહિનામાં આ ચેલેંજ પૂરી કરવાની છે એ વિચારે ટેન્શનમાં પણ આવી ગયા હતા. સાંજે જ તેઓ ફ્લાઈટમાં જામનગર પહોંચ્યા. તેમણે વિચાર્યું કે કામ આજે જ શરૂ કરી દૌ અને આજે ને આજે રાત્ર કમસેકમ ત્રણ ખેડૂતોને તો મળી જ લેવુ.
ચેલેંજ જામનગર …
૭૦૦૦ એકરની રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ જામનગર જિલ્લાના સિક્કા, નાની ખાવડી, મેઘપર, પડાળા, ગાગવા, પીપળી અને મોટી ખાવડી ગામો વચ્ચે આવેલી છે. એકતરફ હિંદ મહાસાગર, બીજી તરફ કાનાલૂસની રેલવેલાઈન અને ત્રીજી તરફ જામનગર આવેલુ છે.
રિફાઈનરી માટે જમીન ખરીદવા પરિમલભાઈએ હવે એક એક ખેડૂતને ઘરે જવાનુ હતુ. ઈન્ડસ્ટ્રી વિરોધીઓ, પર્યાવરણવાદીઓ, સ્થાનિક વિધ્નસંતોષીઓને ઠારવાના હતા. ખેડૂતો સાથે મિટીંગ શરૂ થવા લાગી.
“મોટા ભાઈ આવે ત્યારે આવજો .. નાનો બહાર ગયો છે … બાપુનો જીવ જમીનમાં છે … બાજુના શેઢાવાળા ગીગાભાઈ શું કરવાના છે? … તમારો ભાવ ખોટો છે … જમીન વેચ્યા પછી અમારુ શું … માગો તો જીવ દઈશું, પણ જમીન ભૂલી જાવ … ગામમાં આવ્યા છો તો ટાંટિયા ભાંગી નાખીશું” એવા જવાબો સાંભળ્યા પછી પણ પરિમલભાઈ લાગેલા રહ્યા. કોઈ રાત્રે બાર વાગ્યે બોલાવે તો કોઈ ખેડૂતને મળવા બપોરે ત્રણ વાગ્યે જવુ પડે. કોઈના ઘરે અંતિમ નિર્ણય બાપુજી લેતા હોય તો વળી કોઈ પરિવારમાં બનેવીનું જ ચાલતુ હોય. પરિમલભાઈએ બે મહિનામાં એક એક ખેડૂતને મળી લીધુ. એમની જ બોલી બોલવાની અને એમની રીતભાત સાથે એમને મળવાનુ.
કંપની આવવાથી શું ફાયદા થશે, ખેતર વેચાણથી શું લાભ થશે એ બધું ગામલોકોને સમજાવતા. ગામવાળા શરત મૂકે કે ગામમાં દવાખાનુ બનાવડાવવુ પડશે કે ગૌશાળા બનાવવી પડશે, પાણીના ટાંકા, સમાજની વાડી, ડામરના રસ્તા, તો બધી માંગ સ્વીકારી લેતા. ક્યારેક બીજી સવારે ખબર પડે કે જે જમીનનો સોદો થવાનો હતો ત્યાં મંદિર કે કબર બની ગઈ છે. ભારે હાડમારી વચ્ચે ત્રણ મહિના પૂરા થયા.
બરાબર ત્રણ મહિના વચ્ચે પરિમલભાઈ અને ધીરુભાઈ અંબાણી વચ્ચે મિટીંગ થઈ. જરૂર કરતા માત્ર ત્રીસ ટકા જમીન મેળવી શકાઈ હતી. મિટીંગ માંડ દસ મિનીટ ચાલી. કામગીરીનો રિપોર્ટ જાણીને ધીરુભાઈએ પૂછ્યું કે બાકીની જમીનને કેટલી વાર લાગશે ? પરિમલભાઈએ બીજા ત્રણ મહિનાની મુદ્દત માંગી. ધીરુભાઈએ તે સ્વીકાર્યું. આ નવી મુદત સાથે પરિમલભાઈને સમજાઈ ગયું કે જો તેમને પહેલી જ મિટીંગમાં છ મહિના અપાઈ ગયા હોત તો શક્ય છે કે થોડી આળસ થઈ જાત. ધીરુભાઈએ બહુ સૂઝબૂઝથી જ બે કટકામાં ત્રણ મહિનાનો ગાળો આપ્યો.
પરિમલ ‘ભાઈ’ ને પરિમલ ‘શેઠ’…
નવા ત્રણ મહિનામાં બીજી ચાલીસ ટકા જમીન મેળવી લીધી. કુલ જમીન સિત્તેર ટકા થઈ ગઈ. આ પછી પરિમલભાઈએ મુકેશ અંબાણીને કહ્યું કે પોતાનું મોટાભાગનું કામ પૂરુ થયું છે. બાકીની જમીનનું સંપાદન કામ હવે સ્વ.કેબી સુરતી કરશે.
પરિમલભાઈની વાત સાંભળીને મુકેશભાઈએ તેમને પરત વડોદરા જવાની ના પાડી દીધી. રિફાઈનરીના ક્ન્સ્ટ્રક્શન માટે હજારો લોકો જામનગર આવવાના હતા એમને રહેવાની તથા જામવગરથી મોટી ખાવડી લાવવા લઈ જવાની વ્યવસ્થા સોંપી. પરિમલભાઈની ખોડિયાર એસ્ટેટ એજન્સીએ જામનગરમાં ત્રણસો વાહન ખરીધ્યા. બારસો ફ્લેટ ભાડે લીધા. જામનગર-મોટી ખાવડીના અપડાઉન માટે કુલ સત્તરસો વાહનો લીઝ પર રાખી લીધા.
આ જાયજેન્ટીક કામોને લીધે આખા જામનગર જિલ્લામાં પરિમલ નાથવાણીનું નામ ગાજી ઉઠ્યુ હતુ. પરિમલ ‘ભાઈ’ને પરિમલ ‘શેઠ’ની નજર પડી જાય એ માટે ધંધાર્થીઓ બેતાબ રહેતા. પરિમલ નાથવાણી રિફાઈનરીની સ્થાપના થતા સુધીમાં તો અંબાણી પરિવારની બહુજ નજદીક આવી ગયા.
ગુજરાતમાં ‘તાકતવર’ ગણાય છે પરિમલ નથવાણી …
ત્યારથી તે આજ લગી ગુજરાતમાં મુકેશ અંબાણીનો હાથ છે પરિમલ નથવાણી. આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે નેતાઓ, અધિકારીઓ, મિડિયાનવેશો, કોઈ પરિમલભાઈની વાત ટાળતા નથી. ચિક્કાર પૈસો વેરીને સરકારમાં ધાર્યુ કામ પાર પાડે છે પરિમલ નથવાણી.
અંબાણી પરિવાર જેમં ખૂબ જ આસ્થા ધરાવે છે એ દ્વારકાધીશ અને શ્રીનાથજીના મંદિરોમાં અંબાણી પરિવારે પોતાના નોમીની ટ્રસ્ટી તરીકે પણ પરિમન નથવાણીની નિયુક્તિ કરી છે.
પરિમલ નથવાણી હવે ઝારખંડમાંથી અપક્ષ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં ઘણા બિનગુજરાતીઓ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને સંસદમાં ગયા પરંતુ આ એક વિરલ કિસ્સો છ કે જેમાં એક ગુજરાતી ગુજરાતની બહારથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છે અને ઘણુ કરીને જીતશે. પરિમલભાઈની ઉમેદવારીને ઝારખંડના બાર ધારાસભ્યોનો ટેકો તો મળી ગયો છે બાવીસ ધારાસભ્યો તેમની તરફમાં મત આપશે તો તેઓ જીતી પણ જશે. આ બાવીસ ધારાસભ્યોને કેટલા નગદ શિરપાવ મળશે એ આપણી કલ્પના બહારનો વિષય છે.(સંપૂર્ણ)
*********************************************
પાંચ પગ વાળી આ ગાય કસાઈઓ પાસેથી ભાગ



















