દાંતાના કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ પણ થયું નથી: જિલ્લા પોલીસ

બનાસકાંઠા: જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર શ્રી કાંતિભાઈ ખરાડી પર કોઈ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું નથી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલીને શ્રી કાંતિભાઈ ખરાડીનો સંપર્ક કર્યો હતો અને એમને જો કોઈ ફરિયાદ હોય તો કમ્પ્લેન નોંધાવવા કહ્યું હતું. પરંતુ શ્રી કાંતિભાઈ ખરાડીએ એવી કોઈ જ ઈચ્છા નહીં હોવાનું જણાવ્યું છે.

ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તા.4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તત્કાળ શ્રી કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. શ્રી કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું. આ બાબત શ્રી કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસના અનુરોધ પછી પણ તેમણે કોઈ જ કમ્પ્લેન નોંધાવવાની ઈચ્છા નહીં હોવાનું કહ્યું હતું.

🗃️ This story is from our archives and may contain outdated information.