Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious

Andar Bahar Gujarat

અંદર બહાર ગુજરાત
DeshGujarat.Com/ABG


જેપીની કલમે
માત્ર દેશગુજરાત.કોમ પર


લખનાર ૧૯૯૭થી ગુજરાતી પત્રકારત્વમાં અને ૧૯૮૭થી ગુજરાતના પબ્લીક અફેર્સમાં સક્રિય છે.
Note:Gujarati fonts can be read clearly only in Internet Explorer and not in Firefox browser

_______________________________________________________________________________


સિદ્ધાર્થ પટેલ સાવધાન

8-09-2008

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ સિદ્ધાર્થ પટેલ શોર્ટ ટેમ્પર્ડ છે? કોંગ્રેસની બીટ સંભાળતા લગભગ તમામ પત્રકારોનો આવો મત છે. તાજેતરમાં કોંગ્રેસે લોકદરબારનો કાર્યક્રમ કર્યો હતો કે જેમાં સિદ્ધાર્થભાઈ બેસે અને સ્થાનિક લોકો આવીને તેમને પોતાના પ્રશ્નો સંભળાવે. અમદાવાદમાં આ કાર્યક્રમ મુસ્લિમ બહુમતિવાળા શાહપુર મત વિસ્તારમાં થયો કે જ્યાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકદરબારમાં કેટલાક પત્રકારો પણ કૂતૂહલવશ આવ્યા હતા. ત્યારે જ લોકોનું મોટું ટોળું આવ્યું અને ભાવવધારા અંગે પોતાના પ્રશ્નો રજૂ કરવા માંડ્યું. આ લોકો એટલી મોટી સંખ્યામાં હતા કે બીજા કોઈ પ્રશ્નો દેખાતા જ ન હતા. આ કાર્યક્રમમાં કુલ લગભગ સાડા ત્રણસો લોકફરિયાદો થઈ હશે પરંતુ સાંજે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું કે સાડા ચાર હજાર ફરિયાદો મળી છે અને તે તમામ ભાજપ શાસનની સામે છે.

દરમિયાન સવારે લોકદરબારમાં હાજર રહેલા પત્રકારે સિદ્ધાર્થ પટેલને પ્રશ્ન કર્યો કે સવારના લોકદરબારમાં મોટાભાગની ફરિયાદો તો કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામેની વ્યક્ત થઈ છે એ અંગે આપનું શું કહેવું છે? તો આ પ્રશ્નના જવાબમાં સિદ્ધાર્થભાઈ ઉકળી ગયા અને રફ ભાષામાં તાડૂક્યા કે આપે સવારે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન ગોઠવાયેલો છે.. પત્રકારોમાં સોંપો પડી ગયો અને પ્રશ્ન પૂછનાર તો ડઘાઈ જ ગયા. સામાન્ય રીતે પત્રકાર પરિષદમાં નેતાઓ કર્ટસી જાળવતા હોય છે. સિદ્ધાર્થની ડીસ્કર્ટસીથી દુભાયેલા પત્રકારોના એક ગ્રુપે મોકો મળે ત્યારે તેમની સામે આજીવન કલમયુદ્ધ છેડવાનું નક્કી કરી લીધું છે.

કેટલાક સમય પહેલા સુરત કોંગ્રેસના અધ્યક્ષ કોણ એ મામલે કોંગ્રેસમાં ચર્ચાઓ ચાલી હતી જે દરમિયાન કોંગ્રેસનું એક જૂથ અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે રજૂઆત કરવા આવ્યું હતું. એક ટીવી ચેનલના પત્રકારભાઈ કેમેરામેન સાથે પહોંચી ગયા અને વિઝ્યુઅલ્સ લેવાના ચાલુ હતા ત્યારેજ સિદ્ધાર્થ પટેલ તાડૂક્યા. કેમેરો બંધ કરવાનું તોછડી ભાષામાં ફરમાન કર્યું અને નહીં તો કેસેટ કાઢી લેવાની ચીમકી આપી. પેલા ડઘાઈ ગયેલા ટીવી પત્રકારે પછી ત્રણ દિવસ સુધી કોંગ્રેસને પજવે એવી સ્ટોરીઓ ચલાવી. આજે પણ આ પત્રકાર મિત્ર સિદ્ધાર્થ પટેલનું નામ આવે એટલે દાંત ભીંસવા માંડે છે.

કોંગ્રેસમાં શક્તિસિંહ અને અર્જુન મોઢવાડિયા પત્રકારો સાથેની ખૂબ જ સારી કર્ટસી માટે જાણીતા છે. પત્રકારોમાં ભાજપ કરતા કોંગ્રેસની વર્તણૂકની અત્યાર સુધી ખૂબ જ સારી છાપ છે. પરંતુ ચીમનપુત્ર સિદ્ધાર્થ પટેલ ટેમ્પરેચર કંટ્રોલમાં નહીં રાખે તો સહન તેમણે અને કોંગ્રેસે જ કરવું પડશે. સિદ્ધાર્થકુમાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે પત્રકારો તેમને એરકન્ડીશન્ડ નેતા કહેતા હતા કારણકે સિદ્ધાર્થ અમીરીમાં ઉછર્યા છે. પણ હવે પત્રકારો તેમને ટેમ્પરેચર નેતા કહે છે કે જે ગમે ત્યારે ટેમ્પરેચર ગુમાવી દે છે.

***


દાઢીવાળા દેવ!!

05-09-2008


શુક્રવારે સાંજે અખબારી ઓફિસોમાં હસાહસ હતી. માહિતી ખાતાની એક પ્રેસનોટ પત્રકારો વારાફરથી હાથમાં લઈને જોતા હતા અને ખડખડાટ હસતા હતા.

માહિતી ખાતુ મુસોલિનીના માહિતી તંત્રને આંટી ગયું હોય એવી આ પ્રેસ રીલીઝ હતી.

પ્રેસ રિલીઝનું મથાળું આવું હતું “આ તો દાઢીવાળા દેવ છે”

પ્રેસ રિલીઝમાં માહિતીખાતાના પત્રકારે એવા બનાવનું વર્ણન કર્યું હતું કે નરેન્દ્ર મોદીએ તરણેતરના મેળાના છેલ્લા દિવસે મેળાની મુલાકાત લીધી ત્યારે તેઓ ત્રિનેત્રેશ્વર મંદિરે દર્શન કરીને પાછા આવતા હતા અને તે વખતે રસ્તાની બંને બાજુએ લોકોની ભીડ એકઠી થયેલી હતી. આ ભીડમાં વીજળીયા ગામના ધૂળીબહેન અને તેમનો પુત્ર ઉભા હતા.પુત્રએ પૂછ્યું કે બા આ કોણ છે? તો ધૂળીબહેને જવાબ આપ્યો કે “બેટા, એ તો દાઢીવાળા દેવ છે.”

અખબારી ઓફિસમાં આ પ્રેસનોટ પર પત્રકારો હસી રહ્યા હતા ત્યારે જ હાથમાં બીજા દાઢીવાળાની પ્રેસનોટ આવી. તે હતી દાઢીવાળા અર્જુન મોઢવાડિયાની એ દિવસની પત્રકાર પરિષદની પ્રેસનોટ. આમાં પહેલા ફકરાના આખરી વાક્યમાં અર્જુનભાઈએ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારને સલાહો આપે છે એ વિશે એવું નિવેદન કરેલું લખ્યું હતું કે “ડાહી સાસરે ન જાય ને ગાંડીને શીખામણ આપે” હવે આ કહેવત અનુસાર ડાહી કોણ થયું ને ગાંડી કોણ થયું? ડાહ્યા નરેન્દ્ર મોદી થયા અને ગાંડી કેન્દ્ર સરકાર થઈ…

એક સાથી પત્રકારે હસવામાં કહ્યું કે મોદી દાઢીવાળા દેવ અને મોઢવડિયા આવુ ને આવુ બાફશે તો કોંગ્રેસવાળા તેમને દાઢીવાળો દાનવ કહેશે.

*****


ડાંગ હોય કે ઓરિસ્સા:ડખો ગોસ્પેલની મહાત્વાકાંક્ષાનો છે

03-09-2008


અમદાવાદમાં ગઈકાલે ખ્રિસ્તિઓની રેલી નીકળી. આ રેલી ઓરિસ્સામાં ખ્રિસ્તિઓ પર થયેલા હુમલાના વિરોધમાં હતી. ઓરિસ્સામાં ખ્રિસ્તિ મિશનરી દ્વારા ઘૂમ વટલાવ કાર્ય ચાલે છે. ગામોના ગામોને ખ્રિસ્તિ પાદરીઓ આવી આવીને વટલાવે છે અને આદિવાસીઓને ગ્રામીણોને ખ્રિસ્તિ બનાવે છે. ખ્રિસ્તિ મિશનરીઓએ આખું લેટિન અમેરિકા ખ્રિસ્તિ બનાવી દીધું. આફ્રિકાને ખ્રિસ્તિ બનાવી દીધું. મુસ્લિમ વિશ્વમાં તેમની વટાળ પ્રવૃત્તિ બહુ કસ કાઢી શકતી નથી કારણકે મુસ્લિમ રાષ્ટ્રોએ વટાળ પ્રવૃત્તિ પર કડક પ્રતિબંધ મૂકેલો છે અને વટાળ પ્રવૃત્તિ કરનારને મોતની સજા મળે છે. એટલે ખ્રિસ્તિ મિશનરીઓએ મોટી સંખ્યામાં ભારતની વાટ પકડેલી છે. ડાંગમાં ખ્રિસ્તિઓ પર હુમલા થયા ને સોનિયા ગાંધી ડાંગની મુલાકાત લેવા આવી ચડ્યા હતા. ડાંગમાં ખ્રિસ્તિઓએ હનુમાનની મૂર્તિ તોડી હતી એ વાતનો કોઈએ હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો પણ ચર્ચો બળ્યા તો બૂમરાણ થઈ ગઈ. બૂમરાણ બ્રિગેડ બહુ મોટી અને સશક્ત હોય છે. ઓરિસ્સામાં મિશનરીઓ પર હુમલા થતા હોય, ભૂતકાળમાં ગુજરાતમાં પણ આવું બન્યું હોય તો ખ્રિસ્તિ મિશનરીઓએ આત્મચિંતન કરવું જોઈએ. અરીસા સામે ઉભા રહીને પોતાના કરતૂતો પણ જોવા જોઈએ. વિશ્વમાં એક દેશ(ભારત)માં હિંદુ ધર્મ બચ્યો છે એને પણ ખતમ કરવા નીકળી છે મિશનરીઓ. એ માટેના એમના રસ્તા પણ સાફ નથી. દેશગુજરાત પર મૂકેલી આ વિડિયો જુઓ કે કઈ રીતે અંધશ્રદ્ધા દ્વારા વટલાવ પ્રવૃત્તિ આચરવામાં આવે છે. ઓરિસ્સામાં ખ્રિસ્તિ મિશનરીઓ સામે પડનાર સાધુ લક્ષમણાનંદ અને તેમના પાંચ ચેલાઓની હત્યા થઈ પછી ત્યાંના હિંદુઓ મિશનરીઓ પર તૂટી પડ્યા છે. વાત માત્ર લક્ષમણાનંદની હત્યાની નથી. ઘણા વર્ષોનો આક્રોશ જમા થતો હોય છે અને કોઈ ઘટનાના નિમિત્તે બહાર ઠલવાતો હોય છે. ઘટનાઓ માત્ર નિમિત્ત હોય છે. ખ્રિસ્તિ મિશનરીઓએ આત્મચિંતન કરવું જોઈએ કે બોઈલીંગ પોઈન્ટ કેમ આવ્યો. અને બોઈલીંગ પ્રોસેસ ક્યાં થઈ. મિશનરીઓએ મોદી નથી જોઈતા, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ નથી જોઈતા , બજરંગ દળ નથી જોઈતુ કારણકે આ બધા વિશ્વના એકમાત્ર હિંદુ રાષ્ટ્રને ખ્રિસ્તિ બનાવી નાંખવાના ખ્રિસ્તિ મિશનરીઓના ગોસ્પેલના ધ્યેયની સખત રીતે આડા આવે છે. મોદીને અમેરિકાના વીઝા કેમ ન મળ્યા?જે સંસ્થા કોએલીશન અગેન્સ્ટ જેનોસાઈડે મોદીને અમેરિકાના વિઝા ન મળે એનું લોબીંગ કર્યું એ કોએલીશનમાં ખ્રિસ્તિ સંસ્થાઓનું પ્રભુત્વ છે. જરા જઈને જુઓ આ કોએલીશનની વેબસાઈટ. ગુજરાતમાં જે થયું એ જેનોસાઈડ હતો નહીં પણ તેને જેનોસાઈડમાં ખપાવી દેવાનુ કાર્ય પણ ખ્રિસ્તિ મિશનરીઓના પ્રભુત્વવાળી એનજીઓ દ્વારા થયું છે. અમેરિકાના રાઈટ વીંગ પ્રો ક્રિશ્ચિયાનીટી અને ચર્ચના આદેશથી કામ કરનારા સેનેટરો અને સીસ્ટમે મોદીના વીઝા પર તરાપ મારી હતી, મોદીએ વીઝા માંગ્યો નથી છતાય વીઝ ન આપવાનો નનૈયો ભણ્યો હતો. ભારતમાં કશ્મીરમાં કોઈ ઘટના ઘટે અને પાકિસ્તાન તેની કોઈ પ્રતિક્રિયા આપે ત્યારે ભારત સરકારનો વિદેશ વિભાગ તુરંત જ નિવેદન બહાર પાડે છે કે પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો કોઈ હક નથી. જ્યારે ઓરિસ્સામાં હિંદુઓનો આક્રોશ ખ્રિસ્તિ વટલાવ પ્રવૃતિ સામે પ્રગટ થયો ત્યારે રોમથી પોપ આ અંગે નિવેદન બહાર પાડે તો ભારત સરકાર કેમ નથી કહેતી કે પોપ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે?

ખ્રિસ્તિ મિશનરીઓ દ્વારા ચાલતા જબરજસ્ત વટલાવ કાર્ય વિશે કશુંક પણ લખું એટલે મારા પર વાંચકોના ઈમેલ આવે છે કે ‘અમે શું કરીએ?’ હું કહું છું કે સંસાર છોડીને આદિવાસી વિસ્તારોમાં જઈ હિંદુ સેવા પ્રવૃત્તિ કરવાનું જો જોમ ન હોય તો કમસેકમ એટલું તો કરો જ કે બાળકને ખ્રિસ્તિ મિશનરીની સ્કૂલમાં ભરતી ન કરો.તમારા સગા વ્હાલાઓને પણ તાકીદ કરો કે કોન્વેન્ટમાં બાળકને ભરતી ન કરે.નહીં તો તમારો બાળક તમને ફાધર કહેવાની સાથે સાથે બહારના કોઈકને પણ ફાધર કહેતો થઈ જશે. અમદાવાદમાં પૈસાદાર હિંદુઓ તેમના સંતાનોને એકથી દોઢ લાખનું ડોનેશન આપીને કોન્વેન્ટ ખ્રિસ્તિ સ્કૂલોમાં મૂકે છે. આ ડોનેશનના પૈસા પછી વટલાવ પ્રવૃત્તિમાં જાય છે. હવે હિંદુઓએ અંગ્રેજી મિડિયમની સ્કૂલો ખોલી છે. અમદાવાદના રાજા પાઠકે ખ્રિસ્તિ મિશનરીને ટક્કર મારે એવી હિંદુ અંગ્રેજી મિડિયમની સ્કૂલ ખોલી છે જેમાં હિંદુ તહેવારો મનાવાય છે જેમાં નાતાલની નહીં પરંતુ જન્માષ્ટમીના પારણાની રજા હોય છે. અમદાવાદના મુક્તકભાઈ કાપડિયાએ પણ એચબીકે સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમની ખ્યાતનામ સ્કૂલ ખોલી છે. હવે આ બધા ખ્રિસ્તિ મિશનરીના બેઝીક વટલાવ પ્રવૃત્તિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ચેલેન્જ બને છે એટલે એમને ખતમ કરવા માટે, એમની પાછળ પડવા માટે મિડિયાના ઉપયોગ દ્વારા વાંકો કાઢીને કેમ્પેન ચલાવવામાં આવે છે. આસારામ બાપુના, સ્વામિનારાયણના ગુરૂકુળો ખ્રિસ્તિ મિશનરીના વટલાવ પ્રવૃત્તિ માટેના બેઝીક ઈન્ફ્રાસ્ટક્ચર સામે આદિવાસી અને પછાત વિસ્તારોમાં નાની તો નાની ફાઈટ આપે છે અને પડકાર ઉભો કરે છે તો તેમની સામે પણ કેમ્પેન ચાલે છે.

ખ્રિસ્તિઓએ વટાળ પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને એકમાત્ર ભારતમાં હિંદુ ધર્મ બચ્યો છે તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. ઓરિસ્સા કે ડાંગ જેવી ઘટનાઓ બાબતે ખ્રિસ્તિઓ આત્મચિંતન કરે. ડખો ગોસ્પેલની મહાત્વાકાંક્ષાનો છે.
****


અમદાવાદના પત્રકારોમાં આજકાલ કયો ટોપિક હોટ છે?

3-09-2008

ભડાસફોરમિડિયા.કોમ નામની વેબસાઈટે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે એમાં મસાલેદાર વાત લખી છે. દિલ્હી સ્થિત ત્રિવેણી નામની કંપની એ મૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અને બિલ્ડરની ફર્મ છે. આ ચેનલે વોઈઝ ઓફ ઈન્ડિયા નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ શરૂ થઈ તે પહેલા જ ઈન્ડિયા ટીવીના ગુજરાત ખાતેના સંવાદદાતા નિર્ણય કપૂર તેમાં ગુજરાત બ્યુરો ચીફ તરીકે જોડાયા હતા. આ ચેનલ ભવિષ્યમાં ગુજરાતીમાં પણ આવવાની હોવાથી ગુજરાતી પત્રકારો પણ ગુજરાતી વર્ઝનની રાહ જોતા હતા અને હિંદી વર્ઝન ધ્યાનથી જોતા હતા. પરંતુ બે દિવસ પહેલા એક અણધાર્યા વળાંકમાં વોઈઝ ઓફ ઈન્ડિયાના ગુજરાત બ્યુરો ચીફ નિર્ણય કપૂરે આ ચેનલમાંથી રાજીનામું આપી દીધું અને પરત ઈન્ડિયા ટીવી જોઈન કરી દીધું.

ભડાસફોરમિડિયા.કોમમાં આવેલા અહેવાલ અનુસાર નિર્ણય કપૂરને વોઈઝ ઓફ ઈન્ડિયાની દિલ્હીની બ્યુરો ચીફની મિટિંગમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચેનલ માટે ગુજરાતમાંથી મહિનાના પચાસ લાખ રૂપિયા ભેગા કરો.(પ્રાપ્ત માહિતી અનુસાર આ માટે નિર્ણય કપૂરને આસારામ પાસેથી તથા ઉદ્યોગગૃહો પાસેથી પૈસા ઉઘરાવવાનું કહેવામાં આવ્યું હતું.) જોકે નિર્ણય કપૂરે આ પ્રકારના પત્રકારત્વનો વિરોધ કરીને રાજીનામું આપી દીધું હતું. દિલ્હીમાં સાડા દસે વોઈઝ ઓફ ઈન્ડિયા છોડ્યું ને બાર વાગ્યે રજત શર્મા સાથે મિટિંગ થઈ તે સાથે જ નિર્ણય કપૂર તેમના ઈન્ડિયા ટીવીના ઘરે પાછા ફર્યા. નિર્ણય વોઈઝ ઓફ ઈન્ડિયા અગાઉ રજત શર્માની ઈન્ડિયા ટીવીમાં જ કામ કરતા હતા અને તે પહેલા પણ રજત શર્માના સ્ટાર ન્યૂઝ પર તે સમયે આવતા શો આજકી બાત માટે કામ કરતા હતા.

અમદાવાદના પત્રકાર વર્તુળમાં નિર્ણય કપૂરનો કિસ્સો પાછલા બે દિવસથી કાનોકાન સખત રીતે ફરી રહ્યો છે. ભડાસફોરમિડિયા.કોમ વેબસાઈટનો ચર્ચાસ્પદ અહેવાલ જોવા અહીં ક્લીક કરો.

***


ધડાકાના આરોપીઓ કોર્ટને સ્ટેજ બનાવે છે?

3-09-2008

તમે આખી પેટર્ન જોઈ? આખી હારમાળાનો અભ્યાસ કર્યો? અમદાવાદ બોમ્બ ધડાકાના કેસમાં સફદર નાગોરીને કોર્ટમાં લાવવામાં આવ્યો અને તેણે જજ સમક્ષ કહ્યું કે તેની તબિયત ખરાબ છે, ચક્કર આવે છે અને ધ્રૂજારી થાય છે…આ વાત અખબારોમાં છપાઈ. પછી જ્યારે સાજીદ મંસૂરીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની દીકરીને હાથમાં લીધી અને રડી પડ્યો. આ વાત પણ અખબારમાં છપાઈ છે. હવે લેટેસ્ટમાં ગઈકાલે અમદાવાદની કોર્ટમાં બોમ્બ ધડાકાના કેસના આરોપીઓએ રમઝાન મહિનો શરૂ થતો હોવાથી નમાઝ પઢવાની અને રોઝાને લગતી છૂટ કોર્ટમાં માંગી અને આ વાત પણ અખબારમાં છપાઈ છે. તમે આ બધી વાતને એક પેટર્નમાં જુઓ તો અમદાવાદ બોમ્બ ધડાકાના આરોપીઓ દરેક વખતે કોર્ટમાં આવતી વખતે એક ચીજ એવી કરે છે કે જેના પરથી બીજા દિવસે અખબારમાં જે અહેવાલ છપાય તે વાંચીને લોકોને સહાનૂભૂતિ જાગે. એમાંય હમણા છેલ્લી મુદતમાં તેમણે રમઝાનને લગતી અને રોજાને લગતી જે છૂટ માંગી છે એનાથી તો મુસ્લિમ સમાજમાં સહાનૂભૂતિ મળે તેમ જ છે. સીમીની ટ્રેનીંગમાં પકડાયા પછી કેવું વર્તન કરવું અને કયા કિમિયા અજમાવવા એ શીખવાડવામાં આવતું હતું એ પોલીસે અગાઉ જાહેર કર્યું જ છે.

****


કેત્કી દવે બીગબોસમાં તો રસિક દવે છાપામાં

30-08-2008

કેત્કી દવે અને રસિક દવેને ઓળખો છો? ગુજરાતના બહુજ જાણીતા નાટ્યકલાકારો છે અને પતિ-પત્ની છે. કેત્કી દવે એટલે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થીની ક્લાકારા દક્ષા ચાચી આજકાલ કલર્સ નામની નવી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ પર આવતા બીગ બોસ શોમાં ભાગ લઈ રહી છે. બીગ બોસ શો એવો છે કે સતત કેમેરાની વચ્ચે અને ગળામાં માઈક લટકાવીને ડઝન લોકોએ ત્રણ મહિના માટે એક ઘરમાં પૂરાઈ રહેવાનું હોય છે. ફોન નહીં, અખબાર નહીં, ટીવી નહીં, રેડિયો નહીં, કેલેન્ડર સુદ્ધા નહીં. ઘરમાં બધા ઝઘડે, પ્રેમ કરે, વાતો કરે, કૂથલી કરે એ બધું અઠવાડિયા દરમિયાન ટીવી શોમાં લોકોને બતાવવામાં આવે છે. દરેક અઠવાડિયે ઘરના સદસ્યો અને એસએમએસ દ્વારા જાહેર જનતા એક વ્યક્તિને વોટ-આઉટ કરીને શોની બહાર નીકાળી શકે છે. આમ જે છેલ્લે બચે એ પંચોતેર લાખ રૂપિયાનો વિજેતા બીગ બોસ બને છે. બીગ બોસના લોનાવાલાના ઘરમાં હાલ પ્રમોદ મહાજનનો દીકરો રાહુલ મહાજન, અબુ સાલેમની પ્રેમિકા મોનીક બેદી કે જે જામીન પર જેલની બહાર છે, કોમેડિયન અહેસાન કુરેશી, આપણી ગુજરાતી કેતકી દવે વગેરે હાજર છે.

અહીંયા મારે વાત કરવી છે કેત્કી દવેની. કેત્કી દવેના ત્રણ મહિનાના વિયોગમાં પતિ રસિક દવેની શું હાલત છે એ વિશે મુંબઈના ગુજરાતી અખબારોમાં ટનબંધ છપાઈ રહ્યું છે. મુંબઈના ટેબ્લોઈડ મિડ-ડે ગુજરાતી અખબારે તો રીતસર દરેક અઠવાડિયે કેતકી વગર રસિકની હાલત શું છે એના પર કોલમ શરૂ કરી છે. આ જ અખબારમાં ફુલ પેજ લેખ એ વિષય પર પણ છપાયો છે કે કેત્કી ગઈ તો તેણે એની હવે એકલી પડી ગયેલી દીકરીને શું સલાહ આપવી જોઈતી હતી. તો બીજો એક લેખ કટાક્ષનો છપાયો છે આ પતિ પત્ની પર. રસિક દવે ચોથી સપ્ટેમ્બરથી પચ્ચીસ દિવસ માટે નાટકના સિલસિલામાં અમદાવાદ આવી રહ્યા છે. તેમણે કેત્કીના નાટકના પાત્રમાં કેત્કીની ગેરહાજરી હોવાથી સેજલ શાહને રિપ્લેસ કરી છે. રસિક કહે છે કે પાંચમી સપ્ટેમ્બરે તેના અને કેત્કીના દીકરા અભિષેકનો જન્મદિવસ છે પણ બીગબોસમાં કેલેન્ડર પણ ન હોવાથી કેત્કીને એ દિવસ યાદ રહેશે કે કેમ એ ય પ્રશ્ન છે.

બીજી તરફ કેત્કી શાહ બીગબોસમાં ફરિયાદ કરતી દેખાય છે કે બીગબોસના મકાનના રસોડામાં ગુજરાતી દાળ માટે કોકમ નથી મળતું. ગોળ નાખવો હોય તો લોકો મિઠાઈ સમજીને ખાઈ જાય છે તેથી દાળ ગળી નથી બનાવી શકાતી. દૂધવાળી ચા પીવી હોય તો દૂધ નથી મળતું. ગુજરાતી ભાજી ખાવી છે પણ એ નથી મળતી… બિચારા રસિકલાલ ટીવી પર પત્નીની કમ્પ્લેનનું આ લીસ્ટ સાંભળીને ટેન્શનમાં આવી જતા હશે. બીગ બોસના એપિસોડ ઓન્લાઈન વિડિયો સ્ટ્રીમીંગમાં જોવા માટે અહીં ક્લીક કરો.

***


ભાજપનું ધરણાવાળું એક્સ ફેક્ટર

27-08-2008

ગુજરાતમાં ગુજકોકનો કાયદો લાગુ થાય એ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મંત્રીમંડળ દ્વારા ઠરાવ પસાર કરાયો. અડવાણી સહિતના ભાજપના સાંસદોને રજૂઆત કરવા વડાપ્રધાન પાસે મોકલ્યા અને બીજું ઘણું કર્યું પરંતુ કેન્દ્ર સરકાર ગુજકોકના કાયદાને મંજૂરી આપતી નથી. જ્યાં સુધી બિનભાજપી સરકારનું દિલ્હીમાં રાજ હશે ત્યાં સુધી ગુજરાતને ગુજકોક નથી મળવાનો એ લખીને રાખો.

ખૈર પણ અહીં મારે વાત કરવી છે ગુજકોક માટે ભાજપે યોજેલા ધરણાની. નહેરૂબ્રીજની સામે સાકાર તરફ જતો રસ્તો રોકીને મોટો શામિયાણો બાંધીને ભાજપે ગુજકોકના કાયદાને મંજૂરી આપવાની માંગણી કરવાના હેતુથી ધરણા યોજ્યા. ધરણામાં વચ્ચે વચ ગુજરાત ભાજપના અધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા બેઠા હતા. અને ટીવી પત્રકારો ધરણાના સ્થળે પહોંચ્યા ત્યારે તેમની આજુબાજુ ભાજપનું એક્સ-ફેક્ટર બેઠું હતું. ભાજપનું આ એક્સ-ફેક્ટર જબરૂં છે ભાઈ. એમાં એક્સ એટેલેકે ભૂતપૂર્વો છે. બધી નવરા બ્રિગેડ છે. જેમ કે ધરણામાં એક હતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ ધોળકામાં ચૂંટણી એવી બુરી રીતે હારી ગયા છે કે ફરી ત્યાંથી જીતવાના ચાન્સ નથી. બીજા મહાનુભાવ જે ધરણામાં બેઠેલા હતા એ હતા આઈકે જાડેજા કે જેઓ ધ્રાંગધ્રામાંથી ચૂંટણી હારી ગયા છે. ત્રીજા બેઠેલા હતા એ હતા જુનાગઢના પૂર્વ સાંસદ ભાવનાબહેન ચીખલીયા કે જેઓ જુનાગઢમાં પાછલું ઈલેક્શન હારી ગયા હતા. અન્ય એક મહાનુભાવ જે ધરણામાં બેઠા હતા એ હતા જયંતિભાઈ બારોટ કે જેમની રાજ્યસભાની ટર્મ હમણાં પૂરી થઈ પછી પક્ષે રીન્યુ કરી નહીં તેથી તેઓ પણ ભૂતપૂર્વ બની ગયા. બીજા એક બેઠેલા હતા એ હતા અમિત શાહ કે જે અમદાવાદના ભૂતપૂર્વ મેયર છે. તેઓ મેયર પદે હતા ત્યારે એલિસબ્રીજના ધારાસભ્ય બનવાની તેમની ગણતરી હતી પણ ટર્મ પૂરી થઈ એટલે મેયર પદ તો જવાનુ હતુ ને ગયું ને અધૂરામાં પૂરું મોદીએ એલિસબ્રીજ વિધાનસભાની ટિકીટ પણ ના આપી એનું દુ:ખ. આમ આ પણ ભૂતપૂર્વ એટલેકે એક્સ. આ બધા મહાનુભાવો ભૂતપૂર્વ બની ગયા પછી પક્ષના કાર્યક્રમોમાં ખાસ્સા ઈન્વોલ્વ દેખાય છે. બાકી ભૂપેન્દ્રસિંહ મંત્રી હતા ત્યારે તેમનો રોફ જોવા જેવો હતો. આવા કાર્યક્રમોમાં તો સમય જ ન બગાડે. સમય સમય બલવાન છે. અને ગુજરાત ભાજપના ધરણા હોય ત્યારે એક્સ ફેક્ટર બલવાન છે.

રાજકારણમાં ભૂતપૂર્વોની આર્થિક નહીં પણ માનસિક દશા બિચારી હોય છે. ચૂંટણીએ ચૂંટણીએ તેઓ કુંવારા છે. રાજ્યસભાની ચૂંટણી આવે તો વરમાળા પહેરવા તૈયાર પણ કોઈ પહેરાવે નહીં તો પાછા ઘરે..પછી બોર્ડ નિગમના ઓરતા… પછી લોકસભાની ચૂંટણી આવે છે એટલે મોઢું લાળ લાળ થાય. એય નહીં તો પાછું આગલી વિધાનસભાનું આયોજન. આ બધી પ્રોસેસ ચાલતી હોય ત્યારે તમાચો મારીને ગાલ પર લાલી બતાવવાની કે ‘ભઈ અમે તો સંગઠનમાં એક્ટીવ છીએ…રાજ્ય માટે કામ કર્યું હવે પક્ષ માટે કામ કરીશું…’ વાહ વાહ વાહ વાહ…

તો બોલો શહીદો… એટલે ગાદી પર પલાઠી વાળીને શિસ્તબદ્ધ બેઠેલું આખું એક્સ ફેક્ટર સફેદ બાંયના ઝભ્ભાવાળા હાથ ઉંચા કરીને બોલશે…અમર રહો!! બોલો શહીદો એટલે કહેશે…અમર રહો!!

****


સફદર નાગોરી ઢીલો ઢફ્ફ દેખાતો હતો

26-08-2008


અમદાવાદના બોમ્બ ધડાકાના આરોપીઓને તમે તો ટીવી પર અને અખબારોમાં મોઢા પર કાળો બુરખો ઓઢાઢી દીધો હોય તેવી પરિસ્થિતિમાં જોતા હશો. પરંતુ અમને પત્રકારોને કોર્ટની અંદર બેસીને ખૂંખાર આરોપીઓના બુરખા વગરના મોઢા જોવા મળતા હોય છે.

સીમીના વડા સફદર નાગોરીને હમણા અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે સુરક્ષાની જબરજસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નાગોરીની હાથકડી જરા જુદા પ્રકારની હતી કે જેમાં કાંડુ હલી પણ ન શકે. નાગોરીને કોર્ટમાં લાવીને તેના મોઢા પરથી બુરખો અને આંખો પરથી કાળી પટ્ટી ઉતારવામાં આવી પછી તેની હાલત બકરી બેં જેવી જણાતી હતી. જજ આવ્યા એટલે નાગોરી તેમની સામે ઉભો રહ્યો અને પછી કહ્યું કે સાહેબ મારા પગ ધ્રૂજે છે, તબિયત ઠીક નથી અને ચક્કર આવે છે. જજે કહ્યું કે એ તો તને જોઈને લાગે જ છે, જા બેસી જા. જજે પૂછ્યું કે પોલીસ તરફથી કોઈ બળપ્રયોગની ફરિયાદ છે? નાગોરીએ ના પાડી. પછી પોલીસની દલીલ પેશ થઈ અને સામે પક્ષેની દલીલ પેશ થઈ. નાગોરી આ દરમિયાન ગાયની માફક ઢીલો ઢફ્ફ બેસી રહ્યો હતો. કેસ પૂરો થયો અને નવ દિવસના રિમાન્ડ જાહેર થયા પછી નાગોરીની સહી લેવામાં આવી અને પછી પોલીસે તેને આંખે કાળી પટ્ટી પહેરાવી દીધી.ઉપર બુરખો પહેરાવી દીધો.હાથમાં હાથકડી પહેરાવી દીધી. પછી એક પોલીસવાળાએ નાગોરીને બોચીએથી પકડ્યો. બીજાએ કમરના ભાગેથી પેન્ટમાંથી પકડ્યો. બીજાએ પેન્ટના ભાગેથી જ પાછળથી પકડ્યો. નાગોરી કોર્ટ રૂમની બહાર આવ્યો એટલે પાછા મિડિયાના સંખ્યાબંધ કેમેરા અને એમાં પોલીસવાળાઓની ધક્કા મુક્કી અને નાગોરીને નાખી દીધો પોલીસના ડબ્બામાં. કેટલાક દિવસ પહેલા બોમ્બ ધડાકાના દસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ બિન્દાસ્ત અને ગૌરવ સાથે ઉન્નત મસ્તકે ઉભા હોય તેવા દેખાતા હતા. આમની સરખામણીમાં નાગોરી ઢીલો ઢફ્ફ દેખાતો હતો.

(***ઉપરનું લખાણ વાંચ્યા બાદ એક વાંચક મિત્રે અને એક પોલીસ ઓફિસરે દેશગુજરાતને એક સરખો મત જણાવ્યો છે. તે એ છે કે સીમીની ટ્રેનીંગમાં એ પણ શીખવવામાં આવે છે કે પકડાઈ ગયા પછી કેવું વર્તન કરવું. જેમ કે કોર્ટમાં પોતે લાચાર, બકરી બેં અને દયાપાત્ર હોવાની એક્ટીંગ કરે તો આવી એક્ટીંગ, તબિયત સારી નથી એવું બહાનું એ બધાના પ્રતાપે જ ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હોય પણ નવ દિવસના જ મળે.)

Click here for April+May+June+July 2008’s articles
એપ્રિલ+મે+જુન+July ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for January+February+March 2008’s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for January+February+March 2008’s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for December 2007’s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો


Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો

(required)
(required)
(required)

 

Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World