| સોક્રેટીસ - ‘યૌવનની સમસ્યા’ |
|
|
|
| અર્ધ સાપ્તાહિક | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
પ્રિય સોક્રેટિસ, મારું નામ હેતલ છે. હું તમારી કોલમની નિયમિત વાચક છું. પરંતુ ક્યારેય મારી સમસ્યા જણાવવા હિંમત કરી શકી ન હતી. હવે, કરું છું. હું ડિપ્લોમા ફાર્મસીની સ્ટુડન્ટ હતી, પણ અત્યારે ઘરે છું. મારે નવમા ધોરણમાં વિનય નામના એક છોકરા સાથે મુલાકાત થઈ હતી. આ છોકરો ખૂબ જ સારો, સંસ્કારી, હોશિયાર હતો. અમારી વચ્ચે મિત્રતા થઈ. પરંતુ બીજા જ વર્ષે ૧૦મા ધોરણની બોર્ડની પરીક્ષા હોવાથી અમે એ મિત્રતાને ગંભીરતાથી ન લીધી. તે પછી ૧૧મા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પણ મિત્રતા જાળવી. અમારી મિત્રતા ઘણી ગાઢ બની. પણ એ દરમિયાન મારાથી નાના અને અમારી સોસાયટીમાં રહેતા મિતેષ નામના છોકરાએ મને પ્રપોઝ કર્યું. મારા જીવનની આ સૌથી પહેલી પ્રપોઝલ હતી. એટલે થોડા ઉત્સાહમાં અને રોમાંચમાં અથવા તો કહો કે જુવાનીના જોશમાં મેં હા પાડી. પણ હું ખુશ ન હતી. ત્યાર બાદ વિનયને આ બધી ખબર પડી. પણ તે મને હંમેશા મદદ કરતો. તે પછી મને ખબર પડી કે વિનય મને પ્રેમ કરે છે. પણ હું કશું ના કરી શકી. એ સમયમાં મારી ફ્રેન્ડને વિનય ગમવા લાગ્યો. પણ મેં મારી ફ્રેન્ડ સાથે ઝઘડો કરીને તેને વિનયથી દૂર રાખી. મને એવું લાગ્યા કરતું કે હું વિનય તરફ ખેંચાઉં છું. ૧૨મા ધોરણની બોર્ડની એક્ઝામ પહેલાં હું ડિપ્રેશનમાં આવી ગઈ. બે વરસ હું મિતેષ સાથે ફરી પણ છેલ્લે પરીક્ષાના દિવસોમાં વિનયે મને સાયન્સના બધા વિષયો શીખવ્યા અને મને આત્મવિશ્વાસ અપાવ્યો. તેની મદદથી હું પાસ થઈ ગઈ, પરંતુ કમનસીબે એ નાપાસ થયો. મેં ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન લીધું. તે પછી વિનયે પણ ૧૨મા ધોરણની પરીક્ષા ફરી આપીને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવ્યો. તે મને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે મને ઘણી વાર પ્રપોઝ કર્યું. પણ હું હંમેશા ના પાડતી. મને એવી બીક છે કે મારું નામ ખરાબ ના થાય. મને માર્ગદર્શન આપો. હું વિનયને હા કહું કે ના કહું ? - હેતલ હેતલ, પોતાની સમસ્યા જણાવવા માટેની તમે હિંમત કરી એ બદલ અભિનંદન. ઘણી વાર માણસ સારા-ખરાબ અને સાચા-ખોટાની અવઢવમાં સમયની માંગ પર ધ્યાન દેવાનું ચૂકી જાય છે. તમારી મિતેષ સાથેની મૈત્રી વિશે તમે જણાવ્યું છે અને તમે ખૂબ નિખાલસતાપૂર્વક કબૂલ્યું છે કે એ તમારો રોમાંચ અને જોશ હતો. સંબંધોની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. તેમાં પણ સાચો સંબંધ પારખવો તો જીવનની અગ્નિપરીક્ષા હોય છે. શરૃઆતમાં લાગણીસભર લાગતા સંબંધો ક્યારે અપેક્ષાગ્રસ્ત બનીને લાગણીશૂન્ય બની જાય છે એ કળી શકાતું નથી. જ્યારે વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. સારું છે કે તમે વેળાસર જાગી ગયાં છો અને ક્ષણભરના રોમાંચ અને જીવનભરના અહેસાસ વચ્ચેની ગડમથલ સૂલઝાવવા પ્રયત્નશીલ બન્યાં છો. કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. તેનો અર્થ એ નહીં કે તમે ભૂલો કર્યા જ કરો. પરંતુ કરેલી ભૂલોનો બોજો એવો ન હોવો જોઈએ કે તમારું જીવન અસહ્ય બનાવી દે. એક જાણીતા સંતે કહ્યું છે, ભૂલ કો ફૂલ સમઝ કર ભૂલ જાઓ, ઉસે પાની મત દો. સામાન્ય રીતે આપણે કરેલી ભૂલને મનમાં સતત વાગોળ્યા કરતાં હોઈએ છીએ અને ગિલ્ટના બોજા હેઠળ દબાતા રહેતા હોઈએ છીએ. આને પરિણામે જેમ છોડને નિયમિત પાણી પીવડાવતાં તેને પુષ્ટિ મળ્યા કરે તેમ આપણી અંદરની ગિલ્ટની ભાવના પણ સતત સિંચાતી રહે છે અને તે વધુ ને વધુ દૃઢ બનતી જાય છે. પણ જો તેને ફૂલની જેમ સૂંઘીને એટલે કે તેમાંથી જે શીખવાનું છે, તે શીખીને તેને ભૂલી જઈએ તો જીવનમાં આગળ વધી શકીએ છીએ અને માનસિક શાંતિ પામી શકીએ છીએ. તમે વિનયની વાત કરી છે. આટલાં વર્ષોથી અને તમારી મિતેષ સાથેની તમામ વાતો જાણવા છતાં તે છોકરાએ તમારી સાથેની મૈત્રી જાળવી રાખી છે, એ જ શું એની ખાનદાની, એનો સાચો પ્રેમ નથી? તમે કહ્યું છે કે તમને તમારું નામ ખરાબ થાય એની બીક છે. તો આ બીક તમે જ્યારે મિતેષ સાથે સંબંધ રાખ્યો ત્યારે ક્યાં ગઈ હતી? હેતલ, પ્રેમ અને ડર કદી એકસાથે રહી શકતાં નથી. જે ઝિંદાદિલ છે, તે જ પ્રેમ કરી શકે છે. ઇતિહાસ અને વર્તમાન આ વાતના સાક્ષી છે અને ભવિષ્યમાં પણ આ વાત સનાતન સત્ય રહેશે. જ્યાં ડર છે, ત્યાં પ્રેમ કદી ટકી ન શકે. તમે જ વિચારો કે અકબર અને જોધાથી માંડીને ફ્રાંસના પ્રેસિડેન્ટ નિકોલાસ સારકોઝી અને કાર્લા બ્રૂની સુધીનાં પાત્રો જો -લોકો શું કહેશે? નો એટિટયુડ રાખતા હોત તો એકબીજા સાથે જોડાઈ શક્યાં હોત ખરાં? તમારી આ લોકો વિશેની ચિંતા કદાચ એટલે પણ હોય કે વિનય સાથેના સંબંધો વિષે તમે વધુ ગંભીરતાથી ન વિચારતા હોવ. તમારે વિનય પ્રત્યેની તમારી પોતાની લાગણીઓને બરાબર સમજવાની જરૃર છે. એ વિશે ઊંડાણપૂર્વક વિચારવાની જરૃર છે. એક વાર તમે પોતે સ્પષ્ટ થઈ જાવ કે તમારે વિનય સાથે કાયમી સંબંધથી લગ્નજીવન શરૃ કરવાના માર્ગે આગળ વધવું છે કે નહીં તે પછી તમે જાતે જ કોઈ નિર્ણય લઈ શકશો. તમારો નિર્ણય ગમે તે હોય, પરંતુ તમારે તમારી પોતાની લાગણીઓ વિશે સ્પષ્ટ બનવું ખૂબ જરૃરી છે, કારણ કે તેના પર જ તમારા સંબંધોની ઈમારત રચાશે. આની સાથે સાથે વિનય પણ તમારી સાથે કેવા સંબંધો રાખવા માંગે છે, તે પણ તમારે તેની સાથે બેસીને ચર્ચા કરી લેવી જોઈએ. જો તમે બંને આ સંબંધો આગળ વધારવા માટે તૈયાર હોવ તો તમારી પાસે બે રસ્તા છે - એક કાયમી જોડાણ અને બીજો કામચલાઉ. આ વિશેની વાતો પણ તમે બંને સાથે બેસીને ચર્ચો તો નિર્ણય લેવાનું સરળ થઈ જશે. તમે એક વાર ભૂલ કરી ચૂક્યાં છો. એટલે ખૂબ જાળવીને આગળ વધશો એ સ્વાભાવિક છે. પણ બેસીને માત્ર વિચાર્યા કરવામાં કે ચિંતા કર્યા કરવામાં મોડું ન થઈ જાય એ જોજો. બાકી, પ્રેમ પંથમાં હા પાડવી અને ના પાડવી એક ફોર્માલિટી માત્ર હોય છે. દિલની વાત દિલને અને દિલથી સમજાઈ જ જાય છે. વિનયને શું કહેવું તે શાંતચિત્તે બેસીને તમારા દિલને જ પૂછી જુઓ. જવાબ ચોક્કસ જડી આવશે.
Set as favorite
Bookmark
Email This
Hits: 70 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| अगला > |
|---|