ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ

અમદાવાદ: મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની યોજના અન્વયે આર્મીમાં જોડાવા ઈચ્છુક પુરુષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ યોજના હેઠળ ગુજરાતના યુવાનોની વધુમાં વધુ ભરતી થઈ શકે તે માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો તેમજ પોલીસ ફોર્સ વગેરેની જગ્યાઓ માટે શારીરિક યોગ્યતા ઉંચાઈ-૧૬૮ સે.મી ,વજન-૫૦ કિલોગ્રામ અને છાતી ૭૭-૮૨ સે.મી, નિયત કરેલ જરૂરી લાયકાત અને નિયત વય ધો.૧૦ પાસ માટે અને ધો.૧૨ પાસ માટે ૧૭.૫ થી ૨૨ વર્ષ ધરાવતા યુવાનોને શારીરિક-માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે દિન-૩૦ ની ઘનિષ્ઠ નિવાસી તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે ‘વિના મૂલ્યે’ આપવામાં આવશે.

તાલીમ પૂર્ણ કરનાર ઉમેદવારોને સરકારશ્રીના નિયમાનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. લાયકાત ધરાવતાં અમદાવાદ જિલ્લાના ઈચ્છુક ઉમેદવારો કચેરીના કામકાજના દિવસોમાં મદદનીશ નિયામક રોજગારની કચેરી, બહુમાળી ભવન અસારવા બ્લોક-A, પ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.