ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ વધારા સાથે જાહેર

ગાંધીનગરઃ ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે.

વર્ષ ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. ૭,૫૧૭ પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. ૮,૬૬૭ પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. ૨,૪૪૧ પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. ૪,૦૨૩ પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨,૯૦૦ પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. ૫,૨૦૫ પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૨,૪૧૦ પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. ૮,૪૫૦ પ્રતિ ક્વિ., મગ માટે રૂ. ૮,૭૮૦ પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. ૮,૨૦૦ પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. ૧૦,૩૪૬ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી), તલ અને તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ક્રમશ: રૂ. ૫૫૭, રૂ. ૫૦૦ અને રૂ. ૪૫૦નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. ૨૫૪ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *