મુદત પુરી થવાના એક દિવસ પહેલાં રાજીનામાં આપવાનું વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનું ત્રાગું ઉઘાડું પડી ગયું

અમદાવાદઃ  ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો ત્યારથી આ સંસ્થા વિવાદમાં સપડાઈ છે. હવે તેમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. આચાર્ય દેવવ્રતની નિમણૂકના વિરોધમાં વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે, પરંતુ તેમાં નોંધપાત્ર વાત એ છે કે, સોમવારે 17 ઑક્ટોબરે રાજીનામાં આપનારા તમામ આઠમાંથી પાંચ ટ્રસ્ટીની મુદત આજે એટલે કે 18 ઑક્ટોબર, 2022ના રોજ સમાપ્ત થઈ રહી છે.

ઘટનાક્રમ એવો છે કે, ગૂજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે રાજ્યના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવી કે નહીં તે માટે મતદાન યોજાયું હતું અને તેમાં 23 ટ્રસ્ટીઓમાંથી બહુમતી ટ્રસ્ટીઓએ દેવવ્રતજીની તરફેણમાં મત આપ્યો હતો. આ મતદાન બાદ ગાંધીવાદ અને ગાંધીવાદી સંસ્થાના નામે રાજ્યમાં ઘણો વિવાદ ચગાવવાનો પ્રયાસ થયો. આવો વિવાદ ચગવાનું કારણ એ છે કે, ગાંધીવાદીઓ એમ માને છે કે આચાર્ય દેવવ્રત સંઘ તરફી વિચારધારા ધરાવે છે અને તેથી તેમનું સ્થાન ગાંધીવાદી સંસ્થામાં ન હોઈ શકે.

જોકે, વિદ્યાપીઠે બહુમતીમાં કરેલા મતદાનને આધારે આચાર્ય દેવવ્રતજીને આ પદ સ્વીકારવા પત્ર લખ્યો હતો જેને રાજ્યપાલે સ્વીકાર કર્યો હતો. અને તેને પગલે વિરુદ્ધમાં મતદાન કરનારા આઠ ટ્રસ્ટીઓએ તેમની ટ્રસ્ટી તરીકેની મુદત પૂરી થવાના એક દિવસ પહેલાં રાજીનામાં આપીને ત્રાગું કર્યું હોવાનું અનેક લોકોને લાગે છે.

જે દસ ટ્રસ્ટીઓમાંથી આઠે વિરોધમાં મત આપ્યો હતો તેમણે સોમવારે રાજીનામાં આપીને આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠનું કૂલપતિપદ નહીં સ્વીકારવા વિનંતી પણ કરી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો