કૃષિપાકને ઢોર – વન્ય પ્રાણીઓથી બચાવવા સોલાર પાવર યુનિટ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજ્ય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરાવતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માટે આ નવીન યોજના શરૂ કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ  કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩૦૭૦ ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂપિયા૧૫,૦૦૦/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.

કૃષિમંત્રીશ્રી એ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ  HDPE (High Density Poly Ethylene) માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (૨00 લિટર) તેમજ ૧0 લિટરના બે ટોકર(ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ ૧૪૧ કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત ૭.૦૦ લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.૨૦૦૦/- લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે i-khedut પોર્ટલ મારફત ૧૩.૯૨ લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પુર્વ મંજુરી આપવાનો આજથી શુભારંભ કરાયો છે.

કૃષિમંત્રી શ્રી એ ઉમેર્યું કે, ખેડૂતોને ગુણવતાવાળા અને વ્યાજબી કિંમતવાળા રાસાયણીક ખાતરો, ગુજરાત એગ્રો દ્વારા ઉત્પાદીત જૈવિક પ્રવાહી ખાતરો, જંતુનાશક દવાઓનુ વિતરણ, આધુનિક વૈજ્ઞાનિક ખેત પધ્ધતીની માહીતી તેમજ રાજય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનુ અમલીકરણ સઘન રીતે થાય એ માટે રાજયમાં નવા ૫૫ ઉમેદવારોને નવીન એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાની મંજુરી આજે આપવામાં આવી છે. જે સેન્ટરો આજથી કાર્યરત થઈ જશે. હાલ રાજ્યમાં કુલ: ૧૪,૦૦ થી વધુ એગ્રી બિઝનેશ સેન્ટરો અને  એગ્રી સર્વિસ સેન્ટરો કાર્યરત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સોલાર ફેન્સીંગ યુનિટ, ડ્રમ ટોકર યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો,એગ્રો સેન્ટરના મંજૂરી પત્રો તથા બાગાયત અધિકારી વર્ગ-૨ના અધિકારીઓને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો