મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા વધારીને ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી

ગાંધીનગરઃ દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની રીઅલ ક્રાફ્ટ પોર્ટલ ઉપર ભૌતિક ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે માટે ભૌતિક ચકાસણીની સમયમર્યાદા આજ એટલે કે તા. ૩૧-૭-૨૦૨૩ સુધી રાખવામાં આવી હતી.

આ સંદર્ભે રાજ્યના વિવિધ માછીમાર બોટ એસોસિએશન, મંડળી, માછીમાર આગેવાનો, બોટ માલિકો દ્વારા રાજ્યની તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણની સમયમર્યાદા વધારવા માટે ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

રાજ્યના માછીમારોની રજૂઆતો અને તેમના બૃહદ હિતને ધ્યાને લઇ તમામ મત્સ્ય બોટોની ભૌતિક ચકાસણીની સમયમર્યાદા એક મહિનો એટલે કે આગામી તા. ૩૧-૮-૨૦૨૩ સુધી વધારવામાં આવ્યો છે. આ વધારાના સમયગાળા દરમ્યાન રાજ્યના માછીમારો માછીમારીની પ્રવૃતિ કરવા જઈ શકશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેમણે તેમની અનુકૂળતાએ બિનચૂક આ સર્વે પણ કરાવી લેવાનો રહેશે. દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે માછીમારોએ આ સર્વે કરાવવો ફરજિયાત છે.

તાજેતર ના લેખો