અમદાવાદમાં હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત, નિયમ ભંગે કડક કાર્યવાહી થશે

અમદાવાદ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સિવિલ અપીલ નં. 6174/2023 માં તા. 19/02/2026 ના રોજ આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશોને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં કચરા વ્યવસ્થાપન માટે નવી અને કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે.

આ નવી જોગવાઈઓ મુજબ હવે અમદાવાદ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં આવેલા રહેણાંક તેમજ કોમર્શિયલ એકમોએ કચરાનું 4 અલગ પ્રકારમાં સેગ્રીગેશન કરીને જ ડોર ટુ ડોર કલેક્શન વાહનોને આપવાનું રહેશે.

નવી વ્યવસ્થા મુજબ ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને વિશેષ કાળજીનો કચરો (Special Care Waste) અલગ અલગ રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ભીના કચરામાં રસોડાનો કચરો, ફળો અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સેનિટરી કચરામાં વપરાયેલા ડાયપર, સેનિટરી પેડ્સ સહિતનો કચરો આવશે, જેને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગ અથવા યોગ્ય કાગળમાં સુરક્ષિત રીતે લપેટીને અલગ આપવાનો રહેશે. ઉપરાંત જોખમી ઘરગથ્થુ કચરાને “વિશેષ કાળજીનો કચરો” તરીકે અલગ રાખવાની સૂચના આપવામાં આવી છે.

AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ગટરમાં અથવા જળાશયોમાં ફેંકવો, બાળવો કે દાટવો કાનૂની ગુનો ગણાશે. શહેરના તમામ રહેણાંક અને વેપારી એકમો માટે આ નિયમો ફરજિયાતપણે લાગુ પડશે. જો કોઈ એકમ દ્વારા 4 પ્રકારના કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન કરવામાં નહીં આવે અથવા નિયમોના અમલમાં બેદરકારી દાખવવામાં આવશે તો તે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના સમાન ગણાશે. આવી સ્થિતિમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ લાગુ પડતા અન્ય પર્યાવરણીય કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પર્યાવરણલક્ષી બનાવવા માટે આ અભિયાનમાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશનનું માનવું છે કે નાગરિકોના સહકારથી જ શહેરમાં સ્વચ્છતા અને સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટનું લક્ષ્ય હાંસલ કરી શકાશે.

“સ્વચ્છતા આપણાં સૌની ફરજ, સ્વચ્છતા આપણાં સૌનો અધિકાર” ના સંદેશ સાથે AMC દ્વારા શહેરવ્યાપી જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *