Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Andar Bahar Gujarat: April+May+June+July 2008 Archives

અંદર બહાર ગુજરાત ( એપ્રિલ-મેના લેખોનો સંગ્રહ )
DeshGujarat.Com/ABG ( Collection of April - May )


જેપીની કલમે
માત્ર દેશગુજરાત.કોમ પર


લખનાર ૧૯૯૭થી ગુજરાતી પત્રકારત્વમાં અને ૧૯૮૭થી ગુજરાતના પબ્લીક અફેર્સમાં સક્રિય છે.
_______________________________________________________________________________


‘મેરા પતિ નિર્દોષ હૈ’ વાળું પત્રકારત્વ

15-08-2008

એક નવા પ્રકારનું પત્રકારત્વ ઉભું થયું છે આજકાલ. પોલીસ કોઈને પકડે એટલે પત્રકારો પકડાયેલી વ્યક્તિની પત્ની પાસે પહોંચી જાય છે. પત્ની કહે છે કે મારો પતિ તો નિર્દોષ છે. એટલે પત્રકારો ડાયરી પેન કાઢીને લખી નાખે છે અને પછી પહોંચી જાય છે અખબારી ઓફિસે કે જ્યાં એ લખાણ તંત્રી મંજૂર કરી દે છે અને પછી એ છપાઈ જાય છે. હું કહું છું મને એક પત્ની એવી બતાવો કે જે આવા સંજોગોમાં એમ કહે કે મારો પતિ દોષિત છે. પત્ની એમ કહે કે પતિ નિર્દોષ છે એ શું ન્યૂઝ છે? કે જાંબાઝીથી કામ કરતી પોલીસને ડરાવવાનો, ઢીલી કરવાનો અને લોકોને ભ્રમિત કરવાનો પેંતરો છે?

અમદાવાદના બોમ્બ ધડાકા બાદ ક્રાઈમ બ્રાન્ચના વીર પોલીસ કર્મચારી તરૂણ બારોટે અમદાવાદના દાણીલીમડામાં હલીમના ઘરે જઈને તેને ઉઠાવી લીધો. હલીમ અહેલે હદીસી નામના ઈસ્લામિક પંથમાં કાર્યરત છે. દાણીલીમડા વિસ્તારમાં એહલે હદીસીની મદરેસા, મસ્જીદ અને ઓફિસ છે. આની બિલકુલ પાછળ હિંદુઓની ચાલીઓ છે. ત્રણ વર્ષ પહેલા આ ચાલીમાં એક છોકરો ઉંધી હથેળીથી ઈંડા ફોડી બતાવતો હતો એની સ્ટોરી કરવા હું ગયો હતો ત્યારે ચાલીવાળાઓએ મને કહ્યું હતું કે તેમના ઘરથી એક જ દિવાલના અંતરે આવેલી અહેલે હદીસીની ઈમારતમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે અને તેમની તકરીરો વાંધાજનક હોય છે… ખૈર હલીમ પકડાયો પછી એહલે હદીસીની ઈમારતમાં એક પણ પત્રકાર એ પૂછવા, ફંફોસવા કે ઈન્વેસ્ટીગેશન કરવા જવાની હિંમત બતાવી શક્યો નથી કે એહલે હદીસી શું છે. તેના વિશેની વાતો મિથ્યા છે કે હકીકત…અમદાવાદમાં એહલે હદીસીની પ્રવૃત્તિ શું છે…. પત્રકારો આસારામ બાપુના આશ્રમમાં ઘૂસીને તો પત્રકારત્વ કરી આવે છે અને થોકબંધ લખાણો છાપે છે પરંતુ પત્રકારોને કહેશો કે જાઓ એહલે હદીસીની હકીકત જાણી લાવો તો તેઓ ત્યાં જવાની અને લખવાની હિંમત બતાવી નથી શકતા. એ જ રીતે આસારામ આશ્રમના બે બાળકોના શંકાસ્પદ મોત થયા તો આસારામના પંથ વિશે ઝીણી ઝીણી દરેક વિગતો વિસ્તારથી લખાય છે અને બધા પાછળ પડી જાય છે પરંતુ એહલે હદીસીના હલીમ મિંયા ગુજરાતના યુવકોને પાકિસ્તાન ટ્રેનીંગ માટે મોકલવાના આરોપસર પકડાય તો તેમના પંથ વિશે પત્રકારો ન તો ઈન્વેસ્ટીગેશન કરવાની હિંમત બતાવી શકે છે અને ન જ લખવાની કે પાછળ પડી જવાની. કેટલાક દિવસો પહેલા સૌરાષ્ટ્રની માંગરોળની મદ્રેસાની એક છોકરી બળી ગઈ અને તેણે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દમ તોડી દીધો. આ સ્ત્રીના મોત પછી મિડિયાએ મદ્રેસાની પાછળ પડી જવાનું હતું પણ મિડિયાને વાત મુસ્લિમો અંગેની હોવાથી ડર લાગ્યો. જો આ જ પ્રસંગ ત્યાંના આસારામ આશ્રમમાં બન્યો હોત તો ભારતભરનું મિડિયા ત્યાં પહોંચી જાત અને દિવસો સુધી ન્યૂઝ પ્રકાશિત કર્યા હોત.

પાછો મૂળ વાત પર આવું તો હલીમ પકડાયો એટલે બીજા જ દિવસે પત્રકારો એહલે હદીસીની મદ્રેસાના બદલે હલીમની પત્નીને ઘરે પહોંચી ગયા અને તેનું નિવેદન છાપી દીધું કે ‘મારા પતિ નિર્દોષ છે.’ હમણાં સીમીનો સાત વર્ષથી ભાગતો ફરતો સાજીદ મન્સૂરી ભરૂચમાંથી ઝડપાયો એટલે પત્રકારોએ એની પત્નીને સુરતમાંથી શોધી કાઢી અને તેનું નિવેદન લઈ લીધું ‘મારો પતિ નિર્દોષ છે’. સાજીદની પત્નીએ કીધું કે ‘અમે મુસ્લિમ છીએ એ જ અમારો વાંક છે?’ એ પણ છાપ્યું પેલા અખબારે. આવા ન્યૂઝમાં આરોપી પરત્વે કઈ રીતે વાંચકોની વધુને વધુ સહાનૂભૂતિ ખેંચી લાવી શકાય એના કિમિયારૂપે આરોપીની પત્નીની સાથે સાથે તેના નાના બાળકોના ફોટા પણ છાપવામાં આવે છે. સાજીદની પત્નીની સ્ટોરી સાથે પત્ની અને બાળકોના ફોટા હતા!

આવામાં મને યાદ આવતો કેટલાક વર્ષો પહેલાનો અમદાવાદની એક કોર્ટનો પ્રસંગ અહીં ટાંકી દઉં. અમદાવાદની કોર્ટમાં મુસ્લિમ આરોપીઓને લાવવામાં આવ્યા હતા. આરોપીઓ બોમ્બ ધડાકાના આરોપસર પકડાયેલા હતા. આરોપીઓ કોર્ટમાં બેઠેલા અને કેસ શરૂ થવાની વાર હતી. આવામાં એક આરોપી રડવા જેવો થઈ ગયો હતો. તેની પત્ની કોર્ટમાં તેને મળવા આવી હતી એ તેની નજીક ગઈ. બીબીએ એના આરોપી મિંયાને કહ્યું કે ‘તુ ક્યું ટેન્શન લેતા હૈ, તુને કહાં કુછ કીયા હૈ, તુ તો નિર્દોષ હૈ..’ હવે મજાની વાત એ છે કે નજીકમાં જ બે કોન્સ્ટેબલો ઉભા હતા જેમણે આ આરોપીનું ઈન્ટરોગેશ કર્યું હતું. તેમણે પેલાને કીધું કે ‘બતા તેરી બીબીકો તુ કૈસા નિર્દોષ હૈ, ક્યા ગુલ ખિલાયા હૈ તુને, તુને કૈસે બોમ્બ બનાયા થા, બતા ઉસકો..’ પેલા આરોપીએ મોઢું ઉંચુ કર્યું અને એની બીબીને કહ્યું કે ‘મૈંને બનાયાથા બોમ્બ’…

કોર્ટમાં આ પ્રસંગે પત્રકાર તરીકે હું હાજર હતો એટલે મેં આ પ્રસંગ નજરે જોયેલો છે.

આપણા પત્રકારો જ્યારે પોલીસ વધુ પડતી સિક્યુરિટી દાખવે ત્યારે લખે છે કે ‘પોલીસની હેરાનગતિ’ પછી જ્યારે ધડાકા થાય છે ત્યારે લખે છે ‘પોલીસની ચૂક’ પછી પોલીસ ધડાકાની પૂછપરછ માટે મુસ્લિમ વિસ્તારોમાંથી શકમંદ કટ્ટરવાદીઓને પકડી લાવે છે ત્યારે આપણા ચાંપલા પત્રકારો લખે છે ‘મુસ્લિમોને હેરાનગતિ, પોલીસનો અત્યાચાર’ પછી જ્યારે પોલીસ માહિતિ મળતા કોઈકની ધરપકડ કરે છે ત્યારે આપણા પત્રકારો લખે છે ‘પોલીસ સાચાને પકડી શકતી નથી અને નિર્દોષોને ફીટ કરી રહી છે, આ ધરપકડથી અનેક પ્રશ્નો ઉભા થાય છે…અનેક પ્રશ્નો અનુત્તરિત છે…’ પછી પત્રકારો પકડાયેલાની પત્ની પાસે પહોચી જાય છે અને તેનું નિવેદન છાપે છે ‘મારો પતિ નિર્દોષ છે’ આમાં પછી કોર્ટમાં અપીલ ફાઈલ કરીને એનજીઓ કૂદી પડે છે … આ બધું ચાલ્યા કરે છે.

સારું છે કે ગુજરાતની સરકાર કે પોલીસ મિડિયાથી દૂર જ રહે છે અને તેને અવગણે છે. નહીંતો કશું કામ જ ન થઈ શકે.

મિડિયાનું કામ વોચ ડોગ તરીકે હોય ત્યાં સુધી ઠીક છે પણ જવાબદારી બતાવવાની હોય ત્યારે મિડિયા વોચડોગના બદલે માત્ર ભસતા કૂતરાની અને તેથીય વિશેષ હડકાયા કૂતરાની પ્રવૃત્તિમાં આવી જાય છે. ખોટી માહિતી, અવિચારી, અપરિપક્વ, બેજવાબદાર, અધકચરું અને ભ્રમણા ફેલાવનારું રિપોર્ટીંગ કરીને અસત્યનો હડકવા ફેલાવે છે. પાછલા ઘણા સમયથી મને તો મિડિયાની એક સારા કામમાં નિમિત્ત બનવાની ભૂમિકા નજરે ચડતી નથી.

****


બોમ્બ ધડાકા:પ્રજા માટે સમસ્યા છે
પણ પોલીસ માટે તક છે

31-07-2008

અમદાવાદ અને સુરતના બોમ્બચાળાની ઘટનામાં ગુજરાતની જનતાએ સમસ્યાના દર્શન કર્યા. પણ પોલીસે હવે આમાં તકના દર્શન કરવા જોઈએ. દરેક સમસ્યા તેની સાથે સાથે તક પણ લઈને આવતી હોય છે. ગુજરાત કે જેની સરકાર આતંકવાદની ઘોર વિરોધી રહી છે અને આતંકવાદને કડકમાં કડક પગલાં લઈને નેસ્તનાબૂદ કરવાનો મનસૂબો ધરાવે છે તેની પાસે હવે અમદાવાદ-સુરતના બોમ્બ પ્રકરણ બાદ તક આવી પડી છે આતંકવાદીઓને ઝબ્બે કરવાની. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે બોમ્બ પ્રકરણમાં ગુજરાત પોલીસ છેક મૂળિયા સુધી જઈને આતંકવાદીઓનું નેટવર્ક શોધી કાઢશે અને ભારતને અવારનવાર અલગ અલગ શહેરોમાં થઈ રહેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાંથી છુટકારો અપાવશે.

ગૃહ રાજ્યમંત્રીની આ સ્પીરીટ સાચી દિશાની છે. ગુજરાત પાસે તક છે કે તે હવે બોમ્બ ધડાકાના આરોપીઓને શોધી કાઢે, તેમના નેટવર્કના એક એક માણસને ઝબ્બે કરે, તેમને જેલ ભેગા કરે, સજા અપાવે અને તેમની પ્રવૃત્તિઓને નેસ્તોનાબૂદ કરે. તે રીતે ભારતનું રક્ષણ કરવામાં પોતાનું પ્રદાર્પણ આપે.

બોમ્બ ધડાકા થયા ત્યાર પછી મને મળેલી પાંચથી સાત અલગ અલગ વ્યક્તિઓએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો કે ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ડીજી વણઝારા કરતા હતા એમાં શું ખોટું હતું? વણઝારાએ ગુનેગારોના એન્કાઉન્ટર દ્વારા રાક્ષસોમાં એક પ્રકારનો ભય ઉભો કર્યો હતો. માનવાધિકારને ધંધો બનાવી બેઠેલા આતંકવાદ પરસ્ત બદમાશોએ વણઝારા જેવા વીરોને જેલમાં નંખાવી દીધા છે. અન્ય પોલીસ ઓફિસરો વણઝારાના પ્રકરણને જોયા પછી કઈ રીતે શૂરવીરતા દેખાડી શકે? કઈ રીતે આતંકવાદીઓમાં આતંક ફેલાવી શકે?

ગુજરાતના સ્થાનિક મુસ્લિમો પૈકીના કટ્ટરવાદી તત્વોની ભાગીદારી વગર બોમ્બ ધડાકા થઈ શકે નહીં. સ્થાનિક ગદ્દારો સામે લોકોમાં ભયંકર રોષ છે. એ રોષ સામાન્ય મુસ્લિમ સામે પ્રગટ ન થઈ જાય એ માટે કેન્દ્ર સરકારના મંત્રીઓ ગુજરાત દોડી આવ્યા અને એવું ચલાવ્યું કે આ હિંદુ-મુસ્લિમોને ઝઘડાવી નાંખવાનું કોઈ ત્રીજાનું જ કાવતરું છે. મોદીને પણ આમાં જ રાજકીય અને પ્રજાકીય હિત દેખાયું એટલે એમણે પણ આ જ ચલાવ્યું. હકીકતમાં તો જો આવું કાવતરું હોય તો દસ બોમ્બ મુસ્લિમ વિસ્તારમાં પણ ફૂટે ને? કે જેથી મુસ્લિમો પણ હિંદુઓ સાથે ઝઘડે. અહીંતો તમામ બોમ્બ હિંદુ વિસ્તારમાં ફૂટ્યા છે. મિડિયાએ મુસ્લિમોને બચાવવા માટે સરખેજના હિંદુ વિસ્તારમાં થયેલો વિસ્ફોટ જુહાપુરામાં મુસ્લિમ વિસ્તારમાં થયો છે એવું ધુપ્પલ ચલાવ્યું. તિસ્તા સેતલવાડ અને રાહુલ બોઝ મુસ્લિમોને બચાવવા અમદાવાદ આવી ગયા. કેન્દ્ર સરકારે મુસ્લિમો પર હિંદુઓ બોમ્બ ધડાકા બાદ હુમલો ન કરી દે એ માટે આર્મી, સીઆરપીએફ અને આરએએફના જવાનો ઠાલવી દીધા. ઈતિહાસ ગવાહ છે કે અક્ષરધામ પછી પણ ગુજરાતના હિંદુઓએ મુસ્લિમોને કશું જ કર્યું ન હતું. સામાન્ય રીતે બોમ્બ ધડાકાનો કે ‘આતંકવાદી’ ગણાયેલી પ્રવૃત્તિનો પ્રતિસાદ હિંદુ પ્રજા કોમી રમખાણથી આપતી નથી.

હકીકત એ છે કે અક્ષરધામ હોય કે બોમ્બ ધડાકા, હુમલા હિંદુઓ પર થાય છે. ટાર્ગેટ હિંદુઓ જ બને છે. હિંદુઓ કંઈ કતલના બકરા છે? કે આમ કપાયા જ કરશે.. બોમ્બ ધડાકા પછી ગુજરાતના હિંદુઓમાં મુસ્લિમો પરત્વે નફરત અતિશય વધી છે એ હું વિવિધ લોકોને મળું છું ત્યારે માલૂમ પડે છે.હિંદુઓ અત્યારે ચૂપ છે પણ તેમનો ઉભરો ક્યારેક તો ઠલવાવાનો છે. શક્ય છે કે કેટલાક વર્ષો પછી કે કેટલાક દસકાઓમાં. એકતાના ઉપદેશોથી એકતા વધતી નથી. બનાવોના ઘા ભયંકર હોય છે. અલગ પાકિસ્તાન પણ આપ્યું અને પાછું અહીં હિંદુસ્તાનમાં પણ આ ઉધઈ જેવા આતંકી લોકોનું બોમ્બ સામ્રાજ્ય ચાલે એ ચલાવી લેવાય એવી વાત નથી.

ફરીથી, ગુજરાત પાસે તક છે હોસ્પિટલ જેવા સ્થળે બોમ્બ ધડાકો કરનારા મલેચ્છ રાક્ષસોને ઝબ્બે કરવાની અને નશ્યત કરવાની. ગુજરાત આ તક જવા ન દે.
*****


સંસદમાં ઘાંટા પાડીને હરિન પાઠકનું ગળું બેસી ગયું

25-07-2008

પેલા અમદાવાદના ભાજપના લોકસભાના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને દાદા-દાદા કહીને બોલાવતા હરિન પાઠકનું લોકસભામાં ઘાંટા ઘાંટ કરતા ગળુ બેસી ગયું છે. લોકસભાનું હમણા મનમોહનસિંઘ સરકારને ઉથલાવવા માટેનુ બે દિવસનું વિશેષ સત્ર યોજાયું તેમાં હરિન પાઠક ભાજપની સીટીંગ વ્યવસ્થામાં બીજી જ હરોળમાં બેઠા હતા અને કોઈ જલદ ચર્ચા થાય કે તુરંત જ ઉભા થઈને ઘાંટા પાડીને પોતાની દલીલ કરી દેતા હતા. હરિનભાઈએ કેટલાક વર્ષો પહેલા બાયપાસ સર્જરી કરાવી છે અને પછી પોતે પોતાના આરોગ્યનું એટલું તો ધ્યાન રાખે છે કે તેમનાજ કહેવા અનુસાર સવારના જાજરૂ અર્ધો કલાક મોડો થાય તો પણ ડોક્ટરને ફોન કરી દે છે. ઉંમરના સાહીઠના દસકામાં પહોંચેલા આ સાંસદ લોકસભાના વિશ્વાસના મતના સત્રમાં હાજરી આપવા ગયા ત્યારે જ તેમના પરિવારે તેમને કહ્યું હતું કે ‘સાચવજો’ પણ આપણા હરિનભાઈ કશ્મીરના મામલે બે વખત સંસામાં ઉશ્કેરાઈ ગયા અને એ એમના ગળાને બહુ ભારે પડ્યું. લોકસભામાં જ્યારે ભાજપના વિજય મલહોત્રા પોતાનું ભાષણ આપતા હતા ત્યારે વિજયજીએ અમરનાથની જમીનના વિવાદ અંગે બોલવાનું શરૂ કર્યું કે એટલે કશ્મીરની મહેબૂબા મુફતી બેન્ચ પર પોતનાઅ સાંસદો સાથે ઉભી થઈ ગઈ અને સામી દલીલો કરવા લાગી. આ વખતે હરિન પાઠક પોતાની સીટ પર ઉભા થઈ ગયા અને મોટે મોટેથી લગભગ ડઝન વખત સતત બોલ્યા કે જમીન દે દો , જમીન દે દો … આ પછી થોડી જ ક્ષણોમાં બીજા પ્રસંગે ફરીથી વિજયકુમાર મલહોત્રાએ કશ્મીરનો મુદ્દો ઉખાળ્યો એટલે મહેબૂબા મુફતી ઉભી થઈ અને હરિનભાઈ સામે ઉભા થયા અને પછી હરિનભાઈ લગાતાર બોલતા રહ્યા કે ‘રહેવા દે, મહેબૂબા તારી બહેનને છોડાવા માટે આતંકવાદીઓને છોડી મૂક્યા હતા એ તારો ઈતિહાસ છે’ હરિનભાઈને ઘાંટા પાડી પાડીને ઉગ્રતાથી આમ બોલતા જોઈને મને થયું કે આ હરિનભાઈ ક્યાંક ફસડાઈ ના પડે. આમે ય હાર્ટ પેશન્ટ છે. પણ સંસદ પત્યા પછી મે મારા દિલ્હીના સોર્સ પાસેથી જાણ્યું કે હરિનભાઈના હાર્ટને કશું નથી થયું પણ તેમનું ગળું બેસી ગયું છે. તો મેં કીધું ચાલો ચિંતાનો વિષય નથી, ગળું તો સરખું થઈ જશે. પણ કશ્મીર મામલે હરિન પાઠકે જે રીતે મહેબૂબા મુફતી સામે ઘાંટા ઘાંટાઘાંટ કરી એ યાદગાર રહી જશે.બોલો જય ગુજરાત અને જય બાબા અમરનાથ કી
***


આરોગ્યમંત્રીના આયુર્વેદના નુસખા

15-07-2008

પાછલા અઠવાડિયે ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે એમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો. વ્યાસે બ્લડ ટેસ્ટનો રિપોર્ટ તેમના ડોક્ટરને બતાવ્યો. ડોક્ટર તો ચોંક્યા અને જયનારાયણભાઈને ફરીથી રિપોર્ટ કઢાવવાનો કહ્યો કારણકે આ રિપોર્ટ ડોક્ટરને ખોટો લાગ્યો. ડોક્ટરને આ રિપોર્ટ ખોટો એટલા માટે લાગ્યો કારણકે આ ટેસ્ટ રિપોર્ટ અનુસાર જયનારાયણભાઈનું આયર્ન ત્રણ જ મહિનામાં અઢી ગ્રામ જેટલું વધી ગયું હતુ. સામાન્ય રીતે આટલું જલ્દી આટલું બધું હિમોગ્લોબીન વધે નહીં તેથી ડોક્ટરને આ રિપોર્ટ ખોટો નીકળ્યો હોવાની શંકા ગઈ. પરંતુ જયનારાયણભાઈને આ રિપોર્ટ પર જરા પણ શંકા ન હતી. તેમણે કહ્યું કે આયુર્વેદિક ગળોસવા લેવાના કારણે આયર્ન આટલું બધું વધ્યું છે.

જયનારાયણભાઈએ આ પ્રસંગ આમદાવાદમાં આયુર્વેદના પરિસંવાદમાં મંચ પરથી કહ્યો અને મેં આ પ્રસંગ પછી અમારા એક સિનિયર પત્રકારબંધુને કહ્યો તો સિનીયર પત્રકારબંધુએ આ વાત આગળ ધપાવતા મને કહ્યું કે મંત્રીમંડળના મંત્રીઓને આ ગળોનો આસવ ડબ્બીમાં વજુભાઈ વાળા વહેંચે છે. સિનિયર પત્રકારબંધુએ કહ્યું કે ગળાથી આયર્ન વધે છે. ગળાને વ્યવસ્થિત રીતે લઈ શકાય એ માટે તેને આધુનિક રીતે ડબ્બીમાં ભરીને વેચવામાં આવે છે. નાણા મંત્રી આના કિમિયાગર છે અને રાજકોટથી આની ડબ્બીઓ મંગાવીને વહેંચતા હોય છે. કેટલાક પત્રકારો આ વાત જાણે છે અને તેમણે પણ વજુભાઈ પાસે આ ડબ્બીઓ મંગાવી છે પણ પછી જ્યારે વજુભાઈ પાસે ડબ્બી માંગો ત્યારે એમ જ કહે છે કે લાવ્યો તો પણ લોકોને વહેંચવામાં ખલાસ થઈ ગઈ.

બાય ધ વે, ફરીથી જયનારાયણભાઈની વાત પર પાછા આવીએ તો તેમણે મંચ પરથી બીજા પણ એક આયુર્વેદના કિમિયાની વાત કરી. તેમણે કહ્યું કે તેમના પૌત્રને ખાંસી સાથેનો કફ હતો અને ત્રણ ચાર દિવસ આમ રહ્યું. પછી જયનારાયણભાઈએ પોતે અરડૂસી, તુલસી, નાગરવેલના પાન કેળના પાનમાં વીંટાળી ઓવનમાં શેકી, ઠંડુ પડતા લૂગદીમાંથી રસ કાઢી સવાર સાંજ એક એક ચમચી પાયો અને ત્રણ દિવસમાં કોઈ એન્ટીબાયોટીક વગર કફ-ઉધરસ મટી ગયા. તેમણે મોઢામાં ચાંદા હોય તો ચણોઠીના પાન મોંમાં મૂકવાના જાત અનુભવ વિશે પણ વાત કરી અને પછી દુ:ખ પ્રગટ કર્યું કે શંખપુષ્પી, સાટોડી ખેતરોમાં નીંદણ નાથવા વપરાતી કેમિકલ યુક્ત દવાઓને કારણે અદ્રશ્ય થતી જાય છે જ્યારે વજ્રદંતી જંગલમાં દેખાતી નથી. તેમણે કહ્યું કે આયુર્વેદિક વનસ્પતિઓના નાના નાના નહીં પણ વીસ વીસ એકરના ફાર્મ ઉભા કરવા જોઈએ.

તો જયનારાયણભાઈને કહેવાનું મન થાય છે કે ભાઈ તમે આરોગ્ય મંત્રી છો તો કરોને આવા ફાર્મ ઉભા? તમે નહીં કરો તો કોણ કરશે હવે? ગુજરાતની આયુર્વેદિક કોલેજોમાં બે એકરનો આયુર્વેદિક ઔષધિ ઉત્પાદનનો બગીચો હોવો જોઈએ એવો કાઉન્સીલ ઓફ ઈન્ડિયન મેડિસીનનો કાયદો છે તો કમસેકમ ગુજરાત સરકાર સંચાલિત આયુર્વેદિક કોલેજોમાં એટલો બગીચો તો ઉભો કરાવો? કોઈ આયુર્વેદ કોલેજમાં આવો બગીચો નથી. અમદાવાદની આયુર્વેદ કોલેજ માટે દિલ્હીથી પાંચ કરોડ ફાળવાયા છે પણ તમારી સરકાર એ માટે જમીન પણ ફાળવતી નથી અને આથી તેની તથા બીજી ચાર સરકારી આયુર્વેદ કોલેજોની માન્યતા રદ થવામાં છે, નવા એડમીશન પર પ્રતિબંધ મૂકાયો છે એ માટે તો કશું કરો? ફાળવો જમીન અને બનાવો તેમાં બગીચો જયનારાયણભાઈ … માત્ર આયુર્વેદ પ્રત્યેની સારી નિયત, સારા અનુભવો અને સારા વક્તવ્ય પછી કર્મમાં પણ ધગશ બતાવો જયનારાયણ ભાઈ.


એલોપથીના ડોક્ટરો આયુર્વેદ તરફ વળે છે એવી છે ક્ષારસૂત્ર ચિકિત્સા

15-07-2008


કેટલાક રોગોમાં આયુર્વેદની ઉપચાર પદ્ધતિ એવી તો સફળ નીવડે છે કે એલોપથી હારી જાય છે. હમણા અમદાવાદમાં ભારત સરકારના આરોગ્ય વિભાગની આયુર્વેદ પાંખ તરફથી ક્ષાર સૂત્ર ચિકિત્સા અંગે વર્કશોપ યોજાયો હતો. ક્ષાર સૂત્ર ભગંદર મટાડવા માટેની આયુર્વેદીક વિધિ છે. એલોપથીના મુકાબલે દસ ટકા ખર્ચમાં ક્ષારસૂત્રથી ભગંદર અને મસા મટાડી શકાય છે. કોઈ એન્ટીબાયોટીક લેવી પડતી નથી, કોઈ એનેસ્થેશ્યા લેવો પડતો નથી અને થોડી મિનીટોની વિધિ બાદ દવાખાનેથી પાછા કામ પર ફરી શકાય છે. ક્ષાર સૂત્રની વિધિ ઉપચારમાં એવી તો ચડિયાતી છે કે અમદાવાદની એનએચએલના ડો.પરીખ જેવા અનેક ડોક્ટરો એલોપથીના ડોક્ટર હોવા છતા મસા-ભગંદરનો ઉપચાર આયુર્વેદની ક્ષારસૂત્ર પદ્ધતિથી કરે છે. ક્ષાર સૂત્રની વિધિમાં આલ્કલી ખાર ધરાવતો દોરો થોરના દૂધ અને હળદર તથા અન્ય આયુર્વેદીક દવાઓનો લેપ લગાવી ને સ્ટરીલાઈઝડ ટ્યુબમાં તૈયાર કરવામાં આવે છે જે મસા પર બાંધી દેવામાં આવે તો મસો બળી જાય છે અને ભગંદરના પોલાણમાં નાખવામાં આવે તો પોલાણ સંધાઈ જાય છે. કેન્દ્ર સરકારને લાગ્યું કે આ વિધિ એલોપથી કરતા વધુ સારી છે એટલે કેન્દ્ર સરકારે બનારસમાં આ માટે ડોક્ટરોને ટ્રેનીંગ આપવા તથા ઓથેન્ટિક ક્ષાર સૂત્રની વિધિ તૈયાર કરવા ખાસ સેન્ટર સ્થાપ્યું છે. અહીં એલોપથીના ડોક્ટરો જઈને ક્ષારસૂત્રની આયુર્વેદિક સારવારની તાલીમ લે છે. આ સેન્ટરના એસકે ગુપ્તા સાથે મારે પરિસંવાદ વચ્ચેના બ્રેકમાં વાતચીત થઈ તો તેમણે કહ્યું કે તેઓ પ્રત્યેક રાજ્યમાં ક્ષાર સૂત્ર ચિકિત્સાના પ્રચાર માટે વર્કશોપ કરી રહ્યા છે. અમદાવાદમાં ક્ષાર સૂત્રનું કેન્દ્ર સ્થાપવાની પણ તેમની ભાવિ યોજના છે. આ કેન્દ્ર કોમ્પ્યુટર દ્વારા બનારસના ક્ષારસૂત્રના મુખ્ય કેન્દ્ર સાથે જોડાયેલું રહેશે. ક્ષારસૂત્રનો સફળતાનો રેશિયો ૯૭ ટકા જેટલો છે. એલોપથી એટલેકે મોડર્ન પશ્ચિમિ ચિકિત્સા પદ્ધતિ વાળાઓ આપણા દેશની આ હજારો વર્ષ જૂની ચિકિત્ર્સા પદ્ધતિ તરફ શંકાની નજરે જોતા હતા. પછી દિલ્હીની એઈમ્સ, ચેન્નઈની મદ્રાસ મેડિકલ કોલેજ, પીજીઆઈ ચંદીગઢ સહિતની ચાર ખ્યાતનામ મેડિકલ સંસ્થાઓએ ક્ષારસૂત્રની સારવાર લેનારા સાતસો દર્દીઓની વૈજ્ઞાનિક તપાસ કરી તો તેમને તેમાં ૯૫ ટકા સફળતાનો રેશિયો જણાયો. શ્રી એસકે શર્માએ કહ્યું કે સામાન્ય રીતે આયુર્વેદનું ભણનારા વિદ્યાર્થીઓ આગળ જતા એલોપથીની પ્રેક્ટીસ શરૂ કરી દેતા હોય છે. પરંતુ ક્ષારસૂત્ર એવી સફળ આયુર્વેદિક ચિકિત્સા છે કે જે એલોપથીના ડોક્ટરો એલોપથી છોડીને કરે છે.

****


ખૈરનાર કહે છે:મારા જેવી ભૂલ બીજા કોઈએ ન કરવી જોઈએ

11-07-2008

ગોવિંદ રાધો ખૈરનાર યાદ છે? જી આર ખેરનાર?

મુંબઈના એક સમયના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા ખૈરનાર. ખૈરનારે આ પદ પર રહેતા ધમકીઓ સહન કરીને પણ દાઉદ ઈબ્રાહીમના ગેરકાયદે મકાનને તોડ્યું હતું. દાઉદની જૂની મિલકતોની જપ્તી બાદ મુંબઈ પોલીસ તેની હરાજી કરે છે તો કોઈ દાઉદના ભયથી એ હરાજીમાં ભાગ લેવા પણ નથી આવતું એવામાં ખૈરનાર તેની ગેરકાયદે મિલકતોને તોડતા પણ અચકાતા ન હતા. ખૈરનાર એ દિવસોમાં ભારતના હીરો બની ગયા હતા. અમદાવાદ આવ્યા હતા તો ખીચોખીચ હોલમાં ભાષણ થયું હતું અને ખૈરનારને જોવા અગાશીઓમાં, રસ્તાની બંને તરફ લોકો ઉમટ્યા હતા. પછી તો ખૈરનારે તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવાર વિરૂદ્ધ થોડા ઉચ્ચારણો કર્યા અને ભાજપ-શિવસેના દ્વારા શાસિત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર વિશે પણ ખુલીને બોલ્યા. ખૈરનાર સસ્પેન્ડ થયા. પછી હાઈકોર્ટ દ્વારા રાહત મળી અને પાછા ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીના પદ પર નોકરીમાં લેવાયા તો મુસ્લિમોનું એક ગેરકાયદે બાંધકામ તોડ્યું અને મુસ્લિમોએ મસ્જીદ તોડી હોવાની અફવા ફેલાવી. તોફાન થઈ ગયું. એક જણ પોલીસ ફાયરીંગમાં મૃત્યુ પામ્યો…

પણ આ બધી વાતો ભૂતકાળની છે.

ડિસેમ્બર ૨૦૦૦ના વર્ષમાં ખૈરનાર નિવૃત્ત થયા ત્યાર પછીની કહાની રોચક છે. ખૈરનાર હોદ્દા પર હતા ત્યારે તેમણે પોતાના પરિવાર માટે ઝાઝું વિચાર્યું ન હતું અને કામની ધૂનમાં મસ્ત હતા. વળી પૂરી પ્રામાણિકતા તો ખરી જ. આવામાં તેમણે મ્યુનિસિપાલિટીના આપેલા નોકરીના ઘરમાં રહેતા રહેતા એવું ક્યારેય વિચાર્યું નહીં કે પોતાનું એક ઘર પણ હોવું જોઈએ. મુંબઈના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવ તો તમારે પોતાનું ઘર ખરીદવાના પૈસાની કોઈ ચિંતા રહે નહીં. પણ ખૈરનાર પ્રામાણિક હતા. નિવૃત્તિ બાદ તેમનું મ્યુનિસસિપાલિટીનું આપેલું નોકરીનું ઘર ગયું અને પોતે ઘરવિહોણા થઈ ગયા.

આવામાં પત્ની અને પુત્રી સાથે ક્યાં જવું એની મથામણ ચાલતી હતી ત્યારે ખૈરનારનો હાથ પકડ્યો એક ગુજરાતીએ. અમેરિકાના કેલિફોર્નીયા સ્થિત બિનનિવાસી ગુજરાતી પ્રકાશભાઈ શાહે ખૈરનારનો સંપર્ક સાધ્યો અને પોતાની સ્વૈચ્છિક સંસ્થા કેકે ચેરિટેબલ ટ્રસ્ટ માટે કામ કરવાની ઓફર મૂકી. ખૈરનારે આ ઓફર સ્વીકારીને કચ્છના ભૂકંપ બાદ કચ્છમાં છ મહિના કામ કર્યું. આ પછી દોઢ વર્ષ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ગરીબીની રેખા નીચે જીવનારાઓ માટે કામ કર્યું જેમાં કેટલાક ચેકડેમ પણ બનાવ્યા. આ પછી રાજકોટ નજીકના ગામમાં જાગૃતિનું કામ કર્યું. દરમિયાન પ્રકાશભાઈ શાહે જ ખૈરનારના પરિવારને મુંબઈમાં રહેવા માટે પોતાનો ફ્લેટ પણ આપ્યો હતો. ગુજરાતમાં કેકે ટ્રસ્ટના પ્રોજેક્ટ પૂરા થયા પછી પણ હાલ પોતાનું ઘર ન ધરાવતા ખૈરનાર પ્રકાશભાઈના ખાલી ઘરમાં જ પોતાની પત્ની આશાલતા અને એરલાઈન્સ કંપનીમાં કામ કરતી પુત્રી સંગીતા સાથે રહે છે.

જ્યાં પ્રકાશભાઈ નામના ગુજરાતીના કેકે ચેરિટેબલ ટ્રસ્ટનું કામ પૂરું થયું છે ત્યાં ખૈરનારનો હાથ બીજા બે ગુજરાતી એનઆરઆઈઓએ ઝાલ્યો છે. ચન્દ્ર પટેલ અને હેમાંશુ શુક્લ નામના બે ગુજરાતી એનઆરઆઈ ગુજરાતીઓએ પોતાની એરિયા ઈન્વેસ્ટમેન્ટ સર્વીસીસ પ્રાઈવેટ લિમીટેડમાં પનવેલ-ઉરણ વચ્ચેની જમીન પર ટાઉનશીપ બનાવવાના પ્રોજેક્ટમાં પાછલા સાત મહિનાથી ખૈરનારને સલાહકાર તરીકે રાખ્યા છે. ખૈરનારે પાછલા મહિને આમાંથી ઉંમર અને અશક્તિને કારણે રાજીનામું આપ્યું તો ગુજરાતી ભાઈઓએ તે સ્વીકાર્યું ન હતું અને કહ્યું હતું કે જેટલું કામ થાય એટલું જ કરો. કોઈ પ્રશ્ન નથી. ખૈરનારને કંપની તરફથી ઘરે લેવા મૂકવા ગાડી પણ આપવામાં આવી છે.

ખૈરનાર કહે છે કે એક વર્ષ પહેલા તેઓ કમરની તકલીફથી સાયન હોસ્પિટલમાં ભર્તી હતા અને ઓપરેશન બાદ પથારીવશ રહેવું પડ્યું હતું. પરિસ્થિતિ એવી હતી કે બસમાં સફર કરવાનું બનતું હતું. ત્યારે બસના કંડક્ટરો પૂછતા કે અરે ખૈરનાર સાહેબ આપ? શાક લેવા જાઉં તો શાકવાળા પૂછે, અરે ખૈરનાર સાહેબ? પછી એમ પણ કહે કે સાહેબ આપ ડેપ્યુટી કમિશનર હતા ત્યારે પરિસ્થિતિ થોડી સારી હતી. આવી ન હતી….

ખૈરનાર કહે છે કે પોતે કામમાં વ્યસ્ત હતા ત્યારે કુટુંબ માટે વિચારવાનો સમય મળ્યો ન હતો. કુટુંબના દ્રષ્ટિકોણથી એ મોટી ભૂલ છે. આવી ભૂલ બીજા કોઈએ ન કરવી જોઈએ. પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકરીના લીધે મળેલા ઘરમાં રહેતા હતા ત્યારે પોતાના ઘર વિશે વિચાર્યું જ ન હતું અને એવું સૂઝ્યું પણ ન હતું. પોતાની ગામની જમીન ભાઈને આપી દીધી હતી. ગામમાં કોઈની સાથે બહુ સંપર્ક રાખવાનો અને સંબંધોમાં,વ્યવહારમાં રહેવાની દરકાર પણ રાખી ન હતી તેથી ગામમાં પણ કોઈની સાથે ખાસ સંબંધ નથી…

છાસઠ વર્ષના ગોવિંદ રાધો ખૈરનારના દિમાગમાં આજે પણ એક પ્રશ્ન ઘૂમરાય છે. હાલ તો પ્રકાશ શાહ નામના ઉદાર એનઆરઆઈ ગુજરાતીએ રહેવા માટે આઈડીયલ એપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર સોસાયટી સામે, ગુલમહોર રોડ, જુહૂનો ફ્લેટ આપ્યો છે. પણ પોતાનું કોઈ ઘર નથી. કાલે શું થશે દિકરી, પત્ની અને પોતાનું કોઈ અલગ સંજોગોનું નિર્માણ થાય તો?
****


માણેકશાના નિધન પર દિલ્હીની ગાફેલગીરી,ગુજરાતની ટોકનગીરી

07-07-2008

ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું નિધન થયું પછી ખરેખર તો ભારતનો ધ્વજ અર્ધી કાંઠી ફરકાવવાની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચના જારી થવી જોઈતી હતી પરંતુ તે થઈ નહીં. ફિલ્ડ માર્શલના અંતિમ સંસ્કાર સમયે ભારતના સંરક્ષણ પ્રધાને તો કમસેકમ હાજર રહેવું જ જોઈતું હતું પરંતુ એકે એન્ટોનીને એની બુદ્ધિ સૂઝી નહીં કે સમય મળ્યો નહીં એ પ્રભુ ઈસુ જાણે. લાલ કૃષ્ણ અડવાણીએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા અને નિસ્બત દર્શાવવા પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંઘને ફોન કર્યો હતો પરંતુ અહીં મારે વાત એ કરવી છે કે અડવાણીના પટ્ટશિષ્ય નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શું કર્યું અને શું કરવું જોઈએ એની.

ગુજરાતમાં વીરત્વના આઈકોન્સની કમી છે. ફિલ્ડ માર્શલ સામ માણેકશા મૂળ ગુજરાતના વલસાડના પારસી પરિવારના હતા. માણેકશાના નેતૃત્વ હેઠળ ૧૯૭૧નું જે યુદ્ધ લડાયું એમાં ગુજરાત સેક્ટરમાં પણ ભારતીય સેનાએ જબરજસ્ત મોટી જીત મેળવીને પાકિસ્તાનના સિંધનું નગરપારકર કબજે કરી લીધું હતું. નગરપારકર વિસ્તારના હિંદુઓ તો આનાથી ગેલમાં આવી ગયા હતા. નગરપારકર ૧૯૭૧ની જીત પછી સિમલા કરાર થયા ત્યાં સુધી એક વર્ષ સુધી ગુજરાતના શાસન તળે રહ્યું હતું. એક વર્ષ સુધી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો બનાસકાંઠાથી નગરપારકર જતી હતી. નગરપારકરની જીલ્લા ઓફિસ પર ભારતનો ધ્વજ ફરકેલો રહ્યો હતો અને બનાસકાંઠાના કલેક્ટર નગરપારકર જીલ્લાનો વહીવટ કરતા હતા. સામ માણેકશાએ યુદ્ધમાં જે જીત મેળવી એ અફસોસ કે ઈન્દિરાએ મંત્રણાના ટેબલ પર એક એવી નબળી સમજૂતીમાં પલટી નાંખી કે આપણે પાકિસ્તાનના હજારો યુદ્ધ કેદીઓને તો છોડી મૂકવા પડ્યા હતા. આ ઉપરાંત નગરપારકર અને થરપારકરના પાકિસ્તાનના જીતેલા મુલ્ક પણ પાછા આપી દેવા પડ્યા હતા. નગરપારકરના ઘણા હિંદુઓ તો નગરપારકર પાકિસ્તાનને પાછું મળે એ પહેલા ગુજરાતમાં આવી ગયા હતા જ્યારે જે ત્યાં હજુ રહ્યા છે તેમાંના ઘણાને મુસ્લિમ બનાવી દેવાયાં છે.

સામ માણેકશાના અવસાન પછી ગુજરાતના મુખ્યમંત્રીએ માફક ટોકન શ્રદ્ધાંજલિ સંદેશો પ્રસારિત કરી દીધો છે જે કોઈ ખડ્ડૂસ જૂનો રાજકારણી ગુજરાતી મરે તો પણ મુખ્યમંત્રીની ઓફિસ કરે જ છે એવું રૂટિન કામ છે. ખરેખર તો ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું શાનદાર પૂતળું અમદાવાદ, વલસાડ કે ભુજમાં મૂકવાનો અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એનો કેબીનેટમાં નિર્ણય થવો જોઈએ. અમદાવાદના એરપોર્ટથી શાહીબાગ આવતા લશ્કરી કેન્ટોન્ટમેન્ટવાળા રસ્તાને ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું નામ આપી શકાય, આ રોડ પર કેન્ટોન્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ પાકિસ્તાન સાથેના ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની જે ટેન્કો ભારતની સેનાએ પડાવી લીધી હતી એ મૂકેલી છે. ફિલ્ડ માર્શલનું પૂતળું આ ટેન્ક પર બેઠેલું હોય કે તેનો ટેકો દઈને ઉભું હોય એવું ક્રિએટીવ રીતે પણ સ્થાપી શકાય. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ક્ચ્છમાં ભુજથી ખાવડા થઈને આગળ ઈન્ડિયા બ્રીજ વટાવો એટલે પાકિસ્તાન તરફ જતો રોડ શરૂ થાય છે જે સામાન્ય જનતા માટે પ્રતિબંધિત છે. આ રોડની શરૂઆતે ઈન્ડિયા બ્રીજની પેલી તરફ પણ સામ માણેકશાનું પૂતળું સ્થાપિત કરી શકાય છે અથવા આ પથને સામ માણેકશા રોડ નામ આપી શકાય છે. સરકાર રાજ્ય શાળાઓમાં ફિલ્ડ માર્શલ સામ માણેકશાના વીરત્વની ઝાંખી કરાવતો પાઠ પણ પાઠ્યપુસ્તકમાં દાખલ કરાવી શકે છે.

આપણે ત્યાં ચીમનભાઈ પટેલ જેવો ભ્રષ્ટ અને ગુનેગારો સાથે સાંઠગાંઠ કરીને રાજ્યનું ધનોતપનોત કાઢનારો નેતા મરે તો ગાંધીનગર જવાના મુખ્ય ઓવરબ્રિજ જવાના મહત્વના માર્ગ પર એનું પૂતળું ગોઠવાઈ જાય છે. જવાહરલાલ નહેરૂના પત્ની કમલા નહેરૂનું નામ કોઈ લાયકાત વગર કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયને આપી દેવામાં આવે છે. હવે થોડા સમકાલીન, નોનપોલીટીકલ આઈકોન્સ ઝંખે છે ગુજરાત. ગુજરાત સરકાર માત્ર ટોકન શ્રદ્ધાંજલિની પ્રેસનોંધ લખીને છટકી જઈ શકે એવું સામ માણેકશાનું પ્રદાન ન હતું. તેમનું પ્રદાન મોટું હતું, તેને પ્રતિસાદ પણ મોટો આપવો પડે. આમ કરવાથી ગુજરાતનું ગૌરવ વધશે.

***


Fake ટેકનોક્રેટની વાત

28-06-2008

આજે વાત કરવી છે fake એટલેકે નકલી ટેકનોક્રેટની. આજના શનિવારના દિવ્ય ભાસ્કરમાં તંત્રી લેખના પાને નિરમા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એનવી વસાણીનો મસ મોટો લેખ છપાયો છે. આ લેખનું સબ ટાઈટલ વાંચતા જ મને કેટલાક શબ્દો નજરે પડ્યા… ક્રિએટીવ ઈકોનોમી, ટેલેન્ટ, ટોલરન્સ અને ટેકનોલોજી … આ શબ્દો મેં કેટલાક વર્ષો પહેલા અમેરિકાના વિદ્વાન લેખક રિચર્ડ ફ્લોરિડાના પુસ્તકમાં વાંચ્યા હતા એટલે વસાણીનો લેખ વાંચતા પહેલા જ મને માલૂમ પડી ગયું કે લેખમાં રિચર્ડ ફ્લોરિડાની થીયરીની વાતો હશે. અને હું સાચો હતો. લેખ વાંચતા લીટીએ લીટીએ રિચર્ડ ફ્લોરિડાની થીયરીનું પ્રતિબિંબ હતું. ફ્લોરિડાની થીયરી એવી છે કે કોઈ પણ શહેરે વિકાસ પામવું હોય તો ટેલેન્ટ, ટેકનોલોજી અને ટોલરન્સ એ ત્રણ પરિબળો હોવા જરૂરી છે. વસાણીના લેખમાં ફ્લોરિડાની આ થીયરી શરૂથી અંત સુધી વાંચવા મળી, એટલે સુધી કે ફ્લોરિડાએ તેના પુસ્તકમાં આપેલા ઉદાહરણો પણ વસાણીએ એમના એમ લખ્યા છે.

પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે વસાણીએ આખા લેખમાં રિચર્ડ ફ્લોરિડાના નામનો કે આ થીયરી રિચર્ડ ફ્લોરિડાની છે એવો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. ઉલટુ વસાણીએ આ લેખમાં એક સ્થાને લખ્યું છે કે ‘હું સ્પષ્ટપણે માનું છું કે ક્રિએટીવ સેક્ટર માટે સજ્જ થવાના આયોજનમાં સૌથી અગત્યના પરિબળો એ ત્રણ ‘ટી’-ટેકનોલોજી, ટેલેન્ટ અને ટોલરન્સ છે…’ એટલે કે રિચર્ડ ફ્લોરિડાના ત્રણ ટીના સિદ્ધાંતને વસાણીએ પોતાની માન્યતા તરીકે ખપાવી દીધા છે!!

હવે મજાની વાત એ છે કે આ એનવી વસાણી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા છે જ્યાં પીએચડીની થીસીસની ઉઠાંતરી કરીને લોકો ડોક્ટરેટ મેળવે છે એ જાણીતી વાત છે. કદાચ વસાણીના કાર્યકાળમાં જ આ પ્રથા શરૂ થઈ હશે. ઓકે વસાણી ખુદ કઈ રીતે તેમના નામ આગળ ડોક્ટર લગાવતા થયા એ પણ રસપ્રદ વાત છે. વસાણી નિરમા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે અને આ પદે રહેતા જ તેમણે નિરમા યુનિવર્સિટીનો અમેરિકાની ફ્લોરિડા સ્થિત યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યો કે જેના અંતર્ગત નિરમાના વિદ્યાર્થીઓ શરૂઆતના બે વર્ષ નિરમામાં ભણે અને ત્રીજું વર્ષ ફ્લોરિડાની યુનિવર્સિટીમાં ભણે. આ સ્કીમ પછી બંધ કરવી પડી કારણકે વિઝા ન મેળવી શકેલા વિદ્યાર્થીઓનું ભણવાનું રખડી પડ્યું હતું. પરંતુ ફ્લોરિડા યુનિવર્સિટી સાથે કરાર કરીને એનવી વસાણી અને નિરમાના માલિક કરસનભાઈ પટેલ બેઉએ એ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની માનદ પદવી મેળવી લીધી. આજે કરસનભાઈ અને એનવી વસાણી બેઉ પોતાના નામ આગળ ડોક્ટરની પદવી લગાવે છે.

વસાણી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે હરેન પંડ્યાની ઓળખાણથી ગુજરાતના ટેકનોલોજીકલ બાબતોના સલાહકાર બની ગયા હતા. એ ગાળો મહત્વનો હતો કારણકે એ વખતે ભારતમાં આઈ.ટીનો કાળ શરૂ થયો હતો. વસાણી સરકારી ગાડીમાં ગાંધીનગર જાય, ત્યાં એમની સચિવાલયમાં ઓફિસ હોય, વસાણી કેશુભાઈ પટેલ સાથે હાઈપ્રોફાઈલ અમેરિકા પ્રવાસમાં પણ જોડાય અને આઈટીની ખેરખાં કંપનીઓ સાથે ચર્ચા ચાલી હોવાની અમેરિકાથી અમારા પત્રકારો પર પ્રેસનોટ મોકલવામાં આવે …કેશુભાઈ અને હરેન પંડ્યા માને કે ગુજરાતમાં આઈટી લાવવા બાબતે વસાણી પર ભરોસો કરવો પૂરતો છે પણ સમ ખાવા પૂરતુ આઈટી ડેવલપમેન્ટ ગુજરાતમાં થયું નહીં. છેવટે મોદી મુખ્યમંત્રી બન્યા એટલે કાઢ્યા વસાણીને. ગુજરાતના આઈટી લાવવા માટેના અત્યંત મહત્વના શરૂઆતના વર્ષો આપણે આ બધાના કારણે ગુમાવ્યા હતા અને હૈદરાબાદ ને બેંગલોર આગળ નીકળી ગયા હતા.

આ વાત લખવામાં મને સહેજ પણ આનંદ આવ્યો નથી પણ લખ્યા વગર રહી શકાયું નહીં.

***


તેલિયા રાજાઓને ઘૂંટણિયે પાડવા સરકારની મોદીગીરી શરૂો

21-06-2008

સત્તાધીશોએ જરૂર પડે ત્યારે પ્રજાહિતમાં શામ દામ દંડ ભેદ અપનાવવા પડે છે. કેટલાક સમય પહેલા ગુજરાત સરકારે નફાખોરી કરતી બિયારણ કંપનીઓને ભાવ વ્યાજબી રાખવાની વિનંતી કરી હતી. કંપનીઓ તાબે થઈ નહી એટલે એમના પર રેડ પડવાની શરૂ થઈ હતી. પછીથી અભૂતપૂર્વ હુકમ કરીને સરકારે બીટી કપાસના બિયારણના ભાવ નક્કી કરીને બિયારણ કંપનીઓને એ ભાવે બિયારણ વેચવાની ફરજ પાડી દીધી છે.

બિયારણની વાત પૂરી થઈ તો હવે ગુજરાત સરકારે ગુજરાતની ગૃહિણીઓને સીંગતેલનો મોંધો ડબ્બો આપનાર સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓનું તેલ કાઢવા મોદીગીરી શરૂ કરી દીધી છે. તેલના વધતા જતા ભાવને કાબૂમાં લાવવા કેટલાક સમય પહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલને સૂચના આપી હતી કે તેલમીલરો સાથે મિટીંગ કરીને તેમને કડક ભાષામાં ચેતવણી આપો કે તેલના ભાવ નહીં ઘટાડો તો સરકાર મોદીગીરી બતાવશે. તેલમિલરોએ એ સમયે પુરવઠા પ્રધાનને કહી દીધું હતું કે આ વર્ષે મગફળીનો પાક જ ઓછો થયો હોવાથી તેલના ભાવ વધારે છે. એમાં અમે તેલમિલરો કશું જ કરી શકીએ એમ નથી. સરકારે ચેક કરવો હોય તો આવીને અમારો તેલનો સ્ટોક ચેક કરી લે.

આ પછી હવે સરકારે મોદીગીરી શરૂ કરતા અભૂતપૂર્વ કદમમાં સરકારના ચાર વિભાગો જેવા કે પુરવઠા વિભાગ, તોલ-માપ વિભાગ, ફૂડ કંટ્રોલ વિભાગ અને વેચાણવેરા વિભાગના માણસોની પંદર સરકારી માણસોની સંયુક્ત વિજીલન્સ સ્ક્વોડ બનાવીને સૌરાષ્ટ્રની તેલમિલો પર રેડ પાડવાની શરૂ કરી છે. આ ચાર વિભાગોની સંયુક્ત ટીમ એટલા માટે બનાવી છે કે તેલમીલર ચારમાંથી એકાદા વાંકમાં તો પકડાઈજ જાય તેમ હોય છે. જેમ કે માનો કે વેચાણવેરાની ચોરી કરતો હોય અથવા તો માનો કે તેલની ગુણવત્તા ધોરણો મુજબની ન હોય અથવા માનો કે સ્ટોકમાં ફેરફાર હોય કંઈક તો ફોલ્ટ મળી જ જાય.

રેડ દરમિયાન હજુ તો પ્રારંભિક તબક્કામાં જ તેલિયા રાજાઓની વેચાણવેરાની દસ લાખની ચોરી પકડવામાં આવી છે, ચાર લાખનો તેલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેલના નમૂના ચકાસણી અર્થે જપ્ત લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના જામખંભાળીયા અને રાજકોટ નજીકની ઓઈલમિલો પરના દરોડા બાદ હજુ બીજે પણ વધુ દરોડા પડવાની શક્યતા છે. ભૂતકાળમાં રાજ્ય સરકારો સૌરાષ્ટ્રના મગફળીનું તેલ કાઢતા ઓઈલ મીલર તેલિયા રાજાઓ સામે ઝૂકી જતી હતી પરંતુ મોદીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસીએશન(સોમા)નું ઓઈલ કાઢવામાં એટલેકે તેલ કાઢવામાં અને ઘૂંટણિયે પાડી દઈને તેની વર્ષોથી ચાલતી આવતી ન્યુસન્સ વેલ્યુ ખતમ કરવામાં મોદીને કેટલી સફળતા મળે છે એ જોવાનું રસપ્રદ રહેશે.

***


શાહબુદ્દીન રાઠોડે જોક સંભળાવીને અમેરિકાનો વીઝા મેળવ્યો

21-06-2008

અમદાવાદમાં ચાલો ગુજરાત નામની ગુજરાતીઓની આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે મજા કરાવી. શાહબુદ્દીનભાઈએ કહ્યું કે તેઓ ૨૦૦૬ના વર્ષની આવી જ ગુજરાતી કોન્ફરન્સનો વીઝા લેવા મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસે ગયા તો વીઝા આપનારે પૂછ્યું કે આપ શું કરો છો અને આપ અમેરિકા કેમ જવા ઈચ્છો છો. શાહબુદ્દીનભાઈએ જવાબ આપ્યો કે તેઓ હાસ્યકલાકાર છે અને હસાવવા માટે અમેરિકા જવા ઈચ્છે છે. વીઝા આપનાર ધોળીયણે શાહબુદ્દીનભાઈને કહ્યું કે ચાલો મને હસાવો. શાહબુદ્દીનભાઈ આમતો સૌરાષ્ટ્રની ઝાલાવાડી લઢણમાં બોલીને હસાવતા હોય છે પણ અહીં ધોળિયણ હતી એટલે તેમણે અંગ્રેજીમાં જ કીધું કે એક જેન્ટલમેને બીજાને પૂછ્યું કે મગજ વગર માણસ કેટલુ લાંબુ જીવી શકે. બીજા જેન્ટલમેને જવાબ આપ્યો કે મને ખબર નથી કે તમારી ઉંમર શું છે. શાહબુદ્દીનભાઈએ કહ્યું કે આ જોક સાંભળીને વીઝા ઓફિસરે હસીને વીઝા આપી દીધો અને પછી પોતે વીઝા મેળવવાનો આ કિમિયો પ્રફુલ દવેને સંભળાવ્યો. પ્રફુલ દવેએ પણ પછી તો વીઝા સેન્ટરમાં જઈને મણિયારો ગીત ગાઈ બતાવ્યું અને તેમને વીઝા મળી ગયો.

શાહબુદ્દીનભાઈએ કહ્યું કે વિદેશમાં તમે તમારે આવડી મોટી ગાડીમાં એકલા બેસીને રમરમાઈને જતા હોવ અને અહીં ભારતમાં અમે એક ગાડીમાં તેર તેર જણા બેસતા હોઈએ. સંપત્તિ હોય તો સ્વદેશ ભલો નહીં તો ભલો પરદેશ. તેમણે કહ્યું કે સ્વદેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જાઓ અને કુટુંબની મહત્તા સમજવી હોય તો કુટુંબથી દૂર જાઓ એ ઉક્તિ સાચી છે. પરદેશમાં જઈને વસેલાઓ તો મૂળમાંથી ઉખાડીને ઝાડવું અન્યત્રે રોપ્યું હોય એવા બની રહે છે.

***


અમદાવાદનું રોક મ્યુઝીક કલ્ચર કેવું છે?

17-06-2008

અમદાવાદનું રોક કલ્ચર કેવું છે? અરે ભઈ હું રોક એટલે પથ્થરોની વાત નથી કરતો. હું રોક મ્યુઝીકની વાત કરું છું. હમણા આલીયાન્સ ફ્રોન્સેમાં ડબ્લાકડોટસના ચક્રમ અને ઓરીજીનલ ઈન્સાન એવા રોક આર્ટીસ્ટ ઓલીવમેન અને વેંસો સાથે અમારી પત્રકારોની મુલાકાત થઈ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ફોટા સાથે કવરેજ કર્યું, ડીએનએમા પણ કવરેજ છપાયું અને ગુજરાત સમાચારમાં ફોટા સાથે મોટી સ્ટોરી છપાઈ જેમાં સબહેડીંગમાં લખ્યુ હતુ કે ‘આજે સાંજે આલીયાન્સ ફ્રોન્સે તરફથી સ્પોર્ટસ ક્લબમાં ડબ્લાકડોટસનું પરફોર્મન્સ થશે’

પરંતુ આટલી પ્રેસ પબ્લીસીટી અને ફ્રાન્સથી આવેલા રોક બેન્ડની હાજરી છતા સ્પોર્ટસ ક્લબમાં આ બેન્ડને સાંભળવા પૂરા બસો માણસો પણ ન હતા. વરસાદના બહાને બેન્ડનો પરફોર્મન્સ સ્પોર્ટસ ક્લબમાં ઈન્ડોર એટલેકે અંદરના હોલમાં રાખવામાં આવ્યો હતો તેમ છતા આ રૂમ પણ પૂરો ભરાયો ન હતો. કેટલાક ચિમ્પુકો રોક બેન્ડ સાથે ઝૂમવાના બદલે બેસણામાં આવ્યા હોય એમ ઉભા હતા અને કેટલાક બીજા મોબાઈલ કેમેરાથી રોક બેન્ડનો વિડિયો જ ઉતાર્યે જતા હતા. રોક મ્યુઝીક સાંભળનારા જેન્યુઈન થોડા યંગસ્ટર્સ અફકોર્સ હતા કે જેમના પગ, કમર થીરકતા હતા અને ક્યારેક માથા પણ ધૂણતા હતા. ડબ્લાકડોટસની વિશેષતા એ છે કે તે બે જ વ્યક્તિનું બનેલુ બેન્ડ છે. ઓલીવમેન ત્રણ તારનું સિતાર પણ વાગી શકે એવું ગીટાર વગાડે છે અને પગેથી કોર્ડસ સેટ કરે છે તથા સાથે સાથે ગાય છે પણ ખરો જ્યારે વેંસો ડ્રમ વગાડે છે.

કેટલાક સમય પહેલા આલીયાન્સ ફ્રોન્સે તરફથી જ અમદાવાદના દર્પણા થિયેટરમાં એક્સમકીનાની હીપહોપ નાઈટ હતી. એક્સમકીનાનું પરફોર્મન્સ સખત એન્ટરટેઈનીંગ અને ઈનોવેટીવ હતું પણ તેને માણવા માટે બસો લોકો પણ હાજર ન હતા.

જો કે અમદાવાદના રોક ક્લ્ચરની બાબતમાં સાવ નાહી નાખવા જેવું નથી. કેટલાક સમય પહેલા આઈઆઈએમના કેઓસની રોક નાઈટમાં હું ગયો હતો તો અંદર પેસવા માટે પડાપડી થઈ રહી હતી. આખુ રવિમથાઈ ઓડિટોરિયમ હકડઠેઠ ભરાઈ ગયું હતુ. ઓડિટોરિયમ એવુ તો ભરાયુ હતુ કે જેવુ મેં જિંદગીમાં ક્યારેય ભરાયેલું જોયુ નથી. આઈઆઈએમના કેઓસમાં રોક બેન્ડની કોમ્પીટીશન હોય છે જેમાં ભાગ લેવા વડોદરા, અમદાવાદના ગ્રુપો આખુ વર્ષ રાહ જોતા હોય છે. આઈઆઈએમની કેઓસ રોકનાઈટ આખી રાત ચાલતી હોય છે અને છતા હોલ ખાલી થતો નથી. અમદાવાદના રોક કલ્ચરની બીજી ઉજળી બાબત છે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા સિટીપલ્સ મલ્ટીપ્લેક્સમાં દરેક શનિ-રવિવારે સાંજે ચાલતો પર્પલ ફ્લાવર ગ્રુપનો રોકનાઈટનો જલસો. અમદાવાદમાં ડીએનએ અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હાર્મની સિગનપોરીયા પારસી છોકરી છે જે આ રોક બેંડમાં પરફોર્મ કરે છે. હાર્મનીના પિતા પણ આ રોકબેંડમાં છે. મેં બહુ પહેલા અમદાવાદમાં વેંગાબોય્ઝ ગ્રુપનુ પરફોર્મન્સ હતુ ત્યારે તેની શરૂઆતમાં હાર્મનીને પરફોર્મ કરતા જોઈ હતી હવે હાર્મની પ્રેસ કોન્ફરન્સોમાં દેખાય છે.જોકે તેણી કન્સીસ્ટન્ટલી તેનું પોપ પેશન આગળ ધપાવી જ રહી છે અને ટકાવી રહી છે. સિટી પલ્સમાં શનિ-રવિની સાંજે પર્પલ ફ્લાવરનું પરફોર્મન્સ જોવા આસપાસની નોન ગુજરાતીઓના વર્ચસ્વવાળી ધીરૂભાઈ અંબાણી આઈટી યુનિવર્સિટી, ઈન્ફોસીટી, હોટેલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, એનઆઈએફટીની પ્રજા પહોંચી જાય છે. (તસવીરમાં:ડબ્લાકડોટસનો ઓલીવમેન)

***


મંત્રીઓ સુપ્પરમેન હોય છે

15-06-2008

ગુજરાત સરકારના પ્રધાનોને સારી એવી દોડધામ રહેતી લાગે છે. હમણા કડી નજીક નર્મદા કેનાલમાં ચાલીસ ફૂટનું ગાબડુ પડ્યું એટલે કડીના ધારાસભ્ય અને જળસંપત્તિ પ્રધાન એવા નિતીન પટેલ સવારથી દોડાદોડમાં હતા. રાત્રે મેં તેમના ઘરે ફોન કર્યો તો તેમના પત્નીએ ઉપાડ્યો. નિતીનભાઈના પત્ની ફરિયાદના સૂરમાં કહેતા હતા કે નિતીનભાઈ સવારથી કેનાલના પૂરમાં હતા અને હવે રાત્રે ઘરેથી જમીને કન્યા કેળવણી યાત્રાના આવતીકાલ સવારથી શરૂ થનારા કાર્યક્રમ માટે ભરૂચ જવા નીકળી ગયા છે.

ગઈકાલે રવિવારે અમદાવાદની ઈન્ડર રેસીડન્સી હોટેલમાં બે દિવસના સેક્સોલોજીસ્ટ સાયકાટ્રીસ્ટો અને યુરોલોજીસ્ટોની કોન્ફરન્સ હતી એમાં આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસનો સવારના અગિયાર વાગ્યે આવવાનો કાર્યક્રમ હતો. પરંતુ જયનારાયણભાઈ વહેલા જ આવી ગયા અને અર્ધો કલાકમાં રવાના થઈ ગયા. જયનારાયણભાઈ દરઅસલ સીધા કચ્છથી કન્યાકેળવણી, શાળા પ્રવેશોત્સ્વ અને માંડવીના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને રાતની મુસાફરી કરીને બાય રોડ અમદાવાદ આવ્યા હતા અને નાહ્યા વિના જ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ સીધા સુરત જવા રવાના થઈ ગયા હતા કારણકે સુરતમાં સાંજે દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો ઉદઘાટનનો કાર્યક્રમ હતો જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેવાના હતા.

કેટલાક મહિનાઓ પહેલા ખાડિયાના ધારાસભ્ય અશોક ભટ્ટના સુપુત્ર ભૂષણ ભટ્ટ મળ્યા હતા. અશોક ભટ્ટ એ વખતે આરોગ્ય અને ન્યાય મંત્રી હતા. ભૂષણલાલને મેં અમથાજ તેમના પપ્પાજી શું કરે છે એમ પૂછ્યું તો જવાબ મળ્યો કે ગઈ કાલે સુરત હતા. સવારે અમદાવાદ આવ્યા, ફ્લાઈટમાં મુંબઈ ગયા, હમણા સાંજે મુંબઈથી આવ્યા છે અને હવે બાય રોડ અંબાજી જઈ રહ્યા છે. કાલે સવારે અંબાજીનો કાર્યક્રમ પતાવીને બપોરે બાય રોડ ગાંધીનગર જશે ત્યાંથી અમદાવાદ આવશે…ઓહોહોહો મેં કહ્યું કે તમારા પપ્પાજીને બાયપાસ સર્જરી કરાઈ છે અને એ તો ઘરડી ઉંમરે સુપ્પરમેનની માફક ફરે છે. ભૂષણલાલે કહ્યું કે મંત્રી આખા ગુજરાત રાજ્યના હોય એટલે સ્વાભાવિક છે કે આખા ગુજરાતમાં ફરવાનુ થયા કરે… ખૈર પછી તો વિધાનસભાની ચૂંટણીઓ આવી અને અશોક ભટ્ટને મોદીએ વિધાનસભા અધ્યક્ષ બનાવીને આરામની વ્યવસ્થા કરી આપી.

મંત્રી બન્યા પછી મંત્રી પદનો નશો એવો હોય છે કે થાક લાગતો નથી. મંત્રીઓ સુપરમેન બની જાય છે અને ટોં..ટોં…સાયરન વગાડતી લાલ લાઈટ વાળી ધોળા બગલા જેવી શેવરોલેટ કારમાં ગુજરાતભરમાં રમણભમણ કરતા રહે છે.

***


અમદાવાદમાં ડોક્ટરોના સેક્સ અંગેના સેમીનારમાં …

12-06-2008


અમદાવાદમાં સેક્સની સારવાર સાથે સંકળાયેલા સાયકાટ્રીસ્ટ અને યુરોલોજીસ્ટ ડોક્ટરોના તાલીમ શિબિરનો એક દિવસ આજે પૂરો થયો. આ તાલીમ શિબિરમાં ભારતભરમાંથી બસોથી વધુ જેન્યુઈન સેક્સોલોજીસ્ટો આવ્યા છે. આમાં કેટલાક ડોક્ટરોએ રસપ્રદ વાતો કરી. ટાઈમ્સ જૂથના મીરર ટેબ્લોઈડમાં સેક્સની સલાહોની રોજિંદી કોલમ લખતા ૮૪ વર્ષના ડોક્ટર વત્સે અમને પત્રકારોને વાતચીતમાં જણાવ્યું કે આજે સરેરાશ શહેરી પુરૂષ સીત્તેર ટકા સમય કામકાજમાં આપે છે અને માત્ર અઢાર ટકા પોતાના ફેમીલીને આપે છે. આવામાં પતિ પત્ની વચ્ચેના બોંડીંગની આશા ક્યાંથી રાખી શકાય? મુંબઈથી આવેલા રાજ બ્રહ્મભટ્ટ નામના ડૉક્ટરે કહ્યું કે ધનાઢ્ય ગુજરાતીઓ મોરેશ્યસ અને સિંગાપુર હનીમૂન કરવા જાય છે પણ તેમાં ખરેખર શું થાય છે એ તો તેઓ અમને તેમની સમસ્યાઓ કહે ત્યારે જ માલૂમ પડતુ હોય છે. ત્રીસ ટકા કિસ્સાઓમાં પરણ્યા પછી તુરંત સંપૂર્ણ સફળ સેક્સ થઈ શકતું હોતું નથી પરંતુ યુવાનો સમજતા નથી કે પિયાનો શીખતા કે સાઈકલ શીખતા જેમ કેટલોક સમય જાય જ તેમ જ સંપૂર્ણ સફળ સમાગમ કરવો હોય તો તેમાં કેટલોક સમય જાય જ. ધીરજ રાખવી પડે. આજે યુવાન પરણે એટલે એકાદ વર્ષ પૂરુ થાય કે તુરંત જ ખાસ કરીને મહિલાઓ નવી વહુને કહેવા માંડે છે કે હવે પેંડા ક્યારે ખવડાવો છો? આવામાં નવા પરણેલાઓની હાલત ખરાબ થાય છે કારણકે સેક્સ સફળ રીતે થઈ શકતું હોતું નથી અને બીજી બાજુ સમાજ સંતાનની અપેક્ષાઓ રાખીને બેસે છે. અહીં જે કેટલાક કપલ અમારા સેક્સોલોજીસ્ટો પાસે આવે છે તો કેટલાક મૂંઝાતા જ રહે છે, કેટલાક આપબળે રસ્તો કાઢે છે તો કેટલાક છૂટાછેડા કે આપઘાત કે વેરવિખેર લગ્નજીવનના માર્ગે જાય છે. ડો. રાજ બ્રહ્મભટ્ટે કહ્યું કે તેમણે તેમની ડોક્ટરી કારકીર્દીના ત્રીસ વર્ષોમાં પાછલા છ વર્ષમાં છૂટાછેડાના જેટલા કિસ્સા જોયા છે એટલા અગાઉ ક્યારેય જોયા ન હતા. અને છૂટાછેડાઓમાં સેક્સની સમસ્યાઓ પોતાનો ભાગ ભજવતી જ હોય છે. તેમણે કહ્યું કે મુંબઈ જેવા શહેરમાં કે જ્યાં માણસ કોલાબાથી વિરાર સુધી દરરોજ ટ્રેનમાં મુસાફરી કરીન કમાવા જાય છે ત્યાં તમે કઈ રીતે આશા રાખી શકો કે એ માણસ રાત્રે પાછો ઘરે આવીને સેક્સ માણશે? એ માણસે તો ઘરે આવીને ચોક્કસ ઉંઘવું જ જોઈએ. એક સમય હતો કે પુરૂષ સાંજે ઘરે પાછો ફરે ત્યારે વેણી લાવતો હતો. આજે પુરૂષ સ્ટ્રેસ અને ટેન્શન લઈને પાછો ઘરે આવે છે. ડો. વત્સે કહ્યું કે પુરૂષે કમાવુ તો પડે જ અને એમાં સ્ટ્રેસ અને ટેન્શન પણ થાય પરંતુ રાત્રે ભલે સૂઈ જાય વહેલી સવારે પુરૂષ સેક્સ કરી શકે છે. આ સમયે હોર્મોન્સ પણ તેમની શ્રેષ્ઠ અવસ્થામાં હોય છે.

તાલીમ શિબિરમાં એક વાતનો ઉલ્લેખ કરતા ડો. રાજે કહ્યું કે એક ડોક્ટર પાસે એવા અનેક પેશન્ટ આવતા હતા કે જેઓ પોતાની જનનઈન્દ્રિય નાની હોવાની ફરિયાદ કરતા હતા. અવારનવાર આવા વાહિયાત કારણોસર આવતા પેશન્ટને પછી તો આ ડોક્ટરે પોતાનું જ પેન્ટ ઉતારીને પોતાની નાની ઈન્દ્રિય બતાવીને કહેવાનું શરૂ કર્યું કે જુઓ મારી પણ નાની છે. ઈન્દ્રિયની સાઈઝથી કોઈ ફર્ક પડતો નથી. સેક્સોલોજીસ્ટોના આ અખિલ ભારતીય કાર્યક્રમમાં શરૂઆતમાં એનાઉન્સર એવું બોલી હતી કે પ્લીઝ મોબાઈલ ફોન વાઈબ્રેટર મોડ પર રાખો અને છતા આવે તો બહાર જવુ. આ વાતનો ડબલ મીનીંગ કરીને એક ડોક્ટરે એવી કોમેન્ટ કરીકે કાર્યક્રમમાં મહિલાઓ પણ બેઠી છે અને કાર્યક્રમ સેક્સ અંગેનો છે માટે વાઈબ્રેટર રાખવાની અને ન રહી શકાતુ હોય તો બહાર જવાની વાતનો બીજો પણ મતલબ થાય છે. ડૉ. રાજે એક અન્ય રિયલ રમૂજમાં કહ્યું કે તેમણે બાંગ્લાદેશમાં ડોક્ટરોને સેક્સ ના પેશન્ટની હિસ્ટ્રી કઈ રીતે લેવી એ બાબતે માર્ગદર્શન આપવાનું હતુ. આથી વર્કશોપમાં તેમણે બાંગ્લા ડોક્ટરોને હોમવર્ક આપ્યું કે આવતીકાલે પાછા આવો ત્યારે કમસેકમ એક વ્યક્તિ સાથે સેક્સ અંગે ચર્ચા કરીને આવજો કે જેથી તમારી પેશન્ટ સાથે સેક્સ વિશે વાત કરવાની શરમ ભાંગે. બીજા દિવસે એક યુવાન ડોક્ટર આવ્યો અને કહ્યું કે સાહેબ આ તો તમે વળી કેવું હોમવર્ક આપ્યું? કાલે હું અહીંથી બહાર નીકળીને રિક્ષામાં બેઠો અને રિક્ષાવાળાને કહ્યું કે મારે તમારી સાથે સેક્સની વાત કરવી છે તો રિક્ષાવાળાએ રિક્ષાને બ્રેક મારીને કહ્યું કે તુ ગંદી વાતો કરવા માંગે છે મારી સાથે? બદમાશ!! ઉતરી જા રિક્ષામાંથી.

સેમીનારમાં એક રસપ્રદ વાત એ હતી કે બસોથી વધુ દવાઓ એવી છે કે જે નપુંસકતા લાવી શકે છે. એન્ટીહારપરટેન્સીવ્સ, એન્ટીડીપ્રેશન, એન્ટીકોલાનેર્જીક્સ, એન્ટીએંડ્રોજન્સ પ્રકારની દવાઓ આવી અસર લાવી શકે છે.બીજી એક રસપ્રદ વાત મુંબઈથી જ આવેલા ડો. શાસ્ત્રીએ કરી. તેમણે કહ્યું કે ઘણા પુરૂષોને એક સ્ત્રી સાથે સેક્સની ફીલીંગ પેદા થાય છે અને સંપૂર્ણ સફળ સેક્સ કરી શકે છે જ્યારે અન્ય સ્ત્રી સાથે સેક્સ કરી શકતા નથી અને નપુંસક પુરવાર થાય છે. આ વાત અનોખી છે. તેમણે એક પેશન્ટની વાત કરતા કહ્યું કે ફેમીનીસ્ટ પ્રકારની પત્ની સાથે આ પેશન્ટ સેક્સ નથી કરી શકતો જ્યારે શરમાળ સીધી ગર્લફ્રેન્ડ સાથે આ જ પેશન્ટ ઈઝીલી સેક્સ કરી શકે છે.

અન્ય એક ડોક્ટરે કહ્યું કે એક કરતા વધુ સ્ત્રીઓ સાથે સેક્સ કરવાથી કમ્પેરીઝન એટલેકે સરખામણીનું દૂષણ પેદા થાય છે. તમે તુરંત જ એક સ્ત્રીની બીજી સાથે સરખામણી કરવા માંડો છો અને સેક્સ સમયે મગજમાં આ બધું ચાલતું હોય તો પરફોર્મન્સ નથી થઈ શકતો. મૈસૂરથી આવેલા ડૉકટર રાવે કહ્યું કે સેક્સ અંગેની સૌથી મોટી જરૂરિયાત પ્રેમાળ અને સપોર્ટીવ પાર્ટનરની છે. જો પાર્ટનર સહકાર ન આપતુ હોય તો કોઈ ડોક્ટર કશું જ ન કરી શકે.

બાય ધી વે, સેમીનારમાં ઉદઘાટક તરીકે મેયર કાનાજી ઠાકોર આવ્યા હતા. આવ્યા પછી તેમને ખબર પડી કે આ તો સેક્સોલોજીસ્ટોનો સેમીનાર છે એટલે તેઓ તો ઉતાવળે ભાષણ કરીને ભાગ્યા. અને ભાષણમાંય કશી સ્પેસીફીક વાત નહીં. ચાર લાઈનનો ઉચ્ચક શુભેચ્છા સંદેશો માત્ર. જ્યારે સ્ટેજ પરથી સેક્સોલોજીસ્ટે મેયરનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારે શબ્દ વાપર્યો કે ‘સેક્સી સેટર્ડે મોર્નિંગ’ અને આ વખતે કાનાજી ઠાકોરના ગાલમાં શરમના શેરડા પડ્યા એ જોવા જેવા હતા. મજાની વાત એ છે કે કાનાજી ઠાકોરને આ સેમીનારમાં લાવવા માટે એલિસબ્રીજના ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ મધ્યસ્થી હતા એટલે ભાવિન શેઠ પણ સેક્સના આ સેમીનારમાં દેખાયા. હકીકત એ છે કે ભાવિન શેઠ કટ્ટર જૈન છે અને જૈન મહારાજ સાહેબના કહેવાથી તેમણે બે વર્ષ પહેલા જાહેરમાં બ્રહ્મચર્યનું વ્રત લીધું છે એના ફોટા પણ છાપાઓમાં મોટા ઉપાડે છપાયા હતા ત્યારે!!

****


ગુજરાતમાં વર્ષો પછી ફરીથી દેખાશે ચિત્તા

12-06-2008

એક સમયે ગુજરાતમાં ચિત્તા હતા. ભાવનગરના રાજવી તો ચિત્તાને પાલતુ કૂતરાની માફક રાખીને હરણાઓનો શિકાર કરાવતા હતા. કાળક્રમે ચિત્તા ન કેવળ ગુજરાતમાંથી પરંતુ આખા ભારતમાંથી અને ઈરાન સિવાય આખા એશિયામાંથી લુપ્ત થઈ ગયા. ગુજરાતમાં છેલ્લે ૧૯૬૦ના દસકામાં જુનાગઢ જીલ્લાની બોર્ડર પર આવેલા શત્રુંજ્યના પર્વતમાં ચિત્તો જોવામાં આવ્યો હતો. હવે વર્ષો બાદ ગુજરાતમાં ચિત્તાની જોડી જોવા મળશે. અલબત્ત જંગલમાં નહીં પણ ઝૂમાં. જુનાગઢનો સક્કરબાગ ઝૂ ગુજરાતનો વન વિભાગ સંભાળે છે. વન વિભાગે સિંગાપુરના ઝૂ સાથે પ્રાણીઓના આદાનપ્રદાનનો કરાર કર્યો છે. આ મુજબ સક્કરબાગ ઝૂના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં સિંગાપુર રવાના થવાની છે. સિંગાપુરના ઝૂ તરફથી સક્કરબાગ ઝૂને ચિત્તાની જોડ મળવાની છે એની છેવટની જરૂરી વિધિઓ પતાવવાનું કામ આ ટીમ પૂરુ કરશે. જુનાગઢનું સક્કરબાગ ઝૂ સિંગાપુર ઝૂ પાસેથી ચિત્તા મેળવવાના બદલામાં પોતાને ત્યાંથી એશિયાટીક ગીર લાયનની એટલેકે આપણ ગીરના જંગલના સિંહની જોડી સિંગાપુરને આપશે. સિંગાપુરના ઝૂમાં હાલ એશિયાટીક લાયન છે નહી.

હવે એક રમૂજની વાત કરી દઉ. ગુજરાતમાં પાછલા લગભગ પાંચ દસકાથી એક પણ ચિત્તો છે જ નહી તેમ છતા અખબારોમાં અવારનવાર સમાચારો છપાય છે કે ‘ચિત્તાએ ગામની ગાયો પર હુમલો કર્યો’, ‘ચિત્તો નાની બાળકીને ઉઠાવી ગયો’ વગેરે વગેરે. હવે હકીકતમાં ગુજરાતમાં દીપડા ઘણા છે અને દીપડાના સંદર્ભમાં આવા બધા બનાવો બને છે પરંતુ પત્રકારો દીપડા અને ચિત્તાને એક જ માને છે અને માટે પરાક્રમ દીપડો કરે અને બીજા દિવસે છાપાઓમાં ચિત્તો ગુનેગાર ઠરે છે.

દીપડા અને ચિત્તામાં દેખીતો ફર્ક એ છે કે દીપડાના શરીર પર પાંચ આંગળી ભેગી કરીને કાળુ ધબ્બુ મારો એવા રોઝેટસ જેવા નિશાન હોય છે. જ્યારે ચિત્તાના શરીર પર પ્યોર ટપકા હોય છે. ચિત્તાની આંખોની બાજુમાં કાળી લીટી ઉભી હોય છે. અલબત્ત પાછલા કેટલાક વર્ષોથી પત્રકારો ડિસ્ક્વરી ચેનલ જોતા થયા હોવાથી દીપડા અને ચિત્તામાં ફર્ક છે અને ગુજરાતમાં છે એ દીપડા છે ચિત્તા નહીં એ વાત કંઈક અંશે સમજતા થયા છે. જે કોઈ નથી સમજ્યા એ સક્કરબાગમાં ચિત્તાની જોડ આવ્યા પછી સમજી જશે.

***


નર્મદા કેનાલનું ગાબડુ નિવારી શકાયુ હોત

11-06-2008

છેવટે જે થવાનુ હતુ એ થઈ જ ગયું. રાજ્ય સરકાર કડી નજીક નર્મદા કેનાલમાં ગાબડા પડવાની બે વર્ષ પહેલાની ઘટનાને બહુ જ લાઈટલી લઈ રહી હતી. એ વખતે કડી નજીક વીડજ પુલ પાસે દસ ફૂટનું ગાબડું પડ્યું હતુ. સદભાગ્યે એ વખતે કેનાલમાં બહુ પાણી ન હતુ એટલે પ્રેશર ઓછુ હોવાથી કેનાલ વધુ તૂટી ન હતી અને તેના પાણી ત્રણ ગામની સીમમાં જ ભરાયા હતા. એ વખતે લહેરી સાહેબ નર્મદા નિગમ સંભાળતા હતા. તેમણે કેનાલનો કડી તરફનો બાર કિલોમીટરનો ભાગ બાંધનાર સત્યમ શંકર નારાયણ જે.વી નામની કંપની પાસેથી જ આ સમારકામનો ખર્ચો વસૂલ્યો હતો. સમારકામમાં બેન્ટોનાઈટ વાપરવામાં આવ્યુ હતુ કે જેથી કેનાલના પાળાના પોલાણમાં બેન્ટોનાઈટ પેસી જાય અને કેવીટી ભરી દે. આ પછી સરકાર આ મામલો પતી ગયો છે એવા ખયાલોમાં આ બનાવને ભૂલી ગઈ.

હવે ફરીથી કડી નજીક જ કેનાલમાં ફરી ગાબડું પડ્યુ કે જે પાણી સખત રીતે ભરાયેલુ હોવાના કારણે વધુ ને વધુ પ્રેશર મળતા મોટું થતું ગયુ અને આજે બુધવારે સવારે તો એટલુ મોટુ થયુ કે ચાલીસ ફૂટનું થઈ ગયું. પાણી દસથી પંદર ગામોમાં તમામ ખેતરોને ડૂબાડતુ લગભગ પંદર કિલોમીટરના વિસ્તારમાં એવુ તો ભરાઈ ગયું કે મુખ્યમંત્રીએ દોડી આવવુ પડ્યું અને ગામો ખાલી કરાવવા પડ્યા.

કડી નજીકના દેવગઢ ગામના ખેડૂત સાથે મારે વાત થઈ. તેમનું કહેવું છે કે કડી પાસેની ચાર કિલોમીટરની કેનાલ એવી છે કે જે જમીનના સ્તર પર માટી પાથરીને બનાવાયેલી છે. એટલેકે સામાન્ય રીતે અન્યત્રે નર્મદાની કેનાલનું તળિયુ જમીનથી નીચાણમાં હોય છે પણ અહીં ચાર કિલોમીટરની કેનાલની પટ્ટીમાં જમીનના સ્તર કરતા કેનાલનું તળિયું ઉંચુ છે એના કારણે આ ચાર કિલોમીટરના વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાની સમસ્યા સર્જાય છે.

મારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડના મારા સોર્સ સાહેબ સાથે વાત થઈ. તેમણે કહ્યું કે કડી નજીકનો બાર કિલોમીટરનો મુખ્ય કેનાલનો કોંટ્રેક્ટ બેંગલોર સ્થિત કંસ્ટ્રકશન કંપની સત્યમ શંકરનારાયણ જેવી નામની કંપનીને સોંપાયો હતો. આ કંપનીએ ૨૦૦૩માં કેનાલ બાંધીને આપી હતી ત્યાર પછી એના સ્ટ્રેચમાં કેનાલમાં આ બીજી વખત ગાબડું પડ્યું છે. આ જ કંપની હાલમાં કચ્છમાં બ્રાન્ચ કેનાલ બાંધી રહી છે. એના કામના ડિપોઝીટના રૂપિયા નિગમ પાસે પડ્યા છે. નિગમ એમાંથી કડી કેનાલના ગાબડાને રીપેર કરવાનો ખર્ચ કાઢી લેશે. કંપની કચ્છનું કેનાલનું જે કામ કરી રહી છે એ હવે પૂરુ થવામાં છે.

આજે કેનાલ તૂટવાની ઘટનાના સ્થળે જે રીતે ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને રાજ્યના પોલીસ વડા પીસી પાંડે, શહેરી વિકાસ અને જળસંપત્તિ પ્રધાન નિતીન પટેલ ઉપરાંત અન્ય મંત્રી નરોત્તમ પટેલ અને છેવટે તો ખુદ મુખ્યમંત્રી આવી પહોંચ્યા એ જોતા ઘટનાનું મહત્વ વધી ગયું. અન્યથા એક પણ વ્યક્તિની જાનહાનિ ન થઈ હોય એવા સ્થળે મુખ્યમંત્રી પહોંચી જતા હોતા નથી. નર્મદાની કેનાલ તૂટવાની બાબતને સરકારે ગંભીરતાથી લીધી છે એટલે મિડિયાએ પણ લીધી છે. પરંતુ જો સરકાર બે વર્ષ પહેલા કડી વિસ્તારમાં જ કેનાલમાં ગાબડુ પડ્યું ત્યારે જાગી હોત અને સમગ્ર કેનાલની ચકાસણીના હુકમો આપીને તેનું કામ શરૂ કરી દેવાયુ હોત તો આજની દુર્ઘટના સર્જાઈ હોત નહીં.

કેનાલ ફાટવાના કારણે આજે કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ સેંકડો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ હજુ તો હમણા જ બીટી કોટનનું બિયારણ વાવ્યુ હતુ એ બધુ આ પાણીએ નકામુ કરી દીધુ. હવે નવુ બિયારણ લાવવુ પડશે. અને ઓછામાં ઓછા પંદર દિવસ સુધી વરસાદ ન આવે ને તાપ રહે તો આ પાણી સૂકાશે પછી નવુ બિયારણ વાવવુ પડશે.

શું ખેડૂતોને થયેલા આ નુકસાનની રકમ પણ પેલા કોં