ગુજરાતમાં ભરતીમેળાઓ થકી છેલ્લા ૫ વર્ષમાં ૬.૫૪ લાખથી વધુ યુવાનોને મળી રોજગારી: સરકાર

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશમાં છેલ્લા પાંચ વર્ષમાં (વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬)માં રોજગાર ભરતીમેળાઓ થકી કુલ ૬.૫૪ લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ રોજગારી પૂરી પાડવા માટે રાજ્યભરમાં ૭,૪૦૩ જેટલા મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૨૫-૨૬ના એક જ વર્ષમાં ૧,૩૩૩ રોજગાર ભરતી-મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧,૧૫,૭૭૪થી વધુ યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ સીધી જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ માટે આવી હતી. જેમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી સેક્ટરમાં કાર્યરત અદાણી સોલર જેવી કંપનીઓએ પણ મોટા પાયે યુવાનોની પસંદગી કરી છે. સમગ્ર રાજ્યમાંથી ૨૮,૦૦૦થી વધુ નોકરીદાતાઓ આ રોજગાર-મેળામાં સામેલ થયા હતા.

૪૬ રોજગાર કચેરીઓનું નેટવર્ક નોકરીવાંચ્છુ ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે ‘સેતુ’ સમાન કામગીરી કરી રહ્યું છે. રાજ્યની ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા સૌપ્રથમ કંપનીઓની રોજગાર-જરૂરિયાત જાણવામાં આવે છે. ત્યારબાદ શાળા, કોલેજ કે ITI કેમ્પસનો સંપર્ક કરી સોશિયલ મીડિયા, ઇ-મેઇલ અને પત્ર વ્યવહાર દ્વારા લાયક ઉમેદવારોને જાણ કરાય છે. ભરતીમેળાના દિવસે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *