ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ૨૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય

ગાંધીનગરઃ ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ૨૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને આ સહાય તા. ૨ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના સમયગાળા માટે આપવામાં આવશે.

આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે વડાપ્રધાનશ્રીએ કરેલા આહવાનને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત સંસ્થા, મંડળીઓ દ્વારા ગુજરાતમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રની વસ્તુઓ ખરીદવા લોકો આકર્ષિત થશે અને ખાદી/પોલીવસ્ત્રનું વેચાણ વધશે.

રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની KVICનું પ્રમાણપત્ર ધરાવતી લગભગ ૨૩૦ જેટલી માન્ય ખાદી સંસ્થા/મંડળીઓના ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંતરીયાળ વિસ્તારના અંદાજે ૧૩૫૦૦ જેટલા કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે. આ સહાય જાહેર થવાથી ગુજરાત રાજ્યની ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ સંસ્થા/મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતી આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ વગેરે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થશે.

રાજ્ય સરકાર દ્વારા ખાદી બોર્ડ મારફતે સમગ્ર વર્ષ દરમ્યાન પ્રદર્શન-સહ-વેચાણ મેળા યોજીને ખાદીના વેચાણને બહોળુ પ્રોત્સાહન આપવામાં આવે છે. હાલમાં ગાંધી જયંતી નિમિત્તે તા. ૦૨ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન સુરત ખાતે પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

તાજેતર ના લેખો