જાહેરાતોમાં સુંદર ચિત્રો દર્શાવતી ‘આપ’ પાર્ટીનું દિલ્હીનું વાસ્તવિક ચિત્ર ઘણું કદરૂપું છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ  કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંદીપ દીક્ષીતે આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જાહેરાતોમાં દિલ્હીનું સુંદર ચિત્રો દર્શાવતી ‘આપ’ પાર્ટીનું દિલ્હીનું વાસ્તવિક ચિત્ર ઘણું કદરૂપું છે.

શિક્ષણ અને આરોગ્યના “આપ” મોડલમાં પોલમપોલ છે. કેજરીવાલ માત્રને માત્ર જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. આદરણીય શીલા દિક્ષીતજીના શાસનમાં બનાવેલી સરકારી સ્કુલો બાદ એક પણ સરકારી સ્કુલનું નિર્માણ “આપ” પાર્ટીએ કર્યું નથી. દિલ્હીમાં આપ પાર્ટીના કુશાસનના લીધે સ્કુલમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશીયોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.

કેજરીવાલ દ્વારા સરકારી સ્કુલોમાં જુદા જુદા રંગરોગાન – સમારકામ કરી માત્ર બ્યુટીફિકેશનના કામના કોન્ટ્રાક્ટ અપાયા છે. આ શિક્ષણ મોડલ નથી પરંતુ આપ પાર્ટીનું ‘ઠેકેદાર મોડલ’ છે.

કોંગ્રેસ પક્ષના શાસનમાં દિલ્હી પરિવહનની બસોમાં 3100 થી વધીને 5900 બસો કરાઈ હતી પરંતુ આપ પાર્ટીના શાસનમાં બસોની સંખ્યા ઘટીને 3760 બચી છે. વર્ષ 2014 સુધી દિલ્હી પરિવહનની બસો દરરોજ 9.7 લાખ કિ.મી. ચાલતી હતી જે આપના કુશાસનને કારણે આજે ઘટીને માત્ર 4.3 લાખ કિ.મી. ચાલી રહી છે.

કોંગ્રેસ શાસનમાં સુએજ ટ્રીટમેન્ટની ક્ષમતા 334 એમ.એન.ડી. થી વધારીને 614 એમ.એન.ડી. કરવામાં આવી પરંતુ “આપ”ના કુશાસનમાં સુએજ ટ્રીટમેન્ટની ક્ષમતા ઘટીને 597 એમ.એન.ડી. થઈ ગઈ. આપ પાર્ટી દ્વારા એક પણ નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસ પક્ષના શાસનમાં 39 સરકારી હોસ્પિટલનું નિર્માણ કર્યું. પણ મોટી મોટી વાતો કરતી “આપ” પાર્ટીએ આઠ વર્ષમાં એક પણ સરકારી હોસ્પિટલ બનાવી નથી. સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આદરણીય શીલા દિક્ષીતજીના સમયથી ચાલતી આવી છે. પરંતુ કેજરીવાલ માત્ર મફત સારવારની જાહેરાતોમાં વાહવાહી લુટી રહ્યા છે. મહોલ્લા ક્લીનીકની મોટી મોટી જાહેરાતો પણ વાસ્તવિકતાથી દૂર છે. મહોલ્લા ક્લીનીકમાં કોઈ દવા મળતી નથી, ઈન્જેક્શન અપાતા નથી માત્ર શરદી, ખાંસી જેવી પ્રાથમિક સુવિધાઓ પોતાના માનિતા કોન્ટ્રાક્ટ પર રાખેલા ડૉક્ટરો દ્વારા કરવામાં આવે છે.

દિલ્હીમાં કોંગ્રેસની સરકારના શાસનમાં 11000 બેડની સુવિધા હતી જે આઠ વર્ષમાં માત્ર 1000 બેડનો વધારા સાથે 12000 બેડ થયા છે. જો સરકારી હોસ્પિટલની સંખ્યામાં વધારો થયો હોત તો કોરોના કાળમાં થયેલા મૃત્યુનો આંકડો આટલો મોટો ન હોત.

યુવાનોને 10 લાખ લોકોને રોજગાર આપવાની જાહેરાત કરતી કેજરીવાલ એન્ડ કંપનીએ દિલ્હીમાં આઠ વર્ષમાં માત્ર 440 લોકોને સરકારી નોકરી આપી છે. દિલ્હીમાં દર 25 વ્યક્તિએ એક વ્યક્તિ બેરોજગાર છે. દિલ્હીનું આપ મોડલ તમામ વ્યવસ્થામાં ખાડે ગયું છે. મોંઘવારી – બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે જનતા પરેશાન છે બીજીબાજુ માત્ર જાહેરાતોથી વારંવાર લૂંટવામાં આવી રહી છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા રાધીકા ખેરાજીએ જણાવ્યું હતું કે, પંજાબમાં સરકાર બનતા જ આપ પાર્ટીના સંયોજક કેજરીવાલે તમામ સરકારી વિભાગોમાં પુજ્ય મહાત્મા ગાંધીજીની તસવીર હટાવી દીધી અને હવે ગુજરાતમાં પુજ્ય ગાંધી બાપુના નામે રાજકારણ કરવા નિકળ્યા છે.

ભ્રષ્ટાચાર કરીને કટ્ટર ઈમાનદાર પાર્ટીનું લેબલ લગાવતી આપ પાર્ટીના મંત્રી ભ્રષ્ટાચારના આરોપ સર જેલમાં છે. સ્વાસ્થ્ય મંત્રી પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરી મત મેળવવા માંગે છે. મહિલા સુરક્ષામાં દેશની રાજધાની દિલ્હીમાં દરરોજ બે સગીરા ઉપર બળાત્કાર થાય છે. નિર્ભયા કાંડ બાદ મહિલા સુરક્ષા માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાના ફંડમાંથી હજુ સુધી રકમ વપરાઈ નથી. આ દર્શાવે છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર પોતાનું ‘જાહેરાતનું રાજકારણ’ કરી રહી છે. ખરેખર તો આપનું મોડલ સંપૂર્ણપણે ફેલ મોડલ છે.

દેશ ગુજરાત

🗃️ This story is from our archives and may contain outdated information.