ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળતી થઇ છે.

સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-૨૧માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામેના મેદાનમાં આ ‘જીવન પ્રસાદ ઘર’ ભોજન સેવાનો ૧ એપ્રિલથી પ્રારંભ થયો છે.

આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર-૬માં અપના બજાર નજીક સપ્ટેમ્બર-૨૦૨૩માં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી.

સેક્ટર-૬ માં મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર-૨૧માં લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓને લાઇબ્રેરીમાં વાંચન સાથે આ નજીવા દરે ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે.

‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે ‘જીવન પ્રસાદ ઘર’ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.

દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦ થી વધુ બહેનોને રોજગારી મળે છે.

આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે, અહિં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે.

‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી શ્રી નિલેશ જાની એ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.

વધુ વિગતો માટે શ્રી નિલેશ જાની નો 7575065555 ઉપર સંપર્ક સાધી શકાય છે.

Image

🗃️ This story is from our archives and may contain outdated information.