ગુજરાતના ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”ની જાહેરાત
November 28, 2025
ગાંધીનગર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જેના અંતર્ગત રાજ્યભરમાંથી ગીર-સોમનાથમાં જનરલ કેટેગરીના ૧૦૦ યુવાઓ, જામનગરમાં અનુસૂચિત જાતિના ૧૦૦ યુવાઓ અને નવસારીમાં અનુસૂચિત જનજાતિના ૧૦૦ યુવાઓ એમ કુલ ૩૦૦ યુવાઓની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવશે.
રાજ્યના યુવાઓને જુદા જુદા વિસ્તારો, સાગર સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, તેમની મુશ્કેલીઓ, કલા-સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ તેઓ સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં ૧૦ દિવસ માટે યોજાનાર આ સાહસિક કાર્યક્રમમાં અરજી કરનાર ઉમેદવારોમાંથી પસંદગી સમિતિ દ્વારા રાજ્યભરમાંથી કુલ ૩૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાઓને નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવાના-જવાના ખર્ચની રકમ તેમજ ભાગ લીધાનો રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા
સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”માં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તેમાં (૧) પોતાનું નામ-સરનામું, મોબાઇલ નંબર (૨) જન્મ તારીખ (૩) શૈક્ષણિક લાયકાત (૪) વ્યવસાય (૫) એન.સી.સી/પર્વતારોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર (૭) વાલીની સંમતિ (૮) તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો (૯) ઓળખ કાર્ડ (૧૦) જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ અને (૧૧) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત સહિતની માહિતી દર્શાવવાની રહેશે. ભાગ લેવા ઇચ્છુક જનરલ કેટેગરીના ઉમેદવારોએ ગીર-સોમનાથ જિલ્લામાં, અનુસૂચિત જાતિના યુવાઓએ જામનગર અને અનુસૂચિત જનજાતિના યુવાઓએ નવસારીની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે, તેમ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
