Junagadh’s Bhavnath Fair:Naga baba’s Mahashivratri at Girnar(Video)

Bhavnath Taleti of Girnar hills – Junagadh – DeshGujarat,

This video is about Gujarat’s Bhavnath fair. Bhavnath fair is celebrated for five days every year on the occasion of Mahashivratri(usually in February or March). Mahashivratri is a festival devoted to lord Shiva. Shaivait safron clothed sadhus and naga baba from all over the India participate in this fair.

The grand attraction of this fair is a march of Naga babas that happens on Mahashivratri evening after 9 p.m. Naked Sadhus march in a religious procession for three hours, they exhibit glimpses of their sword fight practices and other interesting activities during the march. Finally at 12.00 in midnight they reach to the Bhavnath temple’s Mrugi kund(tank) and take bath there.

Bhavnath fair is mini version of Kumbh mela. In Kumbh mela sadhus take bath in a river in day light and all akhadas participate in it. In Bhavnath fair sadhus take bath in Mrugi tank in the midnight and only three akhadas(groups of sadhus) participate. Kumbh mela comes once in four years, Bhavnath Mela comes every year. Bhavnath fair is must visit that an be cherished for life time.

***

ભવનાથનો મેળો – ગિરનાર પર્વતની તળેટી – જુનાગઢ, મહાશિવરાત્રિ ૨૦૦૮, દેશગુજરાત

સૌરાષ્ટ્રના ત્રણ મેળા બહુ જ મોટા અને જાણીતા કહી શકાય. એક તો છે તરણેતરનો મેળો, બીજો માધવપુરનો મેળો અને ત્રીજો ભવનાથનો મેળો. આ ત્રણ પૈકી માનવ મહેરામણની સંખ્યાની દ્રષ્ટિએ અને જોવા તથા માણવા લાયક મેળો ભવનાથનો મેળો કહી શકાય એમ ત્રણેય મેળા ફર્યા પછીનુ તારણ છે.

ભવનાથનો મેળો ગિરનાર પર્વતની ગોદમાં ભવનાથ તળેટીમાં દરેક વર્ષે મહા સુદ નોમથી ચૌદશ સુધી એટલેકે મહાશિવરાત્રિના પાંચ દિવસ અગાઉથી મહાશિવરાત્રિ સુધી યોજાય છે. પાંચ દિવસના આ મેળાની શરૂઆત તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરના મહંત મંદિર પર નવી ધ્વજા ફરકાવે એટલે થાય છે. આ જ સમયે ગિરનાર પરના બીજા શિવાલયોમાં પણ નવી ધ્વજા ફરકાવવામાં આવે છે જેમ કે એક ઉદાહરણ જોઈએ તો ગિરનાર પર્વત પર ભૈરવ જપ નામનો એક પથ્થર છે તેના પર કમરે દોરડુ બાંધીને અત્યંત જોખમી રીતે સાધુ ધ્વજ ફરકાવે છે. આ પથ્થર પરથી આપઘાત કરનારને સ્વર્ગ મળે એવી રાજાશાહીના સમયે માન્યતા હતી અને ત્યારે તંત્રએ ત્યાં જવા પર પ્રતિબંધ પણ ફરમાવવો પડ્યો હતો.

પરત ભવનાથના મેળા તરફ આવીએ તો મહા સુદ નોમે મેળાની શરૂઆત થાય એ સાથે જ નાગા બાવાઓ ભવનાથ મંદિરની પાછળની ગલીમાં પોતાના ડેરા તંબુ તાણે છે. આ ડેરા તંબુમાં યજ્ઞકુંડો હોય છે જેમાં બાવાઓએ પોતાનો ચિપિયો ખોસેલો હોય છે. ડેરા તંબુની પાછળની દિવાલ પર ધાર્મિક પોસ્ટરો લગાડેલા હોય છે. બાવાઓ પાસે નાગફણી નામનું તેમનું ખાસ વાજિંત્ર હોય છે તે ડેરામાં લટકાવેલું હોય છે. ડેરામાં યજ્ઞકુંડમાં તાપણું કરવા માટે સૂકા લાકડા જંગલ વિભાગ તરફથી પૂરા પાડવામાં આવેલા હોય છે. ડેરામાં યજ્ઞકુંડની અગ્નિ પર બાવાઓ તો ચા પણ બનાવી લે છે પરંતુ દર્શનાર્થીઓને યજ્ઞકુંડ ઓળંગવાની કે તે તરફ પીઠ ફેરવીને બેસવાની છૂટ હોતી નથી એટલો આ અગ્નિને અને કુંડને બાવાઓ પવિત્ર માને છે. યજ્ઞકુંડની રાખ બાવાઓ શરીરે ચોપડી લે છે. એક વખત મેં સ્વર્ગસ્થ વિદ્વાન શ્રી કેકાશાસ્ત્રીજીને પૂછ્યું હતુ કે બાવાઓ રાખ કેમ ચોપડે છે? શાસ્ત્રીજીએ મને કહ્યું હતું કે નાગા બાવા શરીરે રાખ ચોપડે એટલે હિમાલયની ઠંડીમાં પણ તેમને ઠંડી લાગે નહીં માટે તેઓ ચોપડે છે.

બાવાઓ ડેરામાં ચલમ અને ચા પીતા હોય છે. કોઈક શ્રદ્ધાળુ બાવા પાસે તાવીજ બનાવી જાય તો કોઈ રાખનો ચાંદલો કરાવતો જાય તો કોઈ બાવા પાસે બેસીને તેમની ચલમની ચૂસકી પણ લઈ લે તો કોઈ માંદા માણસ પાસે બાવાજીના યજ્ઞકુંડની રખિયા લઈ જાય. મોટાભાગે જીજ્ઞાસુ દર્શનાર્થીઓ બાવાઓને જોવા માટે આવે છે. બાવાજી આવા પાસે પૈસા પણ માંગતા હોય છે. બહુ ભીડ થઈ જાય અને ડેરામાં બેઠેલા બાવાની સામુ ને સામુ જોયા કરે ને પૈસા ન આપે તો બાવાજી ગુસ્સે થાય અને લાકડુ લઈને ફરી વળે ભીડ પર.

ક્યારેક ડેરાના બાવાઓ રંગતમાં આવી જાય તો જનન ઈન્દ્રિય સાથે કચ્છો બાંધીને તેની સાથે મોટો પથ્થર બાંધીને તેને લોલકની માફક ઝુલાવે. તો ક્યારેક બાવાજી શીર્ષાસન કરી બતાવે અને ક્યારેક જનન ઈન્દ્રિય સાથે લાકડી વીંટીને તેના પરથી બે પગ એક પછી એક ઉંચા કરીને લાકડી પાછળના ભાગે આડી કરીને ઉભા રહે. બહુ રંગમાં આવે તો લાકડી પર બે માણસો ને ઉભા પણ રાખી શકે. આને બાવાઓ ચાવી દાવ કહે છે.

કોઈ બાવા તમને જનન ઈન્દ્રિય પર વીંટી પહેરતા માલૂમ પડે અને કોઈક બાવો તમને જનન ઈન્દ્રિયની આગળ લબડતી ચામડીમાં સિગારેટ ભરવીને જાણે જનન ઈન્દ્રિયથી સિગારેટ પીતા હોય એવુ કરતા પણ જોવા મળે. બાવાઓના ડેરામાં આગંતુક વિદેશી પણ પડ્યા રહેલા જોવા મળે છે કે જે હિપ્પી પ્રકારના હોય છે અને બાવા જોડે બાવા થઈ ગયા હોય છે.

ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાનું કંપાઉન્ડ આવેલું છે તેમાં અને તેની દિવાલ બહાર ગલીમાં લગભગ સોથી વધુ ડેરાઓ લાગેલા હોય છે. બમ બમ બોલતા અને તરેહ તરેહની પ્રવૃત્તિઓ કરતા બાવાઓ આ ડેરામાં જોવા મળે છે.

***

મેળાના પાંચેય દિવસ અને રાત કશીકને કશીક પ્રવૃત્તિ ચાલતી રહેતી હોય છે. રાત્રે ડાયરા, સંતવાણીના કાર્યક્રમ હોય છે. સવાર સાંજ લાખો લોકોનુ ખાવાનુ મફત જમણ આપતા ભંડારાઓમાં નિપટે છે. આ ભંડારાઓને હરિહર કહે છે. ગુજરાતભરના અનેક મંડળો, ગામો પોતાના હરિહર રાખે છે જેમાં ઉપરા ઉપરી પંગતો બેસતી રહે છે અને મફત જમણ કરે છે. હરિહરમાં જમાડવાની આયોજકોની એટલી તો ઉત્કંઠા હોય છે કે એક માણસ હરિહરની બહાર ઉભો રહીને સૌને ચાલો હરિહર … ભોજન તૈયાર છે એવી બૂમો પાડીને જમવા બોલાવે છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામોના ખેડૂતો ખાસ ભવનાથના મેળામાં જાહેર ભોજન કરાવવા માટે શાક, અનાજ, વાવે છે અને ભગવાનનો ભાગ તરીકે તેને ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓને જમાડવા માટે વાપરે છે.

***

આમ તો પાંચેય દિવસ લોકોની ભીડ હોય છે પણ ભવનાથના મેળામાં આવનારાઓની સંખ્યા મહાશિવરાત્રિના દિવસે વધી જાય છે. મહાશિવરાત્રિ સાંજે પોલીસ રસ્તા ખાલી કરાવી દે છે. રસ્તાની બેઉ તરફ દર્શનાર્થીઓ જમા થઈ જાય છે અને પોતપોતાની જગ્યા રોકી લે છે. બીજી તરફ ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના અખાડા અને આવાહન અખાડા તથા અગ્નિ અખાડાના સાધુઓ કૂચમાં નીકળવાની તૈયારી કરવા લાગે છે. કૂચમાં આ ત્રણ જ અખાડાના બાવાઓ ભાગ લઈ શકે છે. બાકી તો દશનામી ગોસ્વામી સાધુ સંપ્રદાયમાં કુલ દસ અખાડા છે.

મહાશિવરાત્રિના રાતના નવ વાગ્યે ભવનાથ મંદિર પાછળથી સૌપ્રથમ જુના અખાડાની કૂચ નીકળે છે. આમાં સૌથી આગળ વિશાળ ધજાઓ હોય છે પાછળ નાની નાની ધજાઓ હોય છે એની પાછળ ભગવાનની પાલખી હોય છે એની પાછળ જુના અખાડાના નાગા બાવાઓ શરીરે ગલગોટાના ફૂલ વીંટાળીને ચાલતા હોય છે. આ જ રીતે પાછળ આવાહન અખાડા અને તેની પાછળ અગ્નિ અખાડાના સાધુઓ હોય છે. અગ્નિ અખાડાના સાધુઓ નગ્ન નથી હોતા.

મહાશિવરાત્રીની આ કૂચ કહો કે સરઘસ કહો કે રવાડી કહો તેમાં બાવાઓ તરેહ તરેહના કરતબો બતાવે છે. કોઈક બાવો ચાવી દાવ ખેલે છે તો કોઈક ઈન્દ્રિય સાથે દોરડુ બાંધીને ગાડી ખેંચે છે. કોઈક બાવો તલવારના દાવ ખેલે છે તો કોઈક ત્રિશૂળના. કોઈક બાવાજી વળી પોતાની લાંબી જટાનું પણ પ્રદર્શન કરે છે. બાવાઓ રંગમાં આવે તો વિદેશી ફોટોગ્રાફરોને મારવા ઘસી જાય છે. આવામાં ફોટોગ્રાફર માટે ભાગવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી કારણકે બાવાજી તો ફુલ ચલમના નશામાં હોય છે તેથી તેમને વારી શકાતા નથી.

મહાશિવરાત્રિની કૂચ તળેટીમાં ફરતી ફરતી મેળાના મેદાન સામેથી પસાર થઈને ભવનાથ મહાદેવના મંદિરમાં પહોંચે છે. ભવનાથ મંદિર પરિસરમાં મૃગીકુંડ નામનો નાનકડો કુંડ છે એમાં બાવાઓ સાધારણ વિધિ બાદ મધરાતે બાર વાગ્યે સ્નાન કરવા છલાંગ લગાવે છે. એવી માન્યતા છે કે આ કુંડમાં આ સમયે ખુદ ભગવાન શંકર હાજર હોય છે. એવી પણ માન્યતા છે કે આ સ્નાન બાદ કેટલાક સાધુઓ ગાયબ થઈ જાય છે. મહાશિવરાત્રિના બાર વાગ્યાના આ સ્નાનમાં ભાગ લેવા માટે ગિરનારના જંગલોમાં, ગુફાઓમાં એકાંત સાધના કરતા સાધુઓ પણ તેમના એકાંતવાસમાંથી નીકળીને આવે છે અને તેમના દુર્લભ દર્શન થાય છે એવી માન્યતા છે.

Tags: Hindu Naga Babas, Hindu Naga baba, Hindu Naga sadhu, Hindu Naga sadhus, Hindu Naked saints, Naked sadhus, Naked sadhu, Naked baba, nagababa, Girnar, Giranar, Junagadh, Bhavnath, Mahashivratri Fair, Mahashivaratri Fair, Bhavnath Fair, Dashnami Goswami, Juna Akhada, Avahan Akhada, Religious, Bhavnath Temple, Mrugi Kund, Ravadi, March, Procession , Saurashtra, Gujarat, India, mini kumbh mela