Gujarat Diary
DeshGujarat.Com/GD
માત્ર દેશગુજરાત.કોમ પર
લખનાર એક દશક કરતા વધુ સમયથી ગુજરાતના પ્રિન્ટ/ટેલીવિઝનના માતબર મિડિયાગૃહો સાથે પત્રકાર તરીકે સંકળાયેલા રહ્યા છે
_______________________________________________________________________________
![]() |
ડાંગના નાંદનપેડામાં ધ્યાન આપવું જરૂરી
27-10-2008
ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવાથી પંદર કિલોમીટર દૂર નાંદનપેડા મહારાષ્ટ્રની સરહદથી નજીક આવેલું છે. નાંદનપેડામાં મુસ્લિમોની વસ્તી ધીમે ધીમે વધતી વધતી પંદરસો પર પહોંચી ગઈ છે જ્યારે મૂળ વનવાસી વસાહતીઓની વસ્તી પાંચસો જ થઈ ગઈ છે. મુસ્લિમો ગેરકાયદે પશુઓની કતલ અને ધીરાણ-વ્યાજના ધંધા ઉપરાંત સાગના જંગલોનું સોથવાળીને પણ આ વિસ્તારમાં ત્રાસરૂપ બન્યા હોવાનું સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે.
****
![]() |
સેનાની શસ્ત્ર ફેક્ટરી ગુજરાતના સ્થાને સોનિયાના રાયબરેલીમાં!!
12-10-2008
નેનોનો કાર પ્લાન્ટ તો અમદાવાદ પાસે આવી ગયો પરંતુ અમદાવાદમાં એક વિશાળ શસ્ત્ર સરંજામ બનાવવાની ફેક્ટરી આવવાની હતી એનું છેક સુધી નક્કી થઈ ગયું હતું પણ એ કેમ ન આવી એ પૂછો આપણા અમદાવાદના ભાજપી સાંસદ હરીન પાઠકને. હરીનભાઈ લાલકૃષ્ણ અડવાણીના ખાસમખાસ ગણાય છે. અડવાણીજી વડાપ્રધાન બને તો નક્કી સમજો કે હરીનભાઈ કેન્દ્રિય મંત્રી બનશે. પાછલી વખતે અડવાણીજી નાયબ પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે હરીનભાઈને રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા.
ત્યારે ૧૦ માર્ચ, ૨૦૦૩ના રોજ હરીનભાઈએ તેમના સિનીયર પ્રધાન તત્કાલીન રક્ષા મંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને એક પત્ર લખીને અમદાવાદ પાસે હથિયારોનું કારખાનું બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો. પછી આ પ્રસ્તાવ મંજૂર પણ થઈ ગયો હતો પણ તે બાદ એનડીએ સરકારનો કાર્યકાળ પૂરો થતા અને યુપીએ સરકારની રચના થતા આખો પ્રસ્તાવ ઉડાડી દેવાયો હતો. નીચે મોજૂદ છે આખા ઘટનાક્રમની તારીખવાર વિગતો:
-૧૦ માર્ચ, ૨૦૦૩: હરીન પાઠકે અમદાવાદ નજીક શસ્ત્રસરંજામની વિરાટ ફેક્ટરી ઉભી કરવાની માંગણી સાથેનો પત્ર રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાનની હેસિયતથી તત્કાલીન રક્ષા મંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને લખ્યો.
-૧૯ જૂન, ૨૦૦૩: આ મામલે ટાસ્કફોર્સની રચના થઈ.
-૩૦ જાન્યુઆરી, ૨૦૦૪: રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝે અમદાવાદ નજીક શસ્ત્ર સરંજામની ફેક્ટરીનો હરીનભાઈનો પ્રસ્તાવ સ્વીકાર્યો.
-તે પછી ચૂંટણી જાહેર થઈ ગઈ, ભાજપ-એનડીએની સરકાર ગઈ અને કોંગ્રેસની યુપીએની સરકાર આવી.
-નવા રક્ષામંત્રી પ્રણવ મુખર્જીએ ગુજરાતમાં શસ્ત્ર ફેક્ટરીની આવશ્યકતા નથી એમ કહીને પ્રસ્તાવ ઉડાડી દીધો.
-શસ્ત્ર ફેક્ટરી સોનિયા ગાંધીના ચૂંટણી મતવિસ્તાર રાયબરેલીમાં સ્થાપવામાં આવ્યો.
હરીનભાઈ આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાના મતવિસ્તારમાં ઉછાળવાના મુદ્દા તૈયાર કરી રહ્યા છે તેમાં એક આ મુદ્દો પણ લોકોને ભાષણોમાં સાંભળવા મળશે.
***
![]() |
વિજયાદશમીએ આરએસએસ વિશે થોડુંક
આજે વિજયાદશમી છે. વિજયાદશમીનો દિવસ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ માટે અત્યંત મહત્વનો છે. આ દિવસે સાંજે ઠેકઠેકાણે બૌદ્ધિક વક્તવ્ય થાય છે જેમાં સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર હોય છે,ચિતા અને ચિંતન પણ સમાવિષ્ટ હોય છે. આપણા દેશમાં ક્યારેક બજરંગ દળ પર તો ક્યારે વિશ્વ હિંદુ પરિષદ પર તો ક્યારેક રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધની માંગણીઓ ઉઠ્યા કરે છે પરંતુ આવી માંગણી કરનારાઓએ એ વાત યાદ રાખવી જોઈએ કે ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સેના અને સરકારને આરએસએસે આપેલા નિષ્ઠાપૂર્વકના સહકારની કદર રૂપે પંડિત જવાહરલાલ નહેરૂએ ૨૬ જાન્યુઆરી ૧૯૬૩ના દિવસે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું અને સાડા ત્રણ હજાર જેટલા સ્વયંસેવકોએ પરેડમાં આરએસએસના પૂર્ણ ગણવેશ સાથે ભાગ લીધો હતો. ૧૯૬૫માં ભારતના પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે પણ તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આરએસએસના અગ્રણીઓને દિલ્હી બોલાવી તેમનો સહકાર માંગ્યો હતો. સંઘના સ્વયંસેવકોએ યુદ્ધના બાવીસ દિવસ સુધી દિલ્હી પોલીસ યુદ્ધને લગતી બીજી મહત્વની કામગેરીમાં જોડાઈ શકે તે માટે પોતે ટ્રાફીક જાળવવાની જવાબદારી સંભાળી હતી. આવા તો બીજા કંઈક ઉદાહરણ છે કે જેમાં સંઘે હંમેશા રાષ્ટ્રિય હિતને જ નજરમાં રાખીને કામ કર્યું છે.
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સૌ રાષ્ટ્રપ્રેમીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ સહ વંદન પ્રણામ.
***
![]() |
ચરોતરમાં વૃક્ષોની ખેતી
અહીં ખેડૂતો પોતાના ખેતરના પાળે વૃક્ષો રોપવાના અને વૃક્ષો મોટા-ઘનઘોર થાય ત્યારે તેને કાપીને પાડોશની સો-મીલમાં આપી દેવાના કામમાં વર્ષોથી પ્રવૃત્ત છે. ખેતરને શેઢે ઉગતું વૃક્ષ ખેડૂતને રોકડા રૂપિયા ગણી આપે છે. ખેડૂત એક વૃક્ષ બાદ બીજું વૃક્ષ રોપતો રહે છે અને માવજત કરીને મોટું પણ કરે ચઃએ. આ જ પ્રથાના કારણે નડિયાદની આસપાસ બે હજાર જેટલી સો-મીલો ધમધમતી ર્રહી છે અને વૃક્ષોની રીતસરની ખેતી થઈ રહી છે. અને તેમ છતા આ વિસ્તાર ગુજરાતના સૌથી વધુ વૃક્ષો ધરાવનારા વિસ્તાર તરીકે વર્ષોવર્ષ પોતાનું ટોચનું સ્થાન ભોગવતો આવ્યો ચઃએ.
જયંતિભાઈ વૃક્ષો કાપો અને પર્યાવરણ બચાવોના સૂત્રને લઈને ભારતભરમાં ફરી રહ્યા છે. તેમણે નજીકના ભૂતકાળમાં કોલકતામાં પણ આ વિશે સેમીનાર કર્યો અને વૃક્ષોની ખેતી કરવાનો વિચાર ખેડૂતો સમક્ષ મૂક્યો. જયંતિભાઈ કહે છે કે તેમની ઝૂંબેશમાં ત્રણ ‘ઈ’ અગત્યના છે:એન્વાયર્નમેન્ટ, એમ્પ્લોયમેન્ટ અને ઈકોનોમી. વૃક્ષ ઉગાડવા અને કાપવાના એટલેકે વૃક્ષની ખેતીના કામમાં કાયદેસર વિધિઓ પ્રમાણે જ કામ કરવું પડે છે(જયંતિભાઈ મોબાઈલ ૦૯૩૨૭૦૮૧૫૬૫) .
****
પાકિસ્તાનમાં સ્વામિનારાયણનું મંદિર
એક તો સ્વામિનારાયણ જેવો ડુંગળી પણ ન ખાય એવો ચુસ્ત ધર્મ અને એ ય પાછો પાકિસ્તાનમાં…છે ને કમાલ વાત! પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ પંથના તાબાનું સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. મોટાભાગના ગુજરાતીઓને માલૂમ નહીં હોય પરંતુ કરાચીમાં બંદર રોડ જેવા મુખ્ય માર્ગ પર પૂરા ૩૨,૩૦૬ સ્ક્વેર યાર્ડનું છે આ મંદિર. આ મંદિરની સ્થાપના દેખીતી જ રીતે પાકિસ્તાન એક સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું તેની ઘણી પહેલા છેક ૧૮૪૯માં બન્યું હતું. સન ૨૦૦૪માં આ મંદિરે તેની સ્થાપનાના દોઢસો વર્ષ પૂરા કર્યા હતા. આ મંદિરમાં હાલમાં નરનારાયણદેવ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ સાથે ચમત્કારીક અને માન્યતા પૂર્ણ કરનારા મનાતા હનુમાનજીની મૂર્તિ પણ છે જેને હિંદુઓની સાથે સાથે થોડા મુસ્લિમો પણ આવીને હાથ જોડે છે.
ભારતમાંથી પાકિસ્તાન મુસ્લિમ દેશ તરીકે અલગ પડ્યું ત્યારે હિંદુઓ અને હિંદુ મિલકતો પર પાકિસ્તાનમાં પારાવાર હુમલા થતા હતા. એ સમયે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ અહીંથી ખસેડીને મહા મહેનતે રાજસ્થાનના ખાન ગામમાં લાવી શકાઈ હતી.
મૂળ કરાચીના વતની અને હાલ સિંધી સમાજ સેવક એવા રાજુભાઈ રૂપેલા સમક્ષ કરાચીના સ્વામિનારાયણ મંદિર વિશે વાત કરો તો તેઓ કહે છે ‘સબ બઢિયા ચલ રહા હૈ. વહાં(સ્વામિનારાયણ મંદિર) જાતે હૈ તો અપનાપન લગતા હૈ.”
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ડીકે સ્વામી પણ મંદિરની રસપ્રદ માહિતી આપતા કહે છે કે પાકિસ્તાનની સરકાર ત્યાંના મંદિરની આવક કે પછી ભગવાનના ઘરેણા અને અન્ય ચીજ વસ્તુઓ ભારત લઈ જવાની સ્પષ્ટ ના પાડે છે. પાકિસ્તાન સરકારનો મંદિરના કામકાજમાં બીજો તો કોઈ હસ્તક્ષેપ છે નહી.
૧૯૪૭ પછી ૧૯૮૯થી કરાચીનું મંદિર ભારતના સ્વામિનારાયણના સંતો-મહંતોની અવરજવરથી સભર રહે છે. કાલુપુર ગાદીના મુખ્ય એવા કૌશલેન્દ્ર મહારાજ પણ આવનારા દિવસોમાં કરાચી મંદિરની મુલાકાત કરે તેવી શક્યતા છે.
***
![]() |
આદિવાસી રામકથાકારો:વેલ ડન વિશ્વ હિંદુ પરિષદ
વિશ્વ હિંદુ પરિષદની છાપ મિડિયાએ પાછલા કેટલા વર્ષોમાં સફળ રીતે જુદી તરેહની ઉભી કરી દીધી છે. વિહિપને લોકો માત્ર આંદોલનકારી સંગઠન તરીકે જ ઓળખે એનું મિડિયાએ હંમેશા ધ્યાન રાખ્યું છે.
કોઈ પણ સફળ સંગઠનના હકીકતમાં બે પાસા હોય છે જેમાંનું એક આંદોલનકારી પાસુ હોય છે જ્યારે બીજું રચનાત્મક પ્રવૃત્તિઓનું પાસુ હોય છે. હિંદુ હિતમાં વિહિપના રચનાત્મક કાર્યક્રમો બારેય મહિના ચાલતા હોય છે. હમણાં વિહિપના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાને મળવાનું થયું તો માલૂમ પડ્યું કે ખ્રિસ્તિ મિશનરીઓ જે રીતે ગુજરાતના પ્રત્યેક આદિવાસીને વટલાવવા માટે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં કાર્યરત બની છે તેનાથી આપણા ભોળા વનવાસી ભાઈઓને બચાવવા અને હિંદુત્વ જાળવી રાખવા વિહિપ રચનાત્મક ઢબે કઈ રીતે હિંદુ ધર્મનું રક્ષણ કરવાના પ્રયત્નો કરી રહી છે.
નડિયાદના સંતરામ મંદિરમાં વિહિપના ઉપક્રમે હાલમાં ‘રામ સાધક કથાકાર વર્ગ’ ચાલી રહ્યો છે. આ એક એવો પ્રોજેક્ટ છે કે જે વનવાસીઓમાં(આરએસએસ આદિવાસી નહીં પરંતુ વનવાસી શબ્દ પસંદ કરે છે)રામ નામના પ્રચાર મારફતે હિંદુ ધર્મને જાળવી રાખવાનું કામ કરે છે. આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ શ્રી મુક્તાનંદ મિશ્રાએ આ વિશે માહિતી આપતા કહ્યું કે રામ સાધક કથાકાર વર્ગમાં આ વખતે હાલ ૪૪ જેટલા વનવાસીભાઈઓ રામકથા કરવાની તાલીમ લઈ રહ્યા છે. આ અંતર્ગત એક મહિનો નડિયાદના સંતરામ મંદિરમાં રોકાઈને તાલીમ લેવાની હોય છે. આ પછી છ મહિના સુધી આ વનવાસીઓએ પોતાના વિસ્તારમાં પહોંચીને રામકથા કરવાની રહેશે. તે પછી તેઓ પાછા પરત નડિયાદ સંતરામ મંદિરમાં આવશે જ્યાં તેમના અનુભવોને આધારે વધુ આભ્યાસ કરશે. આખરમાં વનવાસીભાઈઓને એક મહિનો અયોધ્યા મોકલવામાં આવે છે કે જ્યાં રામકથા પ્રવિણ કેન્દ્રમાં સંપૂર્ણ તાલીમ પૂરી કરવાની હોય છે. આ પછી વનવાસી ભાઈને રામકથાના સંપૂર્ણ જાણકાર હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
ગુજરાતમાં આ પ્રકલ્પ(પ્રોજેક્ટ) દોઢ વર્ષથી ચાલે છે. આ વખતે અત્યાર સુધીની સૌથી વધુ ૪૪ વનવાસીઓની સંખ્યા નોંધાઈ છે. શ્રી મુક્તાનંદજીનું કહેવું છે કે આ પ્રકલ્પ બાદ કથાકાર પોતે નિર્વ્યસની તો અવશ્ય બને છે. સાથે સાથે તેની આસપાસના વર્તુળમાં રામનામનો પ્રચાર કરતો થાય છે. જો કે અહીં પ્રચાર શબ્દ અયોગ્ય છે કારણકે રામ અને વનવાસીઓ વચ્ચેનો સંબંધ સદીઓથી મૌખિક રામાયણ મારફતે ચાલતો આવ્યો છે. ગુજરાતના વનવાસીઓની બહુમતિ વસ્તીવાળા ડાંગ જિલ્લાનું નામ દંડકારણ્ય પરથી પડેલું છે. અહીં શબરીના નામ પરથી સુબીર નામનું ગામ પણ આવેલું છે. હનુમાનની અહીં પરાપૂર્વથી પૂજા થતી આવી છે. રામકથાકાર વર્ગ દ્વારા ગુજરાતના વનવાસીઓ પોતાની જ રામાયણ સંસ્કૃતિમાં રહીને આદ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે.
























