“આમ આદમી” કેજરીવાલ છ મહિનામાં આઠ વખત ચાર્ટર ફ્લાઈટમાં ગુજરાત આવ્યા

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની આ વર્ષના અંતે યોજનાર ચૂંટણીમાં વિશેષ રસ લઈ રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નિયમિત રીતે રાજ્યના વિવિધ શહેરો અને ક્ષેત્રોની મુલાકાત લઈ રહ્યા છે.

કેજરીવાલે એપ્રિલ 2022થી 11 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ઓછામાં ઓછી 14 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. આ મુલાકાતોમાંથી ઓછામાં ઓછી સાત વખત તેઓ ખાનગી વિમાન – ચાર્ડર્ડ ફ્લાઈટમાં અવરજવર કરી હોવાનું જાણવા મળે છે. આજની તેમની વડોદરાની મુલાકાત ઉમેરવામાં આવે તો આ ગાળામાં ગુજરાતની તેમની 15મી મુલાકાત ગણાય. જેમાં તેમણે કુલ આઠ વખત ખાનગી-ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કર્યો છે.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપૂરે આજે આ અંગે એક ટ્વિટ કરીને જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં ઑટો રિક્શામાં બેસીને પ્રજાની વચ્ચે જવાના મુદ્દે અમદાવાદ પોલીસ સાથે વિવાદ કર્યાના સમાચાર પછી આપ-ના નેતા અરવિંદ કેજરીવાલની ચાર્ટર પ્લેનની યાત્રાઓ સમાચારોમાં ચમકી રહી છે.

તે સાથે નિર્ણય કપૂરે કેજરીવાલની એક એપ્રિલ 2022થી 11 સપ્ટેમ્બર, 2022 સુધીની ગુજરાતની 14 મુલાકાતોની યાદી તેમના સોશિયલ મીડિયા ઉપર શૅર કરી અને સાથે લખ્યું કે, એમ તો આજે કેજરીવાલ વડોદરા પણ પ્રાઇવેટ પ્લેનમાં જ પહોંચ્યા હતા.

દેશ ગુજરાત

🗃️ This story is from our archives and may contain outdated information.